અમદાવાદ: ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા 27મી જૂનના રોજ નીકળવાની છે, ત્યારે રથયાત્રાના એક દિવસ પહેલા ભગવાને ખાસ સોના વેશમાં ભક્તોને દર્શન આપ્યા હતા. સૌપ્રથમ વખત રથ પૂજન માટે જ્યારે રથો જગન્નાથ મંદિરમાં લાવવામાં આવ્યા ત્યારે ભગવાનની વેશભૂષા ધારણ કરેલા બાળકોને રથમાં બેસાડીને મંદિરમાં લાવવામાં આવ્યા હતા.
ઉત્સવ કમિટી દ્વારા નાના બાળકોને વિવિધ ભગવાન અને માતાજીની વેશભૂષા ધારણ કરીને રથમાં બેસાડવામાં આવ્યા હતા.
રથયાત્રા પહેલા ભગવાન જે રથમાં બેસીને આવતીકાલે નગરચર્યાએ નીકળવાના છે તેવા ત્રણેય રથનું આજે પૂજન કરવામાં આવ્યું હતું.
પંરપરાગત રીતે રથયાત્રા પહેલા ગજરાજ અને રથની પૂજન વિધિ કરવામાં આવે છે.
ઢોલ-નગારાના તાલ સાથે હર્ષોઉલ્લાસ સાથે ગજરાજને મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા.
જગન્નાથ મંદિર પ્રાંગણમાં રથ પૂજન પહેલા બાળકો અવનવી વેશભૂષા સાથે પહોંચ્યા હતા. બાળકો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓનું સ્વરૂપ વેશભૂષામાં ધારણ કરવામાં આવ્યું હતું.
(તસવીરો: પ્રજ્ઞેશ વ્યાસ)
