કોરોના સંક્રિમતોની સંખ્યા 29,000ને પાર, 900 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 29,435 થઈ ચૂકી છે અને આ વાઇરસથી અત્યાર સુધી 934 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે આ વાઇરસના ભરડામાંથી 6,869 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં આ વાઇરસથી સંક્રમિત 1,543 લોકોના નવા કેસ સામે આવ્યા છે અને 62 લોકોનાં મોત થયાં છે. જ્યારે 381 લોકો આ બીમારીમાંથી સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 8,000ને પાર થઈ છે. આ સિવાય ગુજરાતમાં 3500થી વધુ અને દિલ્હીમાં પણ 3100થી વધુના કેસો નોંધાયા છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં 2,100ની વધુ કેસો નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં પણ 2000 કેસો નોંધાયા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1303 લોકોનાં મોત

પાછલા 24 કલાકમાં અમેરિકામાં 1303 લોકોના કોરોના વાઇરસથી મોત થયાં છે. અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 9,87,022 કેસ સામે આવ્યા છે અને આ વાઇરસથી 56,144 લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણથી બે લાખથી વધુનાં મોત

વિશ્વભરમાં કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા વધીને 30,64,255 થઈ ગઈ છે અને 2,11,537 લોકોનાં મોત થયાં છે. જોકે આ વાઇરસથી 9.22.387 લોકો ઠીક પણ થઈ ચૂક્યા છે. દેશમાં રાજ્યવાર કોરોના કેસોની સંખ્યા આ મુજબ રહી છે.