ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીઃ પરિણામો પછીના તર્ક-વિતર્ક…

ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીના પરિણામો અપેક્ષિત હોવા છતાં રાજકીય રીતે મહત્વના છે. કડી ભાજપ પાસે અને વિસાવદર બેઠક આમ આદમી પાર્ટી પાસે જ હતી એટલે વિધાનસભામાં સંખ્યાબળની રીતે કોઇ ફેર થયો નથી. ફરક એ છે કે વિસાવદરમાં આપના ચૂંટાયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણી પાસે રાજીનામું અપાવીને બેઠક કબજે કરવાનો ભાજપનો રાજકીય દાવ ઊંધો પડ્યો છે. ગોપાલ ઇટાલિયા નામના યુવાને આખા ભાજપને એકલેહાથે હંફાવ્યું છે એનો જશ એને આપવો જ પડે.

અન્યથા, પરિણામો પછી બહુ ઝડપથી અર્થઘટનો આપતા સોશિયલ મિડીયા પંડિતોની પંડિતાઇમાં બહુ પડવા જેવું નથી. જનતા પક્ષપલટુઓને સ્વીકારતી નથી, આ હવે ભાજપના વળતાં પાણીની શરૂઆત છે કે આ પરિણામોની સીધી અસર 2027ની ચૂંટણીમાં પડશે એ બધા તર્ક છીછરાં અને દમ વગરના છે. અર્જુન મોઢવાડિયા, બ્રિજેશ મેરજા, જવાહર ચાવડા, આશાબેન પટેલ સહિત કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અનેક આગેવાનો ભાજપની ટીકીટ પરથી ફરીવાર ચૂંટાયા જ છે. વિસાવદરમાં ભાજપની હાર પાછળ સ્થાનિક સમીકરણો, વર્ચસ્વની આંતરિક લડાઇ, ઉમેદવારની પસંદગી જેવાં અનેક કારણો છે. 2027ની ચૂંટણી હજુ દૂર છે અને રાજકારણમાં પવન પલટાતાં વાર નથી લાગતો એટલે આ પરિણામો પરથી આવનારી ચૂંટણીનો કયાસ કાઢવો એ નરી મૂર્ખતા છે.

આમ છતાં, ત્રણેક પરિબળ એવાં છે, જેની ચર્ચા આ પરિણામોના આધારે કરી શકાય.

 

એકઃ પાટાદીર યુવાનોનો આ બોલકો વર્ગ આપ તરફી?

2017ની ચૂંટણી પહેલાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચાલ્યું એમાં સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના નવયુવાનો મોટી સંખ્યામાં જોડાયા. યુવાનોનો આ વર્ગ બોલકો હતો. મહદઅંશે ભાજપ વિરોધી હતો. સમયજતાં હાર્દિક પટેલ સહિત અમુક લોકો ભાજપમાં જોડાયા તો પણ ગ્રાઉન્ડ ઉપર આંદોલનમાં જોડાયેલા યુવાનો 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની પડખે રહ્યા. 2022માં આપના જે પાંચ ધારાસભ્ય જીત્યા એમાંથી ચાર તો સૌરાષ્ટ્રમાંથી હતા. હવે 2025માં ફરીથી વિસાવદરના પાટીદાર મતદારો ગોપાલ ઇટાલિયા અને આપની પડખે રહ્યા છે. અર્થ સાફ છેઃ સૌરાષ્ટ્રના મતદારોનો આ બોલકા વર્ગને ભાજપનો વિકલ્પ જોઇએ છીએ, પણ કોંગ્રેસ ઉપર ભરોસો હજુ બેસતો નથી. સંભવ છે કે એમણે આપમાં આ વિકલ્પ શોધવાનો પ્રયોગ કર્યો છે. શું સૌરાષ્ટ્રના મતદારો, ખાસ કરીને પાટીદાર મતદારોમાં, જૂની પેઢી હજુ ભાજપ તરફી છે ત્યારે શું નવી પેઢી ભાજપનો વિકલ્પ શોધી રહી છે? આ સવાલનો જવાબ મેળવતાં હજુ થોડો સમય લાગશે.

બેઃ આમ આદમી પાર્ટીને જીવનદાન…

2022માં આમ આદમી પાર્ટીને પાંચ બેઠક પર મળેલી જીત એ નો ડાઉટ, મોટી સફળતા હતી. એની સામે આ મોમેન્ટમ લાંબા સમય સુધી જાળવી રાખવાનો અને સંગઠનને વધારે મજબૂત બનાવવાનો પડકાર હતો. આજે પણ છે, પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં મળેલી પછડાટ અને ચૂંટાયેલા ધારાસભ્યોને ભાજપમાં લેવાની કવાયત પછી આ જુસ્સો ઠંડો પડતો લાગ્યો. અરવિંદ કેજરીવાલની ધરપકડ, દિલ્હીમાં મળેલી હાર જેવા સમીકરણોએ એમાં ભાગ ભજવ્યો.

આ બધાની વચ્ચે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીતથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી ફરીથી મેદાનમાં આવી છે. આ જીતથી પક્ષમાં કાર્યકરોનો જુસ્સો ચોક્કસ વધશે, પરંતુ એ જુસ્સાને ફરીથી 2027ની ચૂંટણી સુધી ટકાવી રાખવો, ચૂંટાયેલા ધારાસભ્યોને ભાજપમાં જોડાતા અટકાવવા અને નવા લોકોને પક્ષ સાથે જોડવા એ બધા પડકારો હજુ યથાવત છે. વિસાવદરની જીત એ પક્ષને ગુજરાતમાં મળેલું જીવનદાન છે.

ત્રણઃ કોંગ્રેસ માટે નવી શરૂઆત, પણ કરવી તો ક્યાંથી કરવી?

કડી કે વિસાવદરમાં કોંગ્રેસ ફક્ત હારી જ નથી. વિસાવદરમાં તો સાફ થઇ ગઇ છે અને રોકડા ગણીને 5500 જેટલાં મત મળ્યાં છે! હજુ તો જિલ્લા પ્રમુખોની નવેસરથી નિમણૂંક કરીને સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયોગ ગુજરાતથી હાથ ધરાયો છે ત્યાં આ હાર પછી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખુદ જ રાજીનામું આપી દીઘું છે. 2017માં વિધાનસભામાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી ત્રિપુટીની ઉછીની મદદથી 77 બેઠક સાથે ‘મોરલ વિક્ટરી’ મેળવનાર કોંગ્રેસ 2022માં 17 અને 2025 સુધીમાં 12 બેઠક સુધી આવીને અટકી ગઇ છે. દરેક હાર પછી સંગઠનને નવેસરથી મજબૂત કરવાની વાતો થાય છે, છૂટાછવાયા પ્રયત્નો પણ થાય છે, પરંતુ ગુજરાત કોંગ્રેસની સૌથી મોટી કમનસીબી એ છે કે, નવી શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરવી એની સમજ પક્ષ પાસે નથી. ‘રેસના ઘોડા અને લગ્નના ઘોડા’ એવા નિવેદનો મિડીયામાં થોડીવાર મનોરંજન આપે, પણ એનાથી પક્ષ બેઠો ન થાય એટલી સાદી સમજનો પક્ષમાં અભાવ છે. પક્ષમાં આંતરિક લડાઇ ન અટકે અને લોકમાનસમાંથી ગુમાવેલો વિશ્વાસ પાછો ન મળે ત્યાં સુધી પક્ષ બેઠો ન થાય. સત્તાવિહોણા પક્ષ માટે આ કામ અઘરું જરૂર છે, પણ ગુજરાતમાં કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવી રાખવા એ કામ કરવું અનિવાર્ય છે.

બાકી, વિસાવદરથી ભાજપના વળતાં પાણી શરૂ થઇ ચૂક્યા છે એવું કહેવું હજુ બહુ વહેલું અને ઉતાવળીયું હશે. હા, વિસાવદરમાં પક્ષમાં આતરિક વર્ચસ્વની લડાઇ અને ઉમેદવારની પસંદગીના પ્રશ્નો ભાજપ માટે પડકાર ચોક્કસ છે. ઉપરાઉપરી જો આવી હાર મળવાની શરૂ થાય તો પક્ષની શિસ્ત તૂટતાં વાર નહીં લાગે એ ભાજપ માટે આ પરિણામનો સૌથી મોટો પદાર્થપાઠ છે.