Home Blog Page 4828

મહારાષ્ટ્રમાં NRC લાગુ કરવામાં નહીં આવેઃ CM ઠાકરેની જાહેરાત

મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંસદમાં પાસ કરવામાં આવેલા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ને સમર્થન આપ્યું છે, પણ એમ કહ્યું છે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ને તેઓ મહારાષ્ટ્રમાં લાગુ નહીં કરાવે.

ઠાકરેએ કહ્યું છે કે CAA કાયદો કોઈનું નાગરિકત્વ છીનવી લેવા માટેનો નથી, પરંતુ દેવા માટેનો છે. પરંતુ, જો દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવશે તો હિન્દુઓ અને મુસલમાનો, બંને કોમનાં લોકો માટે એમનું નાગરિકત્વ સાબિત કરવાનું મુશ્કેલ બની જશે. એટલે હું મહારાષ્ટ્રમાં એને લાગુ થવા નહીં દઉં.

અત્યાર સુધીમાં દેશના 10 રાજ્યો CAA કે NRC અથવા બંનેને લાગુ કરવાનો ઈનકાર કરી ચૂક્યા છે. અન્ય રાજ્યો છે – રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, દિલ્હી, ઓડિશા, પંજાબ, કેરળ.

ઠાકરેએ આ નિવેદન એમની શિવસેના પાર્ટીના મુખપત્ર અને મરાઠી અખબાર ‘સામના’નાં તંત્રી તથા પક્ષના રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતને આપેલી એક મુલાકાતમાં ઉપર મુજબ કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે સીએએ અને એનઆરસી, બંને મુદ્દે હાલ દિલ્હીમાં શાહીનબાગ વિસ્તારમાં વ્યાપક વિરોધ-દેખાવો ચાલી રહ્યા છે.

‘નાગરિકતાને લગતા કાયદાઓ વિશે તમારું શું વલણ છે?’ એવા સવાલના જવાબમાં ઠાકરેએ કહ્યું કે ‘સીએએ અંતર્ગત કોઈને પણ ભારત દેશમાંથી બહાર કાઢવાની જોગવાઈ નથી, પરંતુ એનઆરસી અંતર્ગત માત્ર મુસ્લિમોને જ નહીં, પણ હિન્દુઓને પણ એમની નાગરિકતા સાબિત કરવાનું મુશ્કેલ બની જશે. એટલે એ કાયદાને હું મહારાષ્ટ્રમાં લાગુ કરવા નહીં દઉં. મેં મારા પિતા (શિવસેના સ્થાપક સ્વ. બાલ ઠાકરે)ને જે વચન આપ્યું હતું તે પૂરું કરીને જ રહીશ.’

ઠાકરેની આ મુલાકાત 3, 4 અને પાંચ ફેબ્રુઆરીએ સામના અખબારની વેબસાઈટ http://www.saamana.com પર જોવા મળશે.

દિલ્હી એરપોર્ટ પર કોરોના વાઈરસ માટે ચકાસણી…

ચીનમાં જ્યાં જીવલેણ કોરોના વાઈરસ ફેલાયો છે તે વુહાન શહેરમાં ફસાયેલા વધુ 323 ભારતીય નાગરિકોને એર ઈન્ડિયાના ખાસ વિમાન દ્વારા 2 ફેબ્રુઆરી, રવિવારે ભારત લાવવામાં આવ્યા હતા. એમાંના તમામ પ્રવાસીઓની નવી દિલ્હી એરપોર્ટ ખાતે જ તબીબી ચકાસણી કરવામાં આવી હતી.


















ભારતમાં વિજ્ઞાનીઓ કોરોના વાઈરસની રસી-દવાની શોધમાં વ્યસ્ત

નવી દિલ્હી – ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સંસ્થાની પુણેસ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી, જે દેશની સૌથી મોટી મેડિકલ ટેસ્ટિંગ લેબોરેટરી છે, એમાં અત્યાર સુધીમાં ‘નોવેલ કોરોના વાઈરસ’ના 128 નમૂનાનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે એ વાતને સમર્થન આપ્યું કે દેશમાં આ વાઈરસના બે કેસ પોઝિટિવ આવ્યા છે.

બીજો કેસ કેરળ રાજ્યમાં નોંધાયો છે. તે દરદી એક પુરુષ છે અને તે ચીનમાં જ્યાં સૌથી વધારે પ્રમાણમાં કોરોના વાઈરસ ફેલાયો છે તે વુહાન શહેરથી આવ્યો છે.

એને એક હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં રાખવામાં આવ્યો છે. એના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે, એમ આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે.

ચીનનો પ્રવાસે આવેલા 763 જણની હાલ દેશના 26 રાજ્યોમાં તબીબી ચકાસણી કરવામાં આવી રહી છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સેક્રેટરી પ્રીતિ સુદાને જણાવ્યું છે.

દરમિયાન, બીજા 323 ભારતીય નાગરિકો સાથેનું એર ઈન્ડિયાનું વિશેષ વિમાન આજે સવારે વુહાનથી નવી દિલ્હી આવી પહોંચ્યું હતું.

આ 323 જણમાં જો કે 7 માલદીવના નાગરિકનો પણ સમાવેશ થાય છે.

પહેલા બેચમાં ભારત લવાયેલા નાગરિકોની જેમ, આ બેચના લોકોને પણ ભારતીય સેના તથા ITBP દ્વારા તૈયાર કરવામાં આવેલી બે જુદી જુદી હોસ્પિટલમાં મેડિકલ ચકાસણી કરવામાં આવી રહી છે.

દરમિયાન, ICMR સંસ્થાના રોગચાળા અને સંપર્કથી થતા રોગોના વિભાગના વડા ડો. આર. ગંગાખેડકરે કહ્યું છે કે આ નવા વાઈરસને અંકુશમાં રાખી શકે એવી રસી અને દવાઓ શોધી કાઢવા પર હાલ સંશોધન ચાલી રહ્યું છે. જો કે આ વાઈરસની રસી શોધતાં વિજ્ઞાનીઓને ઓછામાં ઓછા બે વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ વાઈરસ ભૂતકાળમાં ક્યારેય માનવીને લાગુ પડ્યો નહોતો.

બુમરાહની સ્વિંગ બોલિંગ પર ફીદા થઈ ગઈ છે દિશા પટની

મુંબઈ – ભારતીય ક્રિકેટ ટીમના સ્ટ્રાઈક બોલર જસપ્રિત બુમરાહની કાતિલ ફાસ્ટ બોલિંગથી હરીફ બેટ્સમેનો થથરે છે અને એમને થથરતા જોઈને ભારતીય ક્રિકેટપ્રેમીઓ ખુશ થાય છે. એમાંની એક છે બોલીવૂડ અભિનેત્રી દિશા પટની.

આગામી હિન્દી ફિલ્મ ‘મલંગ’ની અભિનેત્રી દિશા બુમરાહની બોલિંગ ક્ષમતાથી ખૂબ પ્રભાવિત થઈ છે અને મુક્તકંઠે એની પ્રશંસા કરી છે.

દિશાએ કહ્યું, ‘જો તમને મને કહેશો કે મેચવિનિંગ ખેલાડી કોણ, તો હું જસપ્રિત બુમરાહનું નામ આપીશ. આપણી ટીમમાં ઉત્તમ ખેલાડીઓમાંનો તે એક છે. રવિવારે માઉન્ટ મોન્ગેનુઈમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે પાંચમી ટ્વેન્ટી-20 મેચ રમશે અને એમાં યજમાનોને બુમરાહ પછાડી દે તો એ જોવાની મજા આવશે.’

ખૂબસૂરત અભિનેત્રી દિશા તેની આગામી ફિલ્મ ‘મલંગ’ના પ્રચાર માટે ગઈ હતી ત્યારે એને ક્રિકેટ વિશેના સવાલો પૂછવામાં આવ્યા હતા અને ત્યારે એણે ઉપર મુજબ બુમરાહની પ્રશંસા કરી હતી.

‘મલંગ’ ફિલ્મમાં દિશાની સાથે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર, કુણાલ ખેમૂ પણ છે.

આ કલાકારોએ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર ક્રિકેટ લાઈવ પ્રોગ્રામ વખતે પોતપોતાનાં અભિપ્રાય જણાવ્યાં હતાં.

અનિલ કપૂરને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું નામ આપ્યું હતું. એણે કહ્યું, વિરાટ કોહલી સબકા બોસ હૈ. ક્રિકેટ પ્રત્યેનો એનો જુસ્સો કોઈ પણ હરીફ ટીમને પછાડી દે એવો છે. રવિવારની મેચમાં પણ ભારત જીતશે તો અમે મલંગના કલાકારો એની ઉજવણી કરીશું.

કુણાલ ખેમૂએ કહ્યું કે પોતે રોહિત શર્માનો ચાહક છે. એની બેટિંગ ક્ષમતા ખૂબ જ પ્રભાવિત કરનારી છે. એ ટીમ ઈન્ડિયાનો હિટ મેન છે અને આત્મવિશ્વાસથી ભરપૂર છે. એ મોટા શોટ નિર્ભયતાપૂર્વક ફટકારે છે અને ટીમ માટે મેચવિનિંગ રન ફટકારે છે.

આદિત્ય રોય કપૂરે કહ્યું કે કે.એલ. રાહુલ ભારતીય ટીમનો અસાધારણ ઓલરાઉન્ડ ક્રિકેટર છે. રાહુલ મેચને આનંદદાયક બનાવી દે છે.

રાશિ ભવિષ્ય 02/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.યોગ્ય છે


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર,  ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.

બજેટ 2020: આવકવેરાના દરનો ઘટાડો આવકાર્ય છે

જિતેન્દ્ર સંઘવી

અર્થશાસ્ત્રી અને ઇન્ડિયન મર્ચન્ટ્સ ચૅમ્બરની મૅનેજિંગ કમિટીના ભૂતપૂર્વ સભ્ય જિતેન્દ્ર સંઘવી કહે છે, આવકવેરાના દરનો ઘટાડો આવકાર્ય છે, ગ્રામીણ વિસ્તારોનો વપરાશ ખર્ચ વધશે કે કેમ? અંદાજપત્રના આંકડાઓની વિશ્વસનીયતા કેટલી?

ભારતીય અર્થતંત્ર વિશેષરૂપે આર્થિક સ્લોડાઉનનો સામનો કરી રહ્યું છે. ત્યારે એ એકસ્ટ્રા-ઓર્ડિનરી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે લેવાતાં પગલાં પણ એકસ્ટ્રા-ઓર્ડિનરી હોવાં જોઈએ એ વિશે કોઈ બેમત હોઈ શકે નહીં.

નિર્મલા સીતારામનનું 2020-21નું અંદાજપત્ર આ સંદર્ભમાં મૂલવવું જોઈએ. નાણાપ્રધાન સામેનો સૌથી મોટો પડકાર હતો ખાનગી વપરાશ ખર્ચના વધારા દ્વારા ચીજ-વસ્તુઓની માગ વધારવાનો અને તેના દ્વારા આર્થિક વિકાસનો દર વધારવાનો.

નાણાપ્રધાને અંદાજપત્રમાં આવક-વેરાના દર ઘટાડીને નોકરિયાત વર્ગના હાથમાં થોડા વધુ રૂપિયા આવશે તેવી વાત કરી છે. તે વાત સાચી. મુદ્દાની વાત એ છે કે દેશમાં પાંચ ટકાથી ઓછા નાગરિકો જ આવકવેરાના રિટર્ન ફાઈલ કરે છે. તેમના મોટા ભાગના રિટર્ન ઝીરો ટેક્સવાળા હોય છે. એટલે કર વેરાના દરની નજીવી રાહત આવકાર્ય હોય તો પણ, વપરાશ ખર્ચને જોઈતા પ્રમાણમાં પૂરા કરી શકે નહીં. ભારત ગામડાઓમાં વસે છે. આ ગ્રામ્ય વિસ્તારોના વપરાશ ખર્ચનો ઘટાડો મોટી ચિંતાનો વિષય હતો. આવકવેરાના દરના ઘટાડાથી ગ્રામીણ વિસ્તારના લોકોના વપરાશ ખર્ચ વધે એવી ખાસ સંભાવના નથી, એટલે નાણાપ્રધાનનું આ પગલું આર્થિક વિકાસનો દર વધારવામાં કેટલી મદદ કરશે તે સામે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે.

તેમણે વ્યક્તિગત આવકવેરાના કાયદામાં 100 જેટલી છૂટમાંની 70 છૂટ નાબૂદ કરી છે. એ પગલું વેરાની સરળતા વધારશે એ ખરું.

અંદાજપત્રની નાણાપ્રધાનની 165 મિનિટની લાંબી (કદાચ રેકોર્ડ બ્રેક) સ્પીચ પછી પણ આપણો સર્વ સામાન્ય અનુભવ એ છે કે બજેટ ડોક્યુમેન્ટની ફાઈન પ્રિન્ટ ન જોઈએ કે નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેનું ડિરેક્શન ન કરે ત્યાં સુધી બજેટ ગ્રોથ ઓરિએન્ટેડ છે કે ભાવ વધારામાં પરિણમે તેવું કે એવા કોઈ વિશેષણો આપવાથી દૂર રહેવું યોગ્ય ગણાય. ભૂતકાળમાં અંદાજપત્રના દિવસે નાણાપ્રધાનના બજેટને જે રીતે મૂલવાય છે તે ફાઈન પ્રિન્ટ જોયા પછી અપસાઈડ ડાઉન જેવો ફેરફાર થયો છે. શેરબજાર કે સેન્સેક્સ બજેટને જે પ્રતિભાવ આપે તે પણ પછીના થોડા દિવસોમાં બદલાતો હોય છે.

કંપનીઓ પાસેથી લેવાતો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ અપેક્ષા પ્રમાણે નાબૂદ કર્યા પછી પણ સેન્સેક્સ ગગડ્યો છે એટલે કાં તો આ ફેરફારની અસર શેરધારકો કે ઈન્વેસ્ટરો પર કેવી પડશે તે વિષે કોઈ સ્પષ્ટ ચિતાર મળતો નથી.

સ્પીચમાં માત્ર એટલો ઉલ્લેખ છે કે ડિવિડન્ડ પરનો ટેક્સ શેરહોલ્ડર ભરશે. પણ તેમાં હાલ મળતી છૂટછાટ નાબૂદ કરાઈ છે, ઘટાડાઈ છે કે અકબંધ  રખાઈ છે એ જાણ્યા પછી જ સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટરોનો જે પ્રતિભાવ આવે તે સાચો ગણાય.

નાણાપ્રધાને ટેક્સ-પેયર ચાર્ટરની અને ટેક્સ ભરવાની બાબતે હ્યુમન ઈન્ટરફેસ ઘટાડવાની વાત કરી છે તે આવકાર્ય છે. બેંકોમાં રખાતી ડિપોઝિટનો ઈન્સ્યૉરન્સ એક લાખથી વધારીને પાંચ લાખનો કરાયો છે તેને સારો પ્રતિસાદ મળશે.

થોડું લાંબુ વિચારીએ કે પ્રજાની જ સરકારી બેંકોમાં મૂકાતી ડિપોઝીટની પૂરેપૂરી સલામતી કે વીમો કેમ નહીં? આ પરસેવાની કમાણીનું ગમે ત્યારે હવામાં બાષ્પીભવન થઈ જાય એવા ડરના ઓછાયા નીચે જીવવું કેટલું વ્યાજબી ગણાય? સરકાર ધારે તો આ ડિપોઝીટોના વીમા પર નજીવા પ્રીમીયમ લઈને પણ સામાન્ય કે મધ્યમ વર્ગના માણસો કે સીનિયર સિટિઝન રાહતનો શ્વાસ લઈ શકે એવી વ્યવસ્થા ગોઠવી શકે. લાઈફ ઈન્સ્યૉરન્સ હોય, એક્સિડન્ટ ઈન્સ્યૉરન્સ હોય, હેલ્થ ઈન્સ્યૉરન્સ હોય તો ડિપોઝિટ માટેનો ઈન્સ્યૉરન્સ કેમ નહીં?

આપણે અમેરિકા કે પશ્ચિમના બીજા દેશોની જેમ નાગરિકો માટેની સોશ્યલ સિક્યૉરિટી સ્કીમ પૂરી નથી પાડી શકતા, પણ તેમની પોતાની જીવનભરની નાની કમાણી સહીસલામત રહે તેવું કેમ ન વિચારી શકાય?

તે પછી બેંકોની સદ્ધરતા માટેના નોર્મ્સ એવા સ્ટ્રિક્ટ નક્કી કરવા જોઈએ કે બેંક ફેઈલ થવાનો વારો ભાગ્યે જ આવે. ઇન્ડસ્ટ્રી કે બિઝનેસ તેની લોન પરત કરવામાં નિષ્ફળ જાય તો તે NPAને સૂલ્ટાવવા પ્રજા પાસેથી કરવેરા રૂપે ઉઘરાવેલાં નાણાંમાંથી બેંકોના રીકેપિટલાઈઝેશન માટે સરકાર જાહેર ક્ષેત્રની બેંકોને નાણાં ફાળવે જ છે. અંદાજપત્રમાં સીનિયર સિટિઝન્સને થતી વ્યાજની આવક પરના વેરાની મુક્તિમર્યાદા પણ વધારાઈ નથી.

સામાન્ય રીતે અંદાજપત્રનાં ભાષણોમાં શબ્દોના સાથિયા પુરાતા હોય છે પણ વાસ્તવિક્તા કંઈક જુદી જોવા મળતી હોય છે. કરવેરા ઉઘરાવતી વખતે નાગરિકોની કનડગત ન થાય એનો કાયદામાં ઉલ્લેખ કરાય છે, પણ જ્યારે કરવેરાની અંદાજિત આવકમાં ઘટાડો થાય ત્યારે ઓફિસરોને એવા સ્ટ્રિક્ટ ટાર્ગેટ અપાતા હોય છે જે પૂરા કરવા માટે કરદાતાઓની હેરાનગતિ કરાતી હોય છે.

નાણાપ્રધાને અર્થતંત્રનાં જુદાં-જુદાં ક્ષેત્રો માટે આવતા વરસ માટે જે રકમ ફાળવાઈ હોય તેનો ઉલ્લેખ કર્યો છે જે રૂટિન બાબત છે પણ આ ફાળવણી ચાલુ વરસની અંદાજિત રકમ સાથે અને સુધારેલ રકમ સાથે કેમ કમ્પેર થાય છે તે જાણ્યા વગર માત્ર આવતા વરસની ફાળવણીના આંકડાથી કોઈ નક્કર તારવણી ન કરી શકાય.

ગયા જુલાઈમાં રજૂ કરાયેલ બજેટમાં 2019-20ના આર્થિક વિકાસનો દર સાત ટકા મૂકવામાં આવ્યો હતો જે હવે પાંચ ટકા કે તેથી પણ ઓછો રહેવાની સંભાવના છે, જે છેલ્લાં 11 વરસનો સૌથી નીચો આંક છે.

એટલે અંદાજપત્રની સ્પીચનો સામાન્ય શિરસ્તો છે કે જે વરસનું અંદાજપત્ર હોય તે વરસ માટેના આંકડા સારા દેખાડવા અને આગલા વરસના સુધારેલા આંકડા નબળા બતાવવા તો વાંધો નહીં. કારણ એ કે સૌની નજર જે વરસનું બજેટ હોય તેના આંકડા પર જ કેન્દ્રિત થયેલી હોય.

આ અંદાજપત્રમાં સરકારે 2020-21ના વરસના નોમિનલ (ચાલુ ભાવે) જીડીપીને વધારાનો દર 10 ટકા દર્શાવ્યો છે પણ ઉપર દર્શાવેલ કારણોથી આ આંકડાની વિશ્વનીયતા ઘટે છે. અહીં એ ઉલ્લેખ કરવો જોઈએ કે ચાલુ વરસ (2019-20)માં નોમિનલ જીડીપી 7.5 ટકાના દરે વધવાની ગણતરી છે જે છેલ્લાં ચાલીસ વરસનો સૌથી નીચો આંક છે.

અંદાજપત્રની આટલી લાંબી સ્પીચનો થોડો હિસ્સો આની અગાઉના અંદાજપત્રના ઉલ્લેખ કરાયેલા નિર્ણયો અંગેના એક એક્શન ટેકન રિપોર્ટ માટે ફાળવાય તો સરકારની વિશ્વસનીયતા તો વધે જ પણ વહીવટની પારદર્શિતા (ટ્રાન્સપેરન્સી)ની છાપ પણ આપોઆપ ઊભી થાય.

અંદાજપત્રની સ્પીચમાં આ માટેની સ્પેસ ઊભી કરવા અર્થતંત્રને સીધી રીતે ન સ્પર્શતી હોય તેવી કરાયેલી વાતોને દૂર કરીને તેનો બજેટ ડોક્યુમેન્ટમાં સમાવેશ કરી શકાય.

નાણાપ્રધાને સ્પીચમાં આડકતરી રીતે નોકરીઓની નવી તકો ઊભી થશે તેવી અછડતી વાત કરી છે. દેશમાં આજે બેરોજગારીની ગંભીર સમસ્યા પ્રવર્તે છે. નાણાપ્રધાન છેલ્લા એક વરસમાં રોજગારી ક્ષેત્રે જેટલી નવી નોકરીઓ સર્જાઈ, કયા ક્ષેત્રમાં સર્જાઈ એની વિગતો આપે તો અંદાજપત્રની સ્પીચ વધુ અર્થસભર બને.

રોજગારીનું સર્જન એ તો આજની સળગતી સમસ્યા છે અને તે દ્વારા જ અર્થતંત્રની બધી સમસ્યાઓ (ઉત્પાદનની, માગની, વપરાશની, ભાવવધારાની) હલ કરી શકાય એ પણ નિર્વિવાદ છે.

આજે સીપીઆઈનો ભાવવધારો પણ છેલ્લાં પાંચ વરસની ટોચે છે. કહેવાની જરૂર નથી કે આર્થિક વિકાસના દરમાં પા કે અડધા ટકાની વધઘટથી કદાચ સામાન્ય માણસના જીવનને બહુ ઓછી અસર થાય છે પણ આજે સાત ટકાથી ઉપરનો ભાવવધારો અને તેમાં પણ ફૂડ આર્ટિકલ્સનો 14 ટકાનો ભાવવધારો સામાન્ય માણસ કે ગરીબને સૌથી વધુ સ્પર્શે છે તો તે આ બે પાયાની સમસ્યાઓ (બેરોજગારી અને ભાવવધારો) વિષે નાણાપ્રધાનની સ્પીચમાં અકળ મૌન કેમ?

આપણે અંદાજપત્ર રજૂ કરવાની તારીખ બદલવાની પહેલ કરી શકીએ, તેનો ટાઈમ (સાંજના પાંચને બદલે સવારના અગિયાર), રેલ્વે બજેટને મુખ્ય અંદાજપત્રમાં સમાવિષ્ટ કરવાની પહેલ કરી શકીએ તો અંદાજપત્રની સ્પીચનો ઢાંચો બદલવાની અને તેને વધારે ધારદાર બનાવવાની પહેલ કેમ ન કરીએ?

રહી વાત ફિસ્કલ ડેફિસિટની સરકારી તિજોરી કોર્પોરેટ વેરાના ઘટાડાથી, ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સની નાબૂદીથી અને કરવેરાના દરના ઘટાડાથી હજારો કરોડની આવક ગુમાવવાની હોય તો સરકારની આવક ક્યાંથી વધશે અથવા તો ફિસ્કલ ડેફિસિટના લક્ષ્યાંક કેવી રીતે જળવાઈ રહેશે એ વિષે જજમેન્ટ બેસવું આજે શક્ય નથી અને એ વાજબી પણ નથી એ માટે બજેટ પેપર્સની રાહ જોવી રહી.

છતાં એ ઉલ્લેખ કરવો રહ્યો કે ફિસ્કલ ડેફિસિટનાં આંકડા કરતા જેની ચર્ચા ભાગ્યે જ થતી હોય છે તે રિવેન્યુ ડેફિસિટનો આંકડો વધુ મહત્ત્વનો છે અને ફિસ્કલ ડેફિસિટ પરસન્ટેજ પોઈન્ટ વધી કે ઘટી તે કરતાં સરકારી ખર્ચનું કોમ્પોઝીશન (ઘટકો) અને ક્વોલિટી (ગુણવત્તા) વધુ મહત્ત્વના છે.

એ સાથે માત્ર કેન્દ્ર સરકારની ફિસ્કલ ડેફિસિટ નહીં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોની કુલ ફિસ્કલ ડેફિસિટની ચર્ચા જ વધુ અર્થસભર ગણાય.

આજે કેન્દ્ર સરકાર વધુને વધુ કરવેરાના નાણા રાજ્યોને ફાળવે છે અને રાજ્ય સરકારો સબસિડી (રોકડ સહાય) અને ખેડૂતોના દેવા માફ કરવાના તેનો કેવો ખોટો વ્યય કરે છે તેની વિગતે ચર્ચા હવે પછીના લેખમાં કરીશું.

કેન્દ્ર સરકારના પોતાના સબસિડીના ખર્ચનો ઉલ્લેખ કરવાનું પણ નાણાપ્રધાને ટાળ્યું છે. તે ઘટાડીને પણ ફિસ્કલ ડેફિસિટ સરભર કરી શકાય.

બદલાતા વિશ્વ સાથે અને વધતી જતી ગળાકાપ હરિફાઈમાં ઊભા રહેવા માટે પણ આપણે દોડવું પડશે. પાંચ ટ્રિલ્યન ડૉલરનું 2024ની સાલનું વડા પ્રધાનનું સ્વપ્ન સાકાર કરવાના ભગીરથ કામમાં આ બજેટ પુશ કરશે પણ ચાલુ વરસે કે આવતે એક વરસમાં આર્થિક ચિત્ર કેટલું સુધરશે એ કહેવું કઠિન છે. એ માટેની તક નાણાપ્રધાને ગુમાવી છે એમ તો ન કહી શકાય પણ એનો વધુ સારો ઉપયોગ જરૂર કરી શકાયો હોત.

શું બજાર તૂટ્યું એટલે બજેટ બુરું? બજેટમાં સારું ઘણું–ઘણું છે, તેને સમય આપો!

જયેશ ચિતલિયા

નવા દાયકાનું સૌથી કપરું ગણાયેલું બજેટ કપરું તો નહીં, કિંતુ થોડું કોમ્પલેક્ષ જરૂર નીકળયું એમ કહી શકાય. નાણાં પ્રધાને જેટલું લાંબું પ્રવચન આપ્યું તેટલું બજેટમાં કંઈ નકકર આપ્યું નથી એવું પહેલી નજરે ચોકકસ લાગી શકે. કિંતુ બજેટને બારીકાઈથી જોવામાં આવે તો સંખ્યાબંધ નાની-નાની જાહેરાત એવી છે જે અર્થતંત્રને , ઉત્પાદનને અને રોજગાર સર્જનને વેગ આપશે. ખાસ કરીને કૃષિ સેકટર અને ઉત્પાદનને વિશેષ વેગ આપશે. અલબત્ત, શેરબજારે એક હજાર પોઈન્ટનું ગાબડું પાડીને પહેલી ઈમેજ બજેટ બુરું હોવાની ઊભી કરી છે. આ ખરેખર તો બજારનો સ્વભાવ રહયો છે, ઊંચી અપેક્ષા રાખો, માત્ર પોતાની માટે આશા રાખો અને પછી  ઊંચી નિરાશા દર્શાવો, પરંતુ હા, બજાર શાણું પણ હોય છે, તે સાવ અણસમજુ નથી, તેની માટે તાત્કાલિક કંઈ નથી , એટલે તેણે નિરાશા બતાવી છે. બાકી જેમ બજેટની જાહેરાતોનો  ઉઘાડ થશે તેમ બજાર રિકરવી પણ બતાવશે. શોર્ટ ટર્મ માટે બજારને નિરાશા  મળી છે, કિંતુ લોંગ ટર્મ માટે આશા રાખી શકાય એવું ઘણું છે, જેને સમય આપવો પડશે. આપણે અહિ આશા-નિરાશા બંનેને સમજવાનો પ્રયાસ કરીએ.

કરદાતાની વાતમાં કન્ફ્યુઝન

નાણાં પ્રધાને કરદાતાઓને ટેકસ સ્લેબમાં  રાહત તો આપી,પરંતુ રાહત સાથે ગુંચવણ પણ આપી છે. ઈન્કમ ટેકસના દર ઓછાં કરવા સાથે નાણાં પ્રધાને સંખ્યાબંધ ડિડકશન (કર કપાત-રાહત)  પાછાં ખેંચી લીધા છે. જો કે નાણાં પ્રધાને કરદાતાઓને વિકલ્પ આપ્યો છે, કાં કપાતનો લાભ લો અથવા નીચા દરનો લાભ લો. આ લાભ કયાં વધુ અને કઈ રીતે વધુ છે તે સમજવું કરદાતા માટે સરળ નહી હોય, તેણે ફરજિયાત ટેકસ કન્સલટન્ટની સલાહ લેવી પડશે. આમાં પણ હજી કયા ડિડકશન રહેશે કયા નાબુદ થઈ જશે એ પુરેપુરું સ્પષ્ટ નથી. આ સત્ય હવેપછી બહાર આવી શકે. જો કે એક સારું પરિબળ એ કહી શકાય કે જેઓ અત્યારસુધી માત્ર ટેકસ બચાવવા માટે રોકાણ કરતા હતા તેઓને હવે આવું કરવું પડશે નહીં. તેઓ નીચા કરના દરનો સીધો લાભ લઈ શકશે.  એક વાત એ પણ નોંધવી રહી કે કરદાતાઓની પરેશાની-હેરાનગતિ ન થાય એ માટે સરકાર સક્રિય બની છે. નવી એસેસમેન્ટ સ્કીમમાં માનવ દરમ્યાનગીરી દુર કરીને સરકારે મોટી રાહત આપી ગણી શકાય. આ ઉપરાંત વિવાદ સે વિશ્વાસ તકની સ્કીમ પણ આવકાર્ય કહી શકાય. કર વિવાદ ઘટે એ દેશના હિતમાં છે. સરળીકરણ પણ આ વિષયમાં સૌથી મહત્ત્વનું પરિબળ છે.  જીએસટી માટે પણ સરકાર એપ્રિલથી નવું સરળ ફોર્મ લાવશે.

નિરાશાની વાત

બજેટે કોઈ એક સેકટરને કંઈ જ નકકર કહી શકાય એવું આપ્યું નથી. દાખલા તરીકે ઓટો સેકટર, રિઅલ્ટી સેકટર, વગેરેને મોટી આશા હતી. નિકાસ માટે પણ સીધેસીધો લાભ દેખાય એવું પણ જાહેર થયું નથી. રોજગાર સર્જન માટે પણ સચોટ અને તાત્કાલિક  પરિણામ આપે એવું પણ નહીંવત સમાન છે. બચતને પ્રોત્સાહન મળે કે સિનીયર સીટિઝનને રાહત થાય એવી કોઈ જાહેરાતનો અભાવ છે.

કંપનીઓને કર રાહત આવકાર્ય

આ વાત થઈ વ્યકિતગત આવક વેરાની. બાકી કોર્પોરેટ -કંપનીઓ પરના આવકવેરામાં બજેટે અગાઉની જાહેરાત મુજબ રાહત આપી જ છે, જેથી આ કરનો દર વિશ્વમાં ઘણાં દેશોની તુલનાએ નીચો થઈ ગયો છે. નવી કંપની  ઉત્પાદન એક  સ્થાપે ત્યારે તેને માત્ર 15 ટકા ઈન્કમ ટેકસ લાગશે. વિદેશી કંપનીઓ આને કારણે ભારતમાં ઉત્પાદન એકમ સ્થાપવા આગળ આવે એવું માની શકાય. ખાસ કરીને હાલ જયારે ચીનમાં કોરોનો વાઈરસની સ્થિતી ફેલાઈ છે  અને ગ્લોબલ સ્તરે અનિશ્રિંતતા  પ્રવર્તી રહી છે ત્યારે પણ ભારત ઈન્વેસ્ટમેન્ટનું  આકર્ષક કેન્દ્ર બની શકે.  પાવર સેકટરની કંપનીઓને પણ આ કર રાહતનો લાભ અપાયો એ નોંધવું મહત્ત્વનું છે. કંપનીઓને ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેકસમાં રાહત આપીને પણ બજેટે તેનો બોજ ઘટાડયો છે.

કૃષિ માટે  નવો અભિગમ સમજવો જરૂરી

ખેડુતોની આવક બમણી કરવી , સામાજીક યોજનાઓ પાછળ મોટેપાયે નાણાં ખર્ચ કરવા વગેરે જેવી બાબતો  સરકારે માત્ર ફરી-ફરી દોહરાવી છે. કિંતુ કિસાનને ધિરાણમાં સુવિધા, કિસાન રેલ, કિસાન ઉડાન વગેરે જેવી બાબતો નવી કહી શકાય. નોન-બેન્ંિકગ ફાઈનાન્સ કંપનીઓને તેમ જ કો-ઓ બેંકોને ધિરાણ બાબતે સક્રિય બનવાની બાબત આવકાર્ય કહી શકાય. આ જ રીતે વેરહાઉસિંગની સુવિધા , લોજિસ્ટીક , સોલાર એનર્જી, જળ પુરવઠાની વ્યવસ્થા, મહિલાઓ માટે રોજગાર તક, વગેરેનો સપોર્ટ પણ આવકાર્ય કહેવાય. આ સાથે હોર્ટીકલ્ચરને પ્રોત્સાહન વગેરે જેવા પગલાં આખરે તો નિકાસને વેગ આપવામાં મહત્ત્વની ભુમિકા ભજવશે.

બેંકના ડિપોઝિટ ધારકોને રાહત

હજી થોડા મહિના પહેલાની પીએમસી  (પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓ.બેંક) બેંકની કટોકટીમાં અનેક ખાતા ધારકોના નાણાં અટવાયા ત્યારે  બેંકમાં મુકાયેલા નાણાં કેટલા સલામત છે એ સવાલો ઊઠયા હતા અને એ સમયે બેંકમાં મુકાયેલી-જમા કરાયેલી રકમ કેટલી પણ હોય તેનું વીમા રક્ષણ માત્ર એક લાખ રૂપિયા જેટલું જ  હતું . અર્થાત બેંક ડુબે કે નાદાર થાય તો ધારકને માત્ર એક લાખ રૂપિયા સુધીની રકમ વીમા પેટે પાછી મળતી. આ રકમ લગભગ અઢી દાયકાથી એની એ જ રહી હતી. આ બજેટમાં આ વીમા રક્ષણની રકમ વધારીને પાંચ લાખ કરી દેવાઈ છે. આ કદમ મારફત  બેંક ખાતા ધારકોને મોટી રાહત મળી છે.

સિનીયર સિટીઝન્સની અપેક્ષા ફળી

સિનીયર સિટીઝનને બેંકોમાં ડિપોઝીટ પર મળતા નીચા વ્યાજની ગંભીર ચિંતા  રહેતી હોય છે, જે તેમની આવકનું મુખ્ય સાધન હોય છે. આ વર્ગની  લાંબા સમયથી  વ્યાજ વધારા તેમ જ અન્ય  રાહત માટેની માગ ઊભી હતી. જેને બજેટે ધ્યાનમાં લીધી નહીં. પણ હા, સિનીયર સિટીઝન્સ  સંબંધી યોજના માટે મોટી રકમ ફાળવીને કયાંક આશ્વાસન જેવી રાહત આપી છે.   સરકારે આ વર્ગ માટે  નકકર પગલાં ભરવાની જરૂર હતી.

કેપિટલ ગેઈન ટેક્સ રહયો, કિંતુ

મુડીબજારને  લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસની રાહતની આશા ખુબ હતી, જેને બજેટે નિરાશ કર્યા છે.  સંભવત તેનો સમય ગાળો લંબાવીને પણ રાહત આપી  શકાત ,કિંતુ બજેટે તે પરિબળની ઉપેક્ષા કરી છે, જો આ આશા ફળી હોત તો કમસે કમ સેન્સેકસ પાંચસો પોઈન્ટ ઓછો તુટયો હોત એવું  ધારી શકાય.  ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેકસ  દુર કરવાની  માગને બજેટે પુરી કરીને કંપનીઓને મોટી રાહત આપી છે. આ રાહત મ્યુચયુઅલ ફંડસને પણ મળશે. આ ઉપરાંત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની બોન્ડસમાં  રોકાણ મર્યાદા  વધારવાની અપેક્ષાને પણ પુરી કરાઈ છે. જેને પગલે બહુ જંગી વિદેશી રોકાણ આ માર્ગે ભારતમાં આવશે.

શિક્ષણ, સ્વાસ્થ્ય, વગેરે

બજેટે આ વખતે શિક્ષણ, સ્વાસ્થ્ય, જળ વ્યવસ્થા, સેનિટેશન, સ્વચ્છતા જેવી બાબતો પર વિશેષ ભાર મુકયો છે. જે સારી જાહેરાત છે. શિક્ષણ ક્ષેત્રમાં તો સરકારે સીધા વિદેશી રોકાણને પણ માર્ગ કરી આપ્યો છે. જેના દ્રારા સરકાર શિક્ષણનું સ્તર-ગુણવત્તામાં ધરખમ સુધારા લાવવા માગે છે. વિદેશોથી પણ લોકો અહીં અભ્યાસ માટે આવે એવું લક્ષ્ય પણ છે. આ સાથે ટુરિઝમ માટે પણ બજેટે કંઈક અંશે પ્રોત્સાહન આપ્યું છે.

ખાનગીકરણની  દિશામાં

એક ખાસ નોંધવા જેવી વાત એ છે કે સરકારે બેંકોના મર્જરનો મામલો આગળ વધારવાનું અને ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત નાણાં ઊભા કરવાનું પગલું પણ ભર્યુ છે. ભવિષ્યમાં સરકાર વધુને વધુ ખાનગીકરણ તરફ તેમ જ ખાનગી ભાગીદારી તરફ આગળ વધશે એવો સ્પષ્ટ નિર્દેશ આ બજેટમાં અપાયો છે. રેલ્વે સહિત ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટમાં ખાનગી રોકાણ વિના આગળ વધવું સરકાર માટે કઠિન જ નહીં, અસંભવ પણ છે. આથી જ સરકારે આ મામલે વિદેશી –ખાનગી રોકાણને રાહત પણ આપી છે. મોબાઈલ થી માંડી ઈલેકટ્રોનિકસ સાધનો, મેડિકલ ડિવાઈસીસના ઉત્પાદનને પણ વેગ આપવાનો પ્લાન જાહેર થયો છે, જેમાં સફળતાની પણ ઊંચી શકયતા છે. ખાસ કરીને નેશનલ મોબાઈલ મેન્યુફકેચરિંગ સ્કીમનો પ્રસ્તાવ મહત્ત્વનો છે. આ જ રીતે ઓઈલ અને ગેસ માટે પણ પ્લાન છે. ટેકનોલોજી અને ઈનોવેશન સહિત સ્ટાર્ટઅપ્સ માટે પણ બજેટે મહત્ત્વાકાંક્ષી પ્લાન ઘડયા છે. નેશનલ લોજિસ્ટીક પોલીસી લાવવી, 100 નવા એરપોર્ટ બનાવવા, ઈલેકટ્રિસીટી બચત  સંબંધી યોજના પણ લાંબા ગાળાનું નકકર કદમ કહી શકાય.

સામાજીક કલ્યાણના માર્ગે

સામાજીક કલ્યાણ યોજનાના ભાગરૂપે બજેટે મહિલા, બાળકો, પછાત વર્ગ,વગેરે માટે પણ જંગી ફાળવણી કરી છે. આયુષમાન ભારત વિસ્તારવાની યોજના સાથે તેના લાભ  હેઠળ વધુ માંદગીઓને આવરી લેવાનું લક્ષ્ય પણ ઘડયું છે. સરકાર ઈઝ ઓફ લિવિંગ મારફત , સુર ક્ષિત માહોલ મારફત રાષ્ટ્રમાંખુશીનો માહોલ બનાવવા માગે છે. આ વિચાર સામે કેટલાંક ચોકકસ વર્ગ દ્રારા  સવાલ અને શંકા થઈ શકે છે.પરંતુ બજેટે આ લક્ષ્ય રાખ્યું છે એ હકીકત પણ જોવી જોઈશે.

એલઆઈસીનો આઈપીઓઃ અનોખી ઘટના

સરકારે બજેટમાં એલઆઈસીનો આઈપીઓ લાવવાની તેમ જ આઈડીબીઆઈ બેંકમાંથી પોતાનો હિસ્સો ઘટાડવાની જાહેરાત કરી તે નોંધપાત્ર ઘટના કહી શકાય. આ મારફત સરકાર પોતાના ખર્ચ માટે ભંડોળ  ઊભું કરશે અને રોકાણકાર વર્ગને એલઆઈસીના શેરમાં  જબરદસ્ત તક મળશે. જો કે એલઆઈસી આઈપીઓ લાવશે ત્યારે તેની સામે પારદર્શકતાના સવાલ ઊભા થવાની ભીતિ વ્યકત થઈ રહી છે, જેના  કારણ જાહેર છે, તેની સ્પષ્ટતાની જરૂર નથી. આ એક સંવેદનશીલ મુદો્ કહી શકાય.

બુલિયન એકસચેંજ  મહત્ત્વનું કદમ

લાંબા સમયથી ગોલ્ડ એકસચેંજની વાત ચાલતી હતી, આ બજેટે ગિફટ સીટીમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ સર્વિસ સેન્ટર ખાતે નેશનલ બુલિયન સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે, જેની લાંબા ગાળાની  અસર જોવાશે. સોનાના ભાવ માટે ભારત મહત્ત્વનું કેન્દ્ર બની શકે એવી શકયતા આનાથી ઊભી થશે.

બજેટમાં કરાયેલી કેટલીક જાહેરાત વાયદા જેવી છે. તેનો નક્કર અમલ થાય તો જ સાર્થકતા છે. આવી વાતો અગાઉ પણ ઘણીવાર થઈ છે, આ વખતે સરકારે પરિણામ વહેલું લાવવું જોઈશે

આમ બજેટે ઘણું ઝીણું-ઝીણું આપ્યું છે , જે નરી આંખે દેખાશે નહીં, કિંતુ તેને સમજવું પડશે. સમજવા માટે સમય આપવો જોઈશે. માત્ર શેરબજાર તુટવાના કારણને લઈ બજેટને બુરું ગણાય નહીં.

(જયેશ ચિતલિયા – આર્થિક પત્રકાર)