76મા વનમહોત્સવનો ગળતેશ્વરથી રાજ્યવ્યાપી પ્રારંભ

ખેડા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ગુજરાતે સર્વગ્રાહી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટેની ઈકો સિસ્ટમ ઉભી કરી છે.વધુમાં જણાવ્યું કે, ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ – મિશન લાઈફ, હરિત ઊર્જા માટે રિન્યુએબલ એનર્જી અને સોલાર રૂફટોપ તથા જળ સંચય માટે ‘કેચ ધ રેઈન’ અને અમૃત સરોવરનું નિર્માણ તેમજ ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષોના વાવેતરથી હરિયાળી ક્રાંતિ દ્વારા પર્યાવરણ સંતુલન સાથેનો વિકાસ ગુજરાતે કર્યો છે.૭૬મા વન મહોત્સવ અંતર્ગત રાજ્યના ૨૪મા સાંસ્કૃતિક વન તરીકે ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં ૭ હેક્ટરમાં નિર્માણ થયેલા ગળતેશ્વર વનનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યુ હતું. તેમણે ગુજરાત સ્ટેટ વેટ લેન્ડ ઓથોરિટીની વેબ સાઈટનું લોન્ચિંગ, ગ્રામ વન નિર્માણ અને પટ્ટી વાવેતરની ઉપજના ચેકનું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતોને વિતરણ તથા વન વિભાગની યોજનાઓના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ ગ્રીન કવર વધારવા માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન, મિયાવાકી પદ્ધતિથી રાજ્યમાં ૨૦૭ વન કવચ નિર્માણ, ૮૨ જેટલા નમો વડ વન વગેરેની સફળતાને પરિણામે વન વિસ્તાર બહારનું ગ્રીન કવર વધીને ૧૧૪૩ ચોરસ કિલોમીટર થયું છે તે વિશે પણ માહિતી આપી.

આ અવસરે વન અને પર્યાવરણ મંત્ર મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, સાંસ્કૃતિક વનોનો હેતુ લોકોને ધાર્મિક અને ઔષધિય વૃક્ષો વિશે જાગૃત કરવા, જળવાયુ પરિવર્તનમાં સકારાત્મક યોગદાન આપવા, વૃક્ષ આચ્છાદન વધારવા અને લોકો, વિદ્યાર્થીઓ તથા બાળકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ જાગૃત કરવાનો છે. ચાલુ વર્ષે સામાજિક વનીકરણ હેઠળ ૩૯,૨૯૫ હેક્ટરમાં વાવેતર અને ૨૦ અર્બન ફોરેસ્ટના નિર્માણનું આયોજન છે. પંચરત્ન ગ્રામ વાટીકા મોડલ હેઠળ ૧૦૦૦ ગામોમાં ગામ દીઠ ૫૦ રોપા વાવવામાં આવશે. ૨૦૨૫-૨૬માં ૩૪ પવિત્ર ઉપવનો બનશે અને ૧૯,૮૯૫ હેક્ટરમાં ૧૫૩.૯૦ લાખ રોપાઓનું વાવેતર થશે.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સામાજિક વનીકરણમાં રાજ્ય સરકાર કટિબદ્ધતાથી કામગીરી કરી રહી છે. રાજ્ય સરકારે ‘ગ્રીનગ્રોથ’ને વિકાસના પાંચમા સ્તંભ તરીકે સ્થાન આપ્યું છે. તેમણે વર્ષ ૨૦૨૫-૨૬ માં “હરિત વન પથ” યોજના હેઠળ રોડસાઇડ અને કોસ્ટલ હાઇવે પર ૧૦૦ હેક્ટરમાં વૃક્ષોનુ વાવેતર, એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ ૩૫,૦૦૦ હેક્ટરમાં ખેતરોમાં વૃક્ષારોપણ, ૧૩૦ અમૃત સરોવરો ફરતે ૨૦૦ રોપા દીઠ વાવેતર અને ૧૩૬ વનકુટીર નિર્માણ અને ૧૦૦ કિસાન શિબિર યોજવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું.