Home Blog Page 5610

આગરાનો તાજ મહલ ‘ગદ્દારો’એ બંધાવ્યો હતો? નવો વિવાદ…

આગરાનો તાજ મહલ ગદ્દારોએ બંધાવ્યો હતો એવું કહીને ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના વિધાનસભ્ય સંગીત સોમે વિવાદ સર્જ્યો છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વિવાદ વધુ વકરે નહીં અને શાંત થાય એ માટે ૨૬ ઓક્ટોબરે વિશ્વવિખ્યાત સ્મારક તાજ મહલની મુલાકાતે જવાનું નક્કી કર્યું છે.

આગરાનો તાજ મહલ પ્રેમનું પ્રતિક ગણાય છે અને ભારતની શાન કહેવાય છે. એની ગણના દુનિયાભરમાં ટોચના લોકપ્રિય પર્યટન સ્થળોમાં કરવામાં આવે છે. તે છતાં શાસક ભાજપના વિધાનસભ્ય સંગીત સોમે તાજ મહલને ભારતીય સંસ્કૃતિ પર કલંક તરીકે ઓળખાવ્યો છે.

સોમના આ વિધાનનાં આકરાં પ્રત્યાઘાત પડ્યાં છે. અસદુદ્દીન ઓવૈસીએ સવાલ કર્યો છે કે જો એવું હોય તો શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું બંધ કરી દેશે?

સમાજવાદી પાર્ટીના આઝમ ખાને કહ્યું છે કે જો તાજ મહલ ગદ્દારોએ બંધાવ્યો હોય તો રાષ્ટ્રપતિ ભવનને પણ તોડી પાડવું જોઈએ, કારણ કે તે પણ અંગ્રેજોએ બંધાવ્યું હતું અને એ ગુલામીનું પ્રતિક છે.

પોતાની જ પાર્ટીના વિધાનસભ્ય સોમના આ વિધાનને કારણે CM યોગી આદિત્યનાથની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. એમણે કહ્યું છે કે તાજ મહલ પર્યટનની દ્રષ્ટિએ મહત્વનો છે અને એના રક્ષણ તથા જાળવણી માટે એમની સરકાર ગંભીર છે. તાજ મહલ કોણે અને શા માટે બંધાવ્યો હતો એ મહત્વનું નથી, મહત્વનું એ છે કે એનું બાંધકામ ભારતીય મજૂરોએ પરસેવો પાડીને કર્યું હતું.

૧૭મી સદીનું આ સ્મારક જોવા માટે દરરોજ હજારોની સંખ્યામાં દેશ-વિદેશમાંથી પર્યટકો આવે છે.

યોગી આદિત્યનાથ સરકારનું વલણ બદલાયું

વાસ્તવમાં, યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં સરકારના વડા બન્યા બાદ તાજ મહલ પ્રત્યે એમનું વલણ બદલી નાખ્યું છે.

૨૦૧૪માં, આદિત્યનાથે એવો દાવો કરીને વિવાદ જગાવ્યો હતો કે તાજ મહલ તો ભગવાન શંકરના એક મંદિરની જગ્યાએ બાંધવામાં આવ્યો હતો. તાજ મહલને ભારતની સંસ્કૃતિ કે વારસાગત સ્થળો સાથે કશું લાગતુંવળગતું નથી.

ગયા જુલાઈમાં, ઉત્તર પ્રદેશ સરકારે તેના સાંસ્કૃતિક વારસાના સ્થળોની જાળવણી અને રક્ષણ માટેના બજેટમાં તાજ મહલને બાકાત રાખ્યા બાદ શિક્ષણશાસ્ત્રીઓએ ઉહાપોહ મચાવ્યો હતો.

ત્યારબાદ ગયા સપ્ટેંબરમાં, ઉત્તર પ્રદેશના 32-પાનાનાં ચમકદાર ટૂરિઝમ બ્રોશરમાં પણ તાજ મહલનો ઉલ્લેખ કરાયો નહોતો, પણ ગોરખનાથ મંદિર માટે એક પાના સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યોગી આદિત્યનાથ ગોરખનાથ મંદિરના વડા પૂજારી છે.

શું છે સંગીત સોમની કમેન્ટ્સ?

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના સરધાના નગરના વિધાનસભ્ય સંગીત સોમે એમ કહ્યું છે કે મુગલ બાદશાહ શાહજહાંએ એના પિતાને કેદમાં પૂર્યા હતા. શાહજહાં હિન્દુઓનું નિકંદન કાઢવા માગતો હતો. જો આવા લોકો આપણા ઈતિહાસનો હિસ્સો હોય તો પછી આપણે ઈતિહાસને બદલી નાખવો જોઈએ. જેણે તાજ મહલ બંધાવ્યો હતો એ વ્યક્તિએ ઉત્તર પ્રદેશ અને હિન્દુસ્તાનમાં ઘણા હિન્દુઓને ટાર્ગેટ બનાવ્યા હતા તો એને તમે ઈતિહાસ કહેશો? એ બાબર હોય, અકબર હોય કે ઔરંગઝેબ હોય… સરકાર એમને ઈતિહાસમાંથી દૂર કરવા કામ કરી રહી છે. હું તાજ મહલનો વિરોધી નથી. એ તો સુંદર સાંસ્કૃતિક વારસો છે. મારો વિરોધ મુગલ લોકો સામેનો છે જેમણે એ બંધાવ્યો હતો.

httpss://www.youtube.com/watch?v=p65k-QKyn20

યોગીએ તાજ મહલના બચાવમાં શું કહ્યું?

યોગીનું કહેવું છે કે મારી સરકાર સંગીત સોમના વિધાન સાથે સહમત નથી. એ એમના વ્યક્તિગત છે. તાજ મહલ તો આપણા માટે ખૂબ જ અગત્યનો છે, ખાસ કરીને ટૂરિઝમની દ્રષ્ટિએ. ત્યાં પર્યટકોને સુવિધા અને સુરક્ષા પૂરી પાડવી એ સરકારની પ્રાથમિકતા છે.

રાજ્યનાં ટૂરિઝમ પ્રધાન રીટા બહુગુણા-જોશીએ કહ્યું છે કે, તાજ મહલ માટે અમને ગર્વ છે. એના વિશે કોઈ પ્રકારની ગૂંચવણ હોવી ન જોઈએ. સંગીત સોમની કમેન્ટ્સ એમની અંગત છે અને એને સરકારના વલણ તરીકે ગણવી ન જોઈએ.

તાજ મહલ વિશેનું ઐતિહાસિક સત્યઃ

શાહજહાં મુગલ બાદશાહ જહાંગીરના પુત્ર અને સમ્રાટ અકબર પૌત્ર હતા. એમણે 1592ની 15 જાન્યુઆરીએ લાહોરમાં રાજપૂત પ્રિન્સેસ જગત ગોસૈન (જોધા બાઈ તરીકે પણ જાણીતાં છે) એમની કૂખે જન્મ લીધો હતો. જોધા બાઈના પિતા મારવાડના ઉદયસિંહ રાઠોર હતા. બાળકના જન્મના છઠ્ઠા દિવસે અકબરે એનું નામ ખુર્રમ (આનંદી) રાખ્યું હતું અને એને અકબરના નિઃસંતાન પત્ની રુકૈયા બેગમને સોંપ્યો હતો. આમ, રુકૈયા બેગમ ખુર્રમના પાલક માતા બન્યા હતા. એ વખતે ખુર્રમની ઉંમર ચાર વર્ષ, ચાર મહિના, ચાર દિવસ હતી.

શાહજહાંએ મુમતાઝ મહલ સાથે ક્યારે લગ્ન કર્યા હતા?

1607માં. શાહજહાં જ્યારે 16 વર્ષના હતા ત્યારે એમણે અર્જુમંદ બાનુ બેગમ ઉર્ફે મુમતાઝ મહલ સાથે લગ્ન કર્યા હતા. મુમતાઝ મૂળ પર્શિયન (ઈરાની) હતા. મુમતાઝ મહલ શાહજહાંના એકમાત્ર પત્ની નહોતા. શાહજહાંને બીજી બે પત્ની પણ હતી. પરંતુ એમના બાળકો જીવી શક્યા નહોતા. માત્ર મુમતાઝે જ શાહજહાંના વારસદારને જન્મ આપ્યો હતો. શાહી દંપતીના કુલ સાત સંતાનો થયા હતા. એમાં ચાર પુત્ર અને ત્રણ પુત્રી હતી. એમના નામ હતા – જહાંઆરા બેગમ, દારા શિકોહ, શાહ શુજા, રોશનઆરા બેગમ, ઔરંગઝેબ, મુરાદ બક્શ અને ગોહર બેગમ.

1628ની 6 ફેબ્રુઆરીએ શાહજહાં બાદશાહ બન્યા હતા અને 1658ની સાલ સુધી રાજ કર્યું હતું. એમના રાજ્યાભિષેક વખતે સોના અને ચાંદીની લ્હાણી કરવામાં આવી હતી. મુમતાઝ મહલને બે લાખ અશરફીઓ ભેટમાં આપવામાં આવી હતી.

શાહજહાંએ એમના પિતા જહાંગીર સામે યુદ્ધ કર્યું હતું અને એમને હરાવી એમને કેદ કર્યા હતા. બાદમાં એમને છોડી પણ મૂક્યા હતા. જહાંગીરના અવસાન બાદ એમના પત્ની નૂરજહાંએ બાદશાહપદ શાહજહાંને નહીં, પણ જહાંગીરના અન્ય પુત્ર શહરયારને સોંપ્યું હતું.

શાહજહાંએ શહરયાર સાથે યુદ્ધ કર્યું હતું અને એને મારી નાખ્યો હતો. એણે એમના બીજા ભાઈઓ – દાવર બક્ષ અને ગર્શાપને પણ મારી નાખ્યા હતા.

1657માં શાહજહાં બીમાર પડ્યા હતા અને ત્યારબાદ એમના મોટા પુત્ર દારા સિકોહને એમના અનુગામી ઘોષિત કર્યા હતા. એની સામે શાહજહાંના અન્ય પુત્રોએ વાંધો ઉઠાવ્યો હતો અને યુદ્ધ થયું હતું. શાહજહાં એને રોકી શક્યા નહોતા.

એ યુદ્ધને અંતે ઔરંગઝેબ વિજયી થયો હતો અને એના ભાઈઓ માર્યા ગયા હતા. બાદશાહ બન્યા બાદ ઔરંગઝેબે શાહજહાંને નજરકેદમાં રાખ્યા હતા અને 1666માં શાહજહાંનું મૃત્યુ થયું ત્યાં સુધી એ નજરકેદમાં હતા.

મુમતાઝ મહલનું મૃત્યુ ક્યારે થયું હતું?

1631ની 17 જૂને મુમતાઝ મહલનું મૃત્યુ થયું હતું. 14મા સંતાન ગોહર બેગમને જન્મ આપ્યા બાદ એનું મૃત્યુ થયું હતું.

પત્નીના મૃત્યુથી શાહજહાં બહુ દુઃખી થયા હતા અને એક અઠવાડિયા સુધી જાહેરમાં દેખાવાનું બંધ કરી દીધું હતું.

શું મુમતાઝ મહલને આગરામાં હાલ જ્યાં તાજ મહલ છે ત્યાં દફનાવવામાં આવ્યા હતા?

ના. મુમતાઝ મહલને બુરહાનપુરમાં તાપ્તી નદીના કિનારે દફનાવવામાં આવ્યા હતા. એના છ મહિના બાદ, 1632ની 8 જાન્યુઆરીએ એમના મૃતદેહને ફરી કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તાજ મહેલ જ્યાં બાંધવામાં આવ્યો હતો એ યમુના નદીના કિનારે ફરી દફનવિધિ કરાઈ હતી.

શરૂઆતમાં શાહજહાંએ મુમતાઝની કબરના સ્મારકને રૌઝા-ઈ-મુનવ્વરા નામ આપ્યું હતું. બાદમાં એ મુમતાઝ મહલ તરીકે અને ત્યારબાદ તાજ મહલ તરીકે ઓળખાવા લાગ્યું હતું.

શાહજહાંએ તાજ મહલ ઉપરાંત દિલ્હીમાં જામા મસ્જિદ, લાલ કિલ્લો, આગરામાં પર્લ મસ્જિદ, સિંધમાં ટટ્ટા મસ્જિદ, લાહોરમાં શાલીમાર બાગ પણ બંધાવ્યા હતા.

તાજ મહલના બાંધકામમાં મુખ્યત્વે 37 નિષ્ણાત વ્યક્તિઓ હતી. 1631થી 1654 સુધી દિવસ-રાત મહેનત કરીને 20 હજાર જેટલા મજૂરોએ તાજ મહલ બાંધ્યો હતો.

તાજના આર્કિટેક્ટ હતા ઉસ્તાદ ઈસા – જે તુર્કસ્તાનના હતા. એ કાં તો કોન્સ્ટન્ટિનોપલ (આજના ઈસ્તંબુલ) અથવા પર્શિયા (ઈરાન)ના શિરાઝના હતા. કેટલાક જણનું કહેવું છે કે તાજ મહલના મૂળ આર્કિટેક્ટ ઈરાની હતા અને એનું નામ એહમદ હતું, પણ એનો કોઈની પાસે પુરાવો નથી. આમ, તાજ મહેલની ડિઝાઈન તૈયાર કરનારાઓ વિદેશી હતા એવું સંગીત સોમનું કહેવું સાચું છે. એક ડિઝાઈનર ઈસ્માઈલ અફાન્દી હતા, જે પણ તૂર્કસ્તાનના હતા. એમણે તાજ મહલના ગૂંબજ બનાવ્યા હતા.

તાજ મહલના બાંધકામના ખર્ચ તથા દૈનિક દેખરેખનું કામ શાહજહાંએ અબ્દુલ કરી અને મુકરીમત ખાનને સોંપ્યું હતું જેઓ પર્શિયા (ઈરાન)ના શિરાઝના હતા.

તાજના ઈન્ટિરીયર ડોમની નીચે કુરાનની પંક્તિઓ નજીક જેમનું નામ લખવામાં આવ્યું છે તે માસ્ટર કેલિગ્રાફર અમાનત ખાન પણ શિરાઝના વતની હતા. એ લાઈનમાં આવું વંચાય છે – અમાનત ખાન શિરાઝી.

તાજ મહલની ડિઝાઈનમાં કોઈ હિન્દુઓ સામેલ હતા કે નહીં?

હા. દિલ્હીના રહેવાસી ચિરંજીલાલ હીરા કાપવામાં નિષ્ણાત હતા. તેઓ તાજના ચીફ મોઝેસિસ્ટ હતા. એમણે જ તાજ સ્મારક માટે મોઝેકની ડિઝાઈન તૈયાર કરી હતી.

શું શાહજહાં હિન્દુઓ પ્રત્યે ક્રૂર હતા?

શાહજહાંએ હિન્દુઓ પર જજિયા વેરો નાખ્યો નહોતો. એ પ્રથા એમના દાદા અકબરે નાબૂદ કરી હતી. તે છતાં શાહજહાં કટ્ટર સુન્ની મુસ્લિમ હતા અને હિન્દુઓ પ્રત્યે કઠોર જરૂર હતા એવું ઈતિહાસવિદ્દો કહે છે.

શું શાહજહાંએ હિન્દુ મંદિરો તોડાવ્યા હતા?

અબ્રાહમ ઈરાલીના પુસ્તક – એમ્પેરર્સ ઓફ ધ પીકોક થ્રોનમાં જણાવ્યા મુજબ, બનારસમાં 76 મંદિરો અને ઘણા બધા ચર્ચનો નાશ કરવામાં આવ્યો હતો. શાહજહાંએ મુસ્લિમો પર એમનો ધર્મ બદલવાનો પ્રતિબંધ મૂક્યો હતો, પણ અન્ય ધર્મીઓનું ઈસ્લામમાં ધર્માંતર કરાવવા માટે પ્રોત્સાહન આપતા હતા. શાહજહાંના સમયમાં પાદશાહનામા લખનાર અબ્દુલ હમીદ લાહોરીએ લખ્યું હતું કે, શાહજહાંએ હૂકમ બહાર પાડ્યો હતો કે જો કોઈ હિન્દુ પુરુષને મુસ્લિમ પત્ની હોય તો એ તો જ એને રાખી શકશે જો એ પુરુષ મુસ્લિમ બને. નહીં તો એને દંડ ફટકારવામાં આવશે અને એની પત્નીને એનાથી અલગ કરી દેવામાં આવશે.

શાહજહાં એમના શાસનના અંતિમ વર્ષોમાં સ્વભાવે નરમ પડ્યા હતા.

ભારતના ગવર્નર જનરલ બનેલા લોર્ડ વિલિયમ બેન્ટિકે તાજ મહલને તોડી નાખવાનું નક્કી કર્યું હતું અને એનો માર્બલ દૂર પણ કરાવ્યો હતો.

શેરબજારમાં ધનતેરસઃ નિફટી ઑલ ટાઈમ હાઈ બંધ

અમદાવાદ– ધનતેરસના શુભ દિવસે શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સમાચાર પાછળ સવારે ભરાતીય શેરો અને ઈન્ડેક્સ પ્લસ ખુલ્યા હતા, ત્યાર બાદ નવી લેવાલી વચ્ચે ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 32,699.86 અને નિફટીએ 10,251.85 લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી. જો કે ત્યાર પછી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 24.48(0.08 ટકા) ઘટી 32,609.16 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 3.60(0.04 ટકા) સુધરી 10,234.45 ઑલ ટાઈમ હાઈ બંધ રહ્યો હતો.

નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે તંગદિલી વધી છે. નોર્થ કોરિયાએ ફરીથી ધમકી આપી છે અને કહ્યું છે કે અમેરિકાના સપોર્ટમાં જે દેશ છે, તેના પર પરમાણુ હૂમલા કરીશું. જે સમાચારને પગલે આજે શેરબજારમાં સાવચેતીનું વાતાવરણ જોવા મળ્યું હતું. એફઆઈઆઈ તો નેટ સેલર હતી. પણ તેજીવાળા ઓપરેટરોએ દરેક ઉછાળે વેચવાલી કાઢી હતી. જેથી માર્કેટ વધ્યા મથાળેથી પાછુ પડયું હતું.બીએસઈ ઓઈલ એન્ડ ગેસ સેકટરના ઈન્ડેક્સે નવો રેકોર્ડ બનાવ્યો હતો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ, પેટ્રોનેટ એલએનજી, ભારત પેટ્રોલિયમ, કેસ્ટ્રોલ ઈન્ડિયા, ઈન્ડિયન ઓઈલમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી

  • નિફટી -50માં 25 સ્ટોકના ભાવ ઘટ્યા હતા, અને 24 સ્ટોકમાં તેજી થઈ હતી જ્યારે એક સ્ટોક ફેરફાર વગર બંધ રહ્યો હતો.
  • બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને આઈટી સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 64.27 પ્લસ બંધ થયો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 89.98 પ્લસ બંધ થયો હતો.

આગામી મહિનાથી AC રેસ્ટોરન્ટમાં જમવાનું થઈ શકે છે સસ્તું

નવી દિલ્હી– એસી રેસ્ટોરન્ટમાં જમવાનું સસ્તુ થઈ શકે છે. સૂત્રો દ્વારા જાણકારી મળ્યા મુજબ કેન્દ્ર સરકાર એસી રેસ્ટોરન્ટમાં ખાવા પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરશે. જે પછી નોન-એસી અને એસી રેસ્ટોરન્ટની વચ્ચે ટેક્સનું અંતર સમાપ્ત થઈ જશે.રવિવારે પ્રધાનોના સમૂહની બેઠકમાં જીએસટી ઘટાડવા પર સર્વસંમતિ થઈ ગઈ છે. સૂત્રોના કહેવા પ્રમાણે મોટાભાગના રાજ્યો એસી રેસ્ટોરન્ટમાં જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવાના પક્ષમાં હતા. જેથી હવે પછી નવેમ્બરમાં મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાય તેવી સંભાવના છે. હા… ફાઈવ સ્ટાર હોટલ અથવા તો ઊંચી કેટેગરીની હોટલમાં જીએસટી રેટ 18 ટકા યથાવત રખાશે.

તાજેતરમાં જ નાણાં સચીવ હસમુખ અઢિયાએ કહ્યું હતું કે જીએસટીનો સૌથી ઊંચો દર 28 ટકા છે, જેમાં આવતી ચીજવસ્તુઓની સંખ્યામાં ઘટાડો કરાશે. એટલે કે દરોમાં ઘટાડો થશે. પણ તે પહેલા આવક પર કેટલી અસર પડે છે, તેનો અભ્યાસ કરાશે.

 

તમારી ખરીદી કોઈને આપે ઉત્સવનો આનંદ, ફેલાય ઉત્સવનું અજવાળું

અમદાવાદઃ તહેવારોમાં ઉત્સવોમાં તમે ખરીદી કરો અને વેચાણ કરનારાના ચહેરા પર ખુશી આવી જાય..તમારો ઉત્સવ ઉજવાય એના ઘરનો ચૂલો સળગે અને એના ઘરમાં પણ તહેવાર મનાવાય..આવા મેસેજ હમણાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરે છે.

એક વાત તો સનાતન સત્ય છે કે આપણે લોકો ફીક્સ રેટ વાળા શો રૂમ કે મોલમાંથી વસ્તુઓની ખરીદી કરીએ છીએ અને ત્યાં મોઢે માંગ્યા પૈસા પણ આપીએ છીએ. પરંતુ રોડ પર એક નાનકડી લારી લઈને અથવા તો ટોપલી લઈને ઉભેલા ગરીબ બાળક અથવા તો ગરીબ વ્યક્તિ પાસે જ્યારે રંગોળીના રંગ, દિવા કે મીણબત્તિ જેવી વસ્તુઓ લેવા જઈએ ત્યારે તેમાં ભાવતાલ કરાવીએ છીએ. હકીકત એ છે કે આપણે એક ગરીબ પાસેથી ખરીદી નથી કરતા પરંતુ આપણે તેના ઘરને દીવાળીમાં ઝગમગતુ કરાવાનું ઈજન આપતા હોઈએ છીએ. આપણી એક સામાન્ય ખરીદી તેના જીવનના ઉત્સાહ અને આનંદમાં વધારો કરતી હોય છે અને તે વ્યક્તિના બાળકોના ચહેરા પર સુંદર સ્મિત લઈ આવતી હોય છે.

દિવાળીના હાલના ઉત્સવમાં અંધજન મંડળ, વસ્ત્રાપુર ખાતે પણ એક અનોખુ દ્રશ્ય જોવા મળ્યું બહાર મુકાયેલા એક કાઉન્ટર જોવા મળ્યું દિવ્યાંગ મહિલા મંડળ દ્વારા બનાવેલા  કોડિયા, મીણબત્તી, પાપડ, મુખવાસ જેવી અનેક ચીજવસ્તુઓનું વેચાણ થઇ રહ્યું છે.

132 ફૂટ રીંગ રોડ પર થી પસાર થતા લોકો આ દિવ્યાંગ મહિલાઓની બનાવેલી ચીજ વસ્તુઓ ખરીદી પોતે સમાજ પ્રત્યેની કંઇક ફરજ અદા કરી હોય એવો અહેસાસ થાય છે. જ્યારે આ મહિલાઓના ચહેરા પર આનંદ અને પ્રસન્નતા છવાઇ જાય છે.

(અહેવાલ અને તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)

‘પનામા પેપર્સ’ લીક કરનાર મહિલા પત્રકાર ડેફની ગેલીઝીયાનું કાર બોમ્બ હુમલામાં નિધન

વેલેટા (માલ્ટા) – યુરોપના ટાપુરાષ્ટ્ર માલ્ટાના જાણીતાં ઈન્વેસ્ટિગેટિવ મહિલા પત્રકાર-બ્લોગ લેખિકા ડેફની કરુઆના ગેલીઝીયાનું બિડનીઆ શહેરમાં એમનાં નિવાસસ્થાન નજીક થયેલા એક કાર બોમ્બ વિસ્ફોટમાં નિધન થયું છે. ગેલીઝીયા ‘પનામા પેપર્સ’ દસ્તાવેજોને લીક કરીને એમનાં દેશની સરકારનાં ભ્રષ્ટાચારનો નીડરતાપૂર્વક પર્દાફાશ કરતા હતાં.

૫૩ વર્ષીય ડેફની એમનાં ઘેરથી રવાના થયા બાદ તરત જ તેઓ જેને ડ્રાઈવ કરતાં હતાં એ ભાડાંની કારમાં શક્તિશાળી બોમ્બ ધડાકો થયો હતો અને કારનાં ફૂરચાં ઊડી ગયાં હતાં.

ડેફનીની તપાસ ભ્રષ્ટાચાર પર કેન્દ્રિત રહેતી હતી. એ ‘વન-વુમન-વિકિલીક્સ’ તરીકે ઓળખાતાં હતાં. ડેફનીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બે અઠવાડિયા પહેલાં એમણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી કે એમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.

મધ્ય અમેરિકાના પનામા દેશની કાયદા નિષ્ણાત અને કોર્પોરેટ સર્વિસ પ્રોવાઈડર કંપની મોઝેક-ફોન્સેકાએ વિવિધ દેશોનાં એટર્ની અને એમનાં ક્લાયન્ટ્સ વચ્ચેની નાણાકીય માહિતીને લગતા લાખો દસ્તાવેજો તૈયાર કર્યા છે. અમુક દસ્તાવેજો તો ૧૯૭૦ના દાયકા જેટલા જૂના છે. આ દસ્તાવેજો ૨૦૧૫ની સાલમાં કોઈક અજ્ઞાત સ્રોત દ્વારા લીક થતાં એ ‘પનામા પેપર્સ’ તરીકે જાણીતા થયા છે. અનેક કંપનીઓ, ધનવાન વ્યક્તિઓ, નેતાઓ કે સરકારી અમલદારોએ ખાનગી રાખેલી અંગત નાણાકીય માહિતી આ દસ્તાવેજોમાં હોય છે.

ડેફનીએ એમનાં બ્લોગમાં માલ્ટાની રાજકીય નેતાગીરીનાં પનામા પેપર્સ સાથેનાં જોડાણ વિશે માહિતી આપી હતી. એમનો છેલ્લો લેખ એમનાં મૃત્યુનાં એક કલાકથી પણ ઓછા સમય પહેલાં પ્રગટ થયો હતો જેમાં એમણે દેશના લશ્કરી વડાએ વડાપ્રધાન પર કરેલા કેસની વિગત આપી હતી. એમાં વડાપ્રધાન પર એવો આરોપ મૂકાયો હતો કે એમણે મધ્ય અમેરિકામાં એક ગુપ્ત કંપની બનાવી હતી.

ડેફની છેક ૧૯૮૦ના દાયકાથી માલ્ટાનાં અખબારો માટે કટાર લખતા હતાં. જોકે એમણે ૨૦૦૮ની સાલથી શરૂ કરેલા પોલિટીકલ બ્લોગની સૌથી વધારે પ્રશંસા થઈ છે.

દીપિકાનાં હસ્તે હેમા માલિનીનાં જીવનપરિચય પુસ્તકનું વિમોચન

મુંબઈ – હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીનાં સંસદસભ્ય હેમા માલિનીનાં જીવન પર આધારિત લખાયેલા અંગ્રેજી પુસ્તક ‘બીયોન્ડ ધ ડ્રીમ ગર્લ’નું બોલીવૂડની વર્તમાન ટોચની હિરોઈનોમાંની એક, દીપિકા પદુકોણનાં હસ્તે વિમોચન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ ગઈકાલે સોમવારે સાંજે અહીં યોજવામાં આવ્યો હતો. સોમવારે હેમા માલિનીનો ૬૯મો જન્મદિવસ હતો.

આ પુસ્તક રામ કમલ મુખરજી દ્વારા લખવામાં આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમાં પ્રસ્તાવના લખી છે.

પુસ્તક વિમોચન પ્રસંગે હેમા માલિનીની બંને પુત્રી – એશા અને આહના, એશાનાં પતિ ભરત તખ્તાની ઉપસ્થિત રહ્યાં હતાં. તે છતાં હેમાનાં પતિ ધર્મેન્દ્ર ગેરહાજર હતા.

૩૧ વર્ષીય દીપિકા ફેશન ડિઝાઈનર સબ્યાસાચી દ્વારા ડિઝાઈન કરાયેલી લાલ રંગની બનારસી સાડી પહેરી હતી અને ગોલ્ડ નેકલેસ તથા ઈયરિંગ્સમાં એ સુંદર દેખાતી હતી. હેમા બ્લુ રંગની સાડીમાં સજ્જ હતાં.

આહના દેઓલ-વોરા, દીપિકા, હેમા, એશા તખ્તાની

એશા દેઓલ-તખ્તાની ગર્ભવતી છે. આહના વૈભવ વોરાને પરણી છે અને એમને એક પુત્ર છે.

અભિનેત્રી મધુ, જે હેમા માલિનીનાં પિતરાઈ બહેન છે, તેઓ પણ આ પ્રસંગે હાજર હતાં.

હેમા માલિનીએ ૧૯૬૮માં રાજ કપૂર અભિનીત ‘સપનો કા સૌદાગર’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એમની અભિનય કારકિર્દીનો આરંભ કર્યો હતો. ત્યારબાદ એમણે સીતા ઔર ગીતા, શોલે, ડ્રીમ ગર્લ, સત્તે પે સત્તા જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ કરી હતી. બેહદ સુંદરતાને માટે હેમા માલિની ‘ડ્રીમ ગર્લ’ ઉપનામથી પ્રચલિત થયાં છે.

હેમા માલિની ભારતનાટ્યમ નૃત્યમાં પણ પારંગત છે. હાલ તેઓ મથુરાનાં સંસદસભ્ય છે.

‘બીયોન્ડ ધ ડ્રિમ ગર્લ’ પુસ્તકમાં વાચકો હેમા માલિનીનાં જીવનને ઊંડાણપૂર્વક જાણી શકશે. ૨૩-પ્રકરણો ધરાવતા પુસ્તકમાં એમનાં બાળપણ, કિશોરાવસ્થા, ફિલ્મ કારકિર્દી, રોમાન્સ, સહયોગીઓ, લગ્ન, દિગ્દર્શન, નૃત્ય કળા, રાજકીય સફર તથા આધ્યાત્મિક જીવન પ્રતિ આકર્ષણ જેવી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે.

બે પ્રકરણ હેમાની પુત્રીઓ – એશા અને આહનાને સમર્પિત છે.

એશા દેઓલ તેનાં પતિ ભરત તખ્તાની સાથે

કોઈ પણ સમયે થઈ શકે છે પરમાણુ યુદ્ધ: ઉત્તર કોરિયાની ધમકી

પ્યોંગયાંગ- સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઉત્તર કોરિયાના ઉપ-ઉચ્ચાયુક્તે જણાવ્યું કે, કોરિયાઈ ઉપમહાદ્વીપમાં તણાવની સ્થિતિ હવે ચરમસીમા પર પહોંચી છે જેથી કોઈ પણ સમયે પરમાણુ યુદ્ધ થઈ શકે છે. કિમ ઈન રયોંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની નિશસ્ત્રીકરણ સમિતિને જણાવ્યું કે, ઉત્તર કોરિયા વર્ષ 1970ના દાયકાથી એવો દેશ રહ્યો છે જે અમેરિકા દ્વારા સિધા પરમાણુ હુમલાની રેન્જમાં રહ્યો છે.

કિમે જણાવ્યું કે, ઉત્તર કોરિયાને પોતાના સુરક્ષા અધિકાર અંતર્ગત પરમાણુ હથિયાર રાખવાનો સંપૂર્ણ હક છે. વધુમાં કિમ ઈન રયોંગે અમેરિકા દ્વારા કોરિયાઈ ઉપમહાદ્વીપમાં દર વર્ષે કરવામાં આવતા પરમાણુ શક્તિ પ્રદર્શન ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત રયોંગે કહ્યું કે, અમેરિકા દ્વારા અમારા નેતા કિમ જોંગઉનની હત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જે ઘણો ખતરનાક છે.

કિમે કહ્યું કે, આ વર્ષે ઉત્તર કોરિયાએ પરમાણુ ફોર્સ તૈયાર કરી છે અને હવે અમે સંપૂર્ણ રીતે પરમાણુ શક્તિ સંપન્ન દેશ બની ગયા છીએ, જેની પાસે વિવિધ પ્રકારના પરમાણુ વિસ્ફોટકો છે. જેમાં એટમ બોમ્બ, હાઈડ્રોજન બોમ્બ અને બેલેસ્ટીક મિસાઈલનો પણ સમાવેશ થાય છે. આજે સમગ્ર અમેરિકા અમમારી રેન્જમાં છે. જેથી હવે જો અમેરિકા ઉત્તર કોરિયામાં ઘુસવાનો પ્રયાસ કરશે તો ઉત્તર કોરિયા દ્વારા અમેરિકા સામે કડક સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે.

ઉત્તર કોરાયાના આક્રમક વલણ છતાં અમેરિકાના વિદેશપ્રધાન રેક્સ ટેલરસને જણાવ્યું કે, અમેરિકા હુમલો કરવાની પહેલ નહીં કરે. ઉત્તર કોરિયા દ્વારા જ્યાં સુધા હુમલો કરવામાં નહીં આવે ત્યાં સુધી અમેરિકા રાજકીય સમાધાનના પ્રયાસ ચાલુ રાખશે.

ગોલ્ડ ફ્યુચરમાં ઓપ્શન લોન્ચ

નવી દિલ્હીઃ નાણાપ્રધાન અરૂણ જેટલીએ આજે મંગળવારે નવી દિલ્હીમાં કોમોડિટીના એફ એન્ડ ઓ ટ્રેડિંગમાં ગોલ્ડ ઓપ્શન લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે નાણાપ્રધાન અરૂણ જેટલીએ ગોંગ વગાડીને ગોલ્ડ ફયુચરમાં ઓપ્શનની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના વડા ઇએસી-પીએમ, ડૉ. બિબર ડેબરોય અને નાણા સચિવ અશોક લવાસા સહિતના મહાનુભાવો જોડાયા હતા.

મદદની દીવાળી

અમદાવાદમા ઘણી સંસ્થાઓ માનવતાનો સાદની આહલેક જગાવતી હોય છે અને કારમી મોંઘવારીમાં મધ્યમ-ગરીબ વર્ગના લોકોને દીવાળીની સાચી ઉજવણી કરી શકે તે માટે આવા પરિવારોને પૂરતી મદદ પહોંચાડતી હોય છે. આજે મંગળવારે ધનતેરસના શુભ દિવસે અમદાવાદના મણિનગરના જવાહર ચોક ચાર રસ્તા પર જયહિદ સેવા સમિતિએ ૧૨૫ ગરીબ પરિવારોને બે મહિનાનું કરિયાણું આપીને ઉમદા કાર્ય કર્યું હતું.

UP સરકારની કાર્યવાહી: રદ થઈ શકે 2632 મદરેસાની માન્યતા

લખનઉ- આર્થિક ગોટાળા અટકાવવા અને વહીવટ સુધારવાના ઉદ્દેશ્યથી યુપીમાં યોગી આદિત્યનાથ સરકારે આશરે 2632 મદરેસાઓ વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ નક્કી કરેલી તારીખ સુધીમાં વેબસાઈટ ઉપર પોતાની વિગતો અપલોડ નહીં કરનારા મદરેસાઓની માન્યતા રદ કરવામાં આવી શકે છે.

વિગતો અપલોડ કરવાની અંતિમ તારીખ 15 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. આ પહેલા પ્રદેશ સરકારે 46 મદરેસાઓની સરકારી મદદ પર રોક લગાવી હતી. સાશનની તપાસમાં મદરેસાના આર્થિક વહીવટમાં ગોટાળો સામે આવ્યો હતો.

વહીવટમાં પારદર્શિતા લાવવા પ્રદેશ સરકારે મદરેસા શિક્ષા પરિષદે madarsaboard.upsdc.gov.in વેબસાઈટ લૉન્ચ કરી હતી. જેમાં 15 ઓક્ટોબર સુધીમાં 16461 મદરેસાઓએ માહિતી અપડેટ કરી હતી. નક્કી કરેલા નિયમો મુજબ ફક્ત એ જ મદરેસાઓને સરકારી સહાય આપવામાં આવશે જેમણે પોતાની માહિતી સરકારી વેબસાઈટ પર અપડેટ કરી હોય. આ સંજોગોમાં 2682 મદરેસાઓની માન્યતા રદ થાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

આપને જણાવી દે કે, ઉત્તરપ્રદેશમાં તહાનિયાં, ફૌકાનિયાં, આલિયા અને ઉચ્ચ આલિયા પ્રકારના મળીને કુલ 19143 મદરેસા છે. વેબસાઈટમાં શિક્ષક, ટીચિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓની વિગતો સાથે ઈમારતની ફોટો અને ક્લાસરુમની ડિટેલ પણ પોર્ટલ ઉપર અપડેટ કરવાની હતી. પોર્ટલમાં થઈ રહેલી અસુવિધાને ધ્યાનમાં રાખીને પ્રદેશ સરકારે અંતિમ તારીખ 30 સપ્ટેમ્બરથી વધારી 15 ઓક્ટોબર કરી હતી.

નવા નિયમો પ્રમાણે હવે મદરેસાઓના ટીચિંગ સ્ટાફને સેલેરી ઓનલાઈન માધ્યમથી જ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેની વિગતો વેબસાઈટ પર અપડેટ કરવી જરુરી હતી. જેનું પાલન નહીં કરવાને કારણે 2632 મદરેસાઓ રાજ્ય સરકારની સહાયનો લાભ નહીં મેળવી શકે.