મુંદ્રા: અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શિરાચા ખાતે આવેલા દાનેશ્વર મહાદેવ મંદિરમાં યોજાયો હતો. ૧૪ ડિસેમ્બરથી શરૂ થયેલી આ કથા ૨૦મી ડિસેમ્બરે સંપન્ન થઈ. આ સપ્તાહ દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાંથી ૧,૦૦,૦૦૦થી વધુ લોકોએ કથાનો લાભ લીધો હતો. તેમજ ૪,૦૦૦થી વધુ લોકોએ કથા સ્થળે યોજાયેલ મેડિકલ કેમ્પનો લાભ મેળવ્યો હતો.
શિરાચા ગામ એક ઐતિહાસિક તેમજ અભૂતપૂર્વ કથાનું સાક્ષી બન્યું. દરરોજ હજારોની સંખ્યામાં ભક્તજનોની ભીડ ઉમટી પડી હતી. કથા સ્થળે આવનાર કોઈ પણ શ્રોતા ભૂખ્યા પેટે પરત ન ફરે તેની પૂર્ણ કાળજી લેવામાં આવી હતી. વિવિધ ગામડાઓમાંથી ભક્તોને કથા સ્થળે લાવવા-લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી તેઓ કથા શ્રવણ કરીને ભોજન લઈને પોતાના ગામ પરત ફરી શકે. મેડિકલ કેમ્પમાં માત્ર નિદાન જ નહીં, પરંતુ જરૂર પડે તો આગળની સારવાર માટે પણ અદાણી પોર્ટ્સ દ્વારા સહાયની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અદાણી ફાઉન્ડેશન દ્વારા નિયમિત આસપાસના ગામોમાં ઘાસચારો પૂરો પાડવામાં આવે છે, પરંતુ આ કથા દરમિયાન સવિશેષ આસપાસના ગામોમાં ગાયોને લીલો ઘાસચારો આપવામાં આવ્યો, સાથે જ કૂતરાઓને રોટલી અને પક્ષીઓને ચણ વહેંચવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.
અંતિમ દિવસે અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી ખાસ હાજર રહ્યા હતા અને તેમણે મુંદ્રા તેમજ આસપાસના ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. લોકોએ કરણ અદાણીને આ અદભૂત કથા આયોજન માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. અદાણી પોર્ટ્સના ગ્રુપના CEO અશ્વિનીકુમાર ગુપ્તા, મુંદ્રા-તુણા પોર્ટના CEO સુજલકુમાર શાહ તેમજ અન્ય અધિકારીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કથામાં પધારેલા સાધુ-સંતો અને મહંતોમાં દેવેન્દ્રગીરીજી ગુરુજી (દાનેશ્વર મહાદેવ મંદિર, શિરાચા), મનોહરગીરી બાપુ (મહંતશ્રી દાનેશ્વર મહાદેવ જાગીર), દેવદરબાર 1008 બળદેવનાથ જાગીર, ઉપરાંત ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય (પ્રથમ મહિલા અધ્યક્ષ) પણ ઉપસ્થિત રહ્યા હતા.
અદાણી પરિવાર દ્વારા આ વર્ષે પ્રયાગરાજ મહાકુંભમાં સહયોગ, જગન્નાથપુરી રથયાત્રા, ગીતા પ્રેસ ગોરખપુરને સહાય, ઇન્ડોલોજી તેમજ હવે શિરાચાના અતિપ્રાચીન દાનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન – આ બધું અદાણી ગ્રુપની ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સદ્દભાવના પ્રતીત થાય છે.
અંતિમ દિવસે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહે ઉદબોધનમાં જણાવ્યું કે, “સર્વજનહિતાય, સર્વજનસુખાય”ના ઉદ્દેશ્યથી યોજાયેલી આ કથામાં અદાણી પોર્ટ્સ માત્ર નિમિત્ત બન્યું છે. સૌની સહભાગિતાથી જ આ આયોજન સફળ થયું છે. આ કથા શીખવે છે કે ભક્તિ અને કર્મ અલગ નથી, સેવા અને વિકાસ વિરોધી નથી, સેવા વગરનો વિકાસ અધૂરો છે.”
વિવિધ ગામોના પ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ, વિવિધ સંગઠનો અને વિવિધ ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓ એ કરણ અદાણી, રક્ષિતભાઈ શાહનું સન્માન કર્યું હતું અને અદાણી પરિવાર વતી રક્ષિત શાહે પણ ઉપસ્થિત સંતો, મહંતો અને મહાનુભાવોનું સન્માન કર્યું હતું.


