કોરોના મામલે મુખ્ય પ્રધાનો સાથે મોદીની ચોથી વિડિયો પરિષદ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસ મહામારી સામે કેન્દ્ર સરકારે આદરેલી લડાઈના સંદર્ભમાં લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે 27 એપ્રિલ, સોમવારે નવી દિલ્હીમાંથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સ યોજી હતી.

પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં લોકડાઉન લાગુ કરવાથી સકારાત્મક પરિણામો મળ્યા છે. દેશ દોઢ મહિનામાં હજારો લોકોના જીવ બચાવી શક્યો છે.

મોટા ભાગના મુખ્ય પ્રધાનોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે લોકડાઉનને ઉઠાવી લેવું જોઈએ. પરંતુ મેઘાલયે વિરોધ કર્યો હતો અને કહ્યું કે લોકડાઉન લંબાવવું જોઈએ.

ઓડિશાસ, ગોવા અને હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનોએ મેઘાલયને ટેકો આપ્યો હતો.

આજની બેઠકમાં હાજરી આપનાર મુખ્ય પ્રધાનોમાં દિલ્હીના અરવિંદ કેજરીવાલ, કેરળના પી. વિજયન, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે, તામિલનાડુના ઈ.કે. પલાનીસ્વામી, મેઘાલયના કોનરાડ સંગમા અને ઉત્તરાખંડના ત્રિવેન્દ્રમ સિંહ રાવતનો સમાવેશ થાય છે.

બેઠકમાં અમિત શાહ, ડો. હર્ષવર્ધન જેવા કેન્દ્રીય પ્રધાનો તેમજ વડા પ્રધાન કાર્યાલય, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ટોચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.