સાબરકાંઠા: સાબરમતી નદીના કાંઠે અતિ પ્રાચીન શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. જેમાં બે દિવસ માટે શિવ દર્શનનો લ્હાવો મળે તેવાં ચિત્રોનું પ્રદર્શન યોજાવાનું છે. ભગવાન શિવની વિવિધ મુદ્રાઓને અંકિત કરતા 251 ચિત્રોના શિવ દર્શનનો પ્રારંભ 17મી ઓગસ્ટને રવિવારના રોજ સવારે 10 કલાકે થશે. આ શિવ દર્શન ની પૂર્ણાહુતિ 18 ઓગસ્ટને સોમવારના રોજ થશે.દેશના 12 જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતા આ ચિત્રો અમદાવાદના શિવભક્ત હસમુખભાઈ પટેલે દોર્યા છે. ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં 2006ના શ્રાવણ પર્વમાં તેમણે ચિત્રો પ્રદર્શિત કરવાનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ તમામ 12 જ્યોતિર્લિંગમાં “શિવ દર્શન”નું આયોજન કરાયું હતું. 2017માં મહારાષ્ટ્રમાં આવેલા ઘુષ્ણનેશ્વર જ્યોતિર્લિંગમાં આ યાત્રા સંપન્ન થઈ હતી.
બાર જ્યોતિર્લિંગની યાત્રા પૂરી કરી હવે શિવદર્શન ગુજરાતના પ્રાચીન મંદિરોમાં આયોજિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે સાબરકાંઠાના પ્રાચીન મંદિર સપ્તેશ્વર મહાદેવમાં શિવ દર્શનનું આયોજન કરાયું છે.
અમદાવાદમાં પાન પાર્લરનો વ્યવસાય ધરાવતા હસમુખભાઈ પટેલ માત્ર લાલ અને કાળા એમ બે કલરનો ઉપયોગ કરી શિવ ભગવાનની વિવિધ મુદ્રાઓ અંકિત કરે છે.
બાર જ્યોતિર્લિંગમાં તેમણે અંકિત કરેલી દ્વાદશ જ્યોતિર્લિંગની મહિમા ધરાવતી કૃતિઓનું શિવદર્શનનું આયોજન પૂર્ણ થયું છે.
આ અંગે હસમુખભાઈનું કહેવું છે, “ચિત્રો દોરવાની કોઈ પણ પ્રકારની તાલીમ કે શિક્ષણ મેં લીધું નથી. પરંતુ ભગવાન શિવની કૃપાથી મહાદેવના ચિત્રો દોરું છું. ભગવાન શિવનો સંદેશો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે દર શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં શિવ દર્શનનું આયોજન થાય તેવો સંકલ્પ પણ કર્યો છે. આ ચિત્રો ભક્તોના દર્શન માટે જ છે.”
વધુમાં હસમુખભાઈ જણાવે છે, “બાર જ્યોતિર્લિંગમાં શિવ દર્શનના સંકલ્પને પૂરા કર્યા બાદ હવે ગુજરાતમાં પણ શિવ દર્શનનું આયોજન કરવાનો સંકલ્પ કર્યો છે. જેમાં અગાઉ ધંધુકા નજીકના ભીમનાથ મહાદેવ, બોટાદ નજીકના ઘેલા સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ગોપનાથમાં શિવ દર્શનનું આયોજન કરાયું હતું.”
