Home Blog Page 4827

મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ વધ્યોઃ શું અર્થતંત્ર પાટે ચડી રહયું છે?

અમદાવાદઃ જાન્યુઆરીમાં દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કામગીરી આશરે આઠ વર્ષની ઊંચાઈએ પહોંચી હતી. જાન્યુઆરીમાં  નવા બિઝનેસ ઓર્ડર્સમાં વધારો થયો હતો, જે માગમાં રિકવરી થઈ રહી હોવાના સંકેત છે. વેચાણમાં વધારો થવાને કારણે ઉત્પાદન એકમોમાં વધુ કર્મચારીઓની ભરતી થઈ હતી, જે પાછલાં સાત વર્ષમાં સૌથી વધુ છે. જેથી અર્થતંત્ર પાટે ચડી રહ્યું હોવાનું જણાય છે. આ એક ખાનગી સર્વેમાં જણાઇ આવ્યું છે.

દેશમાં અર્થતંત્રમાં પ્રસરેલી મંદીની વચ્ચે પાછલા કેટલાક મહિનાઓમાં પહેલી વાર સકારાત્મક આંકડા આવ્યા છે. દેશનો જીડીપી ગ્રોથ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 4.5 ટકાએ હતો, જે છ વર્ષમાં સૌથી નીચલા સ્તરે હતો.

જાન્યુઆરીમાં માગમાં નોંધપાત્ર વધારો થવાને કારણે નવા વેપાર, ઉત્પાદનવધારો, નિકાસ, એકમોની ખરીદીમાં વધારો અને રોજગારમાં વધારો થયો હતો. આ સમયગાળામાં બિઝનેસ સેન્ટિમેન્ટ પણ સાનુકૂળ રહ્યું હતું.

જાન્યુઆરીમાં ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ ડિસેમ્બરના 52.7ની તુલનાએ 55.3 આવ્યો હતો. જે છેલ્લાં આઠ વર્ષમાં સૌથી વધુ હતો. જે ફેબ્રુઆરી, 2012 પછી પીએમઆઇનો સૌથી વધુ ગ્રોથ છે. આ પીએમઆઇ ઇન્ડેક્સ 50ની નીચે હોય તો વેપારનું સંકોચન દર્શાવે છે અને 50ની ઉપર હોય તો વેપારનું વિસ્તરણ દર્શાવે છે.

સતત છેલ્લા 30 મહિનાથી મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ 50ની ઉપર આવી રહ્યો છે, જે દર્શાવે છે કે વેપારમાં  વિસ્તરણ થઈ રહ્યું છે. વળી, કુલ વેચાણમાં વધારો વિદેશનાં બજારોની માગને મજબૂત કરશે.  નવેમ્બર, 2018થી નવા નિકાસ ઓર્ડર્સમાં ઝડપી વધારો થઈ રહ્યો છે.

નીતિશકુમારની નૌટંકીઃ કોઈને ના સમજાતું નાટક

બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે નવી નૌટંકી શરૂ કરી છે. તેમણે ખાસ ગણાતા પ્રશાંત કિશોરને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. પ્રશાંત કિશોરને જનતા દળ (યુ)ના ઉપપ્રમુખ બનાવાયા હતા. એવું લાગતું હતું કે જાણે તેઓ કિશોરને વારસદાર તરીકે નીમી રહ્યા છે. આગળ જતા પોતે દિલ્હીમાં જાય તો પાછળ બિહારનું સુકાન કિશોરને સોંપી શકાય. જેડીયુના દિલ્હી ખાતેના સારા પ્રવક્તા તરીકે જાણીતા પવન વર્માને પણ હાંકી કાઢવામાં આવ્યા છે. પવન વર્માએ વિરોધ કર્યો હતો કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે જોડાણ કરવાનો શો અર્થ છે. એક તરફ સીએએ અને એનઆરસીનો વિરોધ અને વળી પાછી ભાજપ સાથે દિલ્હીમાં દોસ્તી – એ ક્યા નૌટંકી હુઈ ભઈ?

આવો સવાલ માત્ર પવન વર્માએ નહિ, પણ ઘણાએ પૂછ્યો છે. પરંતુ નીતિશકુમારની નૌટંકી એબ્સર્ડ ડ્રામા જેવી સાબિત થઈ રહી છે. એપ્સર્ડ પ્લે તેના લખનારાને પણ સમજાતું હશે કે કેમ, જોનારાને ભાગ્યે જ સમજાતું હોય છે. તેનું વિવેચન વાંચવું પડે ત્યારે સમજ પડે, અથવા કહો કે ગેરસમજ ઉલટાની વધે. નીતિશકુમારના કિસ્સામાં એવું જ થઈ રહ્યું છે. તેઓ વારંવાર પલટી મારીને દેશના શ્રેષ્ઠ પાટલીબદલુ સાબિત થઈ રહ્યા છે. ભાજપ સાથે દોસ્તી તોડવાની તૈયારી કરી રહ્યા છે એવું વિવેચન તેમનું એબ્સર્ડ થિયેટર જોઈને થયું હતું. તે વિવેચન ગેરસમજ કરનારું હોય તે રીતે તેઓ દિલ્હી પહોંચીને ભાજપના નેતા અમિત શાહ સાથે સભાઓ ગજવી રહ્યા છે.

એવું કહેવાય છે કે અમિત શાહે થોડા વખત પહેલાં, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ હતા ત્યારે જ, જાહેરમાં એવી સ્પષ્ટતા કરી દીધી હતી કે બિહારમાં નીતિશના નેતૃત્ત્વમાં ચૂંટણી લડાશે. ગઠબંધન રહેશે, પણ મુખ્યપ્રધાન નીતિશ રહેશે તેવી ખાતરી મળી એટલે તેઓ અમિત શાહની જીહજૂરી કરવા માટે દિલ્હીમાં હાજર થઈ ગયા. પણ તો પછી તક મળ્યે, એટલે કે ઝારખંડ પછી દિલ્હીમાં પણ વિધાનસભામાં ભાજપને જીત ના મળે તો ભાજપથી જુદા થઈ જવાની વાત ક્યાં જતી રહી?

કદાચ બંને પક્ષે ગરજ ઊભી થઈ છે. બિહારમાં એકલે હાથે ચૂંટણી જીતી શકાશે નહિ તે ભાજપને સમજાઈ ગયું છે. સાથે જ નીતિશકુમારને ખ્યાલ આવી ગયો કે પાટલીબદલુની છાપ પછી હવે તેના પર આરજેડી અને કોંગ્રેસના ટેકેદારો વિશ્વાસ કરશે નહિ. તેથી તેમના માટે પણ એકલા હાથે ચૂંટણી લડવી મુશ્કેલ છે. આરજેડી અને કોંગ્રેસના શરણમાં જઈને સમાધાન થઈ શકે તેવી એક શક્યતા હતી, પણ તે બહુ મુશ્કેલ કામ તેમને લાગ્યું હશે. શરણમાં બેસીને સાવ સામાન્ય થઈ જવાનું હોય તો પછી ભાજપ સાથે જ સામાન્ય થઈને શા માટે ના રહેવું? કદાચ એવું તેમણે વિચાર્યું હશે.

સીએએ માટે ટેકો આપ્યો પણ પછી નીતિશકુમારે ગણગણાટ શરૂ કર્યો હતો. ત્યારબાદ એનઆરસીના મુદ્દે સ્પષ્ટ વલણ લીધું હતું કે બિહારમાં તેનો અમલ નહિ થાય. તેમણે કબાટમાં પડેલા પોતાના બિનસાંપ્રદાયિક ધોતિયાને કાઢીને ફરી પહેરી લીધું હતું. પ્રશાંત કિશોરની સલાહ પ્રમાણે એનઆરસીનો વિરોધ કોમવાદી ધોરણે નહિ, પણ ગરીબવાદી ધોરણે કરવાની સ્ટ્રેટેજી ઉપયોગી થાય તેવી હતી. પ્રશાંતની સલાહ પ્રમાણે ભાજપનો, નરેન્દ્ર મોદીનો, સીએએ કે એનઆરસીનો સીધો વિરોધ કરવાના બદલે, ગરીબ માણસો પાસે દસ્તાવેજો ના હોય, ગરીબ માણસોને હેરાન ના કરાય એવો સૂર વ્યક્ત કરવાનો હતો.

નોટબંધીમાં સામાન્ય માણસ હેરાન હેરાન થઈ ગયો હતો. આસામમાં એનઆરસી આવ્યું તેના કારણે પાંચ લાખ હિન્દુઓ જ બાકાત થઈ ગયા. અમે બિહારના ગરીબોને, જમીનવિહોણાને, જન્મતારીખના દાખલા ના ધરાવતા લોકોને હેરાન કરવા માગતા નથી તેવો મુદ્દો જેડીયુને કામ લાગે તેવો હતો, પણ નીતિશકુમારે તેમની નૌટંકીમાં નવો જ અંક શરૂ કર્યો છે. તેમણે પ્રશાંત કિશોર અને પવન વર્મા બંનેને દૂર કર્યા છે. આ બંને કદાચ હવે આમ આદમી પાર્ટી કે પછી સરપ્રાઇઝ સાથે કોંગ્રેસમાં પણ જોડાઈ શકે છે. વચ્ચે પવન વર્માએ એક મુલાકાતમાં એવો ધડાકો પણ કર્યો હતો કે નીતિશકુમાર એક તબક્કે કોંગ્રેસમાં જોડાઈ જવા માગતા હતા. આખી પાર્ટી સહિત કોંગ્રેસમાં ભળી જવાની તેમની ગણતરી હતી તેવું પવન વર્માએ કહ્યું હતું. જોકે તે વિવાદ બહુ આગળ વધ્યો નથી.

બીજી વાત એ છે કે પ્રશાંત કિશોર અને પવન વર્મા દિલ્હીમાં હોવાથી તેમનું કદ વધવા લાગ્યું હતું. નીતિશકુમારે (અને તેમના જેવા ચાલાક દરેક નેતાએ) તેમના અસલ રાજકારણ પ્રમાણે ક્યારેય પોતાના ટેકેદારોને એક હદથી આગળ વધવા દીધા નથી. આ બંને નેતાઓનું કદ વધી રહ્યું હતું એટલે તેમને હટાવવા જરૂરી હતા. રાષ્ટ્રીય કક્ષાએ આ બંને નેતા જેડીયુના ચહેરા બની ગયા હતા. પ્રવક્તા તરીકે અને વ્યૂહકાર તરીકે બંને ટીવીમાં સતત ચમકતા હતા. હવે આ બંનેને જેડીયુના નવા આવેલા પ્રવક્તાઓ ‘કોરોના વાયરસ’ કહે છે! નીતિશકુમારે કહ્યું કે પોતાને અમિત શાહની ભલામણ હતી એટલે પ્રશાંત કિશોરને પક્ષમાં લીધા હતા. આ રીતે તેમણે પ્રશાંત કિશોરની છાપને ભાજપતરફી, હિન્દુત્વતરફી, ઉગ્રતાતરફી ઠરાવવાની પણ કોશિશ કરી છે.

પ્રશાંત કિશોર અને પવન વર્મા બીજા કયા ચોંકાવનારા ખુલાસા કરે છે તેની હવે રાહ જોવાઈ રહી છે. તે સાથે જ બિહારનું અને નીતિશકુમારનું નાટક વધારે રોચક બનવાનું છે. દિલ્હી રાજ્ય નાનું છે અને પૂર્ણ કક્ષાનું રાજ્ય નથી. ભાજપે વાતને આડે પાટે ચડાવવા કોશિશ કર્યા પછીય દિલ્હીમાં તક દેખાતી નથી, તેથી દિલ્હીને બહુ મહત્ત્વ ના આપવું તેવું વલણ લીધેલું જણાય છે. દિલ્હીમાં ભાજપની બેઠકો વધવાની છે તે નક્કી છે, તેથી આ ચૂંટણીને તેનાથી વધુ મહત્ત્વ ના આપવું તે ભાજપની સ્ટ્રેટેજી છે.

અસલી પડકાર હવે પછીની બે ચૂંટણીઓમાં આવવાનો છે – બિહારની અને પશ્ચિમ બંગાળની. તેમાં પ્રથમ વર્ષના અંતે બિહારની ચૂંટણી આવશે. બિહાર પશ્ચિમ બંગાળનું પડોશી રાજ્ય છે અને થોડી ઘણી અસર પડોશી રાજ્યના રાજકારણમાં કરી શકે છે. તેથી બિહારમાં પરિણામોમાં અણધાર્યું કશુંક થાય તો પશ્ચિમ બંગાળમાં ભાજપની સ્ટ્રેટેજી ઊંધી વળી શકે છે. ભાજપનો અસલી પડકાર અને લક્ષ્ય પશ્ચિમ બંગાળ છે. ત્રિપુરાની જેમ ઉલટફેર કરીને પશ્ચિમ બંગાળમાં પ્રથમવાર સત્તા મેળવવાનું ભાજપનું લક્ષ્ય છે. દક્ષિણમાં કર્ણાટક માર્ગે પ્રવેશ થયો છે, તે રીતે પૂર્વમાં પશ્ચિમ બંગાળ મારફતે પ્રવેશને મજબૂત કરવાનો છે. અરૂણાચલ, આસામ, ત્રિપુરામાં સફળતા મળી છે, પણ તે નાના રાજ્યો છે. પશ્ચિમ બંગાળ જેવું મોટું રાજ્ય અને એક જમાનાનું ડાબેરીનું ગઢ ગણાતું રાજ્ય હાથમાં આવે તેની અસર નજીકમાં ઓડિશામાં અને દૂર કેરળમાં પણ પડી શકે.

નીતિશકુમાર આ વાત સમજતા હશે. તેઓ જાણતા હશે કે એનઆરસી મુદ્દે દબાણ કરીને પોતાનું નેતૃત્ત્વ પાકું કરાવી શકાશે. મહારાષ્ટ્રમાં શિવસેના અને ઝારખંડમાં આજસુ જેવી પોતાની સ્થિતિ ના થાય તે માટે તેઓ સાવધ થઈ ગયા હતા. રાષ્ટ્રીય સ્તરે જવાનું તેમનું સપનું હવે સાકાર થાય તેવું લાગતું નથી, કેમ કે તેમણે જાતે જ પગ પર કુહાડો માર્યો છે. તે સંજોગોમાં બિહાર સાચવી રાખવું તેમના માટે જરૂરી છે. સાથે જ બિહાર જાળવી રાખવું ભાજપ માટે પણ જરૂરી છે. તેથી પરસ્પરની ગરજને કારણે અત્યારે બંને પક્ષો સાથે રહ્યા છે, પણ ભાજપ બિહારમાં પોતાની રીતની તૈયારી તો રાખશે જ. નીતિશના નાટકને ભાજપ એકથી વધુ વાર જોઈ ચૂક્યું છે. દિલ્હીના પરિણામો, બજેટના પડઘા શેરબજારમાં અને નાણા બજારમાં અને ઉદ્યોગમાં શું પડે છે તે પણ નાણાકીય વર્ષના અંત સુધીમાં ખબર પડશે. નાણાકીય વર્ષનો અંત માર્ચમાં આવશે તે સાથે ગરમી વધશે, રાજકીય ગરમી પણ વધશે અને તે પછી રાજકીય નાટકોના નવા અંક ખુલશે. જોતા રહેજો.

ઉધ્ધવ ઠાકરેને સીએએ નહીં, એનઆરસી સામે વાંધો

મુંબઈઃ NRC અને CAA મામલે તમામ વિપક્ષી પાર્ટીઓ એકસૂરમાં વિરોધ કરી રહી છે પરંતુ આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો મિજાજ કંઈક અલગ છે. ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપ્યા છે કે તેઓ નાગરિકતા કાયદાની વિરુદ્ધમાં નથી પરંતુ એનઆરસી અને એનઆરપીનો વિરોધ કરશે. જો કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની મહારાષ્ટ્રમાં સહયોગી પાર્ટી કોંગ્રેસ આ મામલે જોરદાર વિરોધ કરી રહી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર સામનામાં ઈન્ટરવ્યૂ આપતા કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત કોઈપણને દેશમાંથી બહાર ન કાઢી શકાય. આ સાથે જ તેમણે કહ્યું કે, અમે મહારાષ્ટ્રમાં એનઆરસી લાગૂ નહી થવા દઈએ, કારણ કે આનાથી હિંદુઓને પણ પોતાની નાગરિકતા સાબિત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, એનઆરસી અંતર્ગત ન માત્ર મુસ્લિમ પરંતુ હિંદુઓને પણ પોતાની નાગરિકતા સાબિત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એટલા માટે હું એનઆરસીને અહીંયા લાગુ નહી થવા દઉં.

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા કાયદાને લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ ઘણી જગ્યાઓ પર લોકો ઘણા દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે. જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી બહાર ગઈકાલે રાત્રે બે લોકો દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જો કે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

જામિયાઃ ચાર દિવસમાં ફાયરિંગની ત્રીજી ઘટના

નવી દિલ્હી: જામિયા યુનિવર્સિટીના ગેટ નંબર-5 પાસે રવિવારે મોડી રાત્રે ફાયરિંગ થયું હતું. નજરે જોનારાઓના કહેવા અનુસાર સ્કૂટી સવાર લોકોએ ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરનારમાંથી એક એ લાલ જેકેટ પહેર્યું હતું. ફાયરિંગથી કોઇ નુકસાનના સમાચાર નથી. દિલ્હીમાં ગત 4 દિવસથી ફાયરિંગની આ ત્રીજી ઘટના છે. પોલીસે અત્યાર સુધી ફાયરિંગની સત્તાવાર પુષ્ટિ કરી નથી. ફાયરિંગની સૂચના મળતાં જ જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના બહાર લોકો એકઠા થયા છે. લોકોએ જામિયા નગર પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. એસએચઓ ઘટનાસ્થળે હાજર છે. કેસની તપાસ ચાલુ છે. પોલીસે કોઇપણ કાનૂની કાર્યવાહી કરતાં પહેલાં તથ્યોની તપાસ કરી રહી છે.ડીસીપી કુમાર જ્ઞાનેશના જણાવ્યા અનુસાર ‘ઘટના પર બુલેટનું કોઇ કવર મળ્યું નથી. જામિયા કોર્ડિનેશન કમિટી દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે કોઇ પીસીઆર કોલ થયો નથી. ઘણા લોકો જામિયા પોલીસ મથકમાં ફરિયાદ આપવા માટે ગયા હતા. ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી કરશે. અલગ-અલગ નિવેદન લોકોના મળી રહ્યા છે કોઇ ટૂ-વ્હીલ્ર તો કોઇ ફોર વ્હીલર પોલીસને જણાવી રહ્યું છે. પોલીસ ફરિયાદના આધારે તપાસને આગળ વધારશે.

આ પહેલાં શનિવારે સાંજે એક યુવકે શાહિન બાગમાં ગોળીબારી કરી હતી. ત્યાં હાજર પોલીસે ગોળી ચલાવનાર યુવકને તાત્કાલિક પકડી પાડ્યો હતો. ગોળીબારીની આ ઘટના શાહીબાગમાં તે સ્થળથી થોડે દૂર થયું હતું, જ્યાં દોઢ મહિનાથી સીએએના વિરોધી ધરણા કરી રહ્યા છે. ગોળી ચલાવનાર યુવક પૂર્વી દિલ્હીના દલ્લૂપુરા ગામનો રહેવાસી છે. આરોપીનું નામ કપિલ ગુર્જર છે અને તે એક પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરે છે. આરોપીએ હવામાં ફાયરિંગ કર્યું હતું.

ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેનું રાષ્ટ્રપિતા ગાંધીજી વિરુદ્ધ શરમજનક નિવેદન

બેંગલુરુ – ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અનંતકુમાર હેગડેએ ગઈ કાલે એક જાહેર સભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે અત્યંત શરમજનક નિવેદન કર્યું હતું. આ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને ગાંધીજી પર પ્રહારો કરતાં એમ કહ્યું હતું કે એમની આઝાદીની ચળવળ એક નાટક હતું.

હેગડે ઉત્તર કનાડા મતવિસ્તારમાંથી છ વખત લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. એમણે કહ્યું કે આઝાદીની ચળવળ બ્રિટિશરોના ટેકા અને મંજૂરી મુજબ લડવામાં આવી હતી.

હેગડે અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે.

ગાંધીજી વિશે હેગડેના નવા નિવેદનને કારણે મોટો ઉહાપોહ થાય એવી શક્યતા છે.

બેંગલુરુમાં એક જાહેર કાર્યક્રમમાં હેગડેએ કહ્યું હતું કે કથિત નેતાઓમાંના એકેય જણે પોલીસની લાઠીનો માર ખાધો નહોતો. એ આઝાદીની સાચી લડાઈ નહોતી. એ તો પરસ્પર સહમતિથી રચાયેલું એક નાટક હતું.

હેગડેએ ત્યાં ન અટકતાં વધુમાં એમ કહ્યું હતું કે ગાંધીજીના ઉપવાસનું આંદોલન પણ એક નાટક હતું. કોંગ્રેસના સમર્થકો કહે છે કે ગાંધીજીએ આમરણ ઉપવાસ અને સત્યાગ્રહ કરીને ભારતને આઝાદી અપાવી હતી, પણ એ સાચું નથી. અંગ્રેજોએ કંઈ ગાંધીજીના સત્યાગ્રહને કારણે દેશ છોડ્યો નહોતો. એ લોકો નિરાશ થઈને દેશ છોડી ગયા હતા. એવા લોકો આપણા દેશના મહાત્મા બની ગયા.

ચીનમાં કોરોના વાઈરસના મૃતકોના અંતિમસંસ્કાર પર પ્રતિબંધ

બીજિંગ – ચીનની સરકારે એકદમ નવી એવી કોરોના-વાઈરસ બીમારીને કારણે મૃત્યુ પામેલા લોકોના દેહને અગ્નિદાહ આપવા, દફનવિધિ કરવા કે એની અંતિમયાત્રા કાઢવા જેવી વિધિઓ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 304 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને બીજાં હજારો લોકોને તે બીમારી લાગુ પડી છે.

આ રોગના ફેલાવાને નિયંત્રણમાં રાખવા માટે ચીને અંતિમસંસ્કાર વિધિઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

જાહેર સુરક્ષા મંત્રાલય અને નાગરિક બાબતોના મંત્રાલયે તેમજ નેશનલ હેલ્થ કમિશને માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં જણાવાયું છે કે મૃતદેહોના એમનાં લોકેશનની નજીકના નિર્ધારિત સ્મશાનગૃહોમાં જ અંતિમસંસ્કાર કરવા અને મૃતદેહોને એક શહેર કે પ્રદેશમાંથી બીજા શહેરમાં લઈ જવા નહીં. એવી જ રીતે એને દફનવિધિ કરવા માટે કે કોઈ અન્ય કારણસર સાચવી રાખવા નહીં.

મૃતદેહોની અંતિમયાત્રા જેવી વિધિઓ ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે. એવી જ રીતે વધુ સૂચના એ આપવામાં આવી છે કે મૃતદેહો મેડિકલ કર્મચારીઓ દ્વારા ચેપમુક્ત કરાય અને સીલ કરેલી બેગમાં મૂકી દેવામાં આવશે અને ત્યારબાદ એને બેગ ફરી ખોલી શકાશે નહીં.

સ્મશાનગૃહોને પણ આદેશ આપવામાં આવ્યો છે કે એમણે મૃતદેહો લઈ આવવા માટે કર્મચારીઓને વિશેષ વાહનો સાથે મોકલવા તથા વાહનોને નિર્ધારિત રૂટ પરથી જ સ્મશાનગૃહે લઈ જવા.

ચીનનું વુહાન શહેર કોરોના રોગચાળાનું કેન્દ્રબિંદુ ગણાય છે. ચીનમાં હજી 400થી વધારે કોરોનાગ્રસ્ત લોકોની હાલત અત્યંત ગંભીર છે અને 1,118 જણની હાલત ગંભીર છે.

ચીનમાં કોરોનાનાં શંકાસ્પદ કેસોની સંખ્યા 19,544 છે.

ચીનમાંથી રોગ ભારત સહિત ઓછામાં ઓછા 23 દેશોમાં ફેલાયો છે. ભારતમાં બે કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ ઉપદ્રવને આંતરરાષ્ટ્રીય કટોકટી તરીકે ઘોષિત કરી છે.

NRI લોકોએ માત્ર ભારતમાં કમાયેલી આવક ઉપર જ ટેક્સ ભરવો પડશે

નવી દિલ્હી – કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે કહ્યું છે કે નોન-રેસિડન્ટ ઈન્ડિયન્સ (NRIs) વ્યક્તિઓએ માત્ર ભારતમાં મેળવેલી કમાણી ઉપર જ ટેક્સ ભરવો પડશે, ભારતની બહાર કમાયેલી આવક પર નહીં.

સીતારામને એમ પણ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21 માટેના કેન્દ્રીય બજેટમાં સૂચવાયેલા નવા ટેક્સ નિયમ અંગે અધિકારીઓ ગૂંચવણમાં પડી જાય એવું હું ઈચ્છતી નથી.

નાણાં ખરડા 2020માં દર્શાવેલી જોગવાઈ, જેનો વિવાદ થયો છે, એમાં જણાવાયું હતું કે જે કોઈ ભારતીય નાગરિક, કે જેની આવક પર બીજા કોઈ પણ દેશ કે પ્રદેશમાં વેરો વસૂલાતો નથી, તેઓ ભારતીય રહેવાસી ગણાશે. વર્તમાન કાયદા અનુસાર, ભારતીય રહેવાસીની દુનિયાભરમાંની આવક પર ભારતમાં ટેક્સ લાગુ કરવામાં આવશે.

આને કારણે જ્યાં વ્યક્તિગત આવક પર વેરો વસુલ કરાતો નથી એવા સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) જેવા દેશોમાં કામ-ધંધો કરતા બિનનિવાસી ભારતીયોને ચિંતા પેઠી છે, કારણ કે એમણે ભારતમાં કરવેરો ચૂકવવો પડશે. NRIs વ્યક્તિઓએ વિદેશમાં મેળવેલી આવક ઉપર 30 ટકા ટેક્સ ઉપરાંત સેસ અને સરચાર્જ લાગુ કરાશે.

 

સીતારામનનું કહેવું છે કે કરવેરાના હેતુઓ માટે રહેવાસી (રેસિડન્ટ) કોન્સેપ્ટની પરિભાષામાં ફેરફાર કરવા પાછળનો હેતુ ભારતમાં રહેતા નથી એવા NRIsની ભારતમાંની આવક કરવેરાની જાળથી બાકાત રહી જતી હોવાથી એને પણ જાળની અંદર લાવવાનો છે.

નાણાં મંત્રાલયે આજે ઈસ્યૂ કરેલા નિવેદનમાં એવી સ્પષ્ટતા કરી છે કે જો કોઈ ભારતીય નાગરિક ભારતના રહેવાસી હોય તો એમણે ભારતની બહાર મેળવેલી આવક પર ભારતમાં કોઈ ટેક્સ નહીં લાગે, પણ એ શરતે કે એમણે તે આવક કોઈ ભારતીય બિઝનેસમાંથી કે વ્યવસાયમાંથી મેળવેલી હોવી ન જોઈએ.

આ સ્પષ્ટતાની જરૂર જણાશે તો એને કાયદાની સંબંધિત જોગવાઈમાં જોડી દેવામાં આવશે, એમ પણ નિવેદનમાં જણાવાયું છે.

ધારો કે કોઈ ભારતીય પાસે ભારતીય પાસપોર્ટ હોય અને પોતે નોન-રેસિડન્ટ ઈન્ડિયન છે એવો તે દાવો કરે તો અન્ય કોઈ દેશમાંનું પોતાનું રહેવાસી સ્ટેટસ એણે સાબિત કરવાનું રહેશે.