કેવું છે કેન્દ્રીય બજેટ ૨૦૧૮-૧૯? શું કહે છે નિષ્ણાતો ‘ચિત્રલેખા’ને…

મુંબઈ – કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ આજે સંસદમાં ૨૦૧૮-૧૯ માટે રજૂ કરેલા કેન્દ્રીય બજેટ વિશે આર્થિક જગતના વિવિધ નિષ્ણાતોએ chitralekha.com ને એમના મંતવ્ય, અભિપ્રાય આપ્યા છે.

મૂડીબજારની ગહનતા વધારવા પર ધ્યાન આપનારું બજેટઃ નીલેશ શાહ, કોટક મહિન્દ્રા અસેટ મૅનેજમેન્ટ કંપની લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર

બજેટમાં મૂડીબજારની ગહનતા વધારવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મોટી કંપનીઓએ 25 ટકા ધિરાણ કેપિટલ માર્કેટમાંથી લેવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હોવાથી બજારમાં વધુ ઇસ્યૂઅરો આવશે. 40 સરકારી કંપનીઓનું ડાઇવેસ્ટમેન્ટ અને 24 સરકારી કંપનીઓનું વ્યૂહાત્મક ડાઇવેસ્ટમેન્ટ કરવામાં આવવાથી પુરવઠો વધશે અને ઈક્વિટી બજારની તોફાની વધઘટ શમશે. ઓપરેટિંગ અસેટ્સને વેચીને નાણાં મેળવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટનો ઉપયોગ કરવાથી સરકારની મૂડી છીટી થશે અને તેને પગલે લાંબા ગાળા માટે માર્કેટમાં નવાં નાણાં આવશે. આ ઉપરાંત ડેટ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ લાવવાથી સરકારને ભંડોળ મેળવવાનો તથા રોકાણકારોને નાણાં રોકવાનો નવો વિકલ્પ મળી જશે.