મહાશિવરાત્રિઃ શિવઉપાસનાનો શ્રેષ્ઠ અવસર

જે ઉત્સવોમાં ઉત્તમ એવો મહાશિવરાત્રીનો ઉત્સવ છે. દેવાધીદેવ મહાદેવની ઉપાસના અને પૂજા અર્ચના કરવા માટે શિવરાત્રીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આજે chitralekha.com પર વાત કરીશું મહાશિવરાત્રીના મહાત્મ્ય વિશે અને સાથે જ જાણીશું શિવરાત્રીના વ્રતનો મહિમા.

 

મહાશિવરાત્રી એક એવો તહેવાર છે જ્યારે ભગવાન શિવ પોતાના ભક્તોની નિકટ હોય છે. અને એટલા માટે જ શિવરાત્રીના મહાપર્વના મહાદિને શિવપૂજા અને શિવભક્તિનું વિશેષ મહત્વ રહેલું છે. કહેવાય છે કે મહા વદ ચૌદશ એટલે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવનું રૂદ્રના સ્વરૂપમાં અવતરણ થયું હતું. તો આ સિવાય અન્ય કેટલીક કથાઓ પણ શિવરાત્રી સાથે જોડાયેલી છે.

એક વાર માતા પાર્વતીએ ભગવાન ભોળાનાથને પૂછયું કે, “એવું કયું શ્રેષ્ઠ તથા સરળ વ્રત-પૂજન છે, જેનાથી મૃત્યુલોકનાં પ્રાણીઓ તમારી કૃપા સહજ પ્રાપ્ત કરી લે છે?” આ પ્રશ્નના ઉત્તરમાં શિવજીએ પાર્વતીજીને મૃગ પરિવાર અને શિકારીની કથા કહી સંભળાવી. આવો આપણે પણ એ કથાનું રસપાન કરીએ.

શિકારી બીલીપત્રના વૃક્ષ ઉપર બેસીને શિકારની પ્રતીક્ષા કરી રહ્યો હતો. વૃક્ષ નીચે જ શિવલિંગ હતું. તેણે ભોજન કર્યું નહોતું તેથી ઉપવાસ થઈ ગયો અને બીલી તોડી-તોડીને નીચે નાખવાથી અનાયાસે જ બીલીપત્ર દ્વારા શિવજીની પૂજા પણ થઈ ગઈ અને શિકારની રાહ જોવામાં રાત્રિ જાગરણ પણ થઈ ગયું. આ દરમિયાન શિકારીને એક મૃગ મળતું. તે બાણ ચલાવવા જાય તે પહેલાં મૃગની પરિવારને મળવાની વિનંતી અને પાછા આવવાનું વચન મળતું. આમ, એક એક કરીને ત્રણ મૃગનો પરિવાર ત્યાં આવી ગયો. દરેકને શિકારીએ વચન પર મુક્ત કર્યાં. છેલ્લે ત્રણેય મૃગનો પરિવાર પોતાનું વચન પાળવા શિકારી સમક્ષ હાજર થયો.

પરંતુ શિકારી આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ત્યાં બેસી રહ્યો એટલે અજાણતા જ તેનો ઉપવાસ પણ થઈ ગયો અને તે જે વૃક્ષ પર બેઠા બેઠા વૃક્ષના પર્ણો તોડીને નીચે નાંખતો હતો ત્યાં જમીનમાં શિવલીંગ હતું એટલે ભગવાન શિવની પૂજા પણ થઈ ગઈ. આવી રીતે તે શિકારીનું શિવરાત્રીનું વ્રત પણ સંપન્ન થઈ ગયું. તો વ્રતના કારણે શિકારી પર શિવકૃપા વરસી અને શિવકૃપાના પરિણામે તેનું મન પાપ મુક્ત અને નિર્મળ બની ગયું અને તેણે ત્રણેય હરણ પરિવારોને છોડી દિધા. શિકારી ભૂતકાળમાં પોતાના દ્વારા થયેલી નિર્દોષ જીવોની હત્યાથી ખુબ જ દુઃખી હતો, અને ત્યાં જ ભગવાન શિવ પ્રગટ થયા અને ભગવાને કહ્યું કે વત્સ હવેથી તારે આ કામ નહી કરવું પડે. શિકારીએ ભગવાન શિવને કહ્યું કે પ્રભુ મારા જેવા પાપી પર તમારી આટલી બધી કૃપા કેવી રીતે થઈ?

ત્યારે ભગવાન શિવે શિકારીને કહ્યું કે દિકરા આજે શિવરાત્રી છે અને તે ભલે અજાણતા જ, પરંતુ શિવરાત્રીનું વ્રત તે કર્યું છે. એટલા માટે તારો કાયાકલ્પ થયો છે. તો સાથે જ ભગવાન શિવે કહ્યું કે મહાશિવરાત્રીના દિવસે જે વ્યક્તિ આ પ્રકારે મહાશિવરાત્રીનું વ્રત કરશે અને આ કથા સાંભળશે તેના પર મારી કૃપા વરસશે.

તો આ સિવાય મહાશિવરાત્રીના ઉત્સવને ભગવાન શંકરના વિવાહનો ઉત્સવ માનવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે જ મહાદેવે પાર્વતીજી સાથે એક ધ્યેયપૂર્ણ વિવાહ કર્યા હતા. શિવજીના પાર્વતીજી સાથે વિવાહ દેવોના સેનાપતિ કુમાર કાર્તિકેયના જન્મ માટે થયા હતા, તેમના હાથે જ તાડકાસુરનો વધ થવાનો હતો.

તાડકાસુરના વધ માટે શિવજીના પુત્રનું સેનાપતિત્વ અનિવાર્ય હતું. તેથી તપસ્યામાં લીન શિવજીના મનમાં પાર્વતી પ્રત્યે અનુરાગ ઉત્પન્ન કરવો જરૂરી હતો. તેથી કુમારના જન્મને શક્ય બનાવવા માટે દેવતાઓએ કામદેવને શિવજીના મનને હરવા માટે મોકલ્યા. કામદેવે દૂર ઊભા રહીને શિવજી પર પોતાનાં કામબાણ ચલાવ્યાં. તેનાથી શિવજીનું ધ્યાન તો ભંગ થયું સાથે પાર્વતીજીની સેવાનું પણ જ્ઞાન થયું. પાર્વતી પર કૃપા, સ્નેહ અને અનુરાગ તો ઉત્પન્ન થયો, પરંતુ કામદેવ પર ક્રોધ પણ આવ્યો. તેથી ક્રોધવશ તેમણે પોતાનું ત્રીજું નેત્ર ખોલીને કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યા. ત્યારબાદ રતિ અને દેવતાઓની પ્રાર્થના સાંભળી કામદેવને ફરીથી પોતાનું અસલી રૂપ પાછું આપ્યું. શિવજીના મનમાં પાર્વતી પ્રત્યે જે અનુરાગ ઉત્પન્ન થયો તે અશરીર જ રહ્યો. આ જ આપણો જીવન આદર્શ છે. આ જ વાતના સ્મરણ માટે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. વિવાહ એ માત્ર બે વ્યક્તિ કે પરિવારોનું જ મિલન નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત આસુરી શક્તિઓનો વિનાશ કરીને શુભ સંસ્કારોનું પોષણ કરવા માટે વિવાહ સંસ્કાર છે.

મહાશિવરાત્રી વ્રતના લાભ

હિન્દુ સંસ્કૃતિમાં મહાશિવરાત્રીને ભગવાન શંકરનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. મહાશિવરાત્રીને પોતાના આત્માને નિર્મળ બનાવવાનું મહાવ્રત માનવામાં આવે છે. મહાશિવરાત્રીનું વ્રત કરવાથી મનુષ્યનાં સમસ્ત પાપોનો નાશ થાય છે. વ્યક્તિમાં દયા, કરુણા જેવા ભાવો પેદા થાય છે.

આમ તો શિવરાત્રી દરેક મહિનાની ચતુર્દશી તિથિએ હોય છે, પરંતુ મહા વદ ચૌદશને મહાશિવરાત્રી કહેવામાં આવી છે. શિવનો અર્થ છે કલ્યાણ કરવું. તેથી મહાશિવરાત્રીના દિવસે શિવજીની કૃપા મળે છે. ચંદ્રનો સીધો સંબંધ મનુષ્યના મન સાથે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જ્યારે ચંદ્ર નબળો હોય ત્યારે મન પણ નબળું થઈ જાય છે, ભૌતિક સંતાપ મનુષ્યને ચારે બાજુથી ઘેરી લે છે, માનસિક ચંચળતા, અસ્થિરતા અને અસંતુલનથી મનુષ્યને વિવિધ કષ્ટોનો સામનો કરવો પડે છે. ધર્મગ્રંથોમાં ચંદ્રને શિવજીના મસ્તક પર સુશોભિત જણાવાયો છે. જેને ભગવાન શિવની કૃપા મળી હોવાથી ચંદ્રદેવની કૃપા આપોઆપ મળી જાય છે. તેના ચંદ્ર સંબંધી દોષનું નિવારણ થાય છે. મહાશિવરાત્રીને શિવજીની ખૂબ જ પ્રિય તિથિ માનવામાં આવે છે.

અહેવાલઃ હાર્દિક વ્યાસ