Home Blog Page 4776

શ્રમિકોને ઘેર પહોંચાડવા સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યા 15 દિવસ

નવી દિલ્હી: લોકડાઉન વચ્ચે ગૃહમંત્રાલય તરફ પ્રવાસી મજૂરોને તેમના વતન મોકલવાના આદેશ આપવામાં આવ્યા હતા. એક મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ પણ ઘણા રાજ્યોમાંથી પ્રવાસી મજૂરો પોતાના ઘરે નથી પહોંચી શક્યા.

પ્રવાસી શ્રમિકોની દુર્દશાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેના પર આજે સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. સાથે સુપ્રીમે તમામ રાજ્યોને ઘરે પરત ફરતા પ્રવાસીઓ માટે રોજગારની વ્યવસ્થા કરવા પણ કહ્યું છે.  સુપીમે કહ્યું કે દરેક રાજ્યોને રેકોર્ડ પર બતાવવું પડશે કે તેઓ કેવી રીતે રોજગાર અને અન્ય પ્રકારની રાહત આપશે. પ્રવાસીઓનું જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે રજીસ્ટ્રેશન પણ થવું જોઇએ.

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અત્યારે લગભગ 1 કરોડ મજૂરોને ઘરે પહોંચાડવામા આવ્યા છે. રોડ માર્ગે 41 લાખ અને ટ્રેનથી 57 લાખ પ્રવાસીઓને ઘરે પહોંચાડ્યા છે. 3 જૂન સુધીમાં ભારતીય રેલવેએ 4228 શ્રમિક ટ્રેનો દોડાવી છે. જેમાંથી મોટાભાગની ટ્રેન ઉત્તરપ્રદેશ અને બિહાર માટે ચલાવવામાં આવી હતી.

તુષાર મહેતાએ વધુમાં કહ્યું કે અમે રાજ્ય સરકારોના સંપર્કમા છીએ. રાજ્યો દ્વાર એક ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જો કોઇ રાજ્ય ટ્રેન માટે માંગણી કરે તો કેન્દ્ર સરકાર 24 કલાકની અંદર મદદ કરશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે 15 દિવસનો સમય આપીએ છીએ જેથી દરેક રાજ્યોના પ્રવાસી શ્રમિકોના પરિવહનને પૂર્ણ કરવાની મંજૂરી મળી શકે. આ પહેલા રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે આ મામલે તેમનો પક્ષ રાખવાની મંજૂરી માગી છે. તેમનું કહેવું છે કે અમે નથી ઇચ્છતા કે શ્રમિકોના અધિકારોનું ઉલ્લંઘન થાય.

દેખાવકારો પર બળનો ઉપયોગ કરવા બદલ ટ્રમ્પ સામે કેસ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ગઈ કાલે કેસ નોંધવામાં આવ્યો છે. અમેરિકી નાગરિક અધિકારો માટે લડતાં સંગઠનોએ અમેરિકી રાષ્ટ્રપતિની સામે આ કેસ વોશિંગ્ટનમાં નોંધાવ્યો છે. વ્હાઈટ હાઉસની સામે દેખાવો કરી રહેલા દેખાવકારો પર સુરક્ષા દળોએ ટિયર ગેસના ગોળા અને સ્મોક બોમ્બ છોડ્યા હતા. ત્યાર બાદ ટ્રમ્પની ખૂબ ટીકા થઈ રહી છે. આને લીધે જ તેમના પર આ કેસ નોંધવામાં આવ્યો છે.

સોમવારે ટ્રમ્પ વાઇટ હાઉસની પાસે આવેલા ચર્ચની સામે બાઇબલની સાથે ફોટો પડાવવા જઈ રહ્યા હતા. એ દરમ્યાન ત્યાં પ્રદર્શનમાં સામેલ અનેક પ્રદર્શનકારીઓ એકત્ર થઈ ગયા, જે પછી તેમને જ્યાંથી પરાણે ખસેડવા માટે ટિયર ગેસ અને પેપર બોલ્સ મારવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ અને એટર્ની જનરલ વિલિયમ બાર પર કેસ નોંધવામાં આવ્યો હતો.

અશ્વેતની હત્યાને લઈને પ્રદર્શનો

જોકે જન અધિકાર જૂથોએ આ કાર્યવાહીને દેખાવકારોના અધિકારોનું ઉલ્લંઘન જણાવ્યું છે. વાસ્તવમાં અમેરિકામાં પાછલા કેટલાક દિવસોમાં આ પ્રદર્શન પોલીસ હિરાસતમાં અશ્વેતની હત્યાને લઈને થઈ રહ્યા છે.

વોશિંગ્ટનમાં સૈનિકો તહેનાત કરાયા

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દેશની રાજધાનીમાં નેશનલ ગાર્ડના સૈનિકો અને અધિકારીઓને ભારે સંખ્યામાં તહેનાત કરવાનું શ્રેય લેતાં કહ્યું હતું કે તેમણે રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનોને કચડવા માટે એક અનુકરણીય ઉદાહરણ રજૂ કર્યું છે. વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે સોમવાર રાત્રે વ્હાઈટ હાઉસની બહાર આકરી કાર્યવાહીને રાષ્ટ્રપતિએ સમર્થન આપ્યું છે, જે દેશની રાજધાનીમાં આક્રમક કાર્યવાહી કરીને દેશ માટે એક ઉદાહરણ રજૂ કરવા ઇચ્છતા હતા.

કાનૂન વ્યવસ્થા જાળવી રાખવાની જરૂર

ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે તમારે વર્ચસ કાયમ રાખવા માટે સુરક્ષા દળોને રાખવા પડશે. આપણે કાનૂન વ્યવસ્થા જાળવી રાખવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે આ બધી જગ્યાએ જ્યાં સમસ્યાઓ સર્જાઈ છે, ત્યાં રિપબ્લિકનનું શાસન નથી. ત્યાં ઉદારવાદી ડેમોક્રેટિક સત્તાનું શાસન છે.

જરૂર પડ્યે વધુ સૈનિક તહેનાત કરવાની યોજના

સંરક્ષણ વિભાગે જરૂર પડ્યે વધુ સૈનિક તહેનાત કરવાની યોજના બનાવી છે. પેન્ટાગોનના દસ્તાવેજોનું અવલોકન કરતાં એ માલૂમ પડ્યું હતું કે દેશની રાજધાનીમાં પરિસ્થિતિ બગડવા પર અને નેશનલ ગાર્ડ દ્વારા સુરક્ષા નહીં કરવાની સ્થિતિમાં થલ સેનાના એક ડિવિઝનથી સૈનિકોને વ્હાઈટ હાઉસ અને અન્ય સરકારી ઓફિસોની સુરક્ષામાં તહેનાત કરવાની યોજના છે.

‘નાગિન 5’ની હિરોઈન? દિવ્યાંકા ત્રિપાઠીનો આ છે જવાબ…

મુંબઈઃ ટીવી સિરિયલ નિર્માત્રી એકતા કપૂરે ‘કલર્સ’ ચેનલ પર ‘નાગિન 5’ સિરિયલ બનાવવાની જ્યારથી જાહેરાત કરી છે ત્યારથી આ સિરિયલની મુખ્ય અભિનેત્રી તરીકે કોણ ચમકશે એ વિશે સોશિયલ મિડિયા પર જાતજાતની અટકળો થઈ રહી છે.

‘નાગિન 5’ની એક ઝલક હાલમાં રિલીઝ કરવામાં આવી હતી. naagintv_series નામના હેન્ડલ પર તે તસવીર અપલોડ કરવામાં આવી હતી. એને કારણે ટીવી સિરિયલના ચાહકોમાં સનસનાટી મચી ગઈ છે. આ તસવીર મુક્તા ધોંડની ઈન્સ્ટા સ્ટોરી સાથે મૂકવામાં આવી છે. મુક્તા ‘નાગિન 4’નાં ક્રિએટીવ ડાયરેક્ટર છે.

નિયા શર્મા, વિજયેન્દ્ર કુમેરિયા અને રશ્મી દેસાઈ અભિનીત ‘નાગિન 4’ સમાપ્ત થઈ ગઈ છે. ભેદભરમવાળી વાર્તા પર આધારિત આ શો પૂરો થયા બાદ હવે નિર્માતાઓ ‘નાગિન’ સિરીઝની નવી પાંચમી આવૃત્તિ બનાવવા માગે છે. એના કલાકારો વિશે એકતા કપૂર કે એમની બાલાજી ટેલિફિલ્મ્સ કંપનીએ કોઈ જાહેરાત કરી નથી, પણ આ સિરીઝના ચાહકો ઉતાવળા થયા છે અને ‘નાગિન 5’ની અભિનેત્રી કોણ હશે એ જાણવા ઉત્સૂક બન્યા છે.

એવી અફવા છે કે દીપિકા કક્કડ, દિવ્યાંકા ત્રિપાઠી અને ક્રાતિકા સેંગર કદાચ ‘નાગિન 5’માં ચમકશે. વેરની વસુલાતની વાર્તાવાળી આ સિરિયલમાં દિવ્યાંકા નેગેટિવ રોલ કરશે એવી પણ જોરદાર અફવા હતી. દિવ્યાંકા આ પહેલાં ટીવી સિરિયલમાં પરંપરાગત વહુ તરીકે જોવા મળી છે એટલે નાગણ તરીકે એ કેવી એક્ટિંગ કરશે એ જોવા માટે એનાં પ્રશંસકો થઈ ગયા હતા. પરંતુ હવે ખુદ દિવ્યાંકાએ જ સ્પષ્ટતા કરી દીધી છે. પોતે ‘નાગિન 5’માં કામ કરવાની છે એવી અફવાઓનું એણે ખંડન કરી દીધું છે.

દિવ્યાંકાએ ટ્વિટર પર એક ચાહકે પૂછેલા સવાલના જવાબમાં લખ્યું છેઃ ‘ના… ખોટા સમાચાર છે.’

‘યે હૈ મોહબ્બતેં’ સિરિયલમાં ઈશિતાનાં રોલ માટે દિવ્યાંકાએ ટીવી દર્શકોની ઘણી વાહ-વાહ મેળવી છે.

દિવ્યાંકા હાલ કોરોના લોકડાઉનને કારણે ઘરમાં એનાં પતિ વિવેક દહિયા સાથે આનંદમાં સમય વિતાવી રહી છે. બંનેની કેટલીક તસવીરો એણે સોશિયલ મિડિયા પર શેર પણ કરી છે.

એવી પણ અફવા છે કે ‘બિગ બોસ 13’નો સ્પર્ધક અસીમ રિયાઝ પણ ‘નાગિન 5’માં ચમકશે અને તે મૌની રોયનાં પુત્રનો રોલ કરશે. જોકે નિર્માતાઓએ એકેય અફવાનો હજી સુધી જવાબ આપ્યો નથી.

દાઉદ ઇબ્રાહિમ, પત્નીને કોરોના થયો; કરાચીની હોસ્પિટલમાં સારવાર હેઠળ

કરાચીઃ વિશ્વના કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને કોરોના થયો છે. એને કારણે દાઉદના સુરક્ષા ચોકિયાતો તથા અન્ય સ્ટાફને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. દાઉદની પત્ની મહઝબીનનો ટેસ્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. દાઉદને અને તેની પત્નીને કરાચીની એક મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કરાચીમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે પાકિસ્તાન સરકાર દ્વારા આ વાતનો સતત ઇનકાર કરવામાં આવી રહ્યો છે. ઉચ્ચ સૂત્રોના જણાવ્યા મુજબ આ ન્યૂઝ સંપૂર્ણ રીતે સાચા છે અને દાઉદની પત્નીને સારવાર મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.

દાઉદ પાકિસ્તાનમાં જ છે

દાઉદ ઇબ્રાહિમ પોતાના પરિવાર સાથે ઘણા સમયથી પાકિસ્તાનમાં છુપાયો છે. ભારત અનેક વાર આના પુરાવા આપી ચૂક્યું છે તેમ છતાં પાકિસ્તાન ઇનકાર કરી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વાઇરસ હવે દાઉદ ઇબ્રાહિમના ઘરે સુધી પહોંચી ગયો છે.

દાઉદ – ભારતનો દુશ્મન

દાઉદ ભારતનો સૌથી મોટો દુશ્મન છે. 1993ના માર્ચમાં મુંબઈમાં કરાયેલા શ્રેણીબદ્ધ બોમ્બધડાકાઓનો માસ્ટરમાઇન્ડ દાઉદ છે. દાઉદની પત્નીનું નામ મહઝબીન ઉર્ફે ઝુબિના ઝરીન છે. દાઉદ અને ઝુબિનાને ચાર સંતાન છે – ત્રણ પુત્રી – માહરુખ, માહરિન અને મારિયા. પુત્રનું નામ મોઇન છે.

નિસર્ગ વાવાઝોડાથી નુકસાનઃ રાયગડ જિલ્લાને રૂ. 100 કરોડની તાત્કાલિક મદદ અપાઈ

મુંબઈ: ગઈ 3 જૂને ફૂંકાયેલા નિસર્ગ ચક્રવાતી વંટોળિયાએ મહારાષ્ટ્રના કોકણ સમુદ્ર પટ્ટાવિસ્તાર પર આવેલા રાયગડ જિલ્લાના કાંઠાળ વિસ્તારોમાં ભારે નુકસાન વેર્યું હતું. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આજે રાયગડ જિલ્લાની મુલાકાતે ગયા હતા અને નુકસાનગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.

ઠાકરેએ સમુદ્રકાંઠા પર વસેલા ગામોની મુલાકાત લીધી હતી. અનેક ગામોમાં વ્યાપક પણે નુકસાન થયું છે.

આ આફતને ધ્યાનમાં લઈને ઠાકરેએ રાયગડ જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસન કામગીરીઓ હાથ ધરવા માટે રાજ્ય સરકાર તરફથી રૂ. 100 કરોડની તાત્કાલિક સહાયની જાહેરાત કરી છે.

નિસર્ગ વાવાઝોડાએ ગઈ 3 જૂને બપોરે રાયગડ જિલ્લાના અલીબાગ પર લેન્ડફોલ કર્યું હતું અને અલીબાગ ઉપરાંત શ્રીવર્ધન, રોહા સહિતના નગરોમાં 100 કિ.મી. કરતાંય વધારે ઝડપે ફૂંકાયેલા પવનને કારણે અનેક મકાન-ઘરના છાપરા ઉડી ગયા હતા. અનેક ઘર-મકાનોને નુકસાન થયું છે.

એ બધાયનું પંચનામું કરતાં 4-6 દિવસ લાગશે. ત્યારબાદ નુકસાન ભરપાઈનું સ્વરૂપ નક્કી કરાશે એવું ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે.

વાવાઝોડાને કારણે રાયગડ જિલ્લાના આ ભાગોમાં વીજપૂરવઠા, મોબાઈલ ટાવરોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. એ કામગીરીઓને પ્રસ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર વધારે કર્મચારીઓની ટૂકડીઓ મોકલશે.

ઉદ્ધવ ઠાકરે આજે સવારે લગભગ 11.30 વાગ્યે મુંબઈમાં ગોલ્ડન ગેટથી રો-રો બોટસેવા મારફત માંડવા જેટ્ટી ખાતે ગયા હતા. બપોરે 12.30 વાગ્યે તેઓ માંડવા જેટ્ટી પહોંચી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, 3 જૂનની બપોરે ચક્રવાત નિસર્ગ મહારાષ્ટ્રના પશ્ચિમી કાંઠે ત્રાટક્યું હતું, પરંતુ સદ્દનસીબે મુંબઈ શહેર અને જિલ્લો તથા પડોશના થાણે અને પાલઘર જિલ્લાઓ પણ આબાદ બચી ગયા હતા. અલીબાગથી વાવાઝોડું જેમ આગળ વધ્યું કે તરત એનું જોર નરમ પડી ગયું હતું. દક્ષિણ મુંબઈમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, પરંતુ પવનની ગતિ 50 કિ.મી.થી આગળ વધી શકી નહોતી.

વિશ્વ પર્યાવરણ દિવસ: સાથે મળીને કરીએ પર્યાવરણનું જતન…

કુદરતના સૌ કોઈ ગુનેગાર છે!..વિશ્વભરમાં આજના દિવસને એટલે કે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની શરુઆત સંયુક્ત રાષ્ટ્ર તરફથી વર્ષ 1972માં કરવામાં આવી હતી. ત્યારપછીથી દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ ‘Celebrate Biodiversity’ એટલે કે, જૈવ વિવિધતા પર રાખવામાં આવી છે. પરંપરા અનુસાર દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ એક અલગ દેશ દ્વારા ઉજવવામાં આવે છે. આ વર્ષે પર્યાવરણ દિવસ સાથે જોડાયેલા મહત્વના કાર્યક્રમ કોલમ્બિયામાં આયોજીત કરવામાં આવ્યા છે. આ વર્ષની થીમ તાજેતરમાં જ ઘટેલી કેટલીક ઘટનાઓને આધારે રાખવામાં આવી છે.

એ પણ હકીકત છે કે, પર્યાવરણને કારણે જ જીવ-જંતુઓ અને માનવ જીવન શક્ય બન્યું છે. જોકે, હાલ કોરોના કાળમાં ચાલી રહેલા લોકડાઉનથી પર્યાવરણને ખૂબ મોટો ફાયદો થયો છે. પર્યાવરણનું જતન કરવા માટે દરેક વ્યક્તિએ તેમનું યોગદાન આપવું જોઈએ.

કુદરતે તો આટલા દિવસોમાં દેખાડી દીધું કે માણસો વગર પણ તે ખુશ છે. પ્રકૃતિ વગર આ ધરતી પર કોઈપણ જીવ-જંતુ કે માનવ જીવનની કલ્પના કરવી બેઈમાની છે. માનવીનો પ્રકૃતિ સાથે જૂનો નાતો છે. પ્રકૃતિમાં થોડો પણ ફેરફાર માનવ જીવનના અસ્તિત્વ માટે મોટો ખતરો બની જાય છે. તેમ છતાં પણ આજે માણસ જ પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં સૌથી આગળ ઉભો છે.

તાજેતરમાં જ એમેઝોન અને ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગની ઘટનાઓ સામે આવી હતી. આ ઉપરાંત પૂર્વ આફ્રિકા સહિત અનેક દેશોમાં તીડ જેવા નાના જીવોનો માનવ વસ્તી તરફ આક્રમણ અને હવે કોરોના જેવી વૈશ્વિક મહામારીએ સાબિત કર્યું કે માનવ જીવનને પર્યાવરણની કેટલી જરૂરી છે.

ભારતમાં હાલ કોરોના સંકટને કારણે આ વર્ષે તમે ઘરે રહીને જ પર્યાવરણ માટે મોટું યોગદાન આપી શકો છો. ઘણી એવી વાતો છે જેનું પાલન કરી તમે પર્યાવરણને નુકસાન થતું બચાવી શકો છો.

  • પ્લાસ્ટિક કે પોલિથીનના બદલે હંમેશા કપડાની થેલીનો ઉપયોગ કરો
  • કોઈપણ વસ્તુનો પુન: ઉપયોગ કરવા અંગે વિચારો.
  • જો તમે કોઈપણ વસ્તુને રિસાઈકલ કરવાનું શીખી જશો તો પછી તમે તમારી જાતને પ્રકૃતિના શોષણથી રોકી શકશો.
  • નવી પેઢીને પર્યાવરણનું મહત્વ સમજાવો.

રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રસમાં ‘તું જા, હું આવું’ની સ્થિતિ

ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણી જાહેર થવાની સાથે જ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીમાં મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે. એના કુલ 8 ધારાસભ્યોના રાજીનામા પડી ચૂક્યા છે. હવે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી રહેલા કોંગ્રેસના બીજા ઉમેદવારની જીતની શક્યતા પાંખી છે. જ્યારે ભાજપે જીત તરફ એક પગલું આગળ વધાર્યુ છે. હાલ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ એક પછી એક ધારાસભ્યોના રાજીનામાને કારણે ઓછું થતું જાય છે. કોંગ્રેસની ડેમેજ કંટ્રોલની કવાયત કેવું કામ કરે છે તે તો સમય જ કહેશે. પણ આ ધારાસભ્યોના રાજીનામા કોંગ્રેસની હારને વધુ મજબૂત બનાવી રહ્યું છે.

કોંગ્રેસમાં રાજીનામું આપનાર ધારસભ્યોની જો વાત કરવામાં આવે તો અગાઉ 5 રાજીનામાં પડયા હતા જેમાં ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂ, ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતનો સમાવેશ થાય છે જ્યારે ગઈકાલે કરજણના અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીએ રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ હજી આ આઘાતમાંથી બહાર નહોતી આવી ત્યાં આજે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં પ્રજાના કામ ન થતા હોવાના આ ધારાસભ્યોએ આક્ષેપ કર્યા છે.

તો બીજી તરફ NCP નેતા કાંધલ જાડેજાએ ફરી એકવાર પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, હું કાયમ માટે NCP સાથે જોડાયેલો છું, માત્ર રાજ્યસભાની ચૂંટણીમાં જ ભાજપને મત આપું છું.

ધારાસભ્યોના રાજીનામા અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ભાજપ અમારા ધારાસભ્યોને લલચાવવા માટે પૈસાની સાથે ધમકીનો પણ ઉપયોગ કરી રહ્યું છે. અક્ષય પટેલ માઇનિંગમાં વ્યાપારી હિતો ધરાવે છે અને તેથી તેને લાલચ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી  યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. ગોહિલને પ્રથમ પંસદગીનો મત મળશે જેથી રાજ્યસભામાં તેમની જીત લગભગ નક્કી ગણાય છે. જ્યારે ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે.

કોરોના વોરિયર્સને અનોખી સલામી

કોરોના મહાબીમારી સામેની લડાઈ વચ્ચે દરેક જાગ્રત નાગરિક પોતાનાથી બનતી મહેનત કરી આ કપરા કાળને નાથવા મથી રહ્યો છે. સહુ એકબીજાને ધરપત આપી આ લડાઈમાં ટકી રહેવા અને એકબીજાની હિંમત વધારી રહ્યા છે અને એ જ આપણી ખરી મૂડી છે. એકબીજા પ્રત્યેનો સાથસહકાર અને એકબીજાને પ્રેરિત કરતા રહેવાની આ ખૂબીને લીધે જ માણસજાત આટઆટલાં સંઘર્ષો પછી પણ ટકી રહી છે.

એવી જ પહેલ હમણાં ઓનલાઈન માધ્યમથી અજય ચૌહાણે કરી. કોરોના વોરિયર્સનો જુસ્સો ટકાવી રાખવા અને એમના પ્રત્યે સન્માન વ્યક્ત કરવા અજયે શબ્દોનો અંબાર સજાવ્યો. મિત્રો સાથે મળીને એ શબ્દોને વિડિયોમાં સરસ ચિત્રો, સુંદર પઠન અને હૃદયસ્પર્શી સંગીત સાથે તૈયાર કરી યુટ્યુબ પર મૂક્યા છે.

આ શબ્દો છે ‘હમારા હિન્દુસ્તાન’, જે અત્યારની સ્થિતિમાં સમાજ માટે લડી રહેલા કોરોના વોરિયર્સ માટે લખાયેલા શબ્દો છે. મેહુલ રામીના મ્યુઝિક અરેન્જમેન્ટ, નિરાલી જોષીના પઠન સાથે અજય ચૌહાણે પોતે પણ વિડિયોમાં પઠન કર્યું છે.

આખા વિડિયોમાં કોરોના વોરિયર્સની વિવિધ કામગીરીઓ સાથે આવા સમયમાં જીવનો જોખમ લઈ સમાજસેવા કરી રહેલા લોકોને કંડારવામાં આવ્યા છે. વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો. https://youtu.be/GnbIIQXU-AU

કદાચ કોરોના સામેનું યુદ્ધ હજી લાંબું ચાલશે, પણ કોરોના વોરિયર્સનો જુસ્સો વધારતા રહેવા નાગરિકોનો આવો સહયોગ સતત મળતો રહેશે તો મોડેમોડે ભલે, પણ આ યુદ્ધ આપણી જીતીને રહીશું એ નક્કી.

(પરેશ ચૌહાણ)

કોરોના સંકટઃ માર્ચ, 2021 સુધી નવી સરકારી યોજનાઓ મુલતવી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના વધતા કેસોની અસર હવે કેન્દ્ર સરકારની યોજનાઓ પર પડવા લાગી છે. કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં કોઈ પણ નવી સરકારી યોજનાની શરૂઆત નહીં કરવાનો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયે બધાં મંત્રાલયોને નવી યોજનાઓને ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ નહીં કરવા માટે નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન પર કોઈ પણ પ્રકારની મનાઈ ફરમાવી નથી.

લોકડાઉનથી દેશના અર્થતંત્રને ભારે નુકસાન

નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર કોઈ પણ સરકારી યોજનાને આ વર્ષે મંજૂરી નહીં આપવામાં આવે. પહેલેથી જ મંજૂર થયેલી નવી યોજનાઓને 31 માર્ચ, 2021 અથવા નવો આદેશ ન મળે ત્યાં સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કોરોના વાઇરસને કારણે દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનથી દેશના અર્થતંત્રને ભારે નુકસાન થયું છે. કેટલાંય ક્ષેત્રોમાં લાંબા સમય સુધી કામ બંધ રહ્યું છે, જેને લીધે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

20 લાખ કરોડના પેકેજનું એલાન

દેશના અર્થતંત્રને ફરીથી પાટે ચઢાવવા માટે અને કોરોનાની માર ખમી રહેલા મજૂરો, ગરીબો અને અન્ય લોકો માટે સરકારે પાછલા દિવસોમાં 20 લાખ કરોડના પેકેજનું એલાન કર્યું હતું. દેશના કુલ જીડીપીના 10 ટકા પેકેજમાં કેટલાય વર્ગો માટે મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી.

કૃષિ ક્ષેત્રે 2.5 ટકા વિકાસની સંભાવના

કોરોના સંકટને લીધે દેશના દરેક ક્ષેત્રથી પ્રતિકૂળ સમાચાર આવી રહ્યા છે, એકમાત્ર કૃષિ ક્ષેત્ર એવું છે જ્યાંથી આશા બંધાયેલી છે. કોરોના વાઇરસ રોગચાળાથી ઊભા થયેલા સંકટમાં કૃષિ ક્ષેત્ર એકમાત્ર સકારાત્મક સંકેત આપતું ક્ષેત્ર છે. કૃષિ ક્ષેત્રમાં વર્ષ 2020-21 દરમ્યાન 2.5 ટકાના વિકાસની સંભાવના છે. લોકડાઉન છતાં દૂધના વેચાણ મહદંશે સ્થિર રહ્યું. દૂધની ખપતમાં 15-20 ટકાનું યોગદાન કરતા હોટલ અને રેસ્ટોરાં ક્ષેત્રથી પણ આશા છે કે લોકડાઉન હટ્યા પછી ધીમ-ધીમે એની માગમાં સુધારો થશે.

સરકારનું કહેવું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) હેઠળ અત્યાર સુધી આશરે 42 કરોડ ગરીબોને 53,248 કરોડ રૂપિયાની નાણાકીય સહાય કરવામાં આવી છે.

સરકારે પહેલેથી એ નિર્ણય કરી ચૂકી છે કે જૂની યોજનાઓને પૂરી કર્યા પછી જ નવી યોજનાઓને શરૂ કરવામાં આવશે. હવે કોવિડ-19ને લીધે આ નિર્ણયનો સખતાઈથી અમલ કરવામાં આવશે.

કોરોના-લોકડાઉનથી થયો ફાયદો! દેશના 22 શહેરોની આબોહવા સુધરી

નવી દિલ્હી: કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે ભારત સરકારે છેક 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું છે. લોકડાઉનના સમયગાળામાં સામાન્ય માનવીઓથી લઈને સેલિબ્રિટી વ્યક્તિઓ, એમ બધા જ ઘરમાં પૂરાઈ ગયા છે. ધંધાકીય પ્રવૃત્તિઓ ઠપ થવાને કારણે અર્થવ્યવસ્થાને માઠી અસર પડી છે. પણ આ લોકડાઉનથી પર્યાવરણને ખૂબ મોટો ફાયદો થયો છે. લોકડાઉન દરમિયાન ઘણા શહેરોમાં શિમલા કુલુ જેવા હિલસ્ટેશનો પર હોય તેવી શુદ્ધ હવાનો અનુભવ થયો. લોકોએ અનુભવ્યું કે ખરેખર આપણે બારેમાસ પર્યાવરણનું આટલું જ જતન કરીએ તો આપણે સારુ જીવન જીવવા મળી શકે. જોકે, હવે લોકોને ચિંતા છે કે, પર્યાવરણમાં આવેલો આ સુધારો એ કાયમ માટે કેવી રીતે જાળવી રાખવો…

લોકડાઉનને પગલે બધુ બંધ રહેતા પ્રદૂષણમાં મોટાપાયે ઘટાડો થવાની સાથે નદીઓ સ્વચ્છ થઈ ગઈ, કચરામાં ઘટાડો થયો એટલે સ્વચ્છ આકાશ દેખાયું, પક્ષીઓનો કલરવ સંભળાયો, ઝેરી વાયુઓમાં ઘટાડો નોંધાયો, કેટલીયે બીમારીઓમાં રાહત મળી… એટલે તો લોડકડાઉનમાં લોકોનું બિમાર પડવાનું પ્રમાણ ઘટી ગયું.

લૉકડાઉન દરમિયાન જ દેશનાં 115માંથી લગભગ 92 શહેરોમાં હવા સારા સ્તર પર રહી. જ્યારે લૉકડાઉન પહેલાં માત્ર 50 શહેરોની હવા જ આ ક્વોલિટીની હતી. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ (CPCB)એ 16 માર્ચથી 15 એપ્રિલ, 2020ના આંકડાને આધારે આ વાત કરી છે. લૉકડાઉનના પહેલા મહિનામાં 22 ઉત્તર ભારતીય શહેરોની એર ક્વોલિટી સુધરી છે. કેટલીયે જગ્યાઓએ તો તેમાં 44 ટકા જેટલો સુધારો જોવા મળ્યો. આ મુદ્દે દિલ્હીની હવામાં શુદ્ધતાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું. જો હવાની શુદ્ધતા આ જ સ્તરની જળવાઈ રહે તો દેશમાં 6 લાખ 50 હજાર લોકોના જીવ બચાવી શકાય છે. આટલા લોકો આપણા દેશમાં દર વર્ષે પ્રદૂષણને કારણે જીવ ગુમાવે છે.

જર્મનીની માર્ટિન લ્યૂથર કિંગ યુનિવર્સિટીના પ્રોફેસર યગોન અગેનના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે ઈટાલી, સ્પેન, ફ્રાન્સ અને જર્મનીના જે 66 વિસ્તારોમાં કોરોનાને લીધે સૌથી વધુ મૃત્યુ થયાં છે, ત્યાં એર પોલ્યૂશનનું પ્રમાણ પણ સૌથી વધુ હતું

આ જ રીતે નાસાની સેટેલાઈટ ઈમેજિસ પરથી માહિતી મળી છે કે લૉકડાઉન દરમિયાન હવામાં ઘાતક એરોસોલનું પ્રમાણ પાછલાં 20 વર્ષમાં સૌથી ઓછું જોવા મળ્યું. એરોસોલ ફેફસાં અને હૃદયરોગનું સૌથી મોટું કારણ છે. આ ઉપરાંત વાહનવ્યવહાર થંભી ગયો અને ઈન્ડસ્ટ્રી તથા આર્થિક પ્રવૃત્તિઓ અટકવાને કારણે હવામાં પ્રદૂષણ માટે જવાબદાર પર્ટિક્યુલેટ મેટર (PM)નું સ્તર ઓછું થયું અને હવામાં ઘાતક SO2 (સલ્ફર ડાયોક્સાઈડ) તથા NO2 (નાઈટ્રોજન ડાયોક્સાઈડ) જેવા ઝેરી વાયુઓનું સ્તર પણ નોંધપાત્ર રીતે ઓછું થઈ ગયું હતું.

ઈન્ડસ્ટ્રીઓમાંથી નીકળતો વેસ્ટ પાણીમાં ભળ્યો નહીં અને નદીઓમાં પાણીની શુદ્ધતા તેના સૌથી સારામાં સારા સ્તર પર પહોંચી ગઈ. વાહનોને કારણે પેદા થતું નોઈઝ પોલ્યૂશન પણ અટકી ગયું. તેને લીધે થતાં કેટલાય મેન્ટલ પ્રોબ્લેમ્સમાં પણ જબરદસ્ત ઘટાડો નોંધાયો.

આ સર્વેમાં એ પણ સામે આવી છે કે લૉકડાઉનથી લોકોનો પર્યાવરણ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો છે. લોકોનો એકમત બન્યો છે કે પર્યાવરણ પર જરૂરથી વધુ દબાણ ન નાંખવું જોઈએ. કારને છોડીને સાઈકલ જેવી રીતો અપનાવવાની જરૂર છે. આવા નાના-નાના પગલાંથી પણ આપણે પણ આપણાં પર્યાવરણની સંભાળ રાખી શકીએ.