ઢાકાઃ બાંગ્લાદેશ ક્રિકેટમાં સંકટ ઊભું થયું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના ડિરેક્ટર એમ. નજમુલ ઇસ્લામનાં નિવેદનોએ ખેલાડીઓને નારાજ કરી દીધા છે. નજમુલને કારણે BCB અને બાંગ્લાદેશી ખેલાડીઓ વચ્ચે ગંભીર ટકરાવ થયો છે. ખેલાડીઓએ નજમુલને પદ પરથી હટાવવાની માગ કરી છે અને ક્રિકેટ સંબંધિત તમામ પ્રવૃત્તિઓનો બહિષ્કાર કર્યો છે. પરિણામે BCB ચોંકી ગયું છે અને તેણે એમ. નજમુલ ઇસ્લામને કારણ બતાવો નોટિસ પાઠવી છે.
બાંગ્લાદેશના ખેલાડીઓએ અગાઉથી ચેતવણી આપી હતી કે જો નજમૂલ ઇસ્લામને તેમના પદ પરથી હટાવવામાં નહીં આવે, તો તેઓ તમામ ક્રિકેટ પ્રવૃત્તિઓનો બહિષ્કાર કરશે. હવે ખેલાડીઓએ 15 જાન્યુઆરીએ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) મેચનો બહિષ્કાર કર્યો અને હડતાળ પર ઊતરી ગયા છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં નોઆખાલી એક્સપ્રેસ અને ચિટાગોંગ રોયલ્સ વચ્ચેના મુકાબલાનો ટોસ પણ સમયસર થઈ શક્યો નહોતો. દેશવ્યાપી બહિષ્કારને કારણે બંને ટીમો સમયસર મેદાન પર પહોંચી શકી નહોતી. આ વિવાદ T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીઓ પર પણ ગંભીર અસર કરી રહ્યો છે.
BCBએ પ્રેસ વિજ્ઞપ્તિ જારી કરીને જણાવ્યું હતું કે બોર્ડના એક સભ્ય દ્વારા આપવામાં આવેલાં આપત્તિજનક નિવેદનો બદલ અમને ખેદ છે. BCB વ્યાવસાયિક ક્રિકેટ અને ખેલાડીઓના સન્માનને સર્વોચ્ચ મહત્વ આપે છે. બોર્ડે જણાવ્યું હતું કે નજમૂલ ઇસ્લામ સામે ઔપચારિક શિસ્તભંગ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તેમને 48 કલાકની અંદર લેખિત જવાબ આપવા સૂચના આપવામાં આવી છે.
ખેલાડીઓ નારાજ થવાનાં કારણો
એમ. નજમુલ ઇસ્લામે કહ્યું હતું કે ખેલાડીઓને વળતર આપવું જોઈએ નહીં, કારણ કે તેમણે યોગ્ય સમર્થન આપ્યું નથી, જેને કારણે ખેલાડીઓની ફરિયાદો વધુ વધી ગઈ. સુરક્ષા કારણોનો હવાલો આપીને બાંગ્લાદેશે આવતા મહિને યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ભારત ન જવાની જાહેરાત કરી હતી, જેને કારણે સ્થિતિ વધુ જટિલ બની ગઈ છે.
બાંગ્લાદેશ હાલમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે વાતચીત કરી રહ્યું છે, પરંતુ ICCએ ભારતમાં યોજાનારા બાંગ્લાદેશના ચાર T20 વર્લ્ડ કપ મેચોને શ્રીલંકામાં ખસેડવામાં અનિચ્છા દર્શાવી છે. બીજી તરફ, BCBએ ખેલાડીઓને બહિષ્કારની ધમકી પાછી ખેંચવા અને BPL 2026ને વિઘ્ન વિના પૂર્ણ કરવા અપીલ કરી છે. એમ. નજમુલ ઇસ્લામે પૂર્વ કપ્તાન તમીમ ઇકબાલને “ઇન્ડિયન એજન્ટ” કહી દીધા હતા, જેના કારણે નવો વિવાદ ઊભો થયો.


