ગુરુ પૂર્ણિમા 2020: જાણો પર્વના મહત્ત્વને…

હિંદૂ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. આ સંસ્કૃતિમાં ગુરુનું વિશેષ સ્થાન વૈદિક સંસ્કૃતિના સમયથી જ છે. શાસ્ત્રો અને પૂરાણોમાં પણ ગુરુનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. આટલું જ નહી પરંતુ ગુરુને ભગવાન પહેલા વંદન કરવામાં આવે છે. ગુરુ જ આપણને અજ્ઞાનતાના અંધારાથી જ્ઞાનરુપી પ્રકાશનો માર્ગ બતાવે છે. આ જ કારણ છે કે, ગુરુ પૂર્ણિમા પર્વ વખતે લાખો લોકો પોતાના ગુરુને વંદન કરવા અને તેમની ભક્તિ કરવા માટે જે-તે ધાર્મિક સ્થળ કે પછી પોતાના ગુરુના આશ્રમે પહોંચતા હોય છે. આ વર્ષે કોરોના મહાબીમારીનું સંકટ હોવાથી લોકો પોતાના ઘરમાં જ બેસીને ગુરુ પૂર્ણિમા ઉજવશે. આ જ દિવસે આદિગુરુ, મહાભારતના રચયિતા અને ચાર વેદોના વ્યાખ્યાતા મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ અર્થાત મહર્ષિ વેદ વ્યાસજીએ જન્મ લીધો હતો.

સંસ્કૃતના મહાન વિદ્વાનોમાં મહર્ષિ વેદ વ્યાસને સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત છે. મહર્ષિ વ્યાસે જ મહાભારતની રચના કરી છે. તમામ 18 પુરાણોની રચના પણ મહર્ષિ વેદ વ્યાસે જ કરી છે. વેદોને વિભાજિત કરવાનો શ્રેય પણ મહર્ષિ વેદ વ્યાસને આપવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં અને મનાવવામાં આવે છે. આ વર્ષે પણ ગત વર્ષની જેમ ગુરુ પૂર્ણિમા દરમિયાન ચંદ્ર ગ્રહણ પણ છે.

અષાઢ શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમાની તિથિ અને શુભ મુહૂર્તઃ
  • 5 જુલાઈ ગુરુ પૂર્ણિમા પ્રારંભઃ 4 જુલાઈ 2020ના રોજ સવારે 11 વાગ્યે 33 મીનિટથી
  • ગુરુ પૂર્ણિમા તિથિ સમાપ્તઃ 5 જુલાઈ 2020ના રોજ સવારે 10 વાગ્યે 13 મીનિટ સુધી

ગુુરુ પૂર્ણિમાના દિવસે ગુરુજીની પૂજા કરવાની ગુરુ કૃપાની પ્રાપ્તિ થાય છે. ગુરુની પૂજાથી જે શક્તિ અને આશીર્વાદ મળે છે જે શિષ્યના હિતમાં હોય છે. ગુરુ જ એક માત્ર માર્ગ બતાવનારા હોય છે કે જેનાથી શિષ્યને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દર વર્ષે ગુરુ પૂર્ણિમા વર્ષા ઋતુમાં આવે છે. આ ઋતુને ખૂબ સારી માનવામાં આવે છે કારણ કે આ દરમિયાન ન તો વધારે ઠંડી હોય છે અને તો વધારે ગરમી હોય છે. આ દિવસ માત્ર ગુરુ જ નહીં પરંતુ ઘરમાં પોતાના વડીલો જેવા કે માતા-પિતા, ભાઈ-બહેન સહિતના લોકોના આશીર્વાદ લેવામાં આવે છે.

ગુરુ પૂર્ણિમાની પૂજા વિધિઃ
  • ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો બાદમાં સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.
  • બાદમાં ઘરના મંદિરમાં કે પૂજા કરવાના કોઈ સ્થાને 12-12 રેખાઓ બનાવીને વ્યાસપીઠ બનાવો (વ્યાસપીઠ ક્યારેય જમીન પર અર્થાત ઘરના ફ્લોરિંગ પર ન બનાવાય, તેના માટે કોઈ પાટલો કે બાજોઠ મૂકીને ચોક્કસ સ્થાન બનાવવું)
  • બાદમાં ”गुरुपरंपरासिद्धयर्थं व्यासपूजां करिष्ये” મંત્રનો જાપ કરવો.
  • બાદમાં પોતાના ગુરુ અથવા તેમના ફોટાની પૂજા કરવી
  • જો આપ ગુરુની સમક્ષ હો તો, સૌથી પહેલા તેમના ચરણ ધોવો. તેમને તિલક કરો અને પૂષ્પ અર્પણ કરો.
  • બાદમાં તેમને ભોજન કરાવો
  • બાદમાં દક્ષિણા આપીને તેમના ચરણ સ્પર્શ કરી અને વિદાય આપવી.