ગૃહસ્થ જીવનને ધર્મયુક્ત બનાવવા માટેનો મહામંત્ર

જો કામ-વિકારને સંતાનપ્રાપ્તિ માટે અનિવાર્ય માનવામાં આવે તો પ્રશ્ન એ છે કે બાળકો, વૃદ્ધો તથા સંન્યાસીઓના કામાચાર પાછળનું લક્ષ્ય શું છે? શું સમાજનું કલ્યાણ, શું સમાજની પ્રગતિ, શું પરિવારની શાંતિ? આનો જવાબ આવશે – “ના”. તો પછી જો લક્ષ જ અયોગ્ય છે તો તેનું પરિણામ પણ તેવું જ હશે. સમાજમાં વધતા અનાથાલય, વૈશ્યાલય, ગર્ભપાત, એઇડ્સ જેવા ગુપ્તરોગ વિગેરે આ અનિયંત્રિત કામવૃત્તિ થી ઉત્પન્ન થયેલ સમાજરૂપી શરીરના ગુમડા તો છે.
જ્યારે કોઈ વસ્તુનો ખૂબ પાક થાય છે તો સમજદાર વ્યક્તિ તેની કિંમત ઓછી હોવાના કારણે તેને ઉગાડવાનું બંધ કરી દે છે. જ્યારે સામાન્ય વ્યક્તિને આટલી સમજ છે તો પછી ભગવાન તો બુદ્ધિવાનોની બુદ્ધિ છે. તે મનુષ્ય દુર્ગુણોથી ભરેલ તથા મનોબળ વગરનો હોવાના કારણે તેના પર પ્રતિબંધ લગાવવા ઇચ્છે છે. તેઓ ગૃહસ્થ જીવનને ફરીથી ધર્મયુક્ત બનાવવા માટે બધા ગૃહસ્થીઓને પવિત્રતા આપનાવવા માટેનો મહામંત્ર આપે છે.

પરમાત્મા કહે છે કે સ્ત્રી-પુરુષ ભલે ઘરમાં રહે, પરંતુ પવિત્ર રહે, ગૃહસ્થને તપોવન સમજે અને કમળ ફૂલ સમાન અલિપ્ત રહે. પરંતુ આપણે જાણીએ છીએ કે આ ઈશ્વરીય આદેશને સાંભળીને બધા ગૃહસ્થીઓ કહે છે કે તમે ભલે બાળકો, વૃદ્ધો, વાનપ્રસ્થીઓને પવિત્રતા શીખવાડો અમને નહીં. પરંતુ કોઈપણ આંખો ખોલીને એ જોવા કે સમજવા તૈયાર નથી કે કામવાસનાના કારણે સમાજમાં સંઘર્ષ, ઉગ્રવાદ, તોડફોડ, અનૈતિકતા, ચોરી, યુદ્ધ, બળાત્કાર વિગેરે વધી ગયા છે. પાપની પ્રવેશતા જ્યાંથી થઈ એ દરવાજેથી તેને કાઢવાનું પણ છે. પહેલો પ્રવેશ સ્ત્રી અને પુરુષ બંનેમાં દેહઅભિમાનના આધારે કર્યો. માટે ગૃહસ્થમાં રહેવા છતાં બંને નું પવિત્ર રહેવું ખુબ જરૂરી છે.

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના માધ્યમ થી સ્વયં ભગવાને નારીને શ્રી લક્ષ્મી અને નરને શ્રી નારાયણ જેવા બનવાનું આહવાન કર્યું છે. ભગવાન કહે છે કે અંતિમ જન્મમાં મારા માટે ગૃહસ્થમાં રહેવા છતાં વિકારોનો સન્યાસ કરો, તો હું તમને સતયુગી પાવન દુનિયામાં 16 કલા સંપૂર્ણ દૈવી રાજ્યનું પદ આપીશ. તો શું ઈશ્વરના આહવાન થી વધુ વહાલું છે વિષનું પાન? વિચાર કરો એક જન્મ પવિત્ર રહેવાથી 21 જન્મોની દૈવી બાદશાહી મળશે. જેમને યોગ્ય લાગે તે લઈ લે.

ભગવત ગીતામાં ભગવાને દૈવી અને આસુરી સંપત્તિનું સુંદર વર્ણન કરેલ છે. દૈવી સંપત્તિ અર્થાત સતોગુણી વૃત્તિઓ (દૈવી ગુણ). આનો વિસ્તાર ઘણો છે પરંતુ તેનો સાર એક શબ્દ – “કલ્યાણ” માં સમાયેલ છે. સતોગુણી ભાવનાઓ હંમેશાં કલ્યાણની તરફ હોય છે. માટે જ ભગવાન શિવને કલ્યાણકારી કહેવાય છે કારણકે તેઓ તમામ સારી વૃત્તિઓના મહાસાગર છે.