શેરબજાર ત્રીજા દિવસે ALL TIME HIGH, સેન્સેક્સમાં 251 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ– શેરબજારમાં સતત ત્રીજા દિવસે રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી હતી. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 35,542.17 અને નિફટીએ 10,906.85 ઑલ ટાઈમ હાઈના નવા મથાળા બનાવ્યા હતા. જીએસટી કાઉન્સિલે 29 ચીજ વસ્તુઓ પર જીએસટી ઘટાડ્યો છે, અને 53 સેવાઓ પરનો ટેક્સનો દર પણ ઘટાડ્યો છે. જેને પગલે શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ બુલિશ થયું હતું. તેજીવાળા ઓપરેટરો અને એફઆઈઆઈની નવી લેવાલીનો દોર ચાલુ રહ્યો હતો. પરિણામે આજે સતત ત્રીજા દિવસે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 251.29(0.71 ટકા) ઉછળી 35,511.58 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 77.70(0.72 ટકા) ઉછળી 10,894.70 બંધ થયો હતો.એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંકના ત્રીજા કવાર્ટરના પરિણામ પ્રોત્સાહક આવ્યા હતા, જેને પગલે બેંકિંગ સેકટરના શેરોમાં ધૂમ લેવાલી આવી હતી, અને તેજી વધુ ઝડપી થઈ હતી. આજે ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોની સાથે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી સારી ખરીદી આવી હતી, પરિણામે ઓવરઑલ માર્કેટમાં તેજી જોવાઈ હતી.

  • આજે તમામ સેકટરના ઈન્ડેક્સ પ્લસ હતા.
  • બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 135.55 પ્લસ હતો, અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 170.32 પ્લસ બંધ હતો.
  • ગુરુવારે એફઆઈઆઈએ ભારતીય શેરબજારમાં કુલ રૂપિયા 1894 કરોડનું ચોખ્ખુ રોકાણ કર્યું હતું.
  • સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 657 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
  • એચડીએફસી બેંકનો નફો 20 ટકા વધ્યો હતો.
  • કોટક મહિન્દ્રા બેંકનો નફો વધી રૂ.1624 કરોડ આવ્યો હતો, જે અગાઉના વર્ષે આ જ કવાર્ટરમાં રૂપિયા 1266 કરોડ હતો.
  • ટાટા એલેક્સીનો નફો 9.7 ટકા વધ્યો
  • એચસીએલ ટેકનોનો નફો 0.30 ટકા વધી રૂપિયા 2194 કરોડ નોંધાયો
  • એનઆઈઆઈટી ટેકનો નફો 12.5 ટકા વધ્યો અને આવક 2.6 ટકા વધી
  • આઈટીસીનો નફો વધી રૂપિયા 3090 કરોડ આવ્યો, જે આગલા બીજા કવાર્ટરમાં રૂપિયા 2647 કરોડનો નફો થયો હતો.
  • આઈડીએફસીનો નફો 23.6 ટકા ઘટ્યો અને કુલ આવક 5 ટકા ઘટી
  • પીસી જ્વેલરનો નફો નફો 52.10 ટકા વધ્યો