“જીવ બચાવવો હોય તો બલૂચિસ્તાન છોડી દો”: BLAની ચીન-પાકિસ્તાનને ધમકી

પાકિસ્તાન: બલૂચિસ્તાનમાં ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી લેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ હુમલાને અંજામ આપનાર બળવાખોર જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સામે પાકિસ્તાની સૈન્ય જાણે લાચાર દેખાઈ રહ્યું છે. 

ચીન-પાકિસ્તાનને ધમકી 

BLA દ્વારા હવે ચીન અને પાકિસ્તાનને સીધી ધમકી આપી દેવામાં આવી છે. BLAનું કહેવું છે કે ચીન અને પાકિસ્તાનના લોકો તેમના જીવ બચાવવા માગતા હોય તો બલૂચિસ્તાન છોડીને જતા રહે. જાફર એક્સપ્રેસમાં 500થી વધુ મુસાફરો સવાર છે, જેમાં સૈન્ય અધિકારીઓની સંખ્યા વધારે છે. 18 કલાક વીતી જવા છતાં હજુ સુધી તમામ બંધકોને મુક્ત કરાવવામાં સફળતા મળી નથી. 

104 બંધક મુક્ત કરાવાયાનો દાવો 

બીજી બાજુ એવા અહેવાલ આવ્યા હતા કે પાકિસ્તાની સૈન્યએ 104 બંધકોને મુક્ત કરાવી લીધા છે. આ ઓપરેશન દરમિયાન 16 આતંકીઓને ઠાર મરાયાનો દાવો પણ કરાયો હતો. જ્યારે BLA તરફથી પણ એવો દાવો કરાયો છે કે અમે પાકિસ્તાની સૈન્યના 30 જવાનોને ઠાર કરી દીધા હતા. 

BLAની માગ શું છે? 

બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી અશાંત પ્રાંત છે. 1948થી અહીં બલૂચ અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણો થઈ રહી છે. બલૂચિસ્તાનના લોકો લાંબા સમયથી પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. તાજેતરના સમયમાં, આ ક્ષેત્રમાં ચીનની દખલગીરી વધી છે. ચીન આ વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે, જેના કારણે તેને સતત હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે. BLA ની સૌથી મહત્વપૂર્ણ માંગ એ છે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સરકાર કે સુરક્ષા એજન્સીનો કોઈ પ્રતિનિધિ ન હોવો જોઈએ. આ ઉપરાંત, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) પણ બલુચિસ્તાનમાંથી પસાર થાય છે. BLA તેનો વિરોધ કરે છે.