જેમ દરેક વ્યક્તિની કુંડળી હોય છે તેમ દરેક ઘરની પણ કુંડળી હોય છે. તમે બરાબર વાંચ્યું છે! દરેક ઘરનું પોતાનું ગણિત, વિજ્ઞાન હોય છે. જે તેમાં રહેતી વ્યક્તિઓથી બને છે. દરેક ઘરની એનર્જી પણ અલગ-અલગ હોય છે. જ્યારે નકારાત્મક ઊર્જા ઘરમાં વધી
જાય છે ત્યારે તેનાં ખરાબ પરિણામો ઘરમાં રહેતી વ્યક્તિઓના જીવનમાં જોવા મળે છે. આથી આ એનર્જીને બેલેન્સ કરવાનું કામ એટલે એસ્ટ્રો આર્કિટેક.
નીતા સિંહા, જેને લોકો પ્રેમથી નીતાજી કહે છે, તેઓ એસ્ટ્રો-આર્કિટેક્ચરના ક્ષેત્રમાં એક અગ્રણી નિષ્ણાત છે. નીતાજી વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈથી અલગ, તોડફોડ વગર ઘર કે ઓફિસની ઊર્જા બેલેન્સ કરીને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું વિજ્ઞાન જાણે છે. તેમના અનુભવમાં, ઘરનું હોરોસ્કોપ બનાવવા માટે માલિકનું નામ, જન્મ તારીખ, ઘરમાં રહેતા લોકોની વિગતો અને ઘરની વિગતોનો ઉપયોગ કરીને નકારાત્મક ઊર્જાને દૂર કરવામાં આવે છે, જેનાથી વ્યક્તિના નિર્ણયો, સ્વાસ્થ્ય, સંબંધો અને કારકિર્દીમાં અદ્ભુત સુધારા જોવા મળે છે. નીતાજીએ બોલિવૂડ સ્ટાર્સના ઘર, બોલિવુડ સેટ્સ, મોટાં-મોટાં શોરૂમ, ઓફિસીસ, મોલ, ફેકટરી, હોસ્પિટલ તેમજ મોટી-મોટી શાળાઓ માટે એસ્ટ્રો-આર્કિટેક્ટનું કામ કરીને દરેક જગ્યા પર એનર્જી બેલેન્સ કરવાનું કામ કર્યું છે. દરેક વખતે તેમણે સરળ ઉપાયોથી મોટા પડકારોને પાર પાડ્યા છે.
નીતાજીના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેઓ બિહારના ધનબાદમાં જન્મેલાં-ઊછરેલાં છે. પરિવારમાં એમને મણીને દસ ભાઈ-બહેન. પિતાજી રેલવેમાં નોકરી કરે અને માતાજી ઘર તેમજ બાળકોને સાચવે. ‘પિતાજી શિસ્તપ્રિય એટલે શિસ્તતાના પાઠ નાનપણથી મળ્યા, જેનો ફાયદો મને અત્યાર સુધી મળી રહ્યો છે.’ તેમ નીતાજીનું કહેવું છે. સ્કૂલિંગ બાદ આર્ટ કૉલેજમાં ભણતાં-ભણતાં જ નીતાજીનાં અઢાર વર્ષે લગ્ન થયાં. છેલ્લાં વર્ષની પરીક્ષા વખતે એમની પહેલી દીકરીને જન્મ્યાને માંડ દસ દિવસ થયા હતા. આમ છતાં એમણે ગ્રૅજ્યુએશન પૂરું કર્યું. ત્યારે એ સિમલા રહેતાં હતાં. ત્રણેક વર્ષના અંતર બાદ દીકરો જન્મ્યો. એ બાદ મુંબઈ આવ્યાં.
નીતાજી કહે છે, ‘મારો દીકરો ત્રણ મહિનાનો હતો ત્યારે હજીય સિમલાના ઘરનો પૂરો સામાન પણ ખોલ્યો નહોતો અને ખબર પડી કે પતિની નોકરી ગઈ, કંપની બંધ થઈ ગઈ. હું તદ્દન તૂટી ગઈ હતી. એવી જ પરિસ્થિતિમાં મારા દીકરાની તબિયત લથડી. કોઈના કહેવાથી હું હોમિયોપેથિક ડૉક્ટર કુસુમા પાસે ગઈ. એમણે મારી મનઃસ્થિતિ જાણીને મારું ભવિષ્ય ભાખ્યું. તારું ઘર પણ સલામત રહેશે અને દીકરાને કંઈ નહીં થાય.’ ખરેખર એવું જ થયું. એમના પતિને બીજી નોકરી મળી ગઈ. નીતાજીનો વિશ્વાસ વધ્યો. ધીરે ધીરે ડૉક્ટર કુસુમા સાથે ઘરોબો કેળવાતાં નીતાજીને તેમની વિદ્યા વિશે જાણ થઈ અને તેમણે નક્કી કર્યુ કે તેઓ પણ આ વિદ્યા શીખશે.
નીતાજી કહે છે, ‘તે વખતે ડૉક્ટર કુસુમા ઘરની ઍસ્ટ્રોલૉજી વિશે અભ્યાસ કરી રહ્યાં હતાં. લગભગ ૩૦,૦૦૦ જેટલાં ઘરનો અભ્યાસ કરવામાં હું એમની સહાયક બની. ખૂબ શીખવા મળ્યું. ડૉ. કુસુમાના આકસ્મિક મૃત્યુ પછી મેં આ સાયન્સ વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ માટે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું.’ એ ઘડી અને આજનો દિવસ… નીતાજીએ પાછું વળીને જોવું નથી પડ્યું.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે કેવી રીતે સંકળાયાં? નીતાજી એ વિશે કહે છે, ‘એ વખતે જાગતે રહો નામક ટીવી શો આવતો હતો. મેં કિરણ ખેરનો સંપર્ક કર્યો અને અમારો એક કાર્યક્રમ થાય એ વિશેનું સૂચન કર્યું. એમણે પહેલી શરત મૂકી: પહેલાં મારું ઘર કરો… ઘર તો કર્યું મેં, પણ એ ટીવી શો જ બંધ થઈ ગયો. પરંતુ કિરણજીને મારું કામ એટલું બધું ગમ્યું કે મારા એ કામને કારણે જ મને એક પછી એક ક્લાયન્ટ મળતા ગયા.’
ચાલીસ કરતાં વધુ વર્ષોથી સફળતા પ્રાપ્ત કરનારાં નીતાજીના કલાયન્ટ લિસ્ટમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, કરણ જોહર, હૃતિક રોશન, ફરહાન અખ્તર, જોન અબ્રાહમ, પ્રીતિ ઝિટા. સુનીલ શેટ્ટી, શામક દાવર, પરમેશ્વર ગોદરેજ, સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરે, કલ્યાણી ચાવલા, ફિરોઝ ગુજરાલ, નમિતા શરાફ, વગેરે જેવી અનેક હસ્તી છે. આ ઉપરાંત, ગ્રાન્ડ હયાત, જે. ડબ્લ્યુ. મેરિયેટ, ફોર સીઝન્સ જેવી ફાઈવ સ્ટાર હોટેલ્સ તથા ઑબેરોય ઈન્ટરનૅશનલ સ્કૂલ અનેપ્રેસિડન્સી સ્કૂલ જેવી શૈક્ષણિક સંસ્થા પણ એમના ક્લાયન્ટ લિસ્ટમાં છે. ઑબેરોય મૉલ, ક્રિમાયા સ્ટોર, તાઓ આર્ટ ગૅલરી, લૉજિટેક પાર્ક, નોલેજ સેન્ટર, ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી સ્ટોર, ઓરસ રેસ્ટોરાં, દિલ્હીની અશોક હૉસ્પિટલ અને મુંબઈની ક્રિટિકેર હૉસ્પિટલ, વગેરે જેવી સંસ્થા પણ નીતાજીની સેવા લે છે.
બીજી ખાસ વાત એ છે કે નીતાજી ઘરને નામ આપવામાં પણ નિષ્ણાત છે. અમિતાભ બચ્ચનના બીજા બંગલાનું નામ જલસા કે પછી શાહરુખ ખાનના બંગલાનું નામ મન્નત પણ નીતાજીએ જ આપ્યું છે. નીતાજી ઘરમાં જે ફેરફાર કરે એમાં અહીં દીવાલ તોડો કે તહીં કિચન બનાવો એવાં સૂચન નથી કરતાં. મતલબ કે સ્ટ્રક્ચરલ ચેન્જિસ-ફેરફાર નથી હોતા. આ ઉપરાંત. એ વાસ્તુશાસ્ત્ર કે ફેંગશૂઈ વિજ્ઞાનની જેમ પોઝિટિવ ચક્ર અથવા તો પિરામિડ જેવી કોઈ પ્રોડક્ટ્સ પણ ક્લાયન્ટને નથી સૂચવતાં. એમની ફિલસૂફી અલગ છે-નવીનતમ છે.
View this post on Instagram
એ વિશે એ કહે છેઃ’ લાલ, પીળો અને કેસરી રંગ ઘરના ખૂણે હોવા જોઈએ એટલે આ ત્રણેય રંગોનું આગવું મહત્ત્વ છે. અમુક બૅલેન્સમાં જો આ ત્રણેય રંગની ચીજો આપણે ઘરમાં ગોઠવીએ તો ઘણો ફેર પડે છે. જેમ કે લાલ રંગ ખૂબ ભડકીલો છે. નેગેટિવ ખૂણામાં-દિશામાં હોય તો એ નેગેટિવ એનર્જી જ આપશે અને જો પોઝિટિવ દિશામાં હશે તો ઘરમાં ખૂબ સારું થશે. એવી જ રીતે પીળો અને કેસરી સ્થિરતાના રંગ છે. ઘરમાં અરીસો, વૉટર બૉડી-ફાઉન્ટન, વિન્ડચાઈમ, વગેરે રાખવાં જોઈએ, પણ ક્યાં રાખવાં એની ચોક્કસ જગ્યા હોવી જરૂરી છે.
એસ્ટ્રો આર્કિટેક્ટ વિશે વધુ જાણવા માટે જ અમે નીતાજીને કેટલાંક પ્રશ્નો પૂછ્યા, જેનાં જવાબ નીચે મુજબ છે.
આસ્ટ્રો-આર્કિટેક્ચર શું છે? તે વાસ્તુ શાસ્ત્ર અને ફેંગ શુઈથી કેવી રીતે અલગ છે?
એસ્ટ્રો આર્કિટેક્ચર એટલે વાસ્તુમાં જે દોષો રહી ગયા હોય તેને પૂરા કરવાનું વિજ્ઞાન. વાસ્તુશાસ્ત્ર જ્યારે લખવામાં આવ્યું ત્યારે ઈલેક્ટ્રિસિટી ન હતી. પ્રાચીન સમયમાં સૂર્યપ્રકાશ અને હવાની દિશા પ્રમાણેઘરનું નિર્માણ કરવાની વાત હતી. તેના આધારે વાસ્તુશાસ્ત્ર લખાયું હતું. જો કે હવે ઈલેક્ટ્રિસિટીનો જમાનો આવી ગયો છે અને ઊંચી-ઊંચી ઈમારતો બની રહી છે. ત્યારે નેચરલ હવાનો ફ્લો અને લાઈટ પહેલાં જેટલી જરૂરિયાત રહી નથી. એક મોટી ઈમારતમાં 100 લોકો એક જ જેવાં વાસ્તુવાળા મકાનમાં રહેતા હોય છે. તેમ છતાં દરેકની સ્ટોરી અલગ હોય છે. આથી એસ્ટ્રોઆર્કિટેક એટલે કોઈ પણ પ્રકારની તોડફોડ કર્યા વગર એનર્જી બેલેન્સ કરવાનું વિજ્ઞાન છે.
તમે કેવી રીતે ઘર કે ઓફિસનું હોરોસ્કોપ બનાવો છો? તેમાં જન્મ તારીખ કે મકાનની તારીખ કેવી રીતે વપરાય છે?
હું સૌથી પહેલાં જ્યાં જાઉં છું, ત્યાં ચેક કરું છું કે તે ઘરમાં કોણ રહે છે? કોના નામે ઘર છે? ઘરમાં કોણ કમાવવાવાળું છે? વ્યાપાર કરે છે કે નોકરી કરે છે? ઘર કંપનીના નામ પર છે કે ભાડાનું છે? જો મકાનમાં ત્રણ-ચાર નામ છે તો ક્યા ક્રમમાં નામ છે? આ બધી માહિતી જાણવી અમારા વિજ્ઞાનમાં બહુ જરૂરી છે. તેના આધારે ઘરનું હોરોસ્કોપ બનાવવામાં આવે છે.
તમારા અનુભવમાં ઘરની એનર્જી બેલેન્સથવાથી લોકોના જીવનમાં કયા પ્રકારના સૌથી મોટા ફેરફારો જોવા મળ્યા છે?
અમે સૌથી વધારે જોયું છે કે ઘરના વાઈબ્રેશન બેલેન્સ હોય છે તો વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે છે. પોઝિટિવ રહેવાથી મગજ સંતુલિત રાખીને વ્યક્તિ કામ કરે છે. ઘરના બાળકોની તબિયત, બાળકોના લગ્ન, ખુશ રહેવાની વૃત્તિ… દરેક વસ્તુ ઘરની એનર્જી બેલેન્સ થવાથી યોગ્ય રીતે થાય છે. પ્રથમ દિવસથી ઘરમાં રહેતી દરેક વ્યક્તિની ઉદાસિનતા અને જીવનની મૂંઝવણો દૂર થઈ જાય છે. વ્યક્તિના અંદર અલગ જ પ્રકારની હિંમત આવી જાય છે. કારણ વગરના ખર્ચા થતા નથી. વ્યક્તિના દરેકની સાથેના સંબંધો વ્યવસ્થિત થઈ જાય છે. નાની-નાની વાતમાં ઝઘડા થતા નથી. કોઈ પણ વ્યક્તિમાં આટલી બધી વસ્તુઓ યોગ્ય થઈ જાય તો તે પોતે જ પોતાની જાતે જીવનમાં આગળ વધવાની ક્ષમતા બહાર આવે છે.
તમે બોલિવુડ સેટ્સ (જેમ કે ગંગુબાઈકઠિયાવાડી) પર પણ એનર્જી બેલેન્સિંગ કરી છે. તે અનુભવ કેવો હતો?
મોટાં ભાગે સેટ્સ પરની એનર્જી હાઈ ફ્રિકવન્સીની હોય છે. જો તમે પોતે પણ એકવાર સેટ પર પહોંચી જાવ તો એલિવેટેડ અનુભવ કરો છો. નાની-નાની વાતોને ધ્યાનમાં રાખવાથી સુચારૂં રૂપથી તેમજ સમયથી કામ સંપન્ન થાય છે. અમે સેટની એનર્જીને એ રીતે બેલેન્સ કરીએ છીએ કે ત્યાં કોઈ પણ પ્રકારની બાધા આવે નહીં. ખૂબ જ જવાબદારીનું કામ હોય છે આ, જેનું બેલેન્સિંગ અલગ પ્રકારે થાય છે. પરિણામે સેટ પર દરકે વ્યક્તિ ચાર્જ રહે છે અને દોડતો રહે છે. સેટ પર ક્યાંક મિરર લગાવી દઈએ, ક્યાંક રેડ કલર કરી દઈએ, ક્યાંક પીળો કલર કરી દેવાથી સેટની એનર્જી બેલેન્સ થઈ જાયછે. આ કામ કરવા માટે અમને અનેક-અનેક ધન્યવાદ મળે છે. તેનાથી વધારે શું જોઈએ?
હાઈ-પ્રોફાઇલ ક્લાયન્ટ્સ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
આ બાબતમાં હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનુ છું. હું જ્યાં પણ કામ માટે જાવ છું ત્યાં મારી અને મારા ક્લાયન્ટની વચ્ચે કોઈ પણ મિડિએટર રહેતા નથી. જેથી કામ સારી રીતે થાય. હું સામાન્ય લોકો અને સિલિબ્રીટમાં એક અંતર ખાસ જોઈ શકું છું કે તેઓ જે ડેડિકેશન અને ડિસ્પિલનથી દરેક વાતને સાંભળે-સમજે છે તે અવર્ણનીય છે. દરેક નાની વાતને ખૂબ જ સારી રીતે સમજે છે. બે વર્ષ પછી પણ તમે એ સેલિબ્રિટીના ઘરે જાવ તો જોઈ શકાય કે મેં બતાવેલી દરેક વાતનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું છે. કોઈ પણ મોટામાં મોટો સેલિબ્રિટી ઘરમાં તો એક સામાન્ય માણસ જેવો જ હોય છે. તે ખૂબ જ સેલ્ફ ડિસ્પિલન જીવન જીવે છે. તેમની પાસેથી ઘણું શીખવા મળે છે. તેઓ નાનામાં નાની વાતને પણ ઈગ્નોર કરતા નથી.
ઘર ખરીદતી વખતે કયા મુખ્ય આસ્ટ્રો-આર્કિટેક્ચર પોઈન્ટ્સનું ધ્યાન રાખવું જોઈએ?
એસ્ટ્રો-આર્કિટેક્ચર કોઈ જનરલ નિયમો પર આધારિત નથી. દરેક વ્યક્તિના પોતાના પ્લસ-માઈન્સ પોઈન્ટ હોય છે. કોઈ વ્યક્તિને નોર્થ-ઈસ્ટની એન્ટ્રી સૂટ કરે છે, બીજા કોઈને સૂટ ન પણ થાય. કોઈને દક્ષિણ દિશાની ઘરમાં એન્ટ્રી સૂટ થતી હોય છે. આથી સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે એ ઘર કોના નામથી છે, એ વ્યક્તિ શું કામ કરે છે. તેના આધારે અમે આપને બતાવી શકીએ કે તમે જે ઘરમાં રહો છો એ તમારા માટે યોગ્ય છે કે નહીં. જો તમે ઘરની જગ્યા બતાવી શક્તા નથી તો ઘરનો નક્શો હોય એ વાત ઉત્તમ છે. કોઈ પણ સાઈઝ કે આકારનું ઘર હોય, ટ્રેડિશનલ વાસ્તુ સાથે મેચ ન થતું હોય તો ડરવાની જરૂરિયાત નથી. ઘરમાં તોડફોડ કર્યા વગર ઘરની એનર્જીને બેલેન્સ કરી શકાય છે.

આજના આધુનિક હાઈ-રાઈઝ બિલ્ડિંગ્સમાં વાસ્તુના નિયમો સમાન હોવા છતાં લોકોને અલગ અલગ પરિણામ કેમ મળે છે?
મારી રિસર્ચ આ જ વાતથી શરૂ થઈ હતી. એક મોટી બિલ્ડિંગમાં બધાં જ ઘરના વસ્તુ એક જેવાં હોય છે તેમ છતાં દરેક વ્યક્તિની સ્ટોરી અલગ-અલગ હોય છે. આજની આધુનિક બિલ્ડિંગમાં તમે કોઈ પણ પ્રકારના બદલાવ કરી શકતા નથી. જ્યાંથી ઘરની એન્ટ્રી હોય છે ત્યાં જ રાખવી પડે છે, ટોયલેટ જ્યાં હોય છે, ત્યાં જ રાખવું પડે છે. તેમ છતાં દરેક વ્યક્તિને અલગ-અલગ પ્રકારનું પરિણામ એટલાં માટે મળે છે, તેનું એકમાત્ર કારણ નામ-રાશિ છે. જ્યારે હું ઘરની કુંડળી બનાવું છું ત્યારે ઘરમાં રહેતા દરેક વ્યક્તિની જાણકારી મેળવીને, ઘર કોના નામે છે તે દરેક વસ્તુનું ધ્યાન રાખીને પછી ઘરની કુંડળી બનાવું છું. ઘરની કુંડળીનો અભ્યાસ કર્યા પછી અમને ખબર પડે છે કે કેમ દરેક ઘરની સ્ટોરી અલગ હોય છે.
તમારી આસ્ટ્રો-આર્કિટેક્ચર પ્રેક્ટિસમાં તમને સૌથી મોટો ચેલેન્જ કયો આવ્યો છે અને તમે તેને કેવી રીતે હેન્ડલકર્યો?
દરેક સાઈટ અમારી માટે એક ચેલેન્જ હોય છે. દરેકની એનર્જી અલગ હોય છે, દરેકના પ્રોબ્લમ અલગ હોય છે. દરેકનું પ્લેસમેન્ટ અલગ હોય છે, બેલેન્સિંગ અલગ હોય છે, ડાયરેક્શન અલગ હોય છે. દરેક વસ્તુને બેલેન્સ કરવું એક આર્ટ હોય છે. ચેલેન્જ કરવાની અલગ મજા હોય છે. એક જાણીતી પર્સનાલિટીના ઘરનું બેલેન્સિંગ અમે કર્યુ હતું, જે ખરેખર ચેલેન્જિંગ હતું. બે દિવસમાં જે ઘર જપ્ત થવાનું હતું તેને અમે માત્ર નામ ચેન્જ કરીને બચાવ્યું હતું. એક ક્રિકેટરે ઘર ચેન્જ કર્યું તો એનું પર્ફોમન્સ બગાડવા લાગ્યું હતું. પછી અમે તેમના ઘરે જઈને એનર્જી બેલેન્સિંગ કર્યું તો તેઓ ફરી ટોપના પર્ફોમર બની ગયા. અમારા કામની ખાસિયત એ છે કે તેનું પરિણામ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થાય છે. એક અઠવાડિયામાં કે 10 દિવસમાં તેમાં પરિણામ પ્રાપ્ત થાય છે.
ભવિષ્યમાં આસ્ટ્રો-આર્કિટેક્ચરને વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાડવાની તમારી યોજના છે?
અમારો પ્રયત્ન તો એવો જ હોય છે કે આ વિદ્યા વધારે લોકો સુધી પહોંચે છે. મારા બાળકોને મેં આ વિદ્યા આપી છે. વધુમાં વધુ લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે અમારી સેવા કાર્યરત છે. દરેક પ્રોબ્લમનું સોલ્યુશન હોય જ છે. આથી ડરવાની જરૂર નથી. દરેક સમસ્યાને દૂર કરવાનો અમે પ્રયત્ન કરીશું.
લોકોને ઘરમાં સારી વાઈબ્સ બનાવવા માટે તમારી ટોપ 3-4 સરળ ટિપ્સ આપો.
ઘરનું જે મુખ્ય દ્વાર છે તે સોર્સ ઓફ એનર્જી છે. આથી સૌથી પહેલાં તો ત્યાં જૂતાં-ચપ્પલનો ઢગલો ન હોવો જોઈએ. ઘરના મુખ્ય દ્વાર પાસે સુગંધી હોવી જોઈએ. કારણ કે મુખ્ય દ્વારથી જ લક્ષ્મીજીનો પ્રવેશ થાય છે. તેને સાફ રાખવું જોઈએ. બીજું કે ઘરમાં સાંજના સમયે અંધારું ન હોવું જોઈએ. સૂર્ય આથમે ત્યારે ઓછામાં ઓછાં બે-ત્રણ કલાક માટે લાઈટ્સ ચાલુ હોવી જોઈએ. જો ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો તેને રૂમ બદલવા માટે કહેવું જોઈએ અને એ વ્યક્તિ જે રૂમમાં હોય છે એ રૂમમાં પીળો કે નારંગી રંગ વધુમાં વધુ મૂકવો જોઈએ. એ રૂમમાં કોઈ અરિસો હોય તો તેને કવર કરી શકાય. ઘરમાં જેટલો સામાન ઓછો હોય એટલું ઘર વધારે સાફ રહેશે. ઘરના બધાં બારી-બારણાં દિવસમાં એકવાર ખુલ્લા કરી દેવાં જોઈએ. જેથી હવાનું આવન-જાવન થાય. સાથે જ ઘરમાં જે આખી રાતના વાઈબ્રેશન ભેગાં થયા હોય તે પણ નીકળી જાય. બાથરૂમ સાફ રાખો અને તેમાં ખરાબ દુર્ગંધ ન આવવી જોઈએ.
આ બધી જ વાતો આપણા કલ્ચરમાં પહેલાંથી જ હતી જેને આપણે ભૂલી ગયા છે. આથી તેને ફરી યાદ કરીને જીવીત કરીશું તો ચોક્કસથી બધી જ તકલીફોનો અંત આવશે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)


