Home Blog Page 4825

પીએફઆઈ સાથે જોડાયેલા છે શરજીલ ઈમામના તાર: વધુ ત્રણ દિવસના રિમાન્ડ

નવી દિલ્હી: દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા જેએનયુના સ્કોલર શરજીલ ઇમામની પૂછપરછમાં પોલીસને અનેક ચોંકાવનારી માહિતી મળી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે શરજીલ ઇમામ પૉપુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (પીએફઆઇ)ના  લોકોના સંપર્કમાં હતો.  જેની સાથે શરજીલની સતત વાતચીત થતી રહેતી હતી. જોકે, શરજીલનો દાવો છે કે, તેમને જાણકારી નથી કે, આ લોકોનો સંબંધ પીએફઆઈ સાથે છે. આ સાથે જ શરજીલની રિમાન્ડ ત્રણ દિવસ માટે લંબાવાઈ છે.

આ તમામ લોકો વ્હોટ્સએપ ગ્રુપ મુસ્લિમ સ્ટૂડન્ટ ઓફ જેએનયુ તેમજ મુસ્લિમ સ્ટૂડન્ટ ઓફ જામિયા સાથે જોડાયેલા હતા. બીજી તરફ શરજીલના મોબાઇલની તપાસ બાદ પોલીસે જામિયા અને અલીગઢ યુનિવર્સિટીના 15 વિદ્યાર્થીઓની ઓળખ કરી છે કે જેઓ શરજીલના સંપર્કમાં હતા. પોલીસે આ તમામને પૂછપરછ માટે નોટિસ પાઠવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શરજીલના લેપટોપ અને ડેસ્કટોપની તપાસમાં સામે આવ્યું છે કે શરજીલે જામિયા હિંસા પહેલા ઉર્દુ અને અંગ્રેજીમાં કેટલાક ભડકાઉ પોસ્ટર બનાવ્યા હતા. આ પોસ્ટર તેમણે વિવિધ વ્હોટ્સએપ ગ્રુપ પર પોસ્ટ કર્યા હતા. પોલીસે શરજીલના મોબાઇલમાંથી ડિલીટ થયેલો ડેટા પણ મેળવ્યો છે.  મોબાઇલમાંથી મળેલા અનેક વીડિયોમાં શરજીલ ભડકાઉ ભાષણ આપતો જોવા મળી રહ્યો છે.

કેરળમાં કોરોના વાઈરસનો ત્રીજો પોઝિટીવ કેસ: તમામ જિલ્લાઓમાં એલર્ટ

નવી દિલ્હી: કેરળમાં અગાઉ બે વિદ્યાર્થીઓ પછી હવે વધુ એક વિદ્યાર્થીને કોરોના વાઈરસની અસર થઈ હોવાના અહેવાલને પગલે કેરળ સરકારે આ બિમારીને રાજ્ય આપત્તિ જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે રાજ્યના આરોગ્યમંત્રી કે. કે. શૈલજાએ જણાવ્યું હતું કે બીમારીને અટકાવવા માટે જરૂરી પગલાં પ્રભાવક રીતે લઈ શકાય તે માટે તેને ‘આપદા’ જાહેર કરવામાં આવી છે. અને તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારતમાં અત્યાર સુધી કોરોનાના ત્રણ કેસોની પુષ્ટિ થઈ છે અને આ તમામ કેસ કેરળથી જ છે.  આ ત્રણેય વિદ્યાર્થીઓ છે જે ચીનના વુહાનમાં અભ્યાસ કરી રહ્યા હતા. આ વાયરસનું મુખ્ય કેન્દ્ર ચીનનું વુહાન શહેર જ છે.

કોરોના વાયરસથી સંક્રમિત ત્રીજો વિદ્યાર્થી તાજેતરમાં જ ચીનના વુહાન શહેરથી પરત આવ્યો હતો. હાલ તેને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો છે અને ડૉક્ટર તેની સતત દેખરેખ રાખી રહ્યાં છે. આ દર્દી કેરળના કસારગોડનો રહેવાસી છે. કેરળમાં ત્રણ કેસ સામે આવ્યા બાદ પાડોશી રાજ્ય કર્ણાટકના પણ ઘણા જિલ્લાઓમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ચીનનના વુહાનથી ફેલાય રહેલા કોરોના વાઈરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. ભારતે કોરોના વાઈરસથી પ્રભાવિત વુહાન શહેરમાંથી રવિવારે 323 ભારતીયો અને માલદીવના સાત નાગરિકોને લઇને એર ઇન્ડિયાનું બીજુ વિમાન દિલ્હી પહોંચી ગયું છે. આ સાથે જ અત્યાર સુધીમાં ત્યાંથી 654 લોકોને ભારત લાવવામાં આવી ચૂક્યાં છે.

ભારત સરકારે ચીની યાત્રીઓ અને ત્યાં રહેતા વિદેશીઓ માટે ઈ-વિઝાની સુવિધા અસ્થાયી રૂપથી બંધ કરવાની જાહેરાત કરી. સરકાર દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું જ્યારે ચીનના વુહાન શહેરમાં આ બિમારીથી અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ વાઈરસના કિટાણુ 25 દેશોમાં ફેલાઈ ચૂક્યા છે.

 

 

AAPનો ચૂંટણીઢંઢેરોઃ ચોવીસ કલાક વીજપૂરવઠાનું વચન…

દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી માટે શાસક આમ આદમી પાર્ટી (AAP)એ પોતાનું ચૂંટણી ઘોષણાપત્ર 4 ફેબ્રુઆરી, મંગળવારે રિલીઝ કર્યું છે. મુખ્ય પ્રધાન અને AAPના વડા અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયા તથા કેબિનેટ પ્રધાન ગોપાલ રાયે પત્રકાર પરિષદમાં પક્ષના ચૂંટણી ઘોષણાપત્રને રિલીઝ કર્યું હતું. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન છે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરાશે.


ચૂંટણીઢંઢેરામાં પક્ષે દિલ્હીની જનતાને ગુણવત્તાસભર શિક્ષણ, આરોગ્ય, પીવાનું સ્વચ્છ પાણી અને ચોવીસ કલાક વીજપૂરવઠો પૂરો પાડવાનું વચન આપ્યું છે.






માર્કેટ પ્રી બજેટના સ્તરેઃ સેન્સેક્સ 900 અને નિફ્ટી 272 પોઇન્ટ ઊછળ્યો

નવી દિલ્હીઃ વૈશ્વિક બજારોમાં મજબૂતીને પગલે ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ બજેટ પહેલાંના સ્તરે આવી ગયા હતા. મુંબઈ શેરબજારનો સેન્સિટિવ ઇન્ડેક્સ 900 પોઇન્ટ અને પ્રી બજેટ 40,812ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 272 પોઇન્ટ વધીને 11,980ના મથાળે બંધ રહ્યો હતો. તેજીવાળાઓએ શેરોની જાતેજાતમાં લેવાલી કાઢી હતી. લગભગ તમામ ઇન્ડેક્સ તેજી સાથે બંધ આવ્યા હતા. જોકે પંજાબ નેશનલ  બેન્કના ત્રીજા ત્રિમાસિક પરિણામો પ્રતિકૂળ આવતાં શેરમાં ભારે વેચવાલી થઈ હતી. નિફ્ટી ઇન્ડેક્સમાં આવેલો ઉછાળો એ 23 સપ્ટેમ્બર, 2019 પછી સૌપ્રથમ વાર આટલો મોટો ઉછાળો ઇન્ટ્રા-ડેમાં આવ્યો હતો. બે દિવસમાં નિફ્ટી ઇન્ડેક્સ 2.7 ટકા વધ્યો હતો.
નાણાપ્રધાને શનિવારે રજૂ કરેલા બજેટમાં બજાર માટે બહુ મોટી પ્રોત્સાહક જાહેરાતો નહોતી કરી, પરંતુ બજેટમાં બજાર માટે કોઈ નકારાત્મક જોગવાઈ પણ નહોતી. જેથી તેજીવાળાઓએ બેન્ક, મેટલ, ઓટો, આઇટી, એફએમસીજી અને ફાર્મા શેરોમાં જોરદાર ખરીદદારી કરી હતી.

વૈશ્વિક માર્કેટો, એશિયન બજારો અને યુરોપિયન માર્કેટ પણ તેજી હતા. ક્રૂડ ઓઇલની કિંમતો પણ નીચી છે, ત્યારે બજારમાં આગઝરતી તેજી થઈ હતી. વળી, જાન્યુઆરી પીએમઆઇ પણ આઠ વર્ષના ઊંચાઈ આવતા તેજીવાળાઓનું માનસ તેજીમય થયું હતું. તેમણે શેરોની જાતેજાતમાં લેવાલી કાઢી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ સુધારો થયો હતો.
તેજીવાળાઓએ બજારમાં બજેટની પ્રતિકૂળ બાબતોને કોરાણે મૂકી હતી અને નવેવસરથી લેવાલી કાઢી હતી. વધારામાં, ઓટો કંપનીઓના જાન્યુઆરીના વેચાણના  આંકડા તુલનાત્મક રીતે ઘણાં પ્રોત્સાહક છે અને કંપનીઓ માટે કોઈ પ્રતિકૂળ સમાચાર પણ નથી. જેથી રોકાણકારોએ શેરોમાં એકધારી તેજી કરી હતી.
બજેટ ડેએ થયેલું ધોવાણ રિકવર
સેન્સેક્સ અને નિફ્ટી ફરી પાછા બજેટ પહેલાંના સ્તરે પાછા ફરતાં શેરોમાં રૂ. 3.5 લાખ કરોડનું માર્કે કેપમાં થયેલું ધોવાણ રિકવર થયું છે.નાણાપ્રધાને બજેટની દરખાસ્તો વાંચી રહ્યા હતા ત્યારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો નોંધાયો હતો.

એનએસઈ પર 32 શેરો 52 વીકની ઊંચાઈએ
નેશનલ સ્ટોક એક્સચેન્જ પર આશરે 32 શેરો 52 સપ્તાહની નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. જેમાં એફેલ ઇન્ડિયા, એશિયન પેઇન્ટ્સ, બાટા ઇન્ડિયા અને ડાબર ઇન્ડિયાનો સમાવેશ થાય છે.
અર્થતંત્ર પહેલા ત્રિમાસિકથી પાટે ચઢશે
દેશમાં ચાલુ આર્થિક મંદીની બુમરાણ વચ્ચે અર્થતંત્ર માટે મોટા રાહતના સમાચાર છે. મોદી સરકારનું માનવું છેક અર્થતંત્રનાં ફન્ડામેન્ટલ્સ મજબૂત છે, સ્થિર છે. મોંઘવારીનો દર કાબૂમાં છે. અને જીડીપી ગ્રોથમાં નાણાકીય વર્ષ 2020-21થી સુધારો થવાની ધારણા છે.
 

દિલ્હીમાં કેજરીવાલનો દબદબો ફરી જળવાઈ રહેવાની શક્યતાઃ સર્વે

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાન કેજરીવાલનો દબદબો જળવાઈ રહેવાની શક્યતા છે. એક ખાનગી ચેનલના ઓપિનિયન સર્વે મુજબ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70 બેઠકો પૈકી 54થી 60 બેઠકો મળવાની ધારણા છે. ત્યાર બાદ ભાજપને 10-14 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે કોંગ્રેસ માંડ બે બેઠકો જીતે એવી શક્યતા છે. જોકે 2015ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટીને 70માંથી 67 બેઠકો પ્રાપ્ત થઈ હતી. ઓપિનિયન પોલમાં જણાવ્યા મુજબ જો દિલ્હીમાં આજે ફરીથી લોકસભાની ચૂંટણી યોજવામાં આવે તો ભાજપ તમામેતમામ સાત બેઠકો પર જીત હાંસલ કરે એવી સંભાવના છે. જોકે સર્વે અનુસાર દિલ્હીમાં આમ આદમી પાર્ટી ઘણી મજબૂત સ્થિતિમાં છે અને આ ચૂંટણીમાં એને 54થી 60 બેઠકો મળવાનું અનુમાન છે.

આપને 52 ટકા વોટનું અનુમાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 52 ટકા મતો મળવાની સંભાવના છે, જ્યારે ભાજપને 34 ટકા વોટ મળવાની શક્યતા છે. જો સર્વે અનુસાર  બેઠકો આપ પાર્ટીની તરફેણમાં આવે તો આપ પાર્ટીને 60 બેઠકો મળે એવી ધારણા છે. જોકે 2015ની ચૂંટણીને મુકાબલે આપનો મતહિસ્સમાં 2.5 ટકાનું નુકસાન થશે, જ્યારે ભાજપને 1.7 ટકા મતોનું નુકસાન થવાની સંભાવના છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી આઠ ફેબ્રુઆરીએ યોજાવાની છે અને ચૂંટણી પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થવાનાં છે.

PMપદ માટે મોદી સૌપ્રથમ પસંદ

દેશમાં અને દિલ્હીમાં હાલ જો લોસભાની ચૂંટણી નવેસરથી થાય તો વડા પ્રધાનપદ માટે હજી પણ લોકોની પ્રથમ પસંદગી નરેન્દ્ર મોદી છે. ઓપિનિયન સર્વે મુજબ લોકસભાની ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપને 46 ટકા મતો મળવાની શક્યતા છે, જ્યારે આપને 38 ટકા વોટ મળવાનું અનુમાન છે. સર્વે અનુસાર 75 ટકા મતો સાથી મોટી પીએમપદના પહેલી પસંદ છે, જ્યારે રાહુલ ગાંધી આઠ લોકોની પસંદ સાથે બીજા નંબરે છે.

 

 

‘બાંગ્લાદેશીઓ ભારતમાંથી ચાલ્યા જાવ નહીં તો..’: મુંબઈમાં ‘મનસે’ના પોસ્ટરો લાગ્યા

મુંબઈ – ભારતમાંથી ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ તેમજ આ બે દેશના ઘૂસણખોરો વિરુદ્ધ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીએ પોતાનું વલણ સખત બનાવ્યું છે. મુંબઈમાં આ મુદ્દે તે એક રેલી યોજવા પણ વિચારે છે. એવામાં આજે આ પાર્ટીના પોસ્ટરો જોવા મળ્યા છે જેમાં બાંગ્લાદેશીઓને ધમકી આપવામાં આવી છે કે તેઓ ભારતમાંથી ચાલ્યા જાય નહીં તો એમને ‘મનસેની સ્ટાઈલ’માં ઢસડીને કાઢી મૂકવામાં આવશે.

પનવેલના રસ્તા પર મરાઠી ભાષામાં લખેલા જોવા મળેલા પોસ્ટરમાં આવું લખાણ વાંચવામાં મળ્યું છે: ‘બાંગ્લાદેશીઓ દેશમાંથી ચાલ્યા જાવ નહીં તો MNS સ્ટાઈલમાં હાંકી કાઢવામાં આવશે.’ આ પોસ્ટરમાં મનસે પાર્ટીના વડા રાજ ઠાકરે અને એમના પુત્ર અમિત ઠાકરેના ફોટા પણ દર્શાવવામાં આવ્યા છે. અમિત ઠાકરેને હાલમાં જ પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા છે.

રાજ ઠાકરેએ ગયા મહિને જાહેરાત કરી હતી કે એમની પાર્ટી મુંબઈમાં 9 ફેબ્રુઆરીએ વિરાટ રેલી યોજશે અને પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાંથી આવેલા ગેરકાયદેસર ઘૂસણખોરોને ભારતમાંથી કાઢી મૂકશે.

ઠાકરેએ પુણેમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભારત કંઈ ધર્મશાળા નથી. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા લોકોને હાંકી કાઢવા જોઈએ. ભારતે કંઈ માનવતા બતાવવાનો કોન્ટ્રાક્ટ નથી લીધો. નાગરિકતા સુધારિત કાયદા (CAA) વિશે ચર્ચા થઈ શકે છે, પણ બીજા દેશમાંથી ગેરકાયદેસર રીતે આવેલાઓને આપણે શા માટે આશરો આપવો જોઈએ?

રાજ ઠાકરેએ એમની પાર્ટીની વિચારસરણી બદલી છે. એમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાર્ટીએ મહારાષ્ટ્રમાં પોતાની વિચારસરણીમાં ફેરફાર કરતાં રાજ ઠાકરેએ પોતાની પાર્ટીની વિચારધારાને બદલી છે.

રાજ ઠાકરેની પાર્ટી અગાઉ મરાઠીઓનાં કલ્યાણની વાતો કરતી હતી, પરંતુ હવે એ હિન્દુત્વ મુદ્દે સક્રિય થઈ છે.

મનસે પાર્ટીએ ગયા ડિસેંબરમાં યોજેલા તેના મહા-અધિવેશનમાં તેનો નવો ધ્વજ રિલીઝ કર્યો હતો જે સંપૂર્ણપણે કેસરી ડિઝાઈનવાળો છે.

2006ની સાલમાં મનસે પાર્ટીએ પોતાના જે ધ્વજનું અનાવરણ કર્યું હતું એમાં કેસરી, લીલો અને બ્લુ રંગોની પટ્ટીઓ હતી, જે હિન્દુ, મુસ્લિમ તથા દલિત સમાજનો નિર્દેશ કરતા હતા. પરંતુ હવે તેણે નવો ધ્વજ માત્ર કેસરી રંગનો રાખ્યો છે.

ચીનમાં કોરોના વાઈરસથી 425 લોકોના મોત: 3235 નવા કેસ નોંધાયા

બેઈજિંગ: ચીનના આરોગ્ય વિભાગે કહ્યું કે, તેમને 31 પ્રાંત સ્તરીય વિસ્તારો અને શિનજિયાંગ પ્રોડક્શન એન્ડ કન્સ્ટ્રક્શન કોર્પ્સ પાસેથી સોમવારે કોરોના વાઈરસથી સંક્રમણના 3235 નવા મામલાઓ તેમજ 64 લોકોના મોતની જાણકારી મળી છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ અનુસાર મોતના તમામ કેસ હુબેઈ વિસ્તારના છે. આયોગે કહ્યું કે, સોમવારે 5072 નવા સંદિગ્ધ મામલાઓની સૂચના મળી.

આયોગના જણાવ્યા અનુસાર સોમવારે 492 દર્દીઓ ગંભીર રીતે કોરોનાની ઝપેટમાં આવ્યા હતા જેમાંથી 157 લોકોની સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સોમવારે રાત સુધીમાં ચીનના મુખ્યભાગમાં કોરોનાના 20,438 મામલાઓની ખાતરી કરવામાં આવી અને 425 લોકોના મોત નિપજ્યા છે.

આયોગે આગળ કહ્યું કે, 2788 દર્દીઓ હજુ પણ ગંભીર સ્થિતિમાં છે અને 23,214 લોકો આ વાઈરસનો ભોગ બની ચૂક્યા છે. અત્યાર સુધીમાં કુલ 632 લોકોને સારવાર આપ્યા પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ લોકોના સંપર્કમાં આવેલા અન્ય 2,21,015 લોકોની ઓળખ કરવામાં આવી ચૂકી છે અને જેમાંથી 12,755ને સોમવારે સ્વાસ્થ્યની તપાસ પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 1,71,329 લોકો હજુ પણ દેખરેખ હેઠળ છે. આયોગે કહ્યું કે, સોમવારે રાત સુધી હોંગકોંગ સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રીઝન(એસએઆર)માં આના 15 મામલાઓ અને તાઈવાનમાં 10 મામલાઓની પુષ્ટી થઈ ચૂકી છે.

વિશ્વના સૌથી મોટા સોશિયલ નેટવર્ક “ફેસબુક’ની” આજે બર્થડે

નવી દિલ્હી: વિશ્વના સૌથી મોટા સોશિયલ નેટવર્ક ફેસબુકની વર્ષગાંઠ છે. ફેસબુકે વિશ્વના લોકોના જીવનધોરણ બદલી નાખ્યાં છે. આબાલવૃદ્ધ સૌને ફેસબુકે દીવાના કર્યા છે. વિશ્વના લોકો દરેક નાની-નાની ઘટના ફેસબુક પર શેર કરે છે. એક રીતે કહીએ લોકોને એની આદત પડી ચૂકી છે.

 માર્ક ઝુકરબર્ગે ત્રણ મિત્રોની સાથે મળીને ફેસબુકને આજે લોન્ચ કર્યું હતું. જે વિશ્વનું સૌથી મોટું સોશિયલ નેટવર્ક બન્યું. પાછલા બે દાયકામાં ટેક્નોલોજીએ જે ગતિ પકડી છે, એણે લોકોની જીવનશૈલીને એકદમ બદલી નાખી છે. ફેસબુકને ચોથી ફેબ્રુઆરી, 2004એ લોન્ચ કરવામાં આવ્યું હતું.  ફેસબુકના સંસ્થાપકોમાં એન્ડ્રયુ મેકકોલમ, માર્ક ઝુકરબર્ગ, ડસ્ટિન મોસ્કોવિટ્સ, એડુર્ડો સેવેરિન અને ક્રિસ હ્યુજીસ છે.


મોબાઇલ ફોન, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેવી વ્યસ્તતાએ વિશ્વને તમારા ટેબલથી થઈને તમારા હાથ સુધી પહોંચાડી દીધી છે. સોશિયલ મિડિયા દ્વારા લોકોના સોશિયલ જીવનમાં આવેલા આ પરિવર્તનમાં ચોથી ફેબ્રુઆરીનું એક ખાસ મહત્ત્વ છે.  ચોથી ફેબ્રુઆરીએ માર્ક ઝુકરબર્ગે હાર્વર્ડ યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કરતા ત્રણ મિત્રો સાથે મળીને વેબસાઇટ ફેસબુકને લોન્ચ કરીને વિશ્વના લોકોને ફ્રેડ્સ અને લાઇકને ગણવા એક નવું ગણિત આપ્યું. હાલ પરિસ્થિતિ એ છે કે વિશ્વના અબજો લોકોને પોતાની દરેક નાના-મોટા પ્રસંગને શેર કરે છે અને હવે એ જ તેમની દુનિયા બની ગઈ છે. ઝુકરબર્ગે ફેસબુક દ્વારા પોતાનું નસીબ બદલી નાખ્યું છે અને વિશ્વની તાસીર પણ બદલી નાખી છે. મોસમ પછી કદાચ પહેલી આ ચીજવસ્તુ છે જેણે વિશ્વના અન્ય લોકોને એકસાથે પ્રભાવિત કર્યા છે.


ફેસબુકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડ્રોપબોક્સ સીઈઓ ડ્રુ હોસ્ટનની નિમણૂક

ડ્રોપબોક્સના સીઈઓ અને સંસ્થાપક અને માર્ક ઝુકરબર્ગના અંગત મિત્ર ડ્રુ હોસ્ટનની ફેસબુકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં વરણી કરવામાં આવી છે. ડ્રુ હોસ્ટન માર્ક ઝુકરબર્ગના ઘણા લાંબા સમયથી મિત્ર છે અને તેમની નિમણૂકથી સંભવિત તપાસનો સામનો કરી રહેલી ફેસબુકને બોર્ડમાં ડ્રુ હોસ્ટનના સામેલ થવાથી મદદ મળી રહેશે. ફેસબુકે ડ્રુ હોસ્ટનની નિમણૂક કર્યાની સોમવારે જાહેરાત કરી હતી. તેમની વરણીથી ઝુકરબર્ગને કંપની  સામે ચાલી રહેલી નિયામકીય અને રાજકીય તપાસમાં મદદ મળી રહેશે. ડ્રુ હોસ્ટન 2007માં ક્લાઉડ સ્ટોરેજ કંપની ડ્રોપબોક્સ લોન્ચ થઈ એના સહસંસ્થાપક છે. ડ્રોપબોક્સને 2018ના વર્ષમાં સફળતાપૂર્વક આઇપીઓ લોન્ચ કર્યો હતો.