Home Blog Page 4766

Chitralekha Marathi – June 22, 2020

PDF Version
This post is only available to members.

ગુજરાતમાં ભૂકંપનો જોરદાર આંચકો લાગ્યો; 5.8ની તીવ્રતા

અમદાવાદઃ આજે રાતે 8.13 વાગ્યાના સુમારે ગુજરાતના અનેક ભાગોમાં ધરતીકંપનો તીવ્ર આંચકો લાગ્યો હતો.

અમદાવાદ, રાજકોટ, મોરબી, કચ્છ સહિત અનેક વિસ્તારોમાંથી લોકોએ એમણે ધરતીકંપના આંચકાનો અનુભવ કર્યાની સોશિયલ મિડિયા પર જાણ કરી હતી.

જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં પણ લોકોએ ધરતીકંપની તીવ્રતાનો અનુભવ કર્યો હતો.

ઘણા સ્થળે બહુમાળી મકાનોમાં રહેતા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી આવ્યા હતા.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા મુજબ, ધરતીકંપના આંચકાની તીવ્રતા 5.8 હતી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટ શહેરથી 122 કિ.મી. ઉત્તર-ઉત્તરપશ્ચિમ બાજુએ, કચ્છ જિલ્લાના ભચાઉ શહેરથી લગભગ 9 કિ.મી. દૂરના સ્થળે ધરતીની સપાટીથી 10 કિ.મી. ઊંડે હોવાનું માલૂમ પડ્યું હતું. ભૂકંપનો તે આંચકો ગુજરાતમાં અનેક સ્થળોએ લાગ્યો હતો.

ધરતી લગભગ ચારેક સેકંડ સુધી ધ્રૂજતી રહી હતી એવું અમુક લોકોનું કહેવું છે. સદ્દભાગ્યે ક્યાંય કોઈ જાનહાનિ થયાના કે મિલકતને નુકસાન થયાનો અહેવાલ નથી.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં આવેલા ભૂકંપના આંચકાઓને પગલે રાજકોટ કચ્છ અને પાટણ જીલ્લાના કલેકટરો સાથે રાતે ટેલિફોન તાત્કાલિક વાતચીત કરી હતી અને ત્યાંની પરિસ્થતિની જાણકારી મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાથી રાષ્ટ્રીય પાટનગર દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં 12 જેટલા ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે.

એક તરફ કોરોના વાઈરસના ફેલાવાથી બચવાને કારણે લોકોને એમના ઘરમાં જ રહેવાની સૂચના છે તેવામાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે.

2001ની 26 જાન્યુઆરીએ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલો ભયાનક ભૂકંપ 6.9ની તીવ્રતાનો હતો અને તે 100થી થોડીક વધારે સેકંડ સુધી ચાલ્યો હતો.

બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું અકાળે મોત…

હિન્દી ફિલ્મોના ટેલેન્ટેડ તથા 34 વર્ષના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળે મોતથી બોલીવૂડ તથા સ્પોર્ટ્સ જગતમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. સુશાંત સિંહ 14 જૂન, રવિવારે મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)માં એના ઘરમાં લટકતી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. એના ઘરનોકરે તેને લટકતી હાલતમાં જોયા બાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. એમને ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસોએ સુશાંતના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

પટનામાં, સુશાંત સિંહ રાજપૂતના સગાસંંબંધીઓ શોક વ્યક્ત કરવા એકત્ર થયા હતા તે વેળાની તસવીર. સુશાંત સિંહ મૂળ પટનાનો હતો. 2002માં એની માતાનું નિધન થયું હતું. એની એક બહેન મીતુ સિંહ ક્રિકેટર છે.

યુરોપના ઘણા દેશોએ સરહદો ખોલી; અમેરિકન, એશિયનો માટે નહીં

બર્લિનઃ કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો રોકવા 3 મહિનાથી લાગુ કરેલા લોકડાઉનને ધીમે ધીમે હળવું કર્યા બાદ યુરોપના દેશોએ એકદમ નવી વાસ્તવિક્તા તરફ એક મોટું ડગલું ભર્યું છે અને સાથી યુરોપીયનો માટે એમની સરહદો ખોલી દીધી છે. તે છતાં આ નિર્ણયમાં પારદર્શકતા નથી, કારણ કે અમેરિકન નાગરિકો તથા એશિયન લોકો માટે આ છૂટ હમણા લાગુ કરાઈ નથી.

યુરોપના લોકોને ઉનાળાનું વેકેશન માણવું બહુ ગમે છે, પરંતુ પ્રવાસની પરવાનગીનો લાભ કેટલા લોકો લેશે એ કહી શકાય એમ નથી.

અમેરિકા, એશિયા, લેટિન અમેરિકા તથા મધ્યપૂર્વના દેશોનાં પર્યટકોને હજી યુરોપમાં આ છૂટ આપવામાં આવી નથી.

યુરોપીયન યુનિયને ભલામણ કરી છે કે યુરોપ ખંડના દેશોએ શક્ય એટલું ઝડપથી, બની શકે તો સોમવારથી જ આપસની સરહદો ખોલી દેવી.

આને પગલે ઘણા દેશોએ તેમ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે દરેક દેશ માટે જુદા જુદા નિયમો રહેશે.

મુંબઈની નાયર હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત 300 માતાઓની સુખરૂપ પ્રસૂતિ થઈ

મુંબઈઃ અત્રેના મુંબઈ સેન્ટ્રલ ઉપનગરના પૂર્વ ભાગમાં આવેલી મહાનગરપાલિકા હસ્તકની બી.વાય.એલ. નાયર ચેરિટેબલ હોસ્પિટલમાં પ્રસૂતિશાસ્ત્ર વિભાગ, નવજાત શિશુ અને બાળરોગ ચિકિત્સા વિભાગ તથા ભૂલશાસ્ત્ર વિભાગ – આ ત્રણેય વિભાગના સુયોગ્ય સમન્વયને કારણે અત્યાર સુધીમાં કુલ એવી 302 માતાઓની સુખરૂપ પ્રસૂતિ કરવામાં આવી છે જે તમામ માતાઓ કોરોનાવાઈરસથી પીડિત હતી. આ માતાઓથી જન્મેલા 11 બાળકોને પણ કોરોના થયો હતો, પરંતુ યોગ્ય ઉપચારને કારણે તમામ બાળકો પણ એમની માતાઓની સાથે કોરોનામુક્ત થઈ ગયા છે.

ઝી મરાઠીના અહેવાલ અનુસાર, નાયર હોસ્પિટલમાં 14 એપ્રિલ, 2020ના રોજ પ્રથમ કોરોના-ગ્રસ્ત માતાની સુખરૂપ પ્રસૂતિ કરવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા બે મહિનાના સમયગાળામાં આ હોસ્પિટલમાં કુલ 302 કોરોનાપીડિત ગર્ભવતી સ્ત્રીઓની સુખરૂપ ડિલીવરી કરવામાં આવી છે.

કુલ પ્રસૂતિઓમાં ત્રણ સ્ત્રીને ટ્વિન્સ બાળકો પેદા થયા છે. આમ, હોસ્પિટલમાં કુલ 306 બાળકોએ જન્મ લીધો છે, એમ નવજાત શિશુ અને બાળરોગ ચિકિત્સા વિભાગનાં વડાં ડો. સુષમા મલિક, પ્રસૂતિશાસ્ત્ર વિભાગનાં વડા ડો. નીરજ મહાજન અને ભૂલશાસ્ત્ર વિભાગનાં વડાં ડો. ચારુલતા દેશપાંડેએ આ માહિતી આપી હતી.

હોસ્પિટલમાં ડોક્ટરો, નર્સ, વોર્ડબોય એ સહુ પીપીઈ કિટ પહેરીને દિવસ-રાત મહેનત કરતા રહ્યા છે. કોરોના ચેપનું સતત જોખમ હોવા છતાં આ તમામ સ્વાસ્થ્યકર્મીઓએ ગર્ભવતી સ્ત્રીઓની સંપૂર્ણપણે કાળજી લીધી હતી. તેમજ એમનાં બાળકોને પણ જગતમાં આગમન તંદુરસ્તીસભર રહે એની પણ પૂરી તકેદારી રાખી હતી.

આ હોસ્પિટલના આ ત્રણેય વિભાગના અનેક ડોક્ટર, નર્સ, વોર્ડબોય છેલ્લા બે મહિનાથી એમનાં ઘેર ગયા નથી અને હોસ્પિટલમાં જ રહીને અથાગ રીતે કામ કરી રહ્યાં છે. આવા 75 જેટલા સ્વાસ્થ્યપ્રેમીઓમાંના કેટલાકના નામ છેઃ ડો. અરુંધતી તિળવે, ડો. ચૈતન્ય ગાયકવાડ, ડો. અંકિતા પાંડે, નર્સ સિસ્ટર રૂબી જેમ્સ, સિસ્ટર સુશિલા લોકે, સિસ્ટર રેશમા ટંડેલ, ડો. પૂનમ વાડે, ડો. સંતોષ કોંડેકર, નર્સ સીમા ચવ્હાણ, નર્સ રોઝલીન ડિસોઝા.

હોસ્પિટલના ડીન ડો. મોહન જોશી તથા સ્પેશિયલ કોવિડ વિભાગના કોઓર્ડિનેટર ડો. સારિકા પાટીલ અને ડો. સુરભી રાઠીએ આ ત્રણેય વિભાગના તમામ સ્વાસ્થ્યકર્મીઓની મહેનતની પ્રશંસા કરી છે અને એમને અભિનંદન આપ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતનું અકાળે મોતઃ બોલીવૂડ, રમતવીરો શોકમાં ગરકાવ

મુંબઈઃ ફૂટડા યુવા બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કથિતપણે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કર્યાના સમાચારે સનસનાટી ફેલાવી દીધી છે. ખાસ કરીને બોલીવૂડમાં અને દેશની ખેલકૂદ હસ્તીઓમાં ગમગીની છવાઈ ગઈ છે.

‘ધોની’ ફિલ્મમાં ટાઈટલ ભૂમિકા કરનાર સુશાંત સિંહની અકાળે એક્ઝિટના સમાચાર જાણ્યા બાદ કેટલાક ફિલ્મી અને ખેલકૂદ સિતારાઓએ ટ્વિટર ઉપર શોક વ્યક્ત કર્યો છે.

અક્ષય કુમાર, રિચા ચઢ્ઢા, સંજય સુરી, રિતેશ દેશમુખ, મનોજ જોશી, ઉર્મિલા માતોંડકરે ટ્વીટ કરીને સુશાંતના મૃત્યુ અંગે દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે.

આ છે કેટલાક ટ્વીટ્સઃ

‘ધોની’ ફિલ્મમાં સુશાંતની હિરોઈન બનનાર દિશા પટનીએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તે ફિલ્મમાં સુશાંત સાથેની પોતાની તસવીર પોસ્ટ કરી છે. એની સાથે કેપ્શન તરીકે એણે કશું જ લખ્યું નથી, જે દર્શાવે તે સુશાંતના મૃત્યુને કારણે દિશા દિગ્મૂઢ થઈ ગઈ છે.

ખેલકૂદ ક્ષેત્રની વ્યક્તિઓમાં, ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ, બેડમિન્ટન ચેમ્પિયન સાઈના નેહવાલ, ભૂતપૂર્વ ક્રિકેટરો વિરેન્દર સેહવાગ, મોહમ્મદ કૈફ અને વર્તમાન ક્રિકેટર કૃણાલ પંડ્યાએ પણ ટ્વિટર ઉપર શોકસંદેશો પોસ્ટ કર્યો છે. ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ્સ વિજેતા સાનિયા મિર્ઝાએ પણ દર્દભર્યું ટ્વીટ લખ્યું છે.

બાદમાં સમાચાર આવ્યા હતા કે સુશાંત સિંહના ઘરમાં તપાસ કરનાર પોલીસને સુશાંતના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

ભગવાન જગન્નાથના મુગટ-વાઘા માટેની તૈયારીઓનો આરંભ

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાંથી નીકળનાર આગામી વાર્ષિક રથયાત્રા માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ જે મુગટ અને વાઘા પહેરે છે એની તૈયારી પણ થઇ રહી છે.

શહેરના શાહપુર વિસ્તારમાં રહેતા સુનીલભાઈ સોની (વાઘાવાળા) ભગવાન જગન્નાથના મુગટ અને વાઘા તૈયાર કરે છે.

અઢાર વર્ષથી રથયાત્રા દરમિયાન સુનીલભાઈ ભગવાન જગન્નાથના વાઘા તૈયાર કરે છે.

સુનિલ ભાઈ ‘ચિત્રલેખા. કોમ’ને કહે છે, ‘મહંત દિલીપદાસજી પહેલાના મહંતના સમયથી મુગટ-વાઘા તૈયાર કરીએ છીએ. અઢાર વર્ષ પહેલા એકવાર સ્વામિનારાયણ મંદિર માટે કામ કર્યું હતું. સૌને મારું કામ ગમ્યું હતું.  એ પછી એક હરિભક્ત મને જગન્નાથ મંદિરે લઇ ગયા અને ત્યારબાદ અહીં બનાવેલા વાઘા-મુગટથી ભગવાન જગન્નાથને રથયાત્રા દરમિયાન તૈયાર કરવામાં આવે છે.’

આ વર્ષે કોરોના વાઈરસ મહાબીમારીની આફત વચ્ચે રથયાત્રા કેવી રીતે નીકળશે એ હજુ નક્કી નથી,  પરંતુ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી – બોલીવૂડ માટે એક વધુ દુઃખદ અને ચોંકાવનારા સમાચાર છે. ટેલેન્ટેડ અને દેખાવડો એક્ટર સુશાંત સિંહ રાજપૂત અહીંના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં એના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. એ 34 વર્ષનો હતો.

સુશાંતના ઘરનોકરે સવારે ઘરમાં સુશાંતના મૃતદેહને લટકતો જોયો હતો અને એણે પોલીસને જાણ કરી હતી.

પોલીસોએ આવીને સુશાંતના મૃતદેહને વિલે પારલેની કૂપર હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો.

પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. અગાઉ એવા અહેવાલો હતા કે સુશાંત છેલ્લા કેટલાક મહિનાઓથી કોઈક માનસિક તાણ હેઠળ હતો. બાદમાં એવા સમાચાર આવ્યા હતા કે પોલીસને સુશાંતના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે આ અત્યંત આંચકાસમાન સમાચાર છે. હજી ગયા એપ્રિલમાં ઈરફાન ખાન અને રિશી કપૂર જેવા અભિનેતાઓના કેન્સરને કારણે મૃત્યુના સમાચારો હજી તાજા છે ત્યાં બોલીવૂડને એક વધુ ફટકો પડ્યો છે.

હજી ગયા સોમવારે સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાને મલાડમાં એની હાઉસિંગ સોસાયટીમાં 14મા માળ પરથી છલાંગ મારીને આત્મહત્યા કરી હતી.

સુશાંત સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો આખરી સંદેશો ગઈ 3 જૂને મૂક્યો હતો. એમાં તેણે દિવંગત માતાને યાદ કરી હતી અને આમ લખ્યું હતું: ‘મા, આંસુઓમાંથી ધૂંધળો ભૂતકાળ વરાળ બનીને ઉડી રહ્યો છે. ક્યારેય સમાપ્ત ન થનાર સપનાઓ એક હાસ્યનો ચહેરો ધારણ કરે છે અને જિંદગી ચાલી રહી છે. આ બંનેની વચ્ચે વાટાઘાટ ચાલે છે #माँ ❤️”.’

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ જ્યારે 16 વર્ષનો હતો ત્યારે એની માતાનું નિધન થયું હતું.

સુશાંત સિંહ છેલ્લે ‘છીછોરે’ ફિલ્મમાં જોવા મળ્યો હતો, જે ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. એમાં તેની હિરોઈન શ્રદ્ધા કપૂર હતી.

1986ની 21 જાન્યુઆરીએ પટનામાં જન્મેલા સુશાંતે એની અભિનય કારકિર્દીનો આરંભ એકતા કપૂરના ટીવી શો પવિત્ર રિશ્તાથી કર્યો હતો.

2012માં ‘કાઈ પો છે’ ફિલ્મથી સુશાંત સિંહે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ એણે ‘પીકે’, ‘કેદારનાથ’ ફિલ્મમાં કામ કર્યું હતું. ‘કેદારનાથ’ ફિલ્મ સારા અલી ખાનની પહેલી બોલીવૂડ ફિલ્મ હતી. સુશાંત સિંહની સૌથી વધારે હિટ ફિલ્મ હતીઃ ‘એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી.’

તેણે ‘શુદ્ધ દેસી રોમાન્સ’, ‘ડીટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’, ‘રાબ્તા’, ‘વેલકમ ટુ ન્યૂયોર્ક’, ‘સોનચિડિયા’ અને ‘ડ્રાઈવ’ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ‘ડીટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’માં એણે શિર્ષક ભૂમિકા ભજવી હતી.

સુશાંત આ નવી ફિલ્મમાં કામ કરી રહ્યો હતો – ‘દિલ બેચારા’.

સુશાંત સિંહ રાજપૂતે AIEEEમાં સમગ્ર ભારતમાં 7મી રેન્ક હાંસલ કરી હતી અને દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ ડિગ્રી મેળવી હતી. ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં પણ એ વિજેતા બન્યો હતો. બાદમાં એ મુંબઈમાં શામક દાવરના ડાન્સ ક્લાસીસમાં જોડાયો હતો અને બેરી જોન્સની એક્ટિંગ ક્લાસમાં અભિનયની તાલીમ લઈને એક્ટર બન્યો હતો.

સુશાંતના મૃત્યુ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલું ટ્વીટઃ

PoKના લોકો ભારતમાં સામેલ થવાની માગણી કરશેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ જમ્મુ અને કશ્મીર પ્રદેશ નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે અને પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (PoK)માંથી લોકોની માગણી ઉઠશે કે તેઓ ભારતમાં જોડાઈ જવા ઈચ્છે છે.

રાજનાથ સિંહે ‘જમ્મુ અને કશ્મીર જન સંવાદ રેલી’ને વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કરતી વખતે આમ જણાવ્યું હતું.

એમણે કહ્યું કે, ‘થોડીક રાહ જુઓ, પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરના લોકો ટૂંક સમયમાં જ માગણી કરશે કે તેઓ ભારતમાં જોડાઈ જવા માગે છે અને પાકિસ્તાનના શાસન હેઠળ રહેવા માગતા નથી. અને જે દિવસે આ હકીકત બનશે ત્યારે આપણી સંસદનું લક્ષ્ય સિદ્ધ થશે.’

રાજનાથ સિંહનું આ સંબોધન કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ દ્વારા યોજાતી શ્રેણીબદ્ધ વર્ચુઅલ મીટિંગોનો એક ભાગ હતું. આ મીટિંગો નરેન્દ્ર મોદી સરકારે શાસનની બીજી મુદતમાં પહેલું વર્ષ પૂરું કર્યું તે નિમિત્તે યોજવામાં આવે છે.

જિયો સાથે અમેરિકાની TPG પણ જોડાઈઃ $60 કરોડનો સોદો

મુંબઈઃ પોતાની પર ચડી ગયેલું દેવું ઘટાડવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ મોટા પગલા લઈ રહી છે અને તેની ટેલિકમ્યુનિકેશન્સ અને ડિજિટલ સર્વિસીસ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડનો હિસ્સો વિદેશી કંપનીઓને વેચી રહી છે. અત્યાર સુધીમાં એણે કુલ 9 સોદા કર્યા છે. ગઈ કાલે એણે અમેરિકાના ટેક્સાસસ્થિત ખાનગી કંપની TPG કેપિટલને 60 કરોડ ડોલરમાં 0.93 ટકા હિસ્સો વેચ્યાની જાહેરાત કરી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નિવેદનમાં જણાવાયું છે કે TPG કંપની જિયોમાં હિસ્સો ખરીદવા માટે રૂ. 45.4 અબજ રૂપિયા ચૂકવશે.

આ જ રીતે, અન્ય ખાનગી કંપની એલ. કેટરટોને પણ જિયો પ્લેટફોર્મ્સમાં 0.39 ટકા હિસ્સો ખરીદ્યો છે. એ માટે તેણે જિયોને 18.9 અબજ રૂપિયા ચૂકવ્યા છે. એલ. કેટરટોન કંપની જાણીતી કન્ઝૂમર બેઝ્ડ ખાનગી ઈક્વિટી કંપની છે, જેની માલિક છે, લક્ઝરી રીટેલર LVMH.

આ સોદા સાથે જિયો પ્લેટફોર્મે હિસ્સાના વેચાણ દ્વારા અત્યાર સુધીમાં કુલ રૂ. 1,04,326.9 કરોડ પ્રાપ્ત કરી લીધા છે.

અંબાણીના ડિજિટલ યુનિટ જિયોની આ સાથે ઈક્વિટી વેલ્યૂ વધીને 65 અબજ ડોલર થઈ છે. એણે અત્યાર સુધીમાં જુદી જુદી કંપનીઓને 22 ટકા હિસ્સો વેચ્યો છે.

ગઈ 22 એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં દુનિયાભરમાં ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીના ક્ષેત્રની અનેક જાણીતી કંપનીઓ જિયો પ્લેટફોર્મમાં મૂડીરોકાણ કરી ચૂકી છે. આમાં સૌથી પહેલું મૂડીરોકાણ ફેસબુકે કર્યું હતું. એણે લગભગ 10 ટકા હિસ્સો ખરીદ્યો છે. ત્યારબાદ સિલ્વર લેક, વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કેકેઆર, મુબાડલા, અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, ટીપીજી અને એલ. કેટરટોને પણ હિસ્સો ખરીદ્યો છે.