વિકાસની સાથે સંસ્કૃતિનું સંતુલન જ ભારતની ઓળખઃ CM  ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સનાતન ધર્મનાં શાશ્વત મૂલ્યોની ઉજવણીરૂપે આયોજિત ભારતકુલ અધ્યાય–2 મહોત્સવનું 12થી 14 ડિસેમ્બર, 2025 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી ચાલેલા આ મહોત્સવે કલા, સાહિત્ય, સંગીત, આધ્યાત્મિકતા અને વિચારસભર સંવાદના માધ્યમથી ભારતીય સંસ્કૃતિની ઊંડાઈ અને જીવંતતાનો અનુભૂતિસભર પરિચય આપ્યો હતો.

ભારતકુલ અધ્યાય–2 મહોત્સવમાં CM ભૂપેન્દ્ર પટેલ, નાયબ CM હર્ષ સંઘવી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી, પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીજી, પરિમલ નથવાણી, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ અને દ્વારકેશલાલજી મહારાજની ગૌરવમય ઉપસ્થિતિ.આ મહોત્સવનું ઉદ્ઘાટન CM ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભારતકુલ અધ્યાય–2 માત્ર સાંસ્કૃતિક મહોત્સવ નથી, પરંતુ ભારતની આત્માને સ્પર્શતો ભાવપ્રવાહ છે. વિકાસની સાથે સંસ્કૃતિનું સંતુલન જ ભારતની ઓળખ છે અને ભારતકુલ તે સંતુલનને જીવંત રાખતો મહત્વપૂર્ણ મંચ છે. તેમણે યુવાનોને પોતાની મૂળ પરંપરા, સંસ્કાર અને આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડવાના પ્રયાસને પણ વિશેષ રીતે સરાહના કરી હતી.

નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતની સાચી ‘કુલ’ ઓળખ તેના મૂલ્યો, સંસ્કૃતિ, સહિષ્ણુતા અને સામૂહિક શક્તિમાં છે. તેમણે જણાવ્યું હતું કે યુવાનોને તેમની મૂળ ઓળખ, પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડવું એ સમાજ અને રાષ્ટ્ર માટે અનિવાર્ય છે. તેમણે રમતગમત, યુવાશક્તિ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વિસ્તૃત રીતે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદ કરવું ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત છે. આ ચિહ્નિત સિદ્ધિ શહેરની વિશ્વ સ્તરીય સુવિધાઓ, સુવ્યવસ્થિત આયોજન અને દ્રષ્ટિશીલ નેતૃત્વનું પરિણામ છે. સંઘવી એ યુવાનોને સંસ્કૃતિ અને શિસ્ત સાથે જીવન જીવવાની પ્રેરણા આપી અને દેશની આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક વૃદ્ધિમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું પણ દર્શાવ્યું હતું.

આધ્યાત્મિક દિશા નિર્દેશન આપતાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ જીવન જીવવાની કલા શીખવે છે, જ્યાં ભાવ, સંગીત અને વિચાર એકરૂપ બની માનવતાનું સર્જન કરે છે.