સરદાર જયંતિ પર PM બોલ્યા સરદારનું નામ મિટાવવાનો પ્રયાસ

નવી દિલ્હી- લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 142 જન્મજયંતિના અવસરે દેશભરમાં ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું છે. રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, પીએમ નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન રાજનાથ સિંહે પટેલ ચોક સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પીએમ મોદીએ અહીં રન ફોર યુનિટીને લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવ્યું હતું. અને અહીં ઉપસ્થિત લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદી સાથે મંચ ઉપર એથલીટ દીપા કર્માકર, ક્રિકેટર સુરેશ રૈના અને હોકી પ્લેયર સરદાર સિંહ પણ હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, આજે સરદાર સાહેબની જન્મજયંતિ છે અને પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પણ છે. સરદાર પટેલે તેમના સંપૂર્ણ જીવનને દેશની આઝાદી માટે ખપાવી દીધું. સરદાર પટેલે તેમના બુદ્ધિકૌશલ્ય દ્વારા નાના-નાના રજવાડાઓને એક કરીને દેશને અખંડ ભારત બનાવ્યો.

કોંગ્રેસ પર પીએમનો કટાક્ષ

પીએમ મોદીએ કહ્યું કે, દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે, આઝાદી મળ્યા પછી સરદાર પટેલને દેશ જલદી ભૂલી રહ્યો છે. પરંતુ આજે આપણે ‘રન ફોર યુનિટી’ના માધ્યમથી સરદાર સાહેબને યાદ કરી રહ્યા છીએ. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત વિશ્વની દરેક પરંપરાને પોતાનામાં સમાવવાની શક્તિ ધરાવે છે.