નવમાં નોરતે સિદ્ધિદાત્રીનું પૂજનઅર્ચન અષ્ટ સિદ્ધિદાયી

(અહેવાલ- હાર્દિક વ્યાસ)

અમદાવાદઃ લ્યો જોતજોતામાં નવરાત્રિ પૂરી થવા આવી. આઠ આઠ દિવસ સુધી આપણે માના અલગઅલગ સ્વરૂપોની પૂજાઅર્ચના કરી અને આજે નવમા દિવસે આપણે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાના છીએ. નવરાત્રિના નવમાં દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજાઅર્ચના કરવામાં આવે છે. સિદ્ધિદાત્રી અર્થાત સિદ્ધિઓ આપનારી.

નવરાત્રિના નવમા દિવસે માં આદ્યશક્તિ દુર્ગામાએ સિદ્ધિદાત્રી સ્વરૂપ ધારણ કર્યું હતું. માર્કંડેય પુરાણ અનુસાર અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ઈશિત્વ અને વશિત્વ એમ આઠ પ્રકારની સિદ્ધિઓ હોય છે. આમ ભક્તને આ આઠ પ્રકારની સિદ્ધિઓ આપે તે મા સિદ્ધિદાત્રી. મા સિદ્ધિદાત્રીને આઠ ભૂજાઓ છે. માનું વાહન સિંહ છે, તેઓ કમળના પુષ્પ પર બિરાજીત છે. માતાજીના જમણા હાથની નીચેની ભૂજામાં ચક્ર અને ઉપરની ભૂજામાં ગદા તથા ડાબા હાથની નીચેની ભૂજામાં શંખ અને ઉપરના હાથમાં કમળ પુષ્પ છે. નવરાત્રિના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવી અતિઉત્તમ છે. મા સિદ્ધિદાત્રીનું ધ્યાન કરવાથી નિર્વાણચક્ર જાગૃત થઈ જાય છે. નવરાત્રિના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા અને આરાધના કરવાથી યશ, બળ અને ધનની પ્રાપ્તિ થાય છે.

ઉમાપતિ ભગવાન મહાદેવે પણ મા સિદ્ધિદાત્રીની કૃપાથી તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. મા સિદ્ધિદાત્રીની કૃપાથી ભગવાન શિવજીનું અડધું શરીર દેવીનું થયું હતું. અને એટલા માટે જ શિવ અર્ધનારેશ્વર તરીકે ઓળખાયા. મા સિદ્ધિદાત્રી એટલે સિદ્ધિઓ આપનારા માતાજી. મા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી ભક્તના જીવનમાં સુખ આવે છે અને તેના અઘરામાં અઘરા કામો પાર પડે છે. સાચા મનથી જો મા સિદ્ધિદાત્રીની પૂજાઅર્ચના અને આરાધના કરવામાં આવે તો અષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને સાથે જ માની આરાધના કરતા ભક્તની લૌકિક અને પરલૌકિક, તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મા સિદ્ધિદાત્રીની પૂજાઆરાધના કરવાથી શરીરમાં શુભ તત્વોની વૃદ્ધિ થાય છે અને શરીરમાં રહેલા ખરાબ તત્વો બહાર નીકળી જાય છે. મા સિદ્ધિદાત્રીની આરાધના કરવાથી આપણા અંતરાત્મામાં દિવ્યતા અને પવિત્રતાનો સંચાર થાય છે જેના કારણે આપણે આપણી તૃષ્ણાઓ અને વાસનાઓને નિયંત્રિત કરવામાં સફળ રહીએ છીએ અને જીવનમાં સંતુષ્ટિની અનુભૂતિ થાય છે. માતાજીનું દૈદીપ્યમાન સ્વરૂપ આપણી સુષુપ્ત માનસિક શક્તિઓને જાગૃત કરીને આપણને પોતાના પર નિયંત્રણ કરવાની શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરે છે. આજના દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા અને આરાધના તેમ જ ઉપાસના કરવાથી આપણી અનિયંત્રિત મહત્વકાંક્ષાઓ પૂરી થાય છે અને મા પોતાના ભક્તોના અસંતોષ, આળસ, ઈર્ષા, પ્રદોષ-દર્શન, પ્રતિશોધ સહિતની દુર્ભાવનાઓ અને દુર્બળતાઓનો નાશ કરી ભક્તના જીવનમાં સદગુણોનો વિકાસ કરે છે.

મા સિદ્ધિદાત્રીની આરાધના માટેનો મંત્ર

या देवी सर्वभू‍तेषु माँ सिद्धिदात्री रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।

મા સિદ્ધિદાત્રીનું ધ્યાન
वन्दे वांछित मनोरथार्थ चन्द्रार्घकृत शेखराम्।
कमलस्थितां चतुर्भुजा सिद्धीदात्री यशस्वनीम्॥

स्वर्णावर्णा निर्वाणचक्रस्थितां नवम् दुर्गा त्रिनेत्राम्।
शख, चक्र, गदा, पदम, धरां सिद्धीदात्री भजेम्॥

पटाम्बर, परिधानां मृदुहास्या नानालंकार भूषिताम्।
मंजीर, हार, केयूर, किंकिणि रत्नकुण्डल मण्डिताम्॥

प्रफुल्ल वदना पल्लवाधरां कातं कपोला पीनपयोधराम्।
कमनीयां लावण्यां श्रीणकटि निम्ननाभि नितम्बनीम्॥

મા સિદ્ધિદાત્રીનો સ્તોત્ર પાઠ

कंचनाभा शखचक्रगदापद्मधरा मुकुटोज्वलो।
स्मेरमुखी शिवपत्नी सिध्दिदात्री नमोअस्तुते॥

पटाम्बर परिधानां नानालंकारं भूषिता।
नलिस्थितां नलनार्क्षी सिद्धीदात्री नमोअस्तुते॥

परमानंदमयी देवी परब्रह्म परमात्मा।
परमशक्ति, परमभक्ति, सिध्दिदात्री नमोअस्तुते॥

विश्वकर्ती, विश्वभती, विश्वहर्ती, विश्वप्रीता।
विश्व वार्चिता विश्वातीता सिध्दिदात्री नमोअस्तुते॥

भुक्तिमुक्तिकारिणी भक्तकष्टनिवारिणी।
भव सागर तारिणी सिध्दिदात्री नमोअस्तुते॥

धर्मार्थकाम प्रदायिनी महामोह विनाशिनी।
मोक्षदायिनी सिद्धीदायिनी सिध्दिदात्री नमोअस्तुते॥