ગંગોત્રી ધામમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં આવેલા ચાર ધામને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર સ્થળો માનવામાં આવે છે. આ ચાર ધામ છે – યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. હવે. ઉત્તરાખંડમાં ગંગોત્રી ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિના અધ્યક્ષે આ નિર્ણય વિશે માહિતી આપી છે.

મંદિર સમિતિની બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય રવિવારે યોજાયેલી શ્રી ગંગોત્રી મંદિર સમિતિની બેઠકમાં સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. મંદિર સમિતિએ જણાવ્યું છે કે આ પ્રતિબંધ માત્ર ગંગોત્રી ધામ સુધી સીમિત નહીં રહે, પરંતુ માતા ગંગાના શિયાળુ નિવાસસ્થાન મુખબા પર પણ લાગુ પડશે.

મુખબામાં પણ લાગુ રહેશે નિર્ણય

શ્રી ગંગોત્રી મંદિર સમિતિના અધ્યક્ષ સુરેશ સેમવાલે ગંગોત્રી ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધના આ નિર્ણય વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે નિર્ણય મુજબ ધામમાં બિન-હિન્દુઓનો પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. તેમણે વધુમાં કહ્યું કે આ પ્રતિબંધ દેવીના શિયાળુ નિવાસસ્થાન મુખબામાં પણ લાગુ રહેશે.

હરિદ્વાર, ઋષિકેશને સનાતન પવિત્ર શહેર જાહેર કરવાની યોજના

આ ઉપરાંત, ઉત્તરાખંડ સરકાર હરિદ્વારના 120 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા 105 ઘાટોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા કરી રહી છે. આ પગલું કેટલાક સંતો અને ગંગા સભા (જે મુખ્ય હર-કી-પૌડી ઘાટના સંચાલન માટે જવાબદાર સંસ્થા છે)ની માગના પ્રતિસાદરૂપે લેવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર હરિદ્વાર અને ઋષિકેશ – બંનેને “સનાતન પવિત્ર શહેર” (પવિત્ર નગર) તરીકે જાહેર કરવાની યોજના બનાવી રહી છે.

કેદારનાથ મંદિર પરિસરમાં પ્રતિબંધની માગ

આ પહેલાં માર્ચ 2025માં, કેદારનાથ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપનાં ધારાસભ્ય આશા નૌટિયાલે મંદિર પરિસરમાં બિન-હિંદુ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેદારનાથમાં યાત્રા વ્યવસ્થાપન સંબંધિત તાજેતરમાં એક બેઠક યોજાઈ હતી, તેમાં કેટલાક લોકોએ આ મુદ્દો ઉઠાવ્યો કે કેટલીક ઘટનાઓ એવી બને છે, જેને ધ્યાનમાં લેવામાં આવતી નથી.

તેમણે કહ્યું હતું કે હું પણ આ વાતથી સહમત છું કે જો કેટલાક લોકો એવું કંઈક કરી રહ્યા છે જેને કારણે કેદારનાથ ધામની છબી ખરાબ થઈ શકે, તો એવા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે આવા લોકો ચોક્કસપણે “બિન-હિંદુ” છે, જે મંદિરને બદનામ કરવા માટે આવે છે અને આવી પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે.