કોરોના સંક્રમિતોની સંખ્યા 31,000ને પાર, 1000 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં આ વાઇરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 31,332 થઈ ગઈ છે.  પાછલા 24 કલાકમાં આ વાઇરસના સંક્મિતોના નવા 1897 કેસ સામે આવ્યા છે અને 73 લોકોનાં મોત થયાં છે. 24 કલાકમાં મોતનો આ સૌથી મોટો આંકડો છે. થોડા રાહતના સમાચાર એ છે કે 7,696 લોકો આ બીમારીમાંથી બહાર આવી ગયા છે. જોકે આ વાઇરસને કારણે 1007 લોકોનાં મોત થયાં છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર 24.56 ટકા રિકવરી રેટ છે. પાછલા 28 દિવસોથી 17 જિલ્લાઓમાં એક પણ કેસ સામે નથી આવ્યો. મહારાષ્ટ્ર હજી પણ સૌથી વધુ અસરકારક રાજ્ય છે. અહીં 8,500થી વધુ કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ ગુજરાત અને દિલ્હીનો ક્રમાંક આવે છે.

80 જિલ્લામાં સાત દિવસથી એક પણ કેસ નહીં

80 જિલ્લામાં સાત દિવસથી એક પણ કેસ નહીં

કેન્દ્રીય આરોગ્યપ્રધાન હર્ષવર્ધને કહ્યું હતું કે દેશનાં 80 જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના એક પણ કેસ નોંધાયો નથી. આ સાથે દેશભરમાં આ વાઇરસથી સંક્રમિતોની સંખ્યા 30,000ને પાર થઈ ગઈ છે. આ ઉપરાંત પાછલા 28 દિવસોથી 17 જિલ્લાઓમાં એક પણ કેસ સામે નથી આવ્યો.

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30 લાખને પાર

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 30,42,444 થઈ છે. જ્યારે આ વાઇરસથી જાન ગુમાવનાર લોકોની સંખ્યા વધીને 2,11,221 થઈ ગઈ છે.

અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર

અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે, એમ જોન હોપકિન્સ યુનિવર્સિટીએ જણાવ્યું હતું. જ્યારે અમેરિકામાં અત્યાર સુધી 57,000 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 2200 લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં ન્યુ યોર્ક સૌથી કોરોના પ્રભાવિત શહેર છે. અહીં ન્યુ યોર્કમાં 22,668 લોકોનાં મોત થયાં છે અને એમાં પણ એકલા ન્યુ યોર્ક સિટીમાં 17,500નાં મોત થયાં છે.

ઇટાલી બીજો એવો દેશ છે, જ્યાં 27,000 લોકોએ જીવ ગુમાવ્યા છે અને કોરોના સંક્રમિતો બે લાખને પાર થઈ છે.

દેશમાં રાજ્યવાર કોરોના સંક્રમિતોની સંખ્યા આ મુજબ રહી હતી.