ભાવનગર: દેશના ખાનગી ઉદ્યોગ ગૃહોની સાથે હવે સરકારી એકમો પણ સૂર્ય ઊર્જા આધારિત થવા લાગ્યા છે. આ ક્ષેત્રમાં ભાવનગરના રેલવે વર્કશોપએ 100 સોલાર પાવર્ડ બની નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભાવનગર બ્રોડગેજ વર્કશોપની 100% જરૂરિયાત સૌર ઊર્જા દ્વારા પૂર્ણ થઈ રહી છે અને ઉત્પન્ન થતી વધારાની વીજળી પી.જી.વી.સી.એલ.ને જાય છે.ભાવનગર બ્રોડગેજ વર્કશોપના મુખ્ય કારખાના પ્રબંધક યોગેન્દ્ર કુમારે માહિતી આપી હતી કે, સપ્ટેમ્બર -2020માં વર્કશોપે તેની ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે 500 kwpનો સોલાર પ્લાન્ટ સ્થાપિત કર્યો હતો. સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે અલગ જગ્યાની જરૂર નહોતી, તેના બદલે તે વર્કશોપ ઇમારતોની છત પર સ્થાપિત કરવામાં આવ્યા છે.
સોલાર પ્લાન્ટનું જીવનકાળ 25 વર્ષ છે અને જાળવણી પણ મફત છે. નાણાકીય વર્ષ 2023-24 ભાવનગર બ્રોડગેજ વર્કશોપ માટે ખૂબ જ ફાયદાકારક રહ્યું. ભાવનગર બ્રોડગેજ વર્કશોપને વર્ષ 2023માં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કાર પણ મળ્યો છે. રેલવે ફેક્ટરી ક્ષેત્રમાં ઊર્જા સંરક્ષણ માટે કરવામાં આવેલી સિદ્ધિઓની પ્રશંસા કરતા, મેસર્સ પેસેન્જર કોચ રિપેર ફેક્ટરી વેસ્ટર્ન રેલવે ભાવનગર (ગુજરાત)ને ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા વર્ષ 2023 માટે યોગ્યતા પ્રમાણ-પત્ર એનાયત કરવામાં આવ્યું છે.
