રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાઇ

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની સાંસ્કૃતિક, પૌરાણિક, ઐતિહાસિક 148મી રથયાત્રા અષાઢ સુદ બીજ તા.27-06-2025ને શુક્રવારના રોજ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા મંદિરેથી નીકળશે.આ રથયાત્રા મહોત્સવ યોજાય એ પહેલાં જુદા જુદા ઉત્સવો મહોત્સવોની શરૂઆત થઇ ગઇ છે. આજે જેઠ સુદ પૂનમ તા.11-06-2025 બુધવારના રોજ સવારે જળયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જમાલપુર વિસ્તારના જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રા સાબરમતીનાં સોમનાથ ભૂદરનાં આરે ગંગા પૂજન માટે નીકળી હતી.સાબરમતીના તટ પર આવેલા સોમનાથ ભૂદરના તટ પર ગંગા પૂજન બાદ નદીએથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવી ભગવાન જગન્નાથજીની પૂજન વિધી કરી મહાજલાભિષેક કરવામાં આવ્યો.

જળાભિષેક પછી શ્રી ગણેશજીના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીના અતિવિશિષ્ટ-ગજવેશ શણગારના દર્શન ભક્તો કરી શકશે. રથયાત્રા પૂર્વેની ભવ્ય જળયાત્રામાં શણગારેલા હાથી, ભજન મંડળીઓ, શણગારેલી બગીઓ સાથે અનેક સાધુ સંતો ભક્તો જોડાયા.આ યાત્રામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, મેયર પ્રતિભાબહેન જૈન, નેતાઓ અને સામાજિક આગેવાનો જાડાયા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)