ગાંધીનગર: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) આજે પોતાના કર્મચારીઓ અને તાલીમાર્થીઓએ મેળવેલી પદવીની ઉજવણી કરી રહ્યુ છે. આ વિદ્યાર્થીઓએ ગુજરાત સરકારની કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ડિગ્રી અને ડિપ્લોમા પ્રાપ્ત કર્યા છે.AM/NS Indiaના કર્મચારીઓ અને તાલીમાર્થીઓનો દીક્ષાંત સમારોહ અનેક પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં ઉજવાયો હતો. સમારોહના મુખ્ય અતિથિ તરીકે રાજ્ય સરકારના મંત્રી બલવંતસિંહ હાજર રહ્યા. સમારોહની અધ્યક્ષતા IAS ઓફિસર અને કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટીના અધ્યક્ષ પંકજ જોષીએ કરી હતી.
AM/NS Indiaના એકેડેમી ફોર સ્કિલ ડેવલપમેન્ટ થકી પ્રશિક્ષિત આ વિદ્યાર્થીઓની હાજરી કંપનીના વર્ક ઈન્ટિગ્રેટેડ લર્નિંગ પ્રોગ્રામ્સ (WILPs)ની સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે, જે ઉદ્યોગ માટે કાર્યબળ તૈયાર કરવામાં સહાયરૂપ છે. કુલ 184 AM/NS Indiaના કર્મચારીઓ અને કંપનીની એકેડમી ફોર સ્કીલ ડેવલપમેન્ટમાંથી તાલીમ પ્રાપ્ત કરનારા તાલીમાર્થીઓએ કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટી (KSU) પાસેથી પોતાની પદવી પ્રાપ્ત કરી છે.
બેચલર ડિગ્રી સ્ટીલ ટેકનોલોજીમાં: 107 સ્નાતક
બેચલર ડિગ્રી ગ્રીન અને રિન્યુએબલ એનર્જીમાં: 36 સ્નાતક
આ ત્રણેય કોર્સનો અભ્યાસક્રમ હજીરા, ગુજરાત સ્થિત AM/NS Indiaની એકેડેમી ફોર સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવ્યા છે અને સંચાલન પણ થાય છે, જે શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્ર વચ્ચેના સફળ સહકારનું ઉત્તમ ઉદાહરણ છે.
પંકજ જોષીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “કૌશલ્ય યુનિવર્સિટી જેવા પ્રયત્નો દ્વારા યુવાનોને વધુ રોજગાર યોગ્ય બનાવવાનો અમારો હેતુ છે. અમે AM/NS Indiaને અભિનંદન આપીએ છીએ કે તેમણે ઉદ્યોગોને ધ્યાનમાં રાખી અનોખી તાલીમ પહેલ શરૂ કરી છે, જેના પરિણામે આજે 184 કુશળ કર્મચારીઓ સફળતાપૂર્વક પદવી પ્રાપ્ત કરી શક્યા છે.”
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસને અંતે ભારતે બે વિકેટના નુકસાન પર 318 રન બનાવ્યા છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યશસ્વી જયસ્વાલ, જેમણે પોતાના ટેસ્ટ કરિયરમાં પાંચમી વખત 150 રનનો આંકડો પાર કર્યો છે. દિવસને અંતે તે 173 રન પર નોટઆઉટ હતો. એ સાથે કેપ્ટન શુભમન ગિલ 20 રન બનાવીને ક્રીઝ પર હતો.
અમદાવાદ ટેસ્ટમાં સદી ફટકારનાર કે.એલ. રાહુલ આ વખતે 38 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ યશસ્વી જયસ્વાલ અને સાંઈ સુદર્શને વેસ્ટ ઇન્ડિઝના બોલરોને ખૂબ થકવી દીધા હતા. બંને વચ્ચે 193 રનની ભાગીદારી થઈ હતી. સુદર્શને 87 રન બનાવ્યા, જે અત્યાર સુધીના તેમના પાંચ ટેસ્ટ મેચની કેરિયરમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. ટીમ ઇન્ડિયાએ બીજી વિકેટ 251ના સ્કોરે ગુમાવી હતી.
જયસ્વાલની બેવડી સેન્ચુરીને આરે
યશસ્વી જયસ્વાલ પોતાની ટેસ્ટ કરિયરની 48મી ઇનિંગમાં બેટિંગ કરી રહ્યો છે. તેણે પાંચ વાર કોઈ ઇનિંગમાં 150 રનનો આંકડો પાર કર્યો છે. જો તે બીજા દિવસે ડબલ સદી બનાવી શકશે, તો તે તેના રેડ-બોલ કરિયરની ત્રીજી ડબલ સદી હશે.
પ્રથમ દિવસના ત્રણેય સેશનની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાએ પ્રથમ સેશનમાં માત્ર કે.એલ. રાહુલની વિકેટ ગુમાવી 94 રન બનાવ્યા હતા. બીજા સેશનમાં કોઈ વિકેટ ગુમાવ્યા વગર 126 રન બન્યા હતા. જ્યારે દિવસના અંતિમ સેશનમાં 98 રન બન્યા હતા, પરંતુ ભારતે સાંઈ સુદર્શનની વિકેટ ગુમાવી હતી.
🎥 Play that on loop ➿
Yashasvi Jaiswal with a memorable day for #TeamIndia 😍
પટનાઃ બિહારમાં ચૂંટણીની તારીખો જાહેર થયા પછી રાજકીય ગરમાટો આવ્યો છે. ક્યારેક બેઠકોને લઈને વિવાદ ઊભો થાય છે તો ક્યારેક નવાં ચૂંટણી વચનોની ઘોષણાઓ થાય છે. ગુરુવારે મહાગઠબંધનની તરફથી CMનો ચહેરો ગણાતા RJD નેતા તેજસ્વી યાદવે બિહારમાં ‘દરેક ઘરે સરકારી નોકરી’ આપવાનું વચન કર્યું હતું,, પરંતુ આ જાહેરાત પર મહાગઠબંધન એકજૂટ દેખાતું નથી. કોંગ્રેસના નેતા અને પુરણિયાના સાંસદ પપ્પુ યાદવે કહ્યું હતું કે બિહારમાં સરકારી નોકરીનો મુદ્દો જ નથી.
‘સરકારી નોકરી મુદ્દો નથી’
પટનામાં મિડિયાથી વાત કરતા પપ્પુ યાદવે કહ્યું હતું કે અહીં સરકારી નોકરી મુદ્દો જ નથી. સરકારી નોકરીનો કોઈ મામલો નથી. તેજસ્વી યાદવનું કહેવું એ છે કે રોજગાર આપશે. તેનો સંદર્ભ સરકારી નોકરીથી નથી.
અશોક ગેહલોતે પણ નથી આપ્યો ટેકો
માત્ર પપ્પુ યાદવ જ નહીં, પરંતુ બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના વરિષ્ઠ પ્રભારી અશોક ગેહલોતે પણ તેજસ્વી યાદવના આ વચનનું સમર્થન કર્યું નથી. તેમણે કહ્યું હતું કે થોડી રાહ જુઓ, ઘોષણાપત્ર આવવાનો છે, તેમાં બધું સ્પષ્ટ થઈ જશે. જોકે પત્રકારોએ સીધો સવાલ કર્યો હતો કે મેનિફેસ્ટો પહેલાં તેજસ્વી યાદવ ઘોષણાઓ કરતા જાય છે, તો શું મહાગઠબંધનમાં બધું ઠીક નથી?
એના જવાબમાં અશોક ગેહલોતે કહ્યું હતું કે કેટલીક વસ્તુઓ એવી છે જે આપણે હાંસલ કરવા માગીએ છીએ અને બતાવવા માગીએ છીએ કે સરકાર બન્યા બાદ આ બાબતો અમલમાં મૂકીશું. પરંતુ અંતે જ્યારે મહાગઠબંધનનો ઘોષણાપત્ર આવશે, ત્યારે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
જામનગર: ભારતીય સાહસિક રમત-જગતની એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે, નચિકેતા ગુપ્તા, જે જામનગર સિંચાઈ વિભાગમાં મદદનિશ ઈજનેર (ક્લાસ–૨) તરીકે કાર્યરત છે, પોતાની ટીમ સાથે ઝંસ્કાર,લદાખ ક્ષેત્રમાં એક પર્વતારોહણ અભિયાન દરમિયાન 6,248 મીટર ઊંચાઈના અજાણ્યા શિખર પર સફળતાપૂર્વક આરોહણ કર્યું કે જે શિખર આજ સુધી કોઈએ આરોહણ કર્યું નથી.અનામી પર્વત પર પ્રથમ વખત સર કરનાર ટીમ દ્વારા તેનું નામાંકરણ કરાતુ હોય છે તે પ્રથાને આગળ ધપાવતા આ ટીમે તેને શ્રદ્ધાપૂર્વક “માઉન્ટ તારા” નામ આપ્યું છે, જે હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં શક્તિની દેવીનું પ્રતીક છે. આ નામ આસ્થા, આધ્યાત્મિક શક્તિ અને દિવ્ય ઊર્જાનું પ્રતિબિંબ છે.આ અભિયાન કોઈ પણ બાહ્ય સહાયતા વિના – કોઈ Guide કે Cookની સહાયતા વિના – છ સભ્યોની ટીમ દ્વારા સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે પૂર્ણ થયું. ટીમે સતત 13 દિવસ સુધી હિમવર્ષામાં ૫૫૦૦ મીટરે ટકી રહેવું પડ્યું, અતિશય ઠંડી, ઊભા ખડકાળ ઢાળો, અને શિખર સર કરવાના દિવસે પણ ૫ થી 6 ફૂટ જેટલી બરફની પરિસ્થિતિનો સામનો કર્યો. આ કઠોર પરિસ્થિતિઓને કારણે ત્રણ સભ્યોને પાછા ફરવું પડ્યું, જ્યારે બાકીના સભ્યોએ અદ્દભૂત હિંમત અને સાહસ બતાવી શિખર સર કર્યું. આવા અજાણ્યા શિખરો માટેની આરોહણ પહેલાંની તૈયારી, વિગતવાર પ્લાનિંગ અને શિખર અંગેનું રિસર્ચ અભિયાનને સફળ બનાવવામાં અનિવાર્ય બની રહે છે.આ અભિયાન સાબિત કરે છે કે ભારતીય પર્વતારોહકોમાં આજ સુધી ચડાયેલ નથી તેવા હિમાલયના શિખરો સર કરવા માટેનું સાહસ, તકનીકી કુશળતા અને અડગ ઈચ્છાશક્તિ મોજુદ છે. અસાધારણ ટીમવર્ક અને સંકલ્પ સાથે, નચિકેતા અને તેમની ટીમે કઠિન ભૌગોલિક અને કપરી આબોહવાની પરિસ્થિતિઓને પાર પાડીને આધુનિક ભારતીય પર્વતારોહણમાં એક વિશ્વસ્તરીય પ્રથમ સિદ્ધિ હાંસલ કરી છે. કોલકાતાના અરિત્રા ચેટર્જીએ આ ટીમની આગેવાની કરી હતી.આ ઐતિહાસિક સિદ્ધિ ભારતના સાહસિક રમતોના ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેરે છે. તેમજ સમગ્ર ગુજરાત અને જામનગર માટે વિશેષ ગૌરવનો વિષય બની રહે છે, જે નવી પેઢીને પ્રેરણા પૂરી પડે છે કે “જ્યાં માર્ગ નથી ત્યાં માર્ગ કંડારવો એ જ સાચું સાહસ”. માઉન્ટ તારાનું સફળ આરોહણ માનવ સહનશક્તિ, એકતા અને દુનિયાના સૌથી પડકારજનક આબોહવાની મર્યાદાઓને પડકારવાની લાગણીનું પ્રતિક છે.”
વર્ષ 2025 માટે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષનો નોબેલ પુરસ્કાર વેનેઝુએલાના અગ્રણી વિપક્ષી નેતા અને ઔદ્યોગિક ઇજનેર મારિયા કોરિના મચાડો (Maria Corina Machado)ને એનાયત કરવામાં આવ્યો છે. મચાડોને લોકોના લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા, દેશમાં સરમુખત્યારશાહી સામે લોકશાહીનો બચાવ કરવા અને ન્યાયી અને શાંતિપૂર્ણ હેતુઓ માટે લડવા બદલ એનાયત કરવામાં આવ્યો છે.
મારિયા કોરિના મચાડોને નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પની નોબેલ પુરસ્કાર જીતવાની આશાઓ પર પાણી ફરી ગયું છે, જેઓ છેલ્લા કેટલાક દિવસોથી આ સ્પર્ધામાં પોતાનો દાવો દાવ પર લગાવી રહ્યા હતા. આ પહેલા વિવિધ કેટેગરીમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. હંગેરિયન લેખક લાસ્ઝલો ક્રાસ્નાહોર્કાઈને સાહિત્ય માટે પુરસ્કાર આપવામાં આવ્યો.આ કડીમાં આપણે જોઈએ કે અત્યાર સુધીમાં કેટલા ભારતીયોને નોબેલ પુરસ્કારનું સન્માન મળી ચૂક્યું છે.
રવીન્દ્રનાથ ટાગોર (સાહિત્ય, ૧૯૧૩): ભારતીય આધ્યાત્મિકતા અને ગીતવાદને વિશ્વ સાહિત્યમાં લાવનાર કવિતાઓનો સંગ્રહ ગીતાંજલિ માટે પુરસ્કાર, ટાગોર પ્રથમ એશિયન નોબેલ પુરસ્કાર વિજેતા બન્યા
સી.વી. રામન (ભૌતિકશાસ્ત્ર, ૧૯૩૦): પારદર્શક પદાર્થમાંથી પસાર થતી વખતે પ્રકાશ તેની તરંગલંબાઇમાં કેવી રીતે ફેરફાર કરે છે તે સમજાવતી રામન અસરની શોધ માટે પુરસ્કાર
હર ગોવિંદ ખુરાના(શરીરવિજ્ઞાન અથવા દવા, ૧૯૬૮): DNAમાં આનુવંશિક માહિતી પ્રોટીન સંશ્લેષણને કેવી રીતે નિયંત્રિત કરે છે તે સમજાવવા માટે પુરસ્કાર. તેમણે વિશ્વનું પ્રથમ કૃત્રિમ જનીન પણ બનાવ્યું.
મધર ટેરેસા (શાંતિ, ૧૯૭૯): મિશનરીઝ ઓફ ચેરિટી દ્વારા કોલકાતામાં ગરીબો અને બીમાર લોકોની સંભાળ રાખવાના તેમના માનવતાવાદી કાર્ય માટે પુરસ્કાર.
સુબ્રમણ્યમ ચંદ્રશેખર (ભૌતિકશાસ્ત્ર, ૧૯૮૩): ‘ચંદ્રશેખર સીમા’ સહિત તારાઓની રચના અને ઉત્ક્રાંતિ પરના તેમના સિદ્ધાંત માટે પુરસ્કાર.
અમર્ત્ય સેન (આર્થિક વિજ્ઞાન, ૧૯૯૮): કલ્યાણકારી અર્થશાસ્ત્રમાં તેમના યોગદાન અને ગરીબી અને વિકાસને માપવા માટે તેમના ‘ક્ષમતા અભિગમ’ માટે પુરસ્કાર
વેંકટરામન રામકૃષ્ણન (રસાયણશાસ્ત્ર, ૨૦૦૯): તબીબી વિજ્ઞાન માટે એક મહત્વપૂર્ણ શોધ, રાઇબોઝોમની અણુ રચનાનું મેપિંગ કરવા બદલ પુરસ્કાર
કૈલાશ સત્યાર્થી (શાંતિ, ૨૦૧૪): બાળ મજૂરી સામે દાયકાઓ સુધી ચાલેલી લડાઈ અને બાળકોના શિક્ષણ માટે હિમાયત કરવા બદલ પુરસ્કાર
અભિજીત બેનર્જી (આર્થિક વિજ્ઞાન, ૨૦૧૯): વૈશ્વિક ગરીબીનો અભ્યાસ કરવા અને તેને દૂર કરવા માટે ક્ષેત્રીય પ્રયોગોના ઉપયોગની પહેલ કરવા બદલ પુરસ્કાર
૧૯૦૧ થી, શોધક આલ્ફ્રેડ નોબેલની વસિયતનામા અનુસાર, નોબેલ પુરસ્કારો એવા પુરુષો, સ્ત્રીઓ અને સંસ્થાઓને આપવામાં આવે છે જેમના કાર્યથી માનવજાતને ફાયદો થયો છે. હાલમાં નોબેલ પુરસ્કારોમાં પ્રતિ પુરસ્કાર ૧.૧ કરોડ સ્વીડિશ ક્રોનર (SEK) ની ઇનામ રકમ આપવામાં આવે છે.
પટનાઃ ભોજપુરી એક્ટર અને ગાયક પવન સિંહની પત્ની જ્યોતિ સિંહ આજે જનસુરાજના સંસ્થાપક પ્રશાંત કિશોરને મળવા પહોંચી હતી. અહીં પટનાના શેખપુરા હાઉસમાં જ્યોતિ સિંહે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હતી. રાજકીય રીતે આ મુલાકાતના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ મુલાકાત બાદ બંનેએ ચૂંટણી કે ટિકિટને લગતી કોઈ પણ ચર્ચા થઈ હોવાનો ઇનકાર કર્યો હતો.
પવન સિંહની પત્ની જ્યોતિ સિંહે જણાવ્યું હતું કે તેમણે માત્ર ન્યાય માટે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી છે. તેણે કહ્યું હતું કે તે એવી મહિલાઓ માટે ન્યાય માગે છે, જેમની સાથે અન્યાય થઈ રહ્યો છે.જનસુરાજના સંસ્થાપક પ્રશાંત કિશોર સાથેની મુલાકાત બાદ જ્યોતિ સિંહે જણાવ્યું હતું કે હું અહીં ચૂંટણી લડવા કે ટિકિટ માગવા આવી નથી. હું અહીં એ ખાતરી કરવા આવી છું કે કોઈ અન્ય મહિલાને મારી જેમ અન્યાય ન સહન કરવો પડે. હું એવી તમામ મહિલાઓની અવાજ બનવા માગું છું, જેની સાથે અન્યાય થઈ રહ્યો છે. તેથી જ હું પ્રશાંત ભૈયાને મળવા આવી હતી.
જ્યારે તેને પાસે પૂછવામાં આવ્યું કે શું ચૂંટણી લડવા કે ટિકિટ અંગે કોઈ ચર્ચા થઈ હતી? ત્યારે જ્યોતિ સિંહે કહ્યું હતું કે ચૂંટણી કે ટિકિટ અંગે કોઈ ચર્ચા થઈ નથી. હું અહીં ફક્ત એવી તમામ મહિલાઓ માટે આવી છું, જેઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. હું મહિલાઓ માટે ન્યાય માગવા આવી છું.
VIDEO | Patna: Pawan Singh’s wife Jyoti Singh, after meeting Jan Suraaj founder Prashant Kishor, says, “I am not here for any ticket or to contest the election. I am here for all those women who are suffering like me. I met Prashant Bhaiya in this regard only and not for the… pic.twitter.com/FxWFttxgUB
પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે જ્યોતિ સિંહ અહીં બિહારની એક મહિલા તરીકે આવી છે. તેમની વાતો અમે સાંભળી છે. સૌપ્રથમ તો તેણે ચૂંટણી લડવાની કોઈ વાત કરી નથી. તેણે ફક્ત એટલું કહ્યું છે કે તેમની સાથે મોટો અન્યાય થયો છે અને તે ઈચ્છે છે કે બિહારની બીજી કોઈ મહિલાની સાથે આવું ન થાય. તે ઈચ્છે છે કે તેને જનસુરાજ તરફથી મદદ મળે.
વેનેઝુએલામાં લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટેના તેમના અથાક સંઘર્ષ માટે, મારિયા કોરિના મચાડોને નોબેલ શાંતિ પુરસ્કાર-2025 એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ સમિતિએ ખાસ કરીને તેમના નેતૃત્વ અને વેનેઝુએલાને સરમુખત્યારશાહીથી લોકશાહી તરફ લઈ જવાના સંઘર્ષ પર પ્રકાશ પાડ્યો છે.
BREAKING NEWS
The Norwegian Nobel Committee has decided to award the 2025 #NobelPeacePrize to Maria Corina Machado for her tireless work promoting democratic rights for the people of Venezuela and for her struggle to achieve a just and peaceful transition from dictatorship to… pic.twitter.com/Zgth8KNJk9
નોર્વેજીયન નોબેલ સમિતિએ મારિયા કોરિના મચાડોને નોબેલ શાંતિ પુરસ્કાર 2025 એનાયત કરવાનો નિર્ણય લીધો છે. વેનેઝુએલાના લોકો માટે લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા અને દેશમાં સરમુખત્યારશાહીથી લોકશાહીમાં ન્યાયી અને શાંતિપૂર્ણ સંક્રમણ પ્રાપ્ત કરવા માટેના તેમના સંઘર્ષ માટે તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ જાહેરાતથી ડોનાલ્ડ ટ્રમ્પની નોબેલ શાંતિ પુરસ્કારની આશાઓને ફટકો પડ્યો છે, જે છેલ્લા કેટલાક દિવસોથી તેમની હાજરીનો અહેસાસ કરાવી રહ્યા હતા.
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડોએ છેલ્લા એક વર્ષથી છુપાઈને રહેવા માટે મજબૂર હોવા છતાં તેમનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. નોબેલ સમિતિએ કહ્યું, “તેમના જીવન માટે ગંભીર જોખમો હોવા છતાં, તેઓ દેશમાં રહ્યા. તેમની ચૂંટણી લાખો લોકોને પ્રેરણા આપશે.”
હિંમત અને દૃઢ નિશ્ચયનું પ્રતીક
નોબેલ સમિતિએ માચાડોની બહાદુરીની પ્રશંસા કરી, નોંધ્યું કે જ્યારે સરમુખત્યારશાહી શક્તિઓ સત્તા કબજે કરે છે, ત્યારે સ્વતંત્રતાના બહાદુર રક્ષકોને ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે જેઓ ઉભા થાય છે અને પ્રતિકાર કરે છે.
સમિતિએ કહ્યું, “લોકશાહી એવા લોકો પર નિર્ભર છે જેઓ મૌન રહેવાનો ઇનકાર કરે છે, જેઓ ગંભીર જોખમો છતાં આગળ વધવાની હિંમત કરે છે, અને જેઓ આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતાને ક્યારેય હળવાશથી લેવી જોઈએ નહીં, પરંતુ હંમેશા શબ્દો, હિંમત અને દૃઢ નિશ્ચયથી બચાવવી જોઈએ
મારિયા કોરિના મચાડો કોણ છે?
રાજકીય નેતા અને કાર્યકર્તા: વેન્ટે વેનેઝુએલાના રાષ્ટ્રીય સંયોજક, એક ઉદારવાદી રાજકીય પક્ષ જેની તેમણે 2013 માં સહ-સ્થાપના કરી હતી અને રાષ્ટ્રીય સભાના ભૂતપૂર્વ સભ્ય (2010-2015)
લોકશાહી પ્લેટફોર્મના સ્થાપક: મુક્ત ચૂંટણીઓને પ્રોત્સાહન આપતી નાગરિક સમાજ જૂથ સુમાટે અને લોકશાહી સંક્રમણની હિમાયત કરતી ગઠબંધન સોયાવેનેઝુએલા સ્થાપિત કરવામાં મદદ કરી
પ્રતિકારનો અવાજ: ઓર્ગેનાઇઝેશન ઓફ અમેરિકન સ્ટેટ્સમાં માનવ અધિકારોના ઉલ્લંઘનની નિંદા કર્યા પછી 2014માં સંસદમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેમણે રાજદ્રોહ અને કાવતરું, મુસાફરી પ્રતિબંધ અને રાજકીય ગેરલાયકાતના આરોપોનો સામનો કરવો પડ્યો.
આંતરરાષ્ટ્રીય માન્યતા: બીબીસીના 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓ (2018)માં નામ આપવામાં આવ્યું. ચાર્લ્સ ટી. મેનટ પુરસ્કાર (2014), લિબર્ટાડ કોર્ટેસ ડી કેડિઝ (2015) અને લિબરલ આંતરરાષ્ટ્રીય સ્વતંત્રતા પુરસ્કાર (2019) પ્રાપ્તકર્તા.
આર્થિક દ્રષ્ટિ: વેનેઝુએલાના તેલ ઉદ્યોગના ખાનગીકરણની હિમાયત કરે છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ સાથે પુનઃ જોડાણ, અને અર્થતંત્રના પુનઃનિર્માણ માટે ઉદારીકરણનો અભિગમ માઇલી જેવો છે.
શૈક્ષણિક પૃષ્ઠભૂમિ: યુનિવર્સિડેડ કેટોલિકા એન્ડ્રેસ બેલોમાંથી ઔદ્યોગિક એન્જિનિયરિંગમાં ડિગ્રી અને IESAમાંથી ફાઇનાન્સ સ્પેશિયલાઇઝેશન ધરાવે છે.
નવી દિલ્હીઃ ઇટાલી સરકાર દેશમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. ઇટાલીની સત્તારૂઢ પાર્ટીએ દેશનાં જાહેર સ્થળોએ બુરખા અને નકાબથી ચહેરો અને શરીર ઢાંકવા પર પ્રતિબંધ મૂકવા માટે એક વિધેયક રજૂ કર્યું છે. આ પ્રતિબંધ હેઠળ દુકાનો, શાળાઓ અને કચેરીઓ સહિત તમામ જાહેર સ્થળોએ ચહેરો ઢાંકતાં કપડાં પહેરવા પર પ્રતિબંધ રહેશે. જ્યોર્જિયા મેલોની સરકારે જણાવ્યું છે કે પ્રતિબંધનો ભંગ કરનારાઓ પર 300થી 3000 યુરો (લગભગ રૂ. 30,000થી રૂ. 3 લાખ) સુધીનો દંડ ફટકારાશે.
ઇટાલીની સત્તારૂઢ બ્રધર્સ ઓફ ઇટાલી પાર્ટીએ આને “ઇસ્લામિક અલગાવવાદ” સામે લડવા માટેનું અસરકારક પગલું ગણાવ્યું છે. પાર્ટીના એક સાંસદે જણાવ્યું હતું કે ધાર્મિક સ્વતંત્રતા પવિત્ર છે, પરંતુ તેનો ઉપયોગ અમારા બંધારણ અને ઇટાલિયન રાજ્યના સિદ્ધાંતોનું પૂર્ણ સન્માન રાખીને થવો જોઈએ.
બ્રધર્સ ઓફ ઇટાલી પાર્ટીએ બુધવારે (8 ઓક્ટોબરે) દેશનાં જાહેર સ્થળોએ બુરખા અને નકાબથી ચહેરો તથા શરીર ઢાંકવા પર પ્રતિબંધ લગાવતું વિધેયક રજૂ કર્યું. વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની પાર્ટીએ તમામ જાહેર સ્થળોએ ઇસ્લામિક ચહેરા ઢાંકવાનું પ્રતિબંધિત કરતું વિધેયક રજૂ કર્યું છે.
આ વિધેયકમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શાળાઓ, યુનિવર્સિટીઓ, દુકાનો, કાર્યસ્થળો અને અન્ય તમામ જાહેર સ્થળોએ ચહેરો સંપૂર્ણ ઢાંકતા કપડાં પર પ્રતિબંધ રહેશે. મેલોની સરકારે દાવો કર્યો છે કે આ પગલું ઇટાલીની સામાજિક એકતા મજબૂત કરશે અને સાંસ્કૃતિક અલગાવવાદને મૂળથી દૂર કરશે.
મેલોની પાર્ટીના ત્રણ સાંસદોએ રજૂ કરેલા આ વિધેયકમાં દેશનાં તમામ જાહેર સ્થળો, શાળાઓ, યુનિવર્સિટીઓ, દુકાનો અને કચેરીઓમાં ચહેરો ઢાંકતા કપડાં પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે. આ પહેલાં ફ્રાન્સ પહેલો યુરોપીય દેશ બન્યો હતો, જેણે 2011માં જાહેર સ્થળોએ બુરખા પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. વિશ્વના 20થી વધુ દેશોમાં જાહેર સ્થળોએ બુરખા તથા અન્ય પૂર્ણ ચહેરો ઢાંકતાં વસ્ત્રો પર કોઈ ને કોઈ રીતે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. તેમાં ઓસ્ટ્રિયા, ટ્યુનિશિયા, તુર્કી, શ્રીલંકા અને સ્વિટ્ઝર્લૅન્ડનો સમાવેશ થાય છે.
મોરોક્કો આમ જોવા જઈએ તો આપણા ભારત માટે, ખાસ કરીને ભારતીય પર્યટકો માટે એક દુર્લક્ષિત દેશ છે. આથી અમારું પણ મોરોક્કોમાં જવાનું થયું નહોતું. અને `ખાઈશ તો ઘી સાથે, નહિતર ખાઈશ જ નહીં’ એવું જ કાંઈક મોરોક્કોની બાબતમાં બન્યું. આખરે લગભગ આઠેક મહિના પૂર્વે અમારા પાડોશી મિત્રમૈત્રિણીઓ સાથે અમે મોરોક્કોની એક-બે નહીં પણ રીતસર પંદર દિવસની રોડ ટ્રિપ નક્કી કરી અને અમારો `એક્સપ્લોર મોરોક્કો’ પ્રવાસ શરૂ થયો. અમે બબ્બે કપલ્સ એક-એક પ્રાડો જીપમાં હતાં. વારાફરતી ડ્રાઈવિંગ કરતાં હતાં અને મજલ દરમજલ કરતાં અમે મોરોક્કન હારા ડેઝર્ટમાં મેરઝુગા કેમ્પમાં પહોંચ્યાં. અમારી ટુરનો તે સૌથી લાંબો પોઈન્ટ હતો. અમને સૂર્યાસ્ત પૂર્વે પહોંચવું હતું, પરંતુ રસ્તા વિરહિત તે ડેઝર્ટમાં અપેક્ષિત મોડું થયું જ અને અમે ત્રણ કલાક મોડાં પહોંચ્યાં. બીજા દિવસે સવારે ડેઝર્ટ ડ્યુન બેશિંગ, સેન્ડ સર્ફિંગ વગેરે પ્રકાર કરવાનાં હોવાથી તે સપનાં જોતાં-જોતાં અમે તે કેમ્પ સેટિંગમાં સૂઈ ગયાં. બીજા દિવસે સવારે ચાર વાગ્યે ફોન રણક્યો અને નીલે મારા બાબાની એટલે કે તેના નાનાના નિધનની માહિતી આપી. કોઈ પણ પરિસ્થિતિમાં અમે પાંત્રીસથી ચાળીસ કલાક પૂર્વે પહોંચી શકીએ એમ નહોતાં. આથી તેને અને આઈને કહ્યું, `અમે તુરંત નીકળી રહ્યાં છીએ, પણ અમારે માટે થોભશો નહીં. બધા અટવાઈ નહીં જવા જોઈએ. અધરવાઈઝ તારી બૂમ પડતાં જ પંદર મિનિટમાં પહોંચનારાં અમે આટલું દૂર આવ્યાં પછી આવું બને તેમાં ચોક્કસ કોઈક ઈશ્વરી સંકેત દેખાય છે. લેટ્સ મૂવ અહેડ!’
હવે લગભગ આઠ મહિને આ લખતી વખતે થોડું હલકું મહેસૂસ થઈ રહ્યું છે, પરંતુ તે સમયે તેવી સ્થિતિ નહોતી એ તેટલું જ સાચું છું. આ પછી પ્રશ્ન હતો તે ડેઝર્ટમાંથી બહાર કઈ રીતે નીકળવાનું. કોન્વોય હોવા છતાં આગલા દિવસે અમને રસ્તા શોધવા પડતા હતા. નજીકમાં એરપોર્ટ નહોતું. એક હતું નાનું પણ તે અઢી-ત્રણ કલાક પર હતું, પરંતુ અમારી પાસે સેપરેટ વાહન નહોતું અને ડ્રાઈવરનો પણ પ્રશ્ન હતો. વાહન હોત તો પણ અમે એટલે કે સુધીર ચલાવવાની મનઃસ્થિતિમાં નહીં હોય. હેલિકોપ્ટર એરલિફ્ટિંગ પણ શક્ય નહોતું. સૌથી આસાન માર્ગ `જમીન પર હોવું’ તે હતો, રોડ ટ્રાવેલ. સવારે સાત વાગ્યા સુધી અમે વાહન અને ડ્રાઈવર લોકેટ કરી શક્યાં. તેને પણ ડેઝર્ટમાં પહોંચવા બે કલાક લાગવાના હતા. પાણીની બહાર કાઢેલી માછલી જેવી સ્થિતિ હતી. રણમાં તડફડિયા જાણે. દસ વાગ્યે ડ્રાઈવર આવ્યો અને અમે અમારા મિત્રમંડળીઓને અલવિદા કરીને નીકળ્યાં કાસાબ્લાન્કા એરપોર્ટ તરફ.
અગિયાર કલાકનો પ્રવાસ દેખાતો હતો. ફ્લાઈટ પણ મધરાત પછી જ હતી. આથી રસ્તામાં ક્યાંક કોઈ અડચણ નહીં આવે તો અમે આરામથી પહોંચવાનાં હતાં. મેરઝુગા સુધી પહોંચવા અમને અઢી દિવસ લાગ્યા હતા, જે પ્રવાસ અમે હવે જૂજ કલાકમાં કરવાના હતા. ડ્રાઈવર હસન ભલો માણસ દેખાતો હતો. આથી માનસિક નિશ્ચિંતી મળી. ચારેબાજુ ફેલાયેલો અવિરત રણ, રસ્તા ક્યાંય દેખાતા નહોતા. છતાં ડ્રાઈવર હસન સૂઝબૂઝપૂર્વક વાહન ચલાવતો હતો. અમે જોયું તો તેણે GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ઓન કર્યું નહોતું. સુધીરે પ્રશ્ન કર્યો કે, `અમને ક્યાંય આગળનો રસ્તો દેખાતો નથી, તેં GPS પણ લગાવ્યું નથી, તને કયા ડિરેકશનમાં જવું જોઈએ તે કઈ રીતે સમજાય છે.’ તો કહ્યું, `હું પાક્કો મોરોક્કન છું. મને મારા દેશની સંપૂર્ણ માહિતી છે, મેં અનેક વાર તે જોયો છે અને ભગવાને જે GPS મારા મગજમાં ગોઠવ્યો છે તે આ ટેક્નિકલ GPS કરતાં બહુ સ્ટ્રોંગ છે.’
`વાવ!’ આ કાંઈ અમને એટલે કે તેની સવારીને ઈમ્પ્રેસ કરવા માટે આપેલો ઉત્તર નહોતો, પરંતુ અમે પ્રેક્ટિકલી તે જોતાં હતાં. અગિયાર કલાકના તે પૂર્ણ પ્રવાસમાં તેણે GPS ઓન કર્યું નહીં. એટલે એ.આઈ., જનરેટિવ એ.આઈ.ના વપરાશના ઘેલાં અમને તેનું આ GPS નહીં વાપરવું થોડું રિસ્કી પણ લાગતું હતું. મનમાં આવતું હતું, એકાદ ટર્ન ચૂકી ગયા તો? કહેવાય છે ને કે, `એવરી રાઈટ ટર્ન ઈઝ નોટ અ રાઈટ ટર્ન.’ અમારું ચિંતિત મન એક બાજુમાં `ફ્લાઈટ મિસ તો નહીં થાય ને આના આ GPS નહીં વાપરવાને લીધે’ તેનો વિચાર કરતું હતું. તે સમયે તેના ભગવાને તેના મગજમાં ગોઠવેલા GPS પર પૂર્ણ ભરોસો રાખ્યો અને તે બાબતની ચિંતા કરવાનું છોડી દીધું. બલકે તે ચિંતાનો અથવા ભયનો અંશ પણ મનમાં રાખ્યો નહીં. મજલ દરમજલ કરતાં અમે અગિયાર કલાકે કાસાબ્લાન્કા એરપોર્ટ પહોંચ્યાં. હસનના મનથી આભાર માન્યા. તે નીકળી ગયો, પણ તેના મગજમાંનું GPS જો કે મારા મગજમાં પાક્કું ગોઠવાઈ ગયું. હસન ડ્રાઈવરનું વાહન પ્રાડો હતું. એકદમ અલ્ટ્રામોડર્ન, તેટલો જ સ્ટ્રોંગ GPS સપોર્ટ તેમાં હતો. જો કે સામે GPS જેવી હાથવગી સુવિધા હોવા છતાં તે તેની બુદ્ધિનો ઉપયોગ કરતો હતો. માણસની આંતરશક્તિને નિસ્તેજ કરનારાં અત્યાધુનિક ઉપકરણોથી પોતાને બચાવતો હતો. આ સાથે દેશ વિશે જાજ્વલ્ય અભિમાન તેની પાસે હતો. મારો દેશ મને ખબર હોવો જોઈએ અને હું જો ટુરીઝમ અથવા ટ્રાન્સપોર્ટમાં હોઉં તો મારા દેશના રસ્તા અને તેની રજેરજ માહિતી મને હોવી જોઈએ એ તેના મોરલ વેલ્યુ અથવા તેણે પોતાને તે માટે નિર્માણ કરેલાં આ નીતિમૂલ્યો. ઈમરજન્સીમાં કરેલો મેરઝુગાથી કાસાબ્લાન્કા પ્રવાસ ઘણું બધું શીખવી ગયો.
ટેકનોલોજિકલી આપણે એક અત્યંત સુંદર દુનિયામાં વસવાટ કરીએ છીએ. સુખ-સુવિધાઓ આપણા પગ ચૂમી રહી છે. ચુટકી પણ વધુ સમય લેશે, તેથી ચુટકી વગાડતાં નહીં પણ ચુટકી પૂર્વે દુનિયાની કોઈ પણ બાબતની માહિતી આપણને મળવા લાગી છે. આ ફાસ્ટ પેસ્ડ દુનિયામાં પોતાને ટકાવી રાખવા હોય, દુનિયા સાથે ખભેખભા મિલાવી રાખવા હોય અને વિજયી બનવું હોય તો આપણને આ સુખ-સુવિધાઓનો વપરાશ કરતાં આવડવો જોઈએ. આપણે, એટલે કે, જેમને ભવિષ્ય ઘડવું છે અથવા નાશ થવા દેવું નથી તે બધાએ આ સર્વ બાબતોનો ઉપયોગ દૈનિક જીવનનું અવિભાજ્ય અંગ તરીકે કરવો જોઈએ. હું આ વાતથી સંમત છું, કારણ કે હું પણ એક વ્યાવસાયિક છું. પણ… પણ અહીં ખતરાની સૂચના છે. આપણા ગુજરાતીમાં એક કહેવત છે, `કૂવામાં જ નહીં હોય તો હવાડામાં ક્યાંથી આવે?’ જી.પી.એસ., ચેટ જી.પી.ટી., ક્લાઉડ, પરપ્લેક્સિટી, મેટા એ.આઈ., ચેટસોનિક, ગૂગલ જેમિની, માઈક્રોસોફ્ટ કોપિલોટ, જસ્પર એ.આઈ., ગ્રોક, બિંગ… આવાં રીતસર અસંખ્ય ટૂલ્સ હવે ઉપલબ્ધ છે અને રહેશે. જો કે આપણને તેમાંથી શું જોઈએ, તેના દ્વારા આપણે શું કરી શકીએ અને આપણને ચોક્કસ શું જરૂર છે તે જ જો આપણને ખબર નહીં હોય તો આ ટૂલ્સનો કોઈ ઉપયોગ નથી. પણ એ.આઈ. અને જનરેટિવ એ.આઈ.ની ક્ષમતા અને તેનો આપણને થનારો ઉપયોગ જોઈને મેં પોતાની અંદર પરિવર્તન લાવી દીધું. શું કરવાનું છે? શા માટે કરવાનું છે? અને કઈ રીતે કરવાનું છે? આ બેઝિક અથવા આ સ્ટ્રેટેજીનો ભાગ આપણને ખબર હોવો જોઈએ. એકવાર તે સંબંધમાં આપણે ક્લિયર હોઈએ તો પછી દુનિયાભરના ઉત્તમોત્તમ ક્નસલ્ટન્ટ્સ અને ગુરુઓએ કરેલા રિસર્ચ સાથે ચેટ જી.પી.ટી. જેવા અનેક જણ હાથ જોડીને આપણી સામે નમ્રતાથી ઊભા છે. તેમની મદદ લેવી એટલે દુનિયાની ગતિ સાથે ચાલવું. પણ આ બધું હોવા છતાં અમારા અમુક ડિપાર્ટમેન્ટ્સમાં જ્યાં જરૂર છે ત્યાં ઘણા બધા ટીમ મેમ્બર્સ હજુ પણ આ આયુધોનો જોઈએ તેટલો ઉપયોગ કરતા નથી.
આ `આપણે જે કાંઈ કરીએ છીએ તે વધુ સારું કરવા માટે આ સર્વ નવી ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરતા નથી?’ આ પ્રશ્ન તેમને કર્યા પછી અલગ-અલગ બાબતો દેખાઈ, જે વ્યક્તિ તેટલી પ્રકૃતિ અથવા પ્રવૃત્તિનું પ્રતીક છે. `સ્ટેટસ ક્યો’ એ પહેલી પ્રવૃત્તિ, છે તેમ સારું ચાલી રહ્યું છે ને, અહીં શ્વાસ લેવાનો સમય નથી, રિસર્ચ વગેરે બહુત દૂર કી બાત હૈ. આ એક પ્રકાર, બીજો પ્રકાર `આઈ નો એવરીથિંગ, મશીન મને શું શીખવશે’ અને ત્રીજો પ્રકાર `એવો કાંઈક માર્ગદર્શક ઉપલબ્ધ છે જે આપણું કામ ઝડપથી પૂરું કરશે અથવા વધુ કોઈ નવા આઈડિયાઝ આપણને આપશે તેની ધૂંધળી કલ્પના નહીં હોય તેવી દુનિયાથી અનોખા માણસો.’ આ પછીના પ્રકાર એટલે અમુકને નવી ટેકનોલોજીનો ડર, કદાચ તે ટેકનોલોજી આપણને રિપ્લેસ કરશે તેથી હોય છે. હાલમાં હું એ.આઈ. એજન્ટ બની છું. અમુક ટીમ્સ માટે અને `વ્હોટ્સ ફોર મી ઈન ઈટ’નું મહત્ત્વ દાખલા સહિત ટીમને મનાવી આપવાનો પ્રયાસ ચાલુ છે. અગાઉ આપણા આઈડિયાનો ઊંડાણથી અભ્યાસ કરવા માટે આપણને અનેક પુસ્તકો વાંચી કાઢવા પડતા હતા. અનુભવ સંપન્ન વ્યક્તિઓ સાથે વાત કરીને તેમની સલાહ લેવી પડતી, જો કે તેની વચ્ચે બહુ સમય વીતી જતો હતો. આ બધું કરવા માટે દિવસો અને મહિનાઓ વીતી જતા, એ હવે અમુક કલાકની મહેનતથી આપણને મળી રહ્યું છે. કોઈ પણ એ.આઈ.ને `ક્લિયર, ઈન ડિટેઈલ, સ્પેસિફિક પ્રોમ્પ્ટ’ આપવું જરૂરી હોય છે. આ માટે જ આપણને આટલો સમય લાગે છે. બાકી ઉત્તરો આપવાનું કામ મશીન અમુક મિનિટોમાં અથવા કલાકોમાં કરે છે જો પ્રોજેક્ટ મોટો હોય તો. મારી પાસે પેશન્સ છે અને પરિવર્તન ઘડવા વાર લાગે છે તેનું ભાન પણ છે. જો કે આવનારા ભવિષ્યનો સામનો કરવો હોય તો દરેકે પોતાને અપગ્રેડ કરવું જ જોઈએ અને તે માટે બધા આયુધો ઉપલબ્ધ છે, જેનો હકારાત્મક અને યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. જો કે આવું કરતી વખતે આપણા મગજમાં GPS અને મનમાંના GPSને સતત જાગૃત રાખવું, અંતર્જ્ઞાન અને સર્જનશીલતાને નિરંતર જાળવી રાખવું તે આપણી જવાબદારી છે. વિજ્ઞાન ટેકનોલોજી આપણા સપોર્ટ છે. તેના આધારે આપણા વિચારોને મજબૂતી આપીએ, આપણું કૌશલ્ય વિકસિત કરીએ. મેં તે મોરોક્કન ડ્રાઈવરનું, હસનનું બોલવાનું `એલર્ટ’ તરીકે સંગ્રહી રાખ્યું છે મારી અંદરની ક્રિયેટિવિટીને, ઈનોવેશનને સદા જાગૃત રાખવા. તેને થોડું એન્હાન્સ કર્યું છે, `મારા ભગવાને મારા મગજમાં GPS અને હૃદયમાં GPS ગોઠવ્યું છે તે જ મારું માર્ગદર્શક છે.’
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
દીપિકા પાદુકોણ છેલ્લા કેટલાક સમયથી 8 કલાકના વર્કિંગ અવર્સ અંગે અવાજ ઉઠાવી રહી છે. તાજેતરમાં, અભિનેત્રીએ ફરીથી આ મુદ્દા પર વાત કરી અને બોલિવૂડના વર્ક કલ્ચર પર પણ કટાક્ષ કર્યો.
દીપિકા પાદુકોણે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ “સ્પિરિટ” માટે આઠ કલાક કામ કરવાની શરત મૂકી હતી. તે પોતાની પુત્રીના ઉછેર માટે વધુ સમય ફાળવવા માંગતી હતી. આના કારણે તેણીને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી. જોકે, દીપિકા આ મુદ્દા પર બોલવાનું ચાલુ રાખે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, તેણીએ તેના આઠ કલાકની શિફ્ટને યોગ્ય ગણાવી અને ફિલ્મ ઉદ્યોગના વર્કિંગ કલ્ચર પર પણ પ્રશ્નો ઉઠાવ્યા.
દીપિકાએ કહ્યું,’આપણી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ અવ્યવસ્થા છે.’CNBC TV18 સાથેના એક ઇન્ટરવ્યુમાં દીપિકા પાદુકોણે કહ્યું,”હું ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પરિવર્તન લાવવા માટે અવાજ ઉઠાવતી રહી છું કારણ કે તે ખૂબ જ ક્રૂર છે. આપણે એવું વિચારવાની વૃત્તિ ધરાવીએ છીએ કે આ આવું જ છે. પરંતુ હું એવી વ્યક્તિ છું જે વસ્તુઓમાં સુધારો ઇચ્છે છે. જો આપણે પોતાને એક ઈન્ડસ્ટ્રી કહીએ છીએ પણ એક ઈન્ડસ્ટ્રીની જેમ કામ કરતા નથી. આપણે બહુ જ અવ્યવસ્થિત છીએ.હવે સમય આવી ગયો છે એક સિસ્ટમ બનાવીએ, એક સારું વર્ક કલ્ચર ઉભુ કરીએ.”
દીપિકાએ પુરુષ કલાકારોના કામના કલાકો વિશે પણ વાત કરી
આ જ ઇન્ટરવ્યુમાં દીપિકા પાદુકોણે કહ્યું કે તે કોઈનું નામ લઈને વિવાદ ઊભો કરવા માંગતી નથી. જોકે, બોલીવુડમાં ઘણા પુરુષ કલાકારો છે જે વર્ષોથી દિવસમાં ફક્ત આઠ કલાક કામ કરે છે, અને તેઓ સપ્તાહના અંતે પણ કામ કરતા નથી. આ મુદ્દાઓ ઉઠાવીને, દીપિકા ફિલ્મ ઉદ્યોગમાં સ્ત્રી કલાકારો માટે વધુ સારી કાર્ય સંસ્કૃતિ બનાવવા માંગે છે.
દીપિકા પાદુકોણ માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવી રહી છે. નોંધનીય છે કે દીપિકા પાદુકોણ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ માટે મધ્યપ્રદેશની મુલાકાતે ગઈ હતી. ત્યાં તેણે તેના ફાઉન્ડેશન, “લિવ લવ લાફ” ની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. અભિનેત્રીનું ફાઉન્ડેશન દેશભરમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. દીપિકાની આગામી ફિલ્મ, “કિંગ” માં શાહરુખ ખાન સાથે અભિનય કરી રહી છે. શાહરુખ ખાનની પુત્રી, સુહાના ખાન પણ આ એક્શન ફિલ્મમાં અભિનય કરી રહી છે.