Home Blog Page 4826

જાવડેકરે કેજરીવાલને આતંકવાદી ગણાવ્યાઃ ‘આપે’ ધરપકડની આપી ચેલેન્જ

નવી દિલ્હીઃ ભાજપના સંસદસભ્ય પ્રવેશ વર્મા પછી કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આતંકવાદી ગણાવ્યા, જે પછી ગુસ્સે ભરાયેલી આમ આદમી પાર્ટીએ ભાજપને ચેલેન્જ આપતાં કહ્યું હતું કે તેઓ જો આતંકવાદી છે તો તેમની ધરપકડ કરીને બતાવો.જાવડેકરે પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે કેજરીવાલે એક વાર ખુદને અરાજકતાવાદી ગણાવ્યા હતા અને અરાજકતાવાદી અને આતંકવાદીમાં બહુ ફરક નથી હોતો. કેજરીવાલને આતંકવાદી કહેવા બદલ ચૂંટણી પંચે કારણ બતાવો નોટિસ જાહેર કરી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદારોને નવી સરકાર આઠ ફેબ્રુઆરીએ ચૂંટવા આડે થોડા દિવસ રહ્યા છે ત્યારે ભાજપના ટોચના નેતાએ તેમના સાથી પ્રવેશ શર્મા સાથે સૂર પુરાવતાં કેજરીવાલને આતંકવાદી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે દિલ્હીવાસીઓ જેમની પડખે હતા, તેઓ તેમની વિરુદ્ધમાં  થઈ ગયા છે.


બીજી બાજુ જાવડેકરે  પંજાબ વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કેજરીવાલ મોગામાં ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ કમાન્ડર ગુરિન્દર સિંહના નિવાસસ્થાને રોકાવવાને મામલે મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે શું તમે (કેજરીવાલ) જાણો છો તે આતંકવાદી રહેઠાણ છે, તેમ છતાં તમે ત્યાં રોકાયા હતા. તમારે કેટલી સાબિતીઓ જોઈએ છે?
જોકે કેજરીવાલ હવે દિલ્હીવાસીઓ સમક્ષ નિર્દોષતાથી સવાલ કરી રહ્યા છે કે શું તેઓ આતંકવાદી છે? આ ઉપરાંત આમઆદમી પાર્ટીના સંજય સિંહે ભાજપને પડકાર ફેકતાં કહ્યું છે કે જો તમારામાં તાકાત હોય તો કેજરીવાલની ધરપકડ કરી બતાવો?  તેમણે કહ્યું હતું કે આ બાબત દેશની રાજધાની દિલ્હીમાં કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચની હાજરી હોવા છતાં બની છે.

ચિન્મયાનંદને જામીનઃ શું હતો કેસ?

અલ્હાબાદઃ યૌન શોષણ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદને જામીન આપ્યા છે. વકીલાતનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના યૌન શોષણ મામલે તેઓ જેલમાં બંધ હતા. ચિન્મયાનંદ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોલેજની એક વિદ્યાર્થીનીએ તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે પીડિતા પણ ચિન્મયાનંદ પાસેથી 5 કરોડ રુપિયાની ખંડણી માંગતી હતી જેના આરોપમાં તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી.

બાદમાં તેમને ડિસેમ્બરમાં જામીન મળ્યા હતા. ચિન્મયાનંદે આરોપ લગાવ્યો હતો કે વિદ્યાર્થીની અને તેના કેટલાક મિત્રોએ વિડીયો જાહેર કરી દેવાની ધમકી આપી હતી, જેમાં વિદ્યાર્થીની પાસે મસાજ કરાવતા તેઓ દેખાઈ રહ્યા છે.

પીડિતાએ જણાવ્યું હતું કે, ચિન્મયાનંદે બ્લેકમેલ કરીને મારી સાથે રેપ કર્યો હતો. તેણે જણાવ્યું કે, હોસ્ટેલના બાથરુમમાં જે સમયે સ્નાન કરતી હતી, ત્યારે મારો વિડીયો બનાવવામાં આવ્યો અને તે વિડીયોને વાયરલ કરવાની ધમકી આપીને એક વર્ષ સુધી ચિન્મયાનંદે મારી સાથે રેપ કર્યો હતો. સાથે જ પીડિતાએ જણાવ્યું કે ચિન્મયાનંદે મારા જાતિય શોષણનો પણ વિડીયો બનાવ્યો હતો. ચિન્મયાનંદ તેને મસાજ કરી આપવા માટે મારા પર દબાણ કરતો હતો અને ઘણીવાર તેણે બંદૂકના દમ પર રેપ કર્યો હતો. પીડિતાએ પોતાના બચાવ માટે ચિન્મયાનંદનો વિડીયો બનાવ્યો હતો. પીડિતાએ આના માટે પોતાના ચશ્મામાં એક હિડન કેમેરો લગાવ્યો અને ચિન્મયાનંદનો વિડીયો બનાવ્યો હતો.

એક વિદ્યાર્થીનીના જાતીય શોષણના આરોપી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદની આખરે ઉત્તરપ્રદેશ પોલીસ અને ખાસ તપાસ ટીમે (સીટ) ધરપકડ કર્યા બાદ શાહજહાંપુરની કોર્ટે ચિન્મયાનંદને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. સીટના જણાવ્યા અનુસાર ચિન્મયાનંદે વિદ્યાર્થિનીને માલીશ કરવા માટે બોલાવી હોવાનું કબૂલ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે મારા કૃત્ય બદલ હું શરમ અનુભવું છું.

પીડિતાએ આ મામલે વીડિયો જાહેર કર્યા બાદ યોગી સરકાર અને યુપી પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા હતા, બાદમાં પોલીસ અને સીટે ચિન્મયાનંદની તેમના નિવાસ પરથી જ ધરપકડ કરી હતી અને તેમને સઘન સુરક્ષા વચ્ચે ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયા હતા. અદાલતે તેમને 14 દિવસ માટે શાહજહાંપુરની જેલમાં મોકલી દીધા હતા.

ઉત્તરપ્રદેશના ડીજીપીએ જણાવ્યું હતું કે, અમે આ મામલે વિલંબ કર્યો નથી, સાથે જ ચિન્મયાનંદને ખંડણી માટે ધમકીના આરોપમાં પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરતાં પૂર્વે ચિન્મયાનંદની આરોગ્યની તપાસ થઇ હતી.

ઉલ્લેખનીય છે કે, કાયદાનો અભ્યાસ કરનારી છાત્રાએ ભાજપ નેતા પર બળાત્કારના આરોપ લગાવ્યા હતા અને ચિન્મયાનંદની ધરપકડ ન થાય તો આત્મદાહની ધમકી આપી હતી. પીડિતાએ અનેક વીડિયો જાહેર કરતાં પૂર્વ કેન્દ્રીય મંત્રીની મુશ્કેલીઓ વધી હતી.

એસઆઈટીએ ખંડણીનાં કેસમાં સ્વામી ચિન્મયાનંદ અને ત્રણેય યુવાનોની ધરપકડ માટે ધરપકડનો મેમો તૈયાર કરી લીધો હતો. આ બધું થઈ ચૂક્યું હતું. જો સ્થિતિ વણસે નહી તે માટે લગભગ બેસો પોલીસ જવાનને બોલાવાયા હતા.

પોલીસ લાઇનથી મેડિકલ કોલેજ સુધી અને વચ્ચે આવતી તમામ જગ્યા કોટવાલી, આશ્રમ, કોર્ટ પરિસરમાં પણ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન દરેક ચોક પર, દરેક રોડ પર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

એસઆઈટી, સમગ્ર સુરક્ષા વ્યવસ્થા બરાબર થયા પછી જ મોટી સંખ્યામાં વિવિધ દળો સાથે મુમુક્ષુ આશ્રમમાં ગઈ હતી. જ્યારે ધરપકડનો મેમો ત્યાં આપવામાં આવ્યો, ત્યારે સ્વામીનાં વકીલે એફઆઈઆર અને અન્ય વસ્તુઓની નકલ માંગી, પરંતુ તેની સુનાવણી થઈ ન હતી.

આ દરમિયાન કંઈક એવું બન્યું જેને ખેંચતાણ કહી શકાય, પરંતુ એસઆઈટી અધિકારીઓનું વલણ જોઇને બધાએ ચૂપ રહેવું પડ્યું. છેક સુધી ખુરશી પર બેઠેલા સ્વામી ચિન્મયાનંદને ધરપકડ સમયે ગેટ સુધી ચાલીને જવું પડ્યું હતું.

એટલું જ નહીં,જ્યારે સ્વામીની ધરપકડ માટે ફોર્સ બહાર આવી, ત્યારે સુરક્ષા જવાનોએ બાળકીનાં ઘરને પણ તાળાબંધી કરી દીધી હતી. એસઆઈટીની એક ટીમ પણ ત્યાં ગઈ હતી અને સુરક્ષા વ્યવસ્થા જોઇ હતી. આ પછી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

જામિયા ફાયરિંગઃ સગીર હુમલાખોરને હથિયાર વેચનારની ધરપકડ

નવી દિલ્હીઃ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં રવિવારે રાત્રે બે અજાણી વ્યક્તિઓએ ગેટ નંબહર પાંચ પાસે ખુલ્લામાં ગોળીબાર કર્યો હતો, એમ જામિયા કોર્ડિનેશન કમિટીએ કહ્યું હતું. કમિટીએ કહ્યું હતું કે આ હુમલાખોરો લાલ કલરની સ્કૂટી પર આવ્યા હતા. જોકે આ ગોળીબારમાં કોઈને ઇજા નહોતી થઈ. આ હુમલાખોરોમાંથી એકે લાલ કલરનું જેકેટ પહેર્યું હતું.  આ યુનિવર્સિટીમાં ત્રણ દિવસમાં બીજી વાર ગોળીબાર થયો હતો. અગાઉ જામિયામાં એક યુવકે જામિયામાં ભીડમાં ગોળીબાર કર્યો હતો, જેમાં એક સ્ટુડન્ટ ઘાયલ થયો હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. જામિયામાં યુનિવર્સિટીમાં બહાર ફાયરિંગ કરવાવાળા સગીરે જે શખસ પાસેથી હથિયાર ખરીદ્યું હતું, તેની દિલ્હી પોલસની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હથિયાર સપ્લાયરનું નામ  અજિત છે અને તે જેવરનો રહેવાસી છે.
અજિત પાસેથી તે સગીરે રૂ. 10,000માં હથિયાર ખરીદ્યું હતું. આ શખસે જામિયા યુનિવર્સિટીમાં ફાયરિંગ કર્યા બાદ સનસનાટી ફેલાઈ ગઈ હતી. દિલ્હી પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં નાખી દીધો છે.

જો કોર્ટ પાસેથી મંજૂરી મળશે તો આરોપી સગીરની ઉંમરની તપાસ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવતા 14 દિવસ સુધી પોલીસ તેની પૂછપરછ કરી નહીં શકે, પણ પોલીસ તેની સાથે સંકળાયેલા લોકોની તપાસ કરી શકશે. જામિયા ફાયરિંગ કરવાવાળા યુવક પાસેથી દિલ્હી પોલીસને એક લાલ બેગ મળી આવી છે, જેનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ છે. આ બેગને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે એ બેગમાં આખરે શું છે?

 

કીવી સામે ભારતની મુશ્કેલી વધી: રોહિત સીરિઝમાંથી બહાર

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બુધવારથી શરુ થવા જઈ રહેલી ત્રણ મેચોની વનડે સીરિઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો પડયો છે. શોર્ટર ફોર્મેટમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માને ઈજાને કારણે કારણે આગામી વનડે અને ટેસ્ટ સીરિઝમાં નહીં રમી શકે.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અંતિમ ટી20 મેચમાં બેટિંગ કરવા સમયે રોહિતને પગમાં ઈજા થઈ હતી અને તે મેદાન છોડી ચાલ્યો ગયો હતો. ફીલ્ડિંગ કરવા પણ મેદાનમાં ન આવ્યો અને જ્યારે ટ્રોફીની સાથે ટીમનું ફોટો સેશન ચાલી રહ્યું હતું તો તેના પગમાં પટ્ટી બાંધેલી હતી. જ્યારે તેને સપોર્ટ સ્ટાફના બે લોકોએ ઉભો કર્યો અને ડ્રેસિંગ રૂમમાં લઈ ગયા હતા. આ મેચમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો હતો.

મહત્વનું છે કે ભારતીય ટીમનો બીજો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પહેલા જ ઈજાને કારણે ટી20 અને વનડે સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો તેવામાં ભારતીય ટીમને આ બીજો મોટો ઝટકો લાગ્યો છે. શિખર ધવનના સ્થાને વનડે ટીમમાં પૃથ્વી શોને સામેલ કરવામાં આવ્યો હતો.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સીરિઝનો પ્રથમ મુકાબલો 5 ફેબ્રુઆરીએ હેમિલ્ટનમાં રમાશે. શ્રેણીની બીજી વન-ડે મેચ 8 ફેબ્રુઆરીએ ઓકલેન્ડમાં રમાશે. જ્યારે ત્રીજી વન-ડે 11 ફેબ્રુઆરીએ માઉન્ટ મોનગાનુઇમાં રમાશે. 21 ફેબ્રુઆરીથી 2 ટેસ્ટ મેચની શ્રેણી શરું થશે. જેમાં પ્રથમ ટેસ્ટ 21થી 25 ફેબ્રુઆરી દરમ્યાન વેલિંગ્ટનમાં જ્યારે બીજી ટેસ્ટ 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમ્યાન ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.

દિલ્હી ચૂંટણીજંગ ચરમસીમાએઃ નરેન્દ્ર મોદીની એન્ટ્રી

નવી દિલ્હીઃ દિલ્હીની વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ચૂંટણી જંગ એની ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ખાસ કરીને ભાજપ અને આપ વચ્ચે ખરાખરીનો ચૂંટણીજંગ ખેલાઈ રહ્યો છે. દિલ્હીના ભાજપના સાત સંસદસભ્યો, ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપપ્રમુખ જેપી નડ્ડા દિલ્હી કબજે કરવા માટે એડીચોટીનું જોર અજમાવી રહ્યા છે તો બીજી બાજુ દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ રોજેરોજ રોડ શો કરી રહ્યા છે. દિલ્હીના દંગલમાં હવે વડા પ્રધાને પણ ઝુકાવ્યું છે. દિલ્હી ચૂંટણી જંગમાં તેમની પહેલી ચૂંટણીસભા યોજાઈ છે.

વડા પ્રધાને આ ચૂંટણીજંગમાં કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે દેશમાં તો કામ થઈ રહ્યું છે, પણ દિલ્હીમાં કામ રાજ્ય સરકાર કરવા નથી દેતી. કેજરીવાલ સરકાર કેન્દ્રની આવાસ યોજના લાગુ કરવા નથી દેતી. આ ઉપરાંત તેમણે તેમની સરકારની અનેક ઉપલબ્ધિઓ ગણાવી હતી અને દિલ્હીમાં ભાજપ સરકાર બનાવવા માટે સામાન્યજનને હાકલ કરી હતી.

દિલ્હીમાં એક તરફ ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હી વિધાસભાની ચૂંટણીમાં આક્રમક ચૂંટણીપ્રચાર અને જનસપર્ક અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ રાત-દિવસ દિલ્હીનો જંગ જીતવા આકાશપાતાળ એક કરી રહ્યા છે.  દિલ્હી વિધાનસભાની ચૂંટણીજંગ જીતવા તેમણે બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારને પણ ચૂંટણીસભા સંબોધવા ઉતાર્યા હતા. ગૃહપ્રધાન સાથે ભાજપના હજ્જારો કાર્યકરો દિલ્હીવાસીઓને વ્યક્તિગત રીતે મળી રહ્યા છે અને પાર્ટીનાં ફરફરિયા વહેંચી રહ્યા છે. પક્ષના કાર્યકરો ચૂંટણીસભાઓમાં ભાજપના ઝંડાઓ લહેરાવી રહ્યા છે. અને ભાજપને લગતા અને ગૃહપ્રધાન અમિત શાહને લગતાં સૂત્રો પોકારી રહ્યા છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હીના ચૂંટણીજંગમાં  ઝંપલાવતાં પહેલવહેલી ચૂંટણીસભાને સંબોધી હતી. આમ ભાજપ  જે રીતે માટે દિલ્હી વિધાનસભાનાં ચૂંટણીજંગ જીતવા પ્રયાસ કરી રહ્યો છે, એ જોતાં દિલ્હીનાં ચૂંટણી પરિણામો કેવાં આવે છે એના પર ખાસ નજર રાખવી રહી.
દિલ્હીમાં આવનારા દિવસોમાં ગૃહપ્રધાન અમિત શાહ તો અનેક ચૂંટણીસભાઓ તો ગજવવાના છે જ, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હી સર કરવા ચૂંટણી સભાઓ કરવાના છે. આમ હવે ભાજપ દિલ્હી ચૂંટણી જંગમાં યેનકેનપ્રકારેણ વિજય હાંસલ કરવા માગે છે, એ સ્પષ્ટ થયું છે.

અહીં વિચારને વહેંચવાના ભાવથી પુસ્તકોનું દાન કરાય છે

ભાવનગરઃ આ શહેરનું એક હુલામણું નામ છે, અને એ છે “ભાવેણું”. આ શબ્દ મૂળ એક કાઠીયાવાડી શબ્દ છે કે જેનો અર્થ થાય છે ભાવ(અંતરના) વાળું. આ શહેરની દરેક પ્રવૃત્તિમાં ભાવ હોય છે અને આ શહેરના ભાવમાં ક્યારેય અભાવ નથી હોતો. પછી પ્રવૃત્તિ કલાની હોય, સાહિત્યની હોય કે પછી સામાજિક હોય. જે થાય તે દિલથી થાય.

આવી એક સુંદર પ્રવૃત્તિ એટલે પુસ્તક દાનનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તક દાન જેવી પ્રવૃતિઓ કે કાર્યક્રમો ખૂબ ઓછા થતા જોવા મળે છે. આવું કંઈક અલગ ભાવનગરને જ સુઝે અને એને કરી પણ દેખાડે. ત્રણ વર્ષમાં એક લાખથી વધુ પુસ્તકોનું દાન આપવું એ સામાન્ય તો નથી જ. ભાવનગરના નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા આ કાર્ય થયું છે. ભાવનગરના ઉદય દવે, ચિતાર્થ ઓધારીયા, હિતેન્દ્રસિંહ ગોહિલ સહિતનાં સાત યુવાનો આ ટ્રસ્ટ ચલાવે છે. પોતપોતાના વ્યવસાય તો ખરા જ પરંતુ દિવાળીમાં આ ટ્રસ્ટ દ્વારા ભાવનગર, અમદાવાદ અને સુરતમાં ફટાકડા સ્ટોલનું આયોજન કરે. આ સ્ટોલ પર જુના પરંતુ પહેરી શકાય એવા વસ્ત્રો, બાળકોના રમકડાં અને પુસ્તકોનું દાન સ્વીકારવામાં આવે. દિવાળીની સફાઈ દરમ્યાન આવી ચીજ વસ્તુઓ નીકળી જ હોય અને આવી ચીજ વસ્તુઓ લોકો હોંશભેર આપી જાય.

ફટાકડા વેચાણનો નફો જરૂરિયાતમંદ માટે વાપરવામાં આવે, રમકડાં ગરીબ બાળકો માટે  વિતરીત થાય, વસ્ત્રો પણ અનેકના દેહ ઢાંકવાની મહામૂલી ભેટ બને. આ બધું જ કોઈ દેખાડા વગર આ યુવાનો અને તેની ટીમ દ્વારા ચાલતું રહે છે. રહી વાત પુસ્તકોની, ૩૦ જાન્યુઆરીએ આ સમગ્ર વિચારના કેન્દ્ર બિંદુ એવા ઉદય દવેનો જન્મદિવસ આવે ત્યારે આ દિવસથી ૫ ફેબ્રુઆરી સુધી વિનામૂલ્યે પુસ્તક મેળો યોજાય.

નવલકથા, અધ્યાત્મના ગ્રંથો, સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો, બાળ સાહિત્ય, મેગેઝિન સહિતના પુસ્તકોનો ખડકલો સર્જાય. જેને જેટલા લઈ જવા હોય છુટ…. હા,  અભ્યાસના પુસ્તકોમાં ત્રણની મર્યાદા. આ મેળાના પ્રથમ દિવસે તો ભારે ભીડ જામે. કોઈ બે, કોઈ પાંચ, કોઈ પંદર પુસ્તકો લઈ જાય. જ્ઞાન યજ્ઞમાં પુસ્તક પ્રસાદી મેળવવા સહુ કોઈ તુટી પડે છે. આ ક્રમ ત્રણ વર્ષથી ચાલે છે અને અત્યાર સુધીમાં એક લાખથી વધુ પુસ્તકો વાંચક સુધી પહોંચ્યા છે.

થોડા યુવાનો ભેગા થઇ ભુખ્યા લોકો માટે ખીચડી રથ ચલાવે, કોઈ યુવાન એકલાપંડે ફૂટપાથ પરના બાળકોને ભણાવવા ભાઈબંધની નિશાળ શરૂ કરે, કોઈ એકલવીર જુની સાયકલ મેળવી નવી બનાવી વિધ્ધાર્થીઓને આપે, કોઈ કીડનીના દર્દીઓ માટે સેવારત રહે, કોઈ ડૉ. પ્લાસ્ટિક ફ્રી માટે ઝુંબેશ ચલાવે, કોઈ સૂર આરાધક સાતત્યપૂર્ણ રીતે સંગીતપ્રેમીઓ માટે સૂરિલી સાંજ ગુંજતી રાખે, કેટલાક વળી કવિતાની નિસ્બત સાથે ગાંઠના ગોપીચંદન સાથે કવિતા કક્ષ શરૂ કરે.

નવા ટેક્સ માળખા વિશે શું વિચારે છે કરદાતા અને નિષ્ણાતો?

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટ-2020માં ઇન્કમ ટેક્સના દરોમાં ફેરફાર કર્યો છે. તેમણે ઇન્કમ સ્લેબની જાહેરાત કરી છે જેમાં નવા ટેક્સ માળખામાં નીચે મુજબ ટેક્સના સ્લેબની દરખાસ્ત કરી છે.

રૂ. 2.50 લાખ સુધી     ઝીરો
રૂ. 2.50 લાખથી વધુ અને રૂ. 5 લાખ સુધી  5 ટકા
રૂ. 5 લાખથી વધુ અને રૂ. 7.50 લાખ સુધી 10 ટકા
રૂ. 7.50 લાખથી વધુ અને રૂ. 10 લાખ સુધી 15 ટકા
રૂ. 10 લાખથી વધુ અને રૂ. 12.50 લાખ સુધી  20 ટકા
રૂ. 12.50 લાખથી વધુ અને રૂ. 15 લાખ સુધી    25 ટકા
રૂ. 15 લાખથી વધુ  30 ટકા

નાણાપ્રધાને નવા ટેક્સ માળખાની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ નવી વ્યવસ્થા વિકલ્પરૂપે હશે. આનો અર્થ એ થયો કે જો કોઈ વ્યક્તિ જૂના ટેક્સ માળખા પ્રમાણે ટેક્સ ભરવા ઇચ્છે તો તે એવું કરી શકશે. નવી વ્યવસ્થા મુજબ રૂ. 2.50 લાખની આવક પહેલાંની જેમ કરમુક્ત હશે અને રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

ઇન્કમ ટેક્સની જૂની વ્યવસ્થા મુજબ કરદાતાઓએ ટેક્સ ચૂકવતી વખતે કેટલાય પ્રકારની કપાત અને રાહત મળતી હતી. નવા ટેક્સ માળખાની જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે જો કોઈ ટેક્સ પેયર્સ નવા ટેક્સ માળખાનો લાભ લેવા ઇચ્છે તો તેણે 100માંથી 70 કપાતને છોડવી પડશે.

ટેક્સ વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આ એક નિરર્થક કવાયત છે. નાણાપ્રધાને નવા ટેક્સ માળખાને રજૂ કરતાં કહ્યું હતું કે નવા ટેક્સ માળખાને સરળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જોકે ટેક્સ નિષ્ણાતે જણાવ્યું હતું કે  ભાગ્યે જ કોઈ કરદાતા જૂના માળખામાં મળતા લાભને છોડવાનું પસંદ કરશે. આ ઉપરાંત નવા ટેક્સ માળખાના લાભ-ગેરલાભ સમજવા માટે ટેક્સ નિષ્ણાતની મદદ લેવી પડશે.

ભાગ્યે જ કોઈ કરદાતા હશે, જે 80સી હેઠળ મળનારો લાભ જતો કરશે. આ સાથે જૂના ટેક્સ માળખામાં રૂ. 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન, એલટીએ, હોમ લોન પરનું વ્યાજ, સિનિયર સિટિઝનને વ્યાજની આવક પર મળનારી રૂ. 50,000ની છૂટ સામેલ છે. જે નવા ટેક્સ માળખાનો લાભ લેતાં જતી કરવા પડશે.

અમે જામિયાના બાળકોની સાથેઃ ઓવૈસીએ પણ ઝંપલાવ્યું

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી સીએએ-એનઆરસીનો મજબૂત કરી રહેલા જામિયા મિલિયાના વિદ્યાર્થીઓની વ્હારે ઓવૈસી આવ્યા છે. AIMIMના ચીફ અવાસુદ્દીન ઓવૈસીએ જામિયા મિલિયાના વિદ્યાર્થીઓનો મુદ્દો આજે સંસદમાં ઉઠાવ્યો હતો અને કહ્યું કે હું તેમનું સમર્થન કરું છું. તો આજે લોકસભામાં પણ ઓવૈસીએ જાહેરાત કરી કે તેઓ જામિયાના બાળકોની સાથે છે. તેમણે કહ્યું કે, સરકાર વિદ્યાર્થીઓ સાથે અત્યાચાર કરી રહી છે, દીકરીઓને મારી રહી છે.

લોકસભામાં કાર્યવાહી દરમિયાન ઓવૈસીએ કહ્યું કે, સરકાર બાળકો પર અત્યાચાર કરી રહી છે. તેમણે કહ્યું કે, અમે બધા જામિયાના વિદ્યાર્થીઓ સાથે છીએ. આ સરકાર બાળકો પર અત્યાર કરે છે. એક બાળકની આંખ જતી રહી, જણાવો કે શાં માટે એમને મારી રહ્યા છો. આ લોકોનામાં શરમ નથી, બાળકોને મારી રહ્યા છે.

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં જામિયાના વિદ્યાર્થીઓ આશરે એક મહિનાથી વિરોધ કરી રહ્યા છે. દિલ્હી પોલીસે સીએએ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને તોડફોડના ગુનામાં અનેક લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓનો ભૂતકાળ ગુનાહિત છે અને આમાં કોઈપણ વિદ્યાર્થી નથી.

લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચોધરીએ કહ્યું કે, દેશના સામાન્ય માણસો સંવિધાન બચાવવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, સંવિધાન પકડીને બેઠેલા અને રાષ્ટ્રગિત ગાઈ રહેલા આ લોકો પર ગોળીઓ વરસાવવામાં આવી રહી છે. દેશના લોકોને ક્રૂરતાથી મારવામાં આવી રહ્યા છે.

રાશિ ભવિષ્ય 03/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડીખર્ચાળ બને તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ  શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો તેવું બની શકે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.