કોરોનામુક્ત જિલ્લાઓમાં લોકડાઉન ખોલાશે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને પગલે થયેલા લોકડાઉનને ખોલવાની તૈયારી શરૂ થઈ છે, પણ બધું સમુસૂતરું રહ્યું તો પણ અડધાથી વધુ દેશમાં લોકડાઉન રહેવાની શક્યતા છે. વડા પ્રધાન મોદી સાથે ચર્ચા-વિચારણામાં મોટા ભાગનાં રાજ્યોના મુખ્ય પ્રધાનોએ કોરોના સંક્રમણને જોતાં લોકડાઉન વધારવાની વાત કહી હતી. જોકે વડા પ્રધાને કોરોના સામેના જગમાં અર્થતંત્રને પણ પાટે ચઢાવવાના સંક્ત આપ્યા હતા અને રાજ્યોને એની ફોર્મ્યુલા તૈયાર કરવા કહ્યું હતું.

વધુ સમુસૂતરું રહ્યું તો અડધો દેશ ખૂલશે

વડા પ્રધાન મોદીએ ચીનથી ભાગી રહેલી કંપનીઓનો હવાલો આપીને કહ્યું હતું કે સંકટનો આ કાળ તકમાં પણ ફરી શકે છે. આની તૈયારી પણ કરવી જોઈએ. જોકે બધું સમુસૂતરું રહ્યું તો પણ અડધો દેશ ખૂલી શકશે. જોકે હવાઇ સેવા અને રેલવેની સાથે કોરોના રેડ ઝોન એરિયા મોલ અને સિનેમાઘરો બંધ રહેશે. આ ઉપરાંત સ્કૂલ-કોલેજ પણ લાંબા સમય સુધી બંધ રહેશે.

કોરોનામુક્ત જિલ્લાઓને ખોલવામાં આવશે

વડા પ્રધાન સાથે બેઠકમાં એ નિષ્કર્ષ નીકળ્યો છે કે જિલ્લાવાર રાહત આપવામાં આવે એવી શક્યતા છે. દેશમાં કુલ 700 જિલ્લામાંથી 425 જિલ્લાઓ સંક્રમિત છે, જેથી બાકીના જિલ્લામાં જ્યાં છેલ્લા 28 દિવસોથી એક પણ કોરોનાનો કેસ નથી નોંધાયા ત્યાં લોકડાઉન ખોલવામાં આવશે

કોંગ્રેસ શાસિત રાજ્યો દ્વારા આર્થિક પેકેજની માગ

કોંગ્રેસ શાસિત રાજ્યોએ મુખ્યત્વે આર્થિક પેકેજની કેન્દ્ર પાસે માગ કરી છે. વડા પ્રધાને તેમને સંકેત આપ્યો છે કે આવનારા દિવસોમાં પરિસ્થિતિનું આંકલન કરીને નિર્ણય લેવામાં આવશે. વડા પ્રધાન આ અંગેનો નિર્ણય શનિવારે લે એવી શક્યતા છે.