Home Blog Page 5609

શેરબજારમાં નવી તેજીની આશા સાથે સંવત 2073ને અલવિદા

અમદાવાદ– શેરબજારમાં નવી તેજીના આશાવાદ વચ્ચે વિક્રમ સંવત 2073ને અલવિદા કરી હતી. જો કે આજની ટ્રેડિંગ સેશનમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ રહી હતી. એશિયાઈ સ્ટોક માર્કેટના પોઝિટિવ સમાચાર છતાં ભારતીય શેરોમાં દરેક ઊંચા મથાળે વેચવાલી આવી હતી, જેથી માર્કેટમાં નવી તેજી ટકી શકી ન હતી. જો કે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ આવ્યા હતા, જેથી બ્લુચિપ શેરોમાં ટેકારૂપી નવી લેવાલી આવી હતી અને શેરોના ભાવ ઘટ્યા મથાળેથી ઊંચકાયા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 24.81(0.08 ટકા) ઘટી 32,584.35 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ 20(0.20 ટકા) ઘટી 10,210.85 બંધ થયો હતો.

નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે તંગદિલી વધી રહી છે. ટ્રમ્પની વિદેશ નિતીનો વિરોધ અમેરિકામાં થઈ રહ્યો છે. આમ જીઓ પોલિટકલ ટેન્શનને કારણે શેરબજારમાં સાવચેતીનો માહોલ હતો. ગ્લોબલ માર્કેટ પણ આજે સાંકડી વધઘટમાં અથડાઈ ગયા હતા.

BSE સેન્સેક્સ 24.81 માઈનસ બંધ

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આગલા બંધ 32,609.16ની સામે આજે સવારે 32,518.56 ખુલીને શરૂમાં સામાન્ય વધીને 32,670.32 થઈ અને ત્યાંથી ઘટીને 32,462.85 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 32,584.35 બંધ રહ્યો હતો. જે 24.81ની નરમાઈ દર્શાવે છે.

NSE નિફટી 20 પોઈન્ટ નરમ

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ આગલા બંધ 10,230.85ની સામે 10,209.40ના નીચા મથાળે ગેપમાં ખુલીને શરૂમાં વધીને 10,236.45 થઈ અને ત્યાંથી ઝડપી ઘટીને 10,175.75 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 10,210.85 બંધ થયો હતો. જે 20 પોઈન્ટની નરમાઈ દર્શાવે છે.

દીવાળીના મુહૂર્તના ટ્રેડિંગ

કાલે 19 ઓકટોબરને શુક્રવારે દીવાળીના શુભ દિવસે સાંજે 6.30થી 7.30 વાગ્યા દરમિયાન વિક્રમ સંવત 2074ના નવા વર્ષના મુહૂર્તના ટ્રેડિંગ થશે.

  • વિક્રમ સંવત 2073ના વીતેલા વર્ષમાં સેન્સેક્સમાં 4654.14(14.28 ટકા)નો ઉછાળો નોંધાયો છે.
  • વિક્રમ સંવત 2073ના વીતેલા વર્ષમાં નિફટીમાં 1585.15(15.52 ટકા)નો ઉછાળો આવ્યો છે.
  • નાણાકીય વર્ષ 2018ના બીજા કવાર્ટરમાં એક્સિસ બેંકનો નફો 35.5 ટકા વધીને રૂપિયા 432 કરોડ આવ્યો હતો, પણ બીજા કવાર્ટરમાં ત્રિમાસિકગાળાના આધાર પર એક્સિસ બેંકની ગ્રોસ એનપીએ વધીને આવી છે, જેથી આજે એક્સિસ બેંકના સ્ટોકમાં ભારે વેચવાલીથી 10 ટકાનું ગાબડુ પડ્યું હતું.
  • અમેરિકામાં કંપનીઓના પ્રોત્સાહક પરિણામોને પગલે સ્ટોક માર્કેટમાં સતત તેજી જોવાઈ રહી છે. ડાઉ જોન્સ પહેલીવાર 23,000ની સપાટી પાર કરી ગયો હતો.
  • આજે એમએએસ(માસ) ફાઈનાન્સિયલનું શાનદાર લિસ્ટીંગ થયું હતું. કંપનીએ શેરહોલ્ડરોને રૂ.459ની પ્રાઈઝથી શેર આપ્યા હતા, આજે તેનું લિસ્ટીંગ રૂપિયા 460ના ભાવે થયું હતું. બીએસઈમાં શેરનો ભાવ રૂ.625 અને 680.95ની વચ્ચે રમીને ટ્રેડિંગ સેશનને અંતે 654.75 બંધ રહ્યો હતો. જે 44 ટકાનું વળતર દર્શાવે છે.
  • આજે રીલાયન્સ(4.59 ટકા), પાવર ગ્રીડ(4.22 ટકા), ઓએનજીસી(1.90 ટકા), વિપ્રો(1.69 ટકા) અને કોટક મહિન્દ્રા(1.60 ટકા) સૌથી વધુ ઊંચકાયા હતા.
  • આજે એક્સિસ બેંક(9.48 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(3.92 ટકા), ભારતી ઈન્ફ્રાટેલ(3.64 ટકા), સિપ્લા(3.34 ટકા) અને ટેક મહિન્દ્રા(3.08 ટકા) સૌથી વધુ ગગડેલા રહ્યા હતા.

ગુજરાતના પ્રવાસસ્થળોમાં ધસારા સામે તંત્ર તૈયાર

જૂનાગઢઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં દીવાળી પર્વને ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ છવાઈ ગયો છે અને ફરવાલાયક સ્થળો લોકોનો ધસારો વધ્યો છે. દીવાળીના પર્વમાં લોકો સોમનાથ મહાદેવ, ગીરનું જંગલ, દીવ, કનકાઈ માતાનું મંદિર, દ્વારકા, જૂનાગઢ ગિરનાર પર્વત, અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા સહિત અનેક જગ્યાએ લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે આવશે. ત્યારે મોટી સંખ્યામાં સહેલાણીના આગમનને લઈને તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

તહેવારોમાં ફરવા માટે લોકો સામાન્ય રિતે સૌરાષ્ટ્રને વધારે પસંદ કરે છે. દીવાળીની લાંબી રજાઓમાં તો આસપાસના ફરવા જવાના સ્થળોના બુકીંગ તો અગાઉથી જ કરી લેવામાં આવ્યુ છે. હાલ વનરાજોનું વેકેશન પૂર્ણ થયુ છે એટલે ગીર તરફ પ્રવાહ વધારે છે. ચાર માસના વેકેશન બાદ પ્રવાસીઓ માટે સિંહ દર્શન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે સિંહ દર્શન માટે પણ બે મહિનાનું ઓનલાઈન બુકીંગ લોકોએ કરી લીધુ છે.

વન વિભાગ દ્વારા વધુમાં વધુ લોકોને સિંહ દર્શનનો લાભ મળે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં સવારે ૬ થી ૯, ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ ત્રણ ટ્રીપમાં સિંહ દર્શનની વ્યવસ્થા છે. આ મુજબ તહેવારોમાં દરરોજ ૧૫૦ પરમિટ પ્રવાસીઓને આપવામાં આવી છે.

સારા ચોમાસાને કારણે ગીરનું જંગલમાં હરીયાળી છવાઈ ગઈ છે અને પ્રકૃતી સોળે કળાએ ખીલી ઉઠી છે, ત્યારે લોકોને સિંહ ઉપરાંત અન્ય વન્ય પ્રાણીઓના દર્શનનો લાભ મળવાની શકયતા હોવાથી વધુ પ્રવાસીઓએ ગીરની પસંદગી કરી છે.

ગીર બાદ પ્રવાસીઓનું પ્રિય સ્થળ દિવ છે. જેમાં પણ દિવાળીની રજાઓને કારણે તમામ હોટલો બુક કરી લેવામાં આવી છે. પ્રવાસીઓએ રૂ. ૧૫૦૦ થી ૬૦૦૦ સુધીના ભાડા ચૂકવીને દિવ, સોમનાથ સહિતની હોટલો હાઈસ્કૂલ કરી દીધી છે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ મંદિર દ્વારકામાં પણ તમામ હોટલો અને ગેસ્ટ હાઉસો ફુલ થઈ ગયા છે.

સૌરાષ્ટ્રવાસીઓએ દિવાળીની રજાઓમાં ફરવા માટેના બુકીંગ અત્યારથી કરી લીધા છે, એ કારણે નજીકના તમામ પર્યટન સ્થળો પણ હાઉસફુલ બની ગયા છે.

ફરવા જવું છે ? તો આ પ્રવાસનસ્થળો અનેરાં છે

ખું વર્ષ કામકાજની વ્યસ્તતામાંથી થોડા દિવસ વેકેશનના મળી જાય અને તેમાં પણ જો પરિવાર અથવા મિત્રોનો સાથ મળે તો સોનામાં સુગંધ ભળ્યાનો અહેસાસ થાય. જો તમે પણ આ વેકેશન ટાઈમમાં ફરવાનો વિચાર કરો છો તો આ માહિતી આપને માર્ગદર્શક બની શકે છે. જાણો કેટલાક અદભૂત પ્રવાસન સ્થળો વિશે. જેની મુલાકાત આપના માટે કાયમી સંભારણું બની રહેશે.

લિવિંગ રુટ બ્રિજ, મેઘાલય : વૃક્ષની ડાળીઓ અને વડવાઈઓથી બનેલો આ પુલ કુદરત અને પ્રકૃતિની રચનાનો એક ઉત્કૃષ્ટ નમુનો છે. આ પુલ એટલો મજબૂત છે કે, એક સાથે 50 જેટલા લોકો તેને પાર કરી શકે છે.

વોટર રાફ્ટિંગ, ઋષિકેશ : જો તમે રોમાંચ, સાહસ અને એડવેન્ચરના શોખીન છો તો, એકવાર ઋષિકેશમાં ગંગા રાફ્ટિંગ ચોક્કસ કરવું જોઈએ. આ જગ્યા રોમાંચની દરેક હદો પાર કરાવી દેશે. ઋષિકેશ જવાવાળા પ્રવાસીઓમાં રિવર રાફ્ટિંગને લઈને ખાસ રોમાંચ હોય છે, કારણ કે અહીં પહાડોથી ઉછળતી કૂદતી ગંગા નદીની તોફાની લહેરોની વચ્ચે રિવર રાફ્ટિંગનો રોમાંચ કંઈક અલગ જ હોય છે.

ઋષિકેશમાં શિવપુરીથી રામઝૂલા સુધી અંદાજિત 18 કિમીના અંતરમાં રાફ્ટિંગ થાય છે. અહીં કેટલાય કેમ્પ આવેલા છે, જ્યાં અનુભવી લોકો રિવર રાફ્ટિંગમાં તમારી મદદ પણ કરે છે. મોટાભાગના કેમ્પ નદી કિનારે જ આવેલા છે. ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ માટે જાન્યુઆરીથી જૂન અથવા સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો સમય આદર્શ માનવામાં આવે છે. જુલાઈ-ઓગસ્ટમાં ચોમાસું હોવાથી આપની મજા ઓછી થઈ શકે છે.

સંદક્ફૂ ચોટી, દાર્જિલિંગ : દાર્જિલિંગમાં આવેલી સંદક્ફૂ ચોટી ભારતની સૌથી ઉંચી પર્વતમાળાઓ પૈકી એક છે. વિશ્વની સૌથી પાંચ ઉંચી પર્વતમાળામાંથી ચાર એવરેસ્ટ, કંચનજંઘા, મકાલૂ અને લ્હોત્સેને આપ સંદક્ફૂ પરથી નિહાળી શકો છો.

પેંગોંગ જીલ, લદ્દાખ : માનવવસ્તી અને ભીડભાડથી દૂર પહાડોના એકાંતમાં આવેલું પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું આ સ્થળ તમને ચોક્કસ પસંદ આવશે. અહીંની સુંદરતા અને નયનરમ્યતા જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો અને વારંવાર અહીં આવવાનું મન બનાવશો તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મનાલી, લેહ રોડ ટ્રીપ: જો તમને સાહસ અને રોમાંચનો શોખ છે તો જીવનમાં એકવાર લેહ રોડ ટ્રીપનો અનુભવ કરવા જેવો છે. વિશેષ કરીને આ રોડ યુવાનો માટે બાઈક ટ્રીપ માટે ફેવરીટ છે. આ રોડ ઉપરથી પસાર થતી વખતે આપ અનેરી પ્રકૃતિક સુંદરતાનો અનુભવ કરશો અને અહીં રહેતા લોકોના સાદગીભર્યા જીવનના તમે ચાહક પણ થઈ જશો.

કચ્છનું રણ, ગુજરાત : અહીં તમને દૂરદૂર સુધી ફક્ત મીઠાની સફેદ ચાદર પથરાયેલી જોવા મળશે. આ કારણોથી આ રણને સફેદ રણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પોતાની આવી આગવી ઓળખને કારણે આ રણ વિશ્વનું સૌથી લાવણ્યમયી મરુસ્થળ છે. આશરે 7505 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલા કચ્છના રણમાં અનેક પ્રકારના વિવિધ જીવજંતુ અને રણમાં ઉગતી વનસ્પતિઓ જોવા મળશે.

તવાંગ ટાઉન, અરુણાચલપ્રદેશ : તવાંગ જિલ્લો તેના અનોખા કુદરતી સૌંદર્યને કારણે પ્રવાસીઓમાં જાણીતો છે. આ પ્રદેશ ચારેબાજુથી જંગલોથી ઘેરાયેલો છે. બર્ફાચ્છાદિત પહાડો, શહેરની આધુનિક બનાવટ અને અહીંના બજારોમાં મળતી હેન્ડીક્રાફ્ટની બનાવટો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

જીવનની ભાગદોડમાંથી સમય કાઢી પરિવાર અને મિત્રો સાથે થોડા દિવસની આ સ્થળોની મુલાકાત આખા વર્ષ માટે મોટું સંભારણું બની રહેશે.

(અહેવાલ- મંગલ પંડ્યા)

મમતા બેનરજીની હત્યા કરવા વિદ્યાર્થીને વોટ્સએપ પર ઓફર મળી

કોલકાતા – પશ્ચિમ બંગાળના બેહરામપોર વિસ્તારનો ૧૯ વર્ષીય રહેવાસી વિદ્યાર્થી એને મળેલો એક વોટ્સએપ મેસેજ વાંચીને ચોંકી ઊઠ્યો હતો, કારણ કે એમાં અજાણી વ્યક્તિઓએ એને ઓફર કરી હતી કે જો એ રાજ્યનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીની હત્યા કરશે તો એને એક લાખ ડોલરનું ઈનામ મળશે.

આ મેસેજ મોકલનારે પોતાને લેટિન નાગરિક તરીકે ઓળખાવ્યો હતો. એ મેસેજવાળો ફોન નંબર અમેરિકાના ફ્લોરિડામાં હોવાનું માલૂમ પડ્યું છે.

એ લેટિન વ્યક્તિએ એવો દાવો કર્યો હતો કે પોતે એક ત્રાસવાદી સંગઠન માટે કામ કરે છે અને એને ભારતમાં એક ભાગીદારની જરૂર છે.

પોલિટેક્નિકનું ભણતા વિદ્યાર્થીએ પોલીસને કહ્યું હતું કે, ગયા સોમવારે બપોરે ૧ વાગ્યા બાદ મને લેટિન તરફથી સંદેશા આવવાનું શરૂ થયું હતું. એમાં એણે લખ્યું હતું કે, ‘અમને મદદ કરવાના બદલામાં અમે તમને ૧ લાખ ડોલર ચૂકવીશું. તમે સલામત રહેશો, ચિંતા ન કરશો. તમે તૈયાર છો? ઝડપથી કરો અથવા અમે કોઈક બીજી વ્યક્તિને પસંદ કરીશું.’

તે વિદ્યાર્થીએ જવાબમાં લખ્યું હતું, ‘નો થેંક્સ.’

એક કલાક પછી વિદ્યાર્થીને ફરી મેસેજ આવ્યો હતો અને એને ‘લૂઝર (ખોટ કરનાર)’ તરીકે ઓળખાવ્યો હતો.

વિદ્યાર્થીએ પોલીસને જાણ કરી ત્યારે શરૂઆતમાં પોલીસે એમાં રસ લીધો નહોતો. પણ બાદમાં જ્યારે ગુપ્તચર એજન્સીઓએ પણ આ વિશે ચેતવણી આપ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. સીઆઈડી વિભાગ આ કેસમાં તપાસ કરી રહી છે.

કોલકાતા પોલીસને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી છે.

ભારત-પાકિસ્તાન સરહદે BSFના જવાનોએ કરી પ્રકાશપર્વની ઉજવણી

અમૃતસર- ભારતીય સેનાના વીર જવાનો દેશની સરહદોની સુરક્ષા માટે હમેશાં તૈયાર રહે છે. તેમના બધા તહેવારો પણ સરહદે જ ઉજવાય છે. આ વર્ષે ભારતીય સેનાના જવાનોએ પંજાબ સરહદે સીમા સુરક્ષાની ફરજ બજાવવાની સાથે પ્રકાશપર્વ દિવાળી પણ અહીં જ મનાવવાનું નક્કી કર્યું છે.

પંજાબ સાથે જોડાયેલી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર BSFના જવાનોએ દિપ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરી અને આતિશબાજી પણ કરી હતી. પીએમ મોદી પણ સેનાના જવાનોનું મનોબળ વધારવા તેમની સાથે દિવાળી ઉજવશે તેમ જાણવા મળી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો પીએમ મોદી આ વર્ષે ભારત-ચીન સરહદ પર સેનાના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરશે.

સરહદ પર સેનાના જવાનો સાથે ન તો પરિવાર હોય છે, ના અન્ય કોઈ સંબંધી. જવાનો સાથે હોય છે તો ફક્ત દેશની રક્ષા કરવાનો ઉત્સાહ અને જોશ. પરંતુ આ બધી વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ જવાનો દેશવાસીઓની શુભકામનાની સાથે દિવાળી ઉજવે છે. તેમનું એક જ લક્ષ્ય હોય છે કે, દેશનો નાગરિક તેમનું જીવન શાંતિથી પસાર કરી શકે અને તહેવાર ઉજવી શકે.

આપને જણાવી દઈએ કે, ભારતીય સેનાના જવાનો પાકિસ્તાન તરફથી કરવામાં આવતા યુદ્ધવિરામના ઉલ્લંઘનનો સતત જવાબ આપતા રહે છે અને પોતાના જીવની પણ પરવા કરતા નથી. તેમના આ બલિદાનને કારણે જ આપણે શાંતિથી દરેક તહેવાર ઉજવી શકીએ છીએ.

GST સમસ્યાઓ ઉકેલના આરે, અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત

નવી દિલ્હીઃ જીએસટી દ્વારા શરૂઆતમાં પડેલી તકલીફો ધીમે ધીમે ઓછી થઈ રહી છે. મોંઘવારી નિયંત્રણમાં છે અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વૃદ્ધિ સકારાત્મક છે. સૌથી મહત્વની વાત એ છે કે અર્થવ્યવસ્થા પણ પ્રગતિ અને મજબૂતાઈની દિશામાં છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 3.1 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે જ્યારે પહેલા બે મહિનામાં આ વૃદ્ધિ-0.5 ટકા અને -0.3 ટકા હતી. તો આ સાથે જ જીએસટી લાગુ થયા બાદ શરૂઆતના સમયમાં જે પરિસ્થિતિઓને સામનો કરવો પડ્યો તે હવે શમી ગઈ છે.

તો આ સિવાય ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ઉત્પાદનનો દર વધીને 4.3 ટકા થઈ ગયો છે જે છેલ્લાં કેટલાક મહિનાઓની તુલનામાં સારો છે. આઈઆઈપીમાં આ વૃદ્ધિ મુખ્યત્વે ખનન અને વીજળી ક્ષેત્રમાં જોરદાર વૃદ્ધિ અને કેપિટલ ગુડ્સના ઉત્પાદનની વૃદ્ધિના કારણે આવી છે. વિકાસદરમાં જે ઘટાડો નોંધાયો તેનું મુખ્ય કારણ નોટબંધીની અસર અને જીએસટીની તૈયારીઓને લઈને ઔદ્યોગિક ગતિવિધિઓમાં જે ઢીલાશ આવી તે હતું. તો વિકાસ દર ઘટ્યાં બાદ પણ રીઝર્વ બેંકે હમણાં જ પોતાની આર્થિક નીતિની સમીક્ષા કરતા સમયે રેપો રેટને છ ટકા પર જ યથાવત રાખ્યો છે.

તો ભારતને મળી શકે છે UNનું કાયમી સભ્યપદ: અમેરિકા

વોશિંગ્ટન- સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી સભ્યપદને લઈને અમેરિકાએ મહત્વનું નિવેદન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિક્કી હેલીએ જણાવ્યું કે, પરિષદના વર્તમાન માળખામાં જો બદલાવ કરવામાં આવે તો ભારતના કાયમી સભ્યપદનો રસ્તો સરળ થઈ શકે છે. પરંતુ રશિયા અને ચીન ભારતની સ્થાયી સદસ્યતાના માર્ગમાં અવરોધ બનીને ઉભા છે.

નિક્કી હેલીએ જણાવ્યું કે, કાયમી સભ્યપદ મેળવવા માટે જરુરી છે કે, વીટોનો ઉપયોગ કરવામાં ન આવે. વધુમાં હેલીએ કહ્યું કે, ચીન અને રશિયા સુરક્ષા પરિષદના વર્તમાન માળખામાં બદલાવ કરવાની વિરુદ્ધમાં છે.

અમેરિકા અને ભારત મૈત્રી પરિષદ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં નિક્કી હેલીએ જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બદલાવ વીટો ઉપર નિર્ભર કરે છે. સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સદસ્યોમાં વીટોની ક્ષમતા છે. જેમાં રશિયા, ચીન, બ્રિટન, અમેરિકા અને ફ્રાંસનો સમાવેશ થાય છે.

અમેરિકા સુધારા કરવા તૈયાર

નિક્કી હેલીને જ્યારે આ સંબંધમાં અમેરિકાના વલણ અંગે પુછવામાં આવ્યું ત્યારે તેમણે સકારાત્મક જવાબ આપ્યો હતો. હેલીએ કહ્યું કે, અમેરિકા સુરક્ષા પરિષદમાં સુધારા કરવા તૈયાર છે. અને હમેશા આ મુદ્દે પ્રયાસ કરશે.

‘સીક્રેટ સુપરસ્ટાર’નો સ્પેશિયલ શો…

અભિનેતા અને નિર્માતા આમિર ખાને પોતાની નવી હિન્દી ફિલ્મ ‘સીક્રેટ સુપરસ્ટાર’ના સ્પેશિયલ શોનું મુંબઈમાં ૧૭ ઓક્ટોબર, મંગળવારે આયોજન કર્યું હતું. એમાં અનિલ કપૂર, સચીન અને એમના પત્ની અંજલિ તેંડુલકર, શબાના આઝમી અને જાવેદ અખ્તર, ફિલ્મની અભિનેત્રી ઝાયરા વાસીમ તથા અન્ય અભિનેત્રીઓ અને હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. ફિલ્મ ૧૯ ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

અનિલ કપૂર, આમિર ખાન

સાન્યા મલ્હોત્રા

સચીન તેંડુલકર

અંજલિ તેંડુલકર

શબાના આઝમી, જાવેદ અખ્તર

આમિર ખાન એના માતા ઝીનત હસૈન સાથે

અભિનેત્રી ફાતિમા સના શેખ

નિર્માતા ભૂષણકુમાર

આમિરના નિર્માત્રી પત્ની કિરણ રાવ

ઝાયરા વાસીમ

મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયત ચૂંટણીનો બીજો તબક્કોઃ ભાજપે ૧,૩૧૧ બેઠક જીતી

મુંબઈ – મહારાષ્ટ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના બીજા તબક્કામાં શાસક ભારતીય જનતા પાર્ટીએ જોરદાર દેખાવ કર્યો છે. એણે કુલ ૧,૩૧૧ બેઠકો કબજે કરી છે જ્યારે કોંગ્રેસે ૩૧૨, શિવસેનાએ ૨૯૫, NCPએ ૨૯૭ તથા અન્ય પક્ષો, અપક્ષ ઉમેદવારોએ ૪૫૩ બેઠકો પર જીત મેળવી છે.

આમ, ભાજપને મહારાષ્ટ્રના ગ્રામિણ વિસ્તારોમાં પણ સારો એવો ટેકો મળ્યો છે.

બીજા તબક્કામાં, રાજ્યના ૧૬ જિલ્લાઓમાં ૩,૬૯૨ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પરિણામ અંગે ખુશી વ્યક્ત કરી છે. એમણે ટ્વિટર પર લખ્યું છેઃ ‘ગ્રામ પંચાયત ચૂંટણીના બીજા તબક્કામાં સરસ પરિણામ. થેંકયૂ મહારાષ્ટ્ર.’

જોકે, ભાજપને એક આંચકો લાગ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દત્તક લીધેલા ગામ ફેત્રીમાં ભાજપના ઉમેદવારનો પરાજય થયો છે. ત્યાં કોંગ્રેસ-NCPના સંયુક્ત મહિલા ઉમેદવારની જીત થઈ છે. ધનશ્રી ડોમને ત્યાં સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યાં છે.

રાજ્યમાં પહેલી જ વાર, એક તૃતિયપંથી ઉમેદવાર ચૂંટણીમાં વિજયી થયો છે. જ્ઞાનદેવ શંકર કાંબળે સોલાપુર જિલ્લાના તારંગફાલ ગામમાં ચૂંટણી જીતીને સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. એણે છ હરીફ ઉમેદવારોને પરાજય આપ્યો છે.

ભાજપે ભંડારા જિલ્લામાં ૧૯૧ અને ગોંદિયામાં ૧૪૭ બેઠકો જીતી છે.

સિંધુદુર્ગ જિલ્લામાં ભાજપે ૭૧ બેઠક જીતી છે તો સાંગલીમાં ૧૩૭ અને અમરાવતીમાં ૧૫૦ બેઠક પર કબજો મેળવ્યો છે.

નાગપુર અને કોલ્હાપુર જિલ્લાઓમાં ભાજપે અનુક્રમે ૧૨૬ અને ૧૧૧ બેઠકો મેળવી છે.

સાતારાના મયાની ગામમાં ભાજપના સચીન મોહનરાવ ગુડગે જીત્યા છે. આ ગામમાં ૬૦ વર્ષમાં પહેલી જ વાર ભાજપના ઉમેદવારની જીત થઈ છે.