Home Blog Page 4722

રાશિ ભવિષ્ય 22/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 22/07/2020

કોરોના વાઇરસને લીધે આ વર્ષે અમરનાથ યાત્રા રદ કરાઈ

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીર વહીવટી તંત્ર અને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડે મંગળવારે દેશમાં કોરોના વાઇરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને આ વર્ષે વાર્ષિક તીર્થયાત્રા (અમરનાથ યાત્રા) રદ કરવાનો નિર્ણય લીધો છે. જોકે આ નિર્ણય  શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB)ની બેઠક મળી એ પછી યાત્રા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370ને હટાવ્યાને કારણે અમરનાથ યાત્રા અધવચ્ચે બંધ કરવી પડી હતી.

પરિસ્થિતિને આધારે લીધો નિર્ણય

બોર્ડે એક નિવેદનમાં કહ્યું હતું કે કોરોના વાઇરસને લીધે બગડેલી પરિસ્થિતિને આધારે બોર્ડે ભારે મનથી આ નિર્ણય લીધો હતો કે આ વર્ષે શ્રી અમરનાથજી યાત્રાનું આયોજન કરવું અને સંચાલન કરવું યોગ્ય નથી. બોર્ડ લાખ્ખો ભક્તોની ભાવનાઓનું સન્માન કરે છે અને ધાર્મિક ભાવનાઓ જીવિત રાખવા માટે બોર્ડ સવારે અને સાંજે આરતીનું લાઇવ ટેલિકાસ્ટ વર્ચ્યુઅલ દર્શન જારી રાખશે. આ સિવાય પારંપરિક અનુષ્ઠાન કરવામાં આવશે અને આ સિવાય સરકાર દ્વારા છડી મુબારકની વિધિની મંજૂરી આપવામાં આવી છે.

પાછલા મહિને સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

આ પહેલાં સુપ્રીમ કોર્ટે એક અરજી ફગાવી દીધી હતી. આ અરજીમાં માગ કરવામાં આવી હતી કે કોવિડ-19 રોગચાળાને કારણે કેન્દ્ર, જેકે વહીવટી તંત્ર અને SASBને વાર્ષિક તીર્થ યાત્રાને રદ કરવા માટે નિર્દેશ આપવામાં આવે. જોકે કોર્ટે સુનાવણી દરમ્યાન આ અરજી કાઢી નાખી હતી.

10 દિવસ માટે યાત્રા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો

આ પહેલાં યાત્રાને 10 દિવસો માટે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને રદ કરવામાં આવ્યો છે. સેનાએ પણ ઇનપુટ આપ્યા હતા કે અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાનું જોખમ છે. ગઈ આઠ જુલાઈએ એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે  આ વર્ષે અમરનાથ યાત્રા કેટલાંક નિયંત્રણો સાથે આયોજિત કરવામાં આવશે અને કોરોના રોગચાળાને કારણે પ્રતિદિન 500થી વધુ તીર્થ યાત્રીઓને ભગવાન શિવની પવિત્ર ગુફા મંદિરની યાત્રા કરવાની મંજૂરી નહીં આપવામાં આવે.  આ ઉપરાંત ભક્તોએ કોવિડ-19ના પરીક્ષણથી પસાર થવું પડશે. જોકે મંદિરના અધિકારીએ દેશભરમાં ભક્તો માટે ટેલિવિઝન પર પૂજાનું પ્રસારણ કરશે.

રાજનાથ સિંહે બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં

આ પહેલાં શનિવારે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે અમરનાથમાં બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં હતાં. તેમની સાથે CDS બિપિન રાવત, સેના પ્રમુખ જનરલ મુકુંદ નરવણે પણ દર્શનનો લાભ લીધો હતો.

 

 

 

 

છેલ્લા વર્ષની પરીક્ષા સંબંધિત UGCના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર

નવી દિલ્હીઃ દેશનાં 13 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કેટલીક યુનિવર્સિટીઓના 31 વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે ગ્રેજ્યુએટ્સ અને ઉચ્ચ શિક્ષણના કોર્સના છેલ્લા વર્ષના સ્ટુડન્ટ્સની પરીક્ષા ફરજિયાત રૂપે લેવાના UGCના આદેશ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવે. આ વિદ્યાર્થીઓની માગ છે કે CBSEની જેમ તેમનાં પાછલાં પાંચ સેમિસ્ટરના દેખાવ અને આંતરિક મૂલ્યાંકનને આધારે અંક (પોઇન્ટ્સ) આપીને તેમને 31 જુલાઈ સુધી ડિગ્રી આપી દેવામાં આવે.

31માંથી એક સ્ટુડન્ટ્સ કોરોના પોઝિટિવ છે

આ 31 સ્ટુડન્ટ્સમાંથી એક સ્ટુડન્ટ્સ તો કોરોના પોઝિટિવ છે. સુપ્રીમ કોર્ટે સ્ટુડન્ટ્સની અરજીનો સ્વીકાર કરી લીધો છે. આશા છે કે આ અરજી પર સુનાવણી થશે.

કોરોના સંક્રમણને લીધે સ્ટુડન્ટ્સનું બહાર નીકળવું ઉચિત નથી

આ સ્ટુડન્ટ્સનું સુપ્રીમ કોર્ટમાં પ્રતિનિધિત્વ કરી રહેલાં અનુભા શ્રીવાસ્તવ સહાયે કહ્યું હતું કે કોરોના સંક્રમણના જોખમને લીધે વિદ્યાર્થીઓ માટે બહાર નીકળવું યોગ્ય નથી. આવામાં UGCનો આ આદેશ કે યુનિવર્સિટીઓએ ગ્રેજ્યુએટ્સ અને માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા ફરજિયાત લેવી એ ખોટું છે. 

UGCએ શો આદેશ આપ્યો હતો?

માનવ સંસાધન વિકાસપ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું હતું કે કોઈ પણ સ્ટુડન્ટ્સની ડિગ્રી પર કોરોનાની અસર નહીં જોવા ઇચ્છે. એટલા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ગ્રેજ્યુએટ્સ- માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષના સ્ટુડન્ટ્સની પરીક્ષા લેવામાં આવે અને એને આધારે તેમને ડિગ્રી આપવામાં આવે. UGCએ આ જ આધારે આદેશ આપતાં કહ્યું હતું કે બધી યુનિવર્સિટીઓએ 30 સપ્ટેમ્બર સુધી છેલ્લા વર્ષની પરીક્ષાઓ લેવાની રહેશે. UGCએ યુનિવર્સિટીઓને એ મંદૂરી આપી હતી કે એ ઓનલાઇન, ઓફલાઇન અથવા મિશ્ર પદ્ધતિથી પરીક્ષાઓ લઈ શકે છે.

UGCએ યુનિવર્સિટીઓનો મત જાણ્યો હતો

UGCએ આ બાબતને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીઓ પાસેથી માહિતી મગાવી હતી. આના ઉત્તરમાં 640 યુનિવર્સિટીઓએ જવાબ આપ્યો હતો. 454 યુનિવર્સિટીઓએ કહ્યું હતું કે તેઓ પરીક્ષા કરાવી ચૂકી છે અથવા પરીક્ષા કરાવવાની તૈયારીમાં છે અને એનાથી સંકળાયેલી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે UGCએ જણાવ્યું હતું કે 177 યુનિવર્સિટીઓ હજી પરીક્ષા કરાવવા બાબતે કોઈ અંતિમ નિર્ણય નહોતી લઈ શકી.

પૂર, કોરોના આફતોથી વધી મુસીબતો

દિલ્હી યુનિવર્સિટીના સ્ટુડન્ટ ઉત્કર્ષ સિંહ-B.A. (ઓનર્સ, છેલ્લું વર્ષ-સત્યવતી કોલેજ)એ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ પહોંચનાર સ્ટુડન્ટ્સ માત્ર પોતાની વાત નતી મૂકી રહ્યા, પણ દેસના સ્ટુડન્ટ્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કોરોનાને કારણે સ્થિતિ બેકાબૂ છે. આ સિવાય પૂરને કારણે દેશનાં અનેક રાજ્યોની સ્થિતિ એવી નથી કે ત્યાંના સ્ટુડન્ટ્સ બહાર નીકળીને પરીક્ષા આપી શકે. આવામાં સારું એ જ રહેશે કે CBSEની જેમ તેમને પણ સમયસર ડિગ્રી આપી દેવામાં આવે.

નાંદેડની 53 વર્ષી મહિલાને મુંબઈની અંબાણી હોસ્પિટલમાં નવજીવન મળ્યું

કોકિલાબેન અંબાણી હોસ્પિટલે કોવિડ-19 રોગચાળા દરમિયાન
પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી

મુંબઈ, 21 જુલાઈ 2020: કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ (KDAH)એ કોવિડ-19 રોગચાળા દરમિયાન મુંબઈની પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થવાની જાહેરાત કરી છે.

નાંદેડની 53 વર્ષી મહિલાનું હાર્ટ ગંભીર રીતે ફેઇલ થયું હતું. દરમિયાન કોવિડ-19 રોગચાળાની શરૂઆત થઈ એટલે એમને નવું હૃદય મળવાની શક્યતામાં ઘટાડો થયો હતો. જો કે 18 જુલાઈના રોજ એક દાતાનું હાર્ટ મળતાં KDAHના ડૉ. નંદકિશોર કાપડિયાએ એમની ટીમ સાથે ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરી.

દર્દીની સ્થિતિ વિશે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરના ડાયરેક્ટર ડૉ. નંદકિશોર કાપડિયાએ કહ્યું હતું કે, “મહિલા દર્દીએ 2009માં ઓપન હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હતી. 2012માં એમની સ્થિતિ કથળવાની શરૂઆત થઈ હતી. ગયા વર્ષે તેમના હૃદયને નિવારી ન શકાય એવું નુકસાન થયું હોવાનું નિદાન થયું હતું, જે છેવટે ફેઇલ્યોર તરફ દોરી ગયું હતું. છેલ્લા છ મહિનાથીએ પથારીવશ હતાં. વળી વાલ્વ રિપ્લેસમેન્ટને કારણે લોહીને પાતળી કરતી દવાઓ લેતાં હોવાથી સર્જરી દરમિયાન રક્તનું ઘણું વહન થયું હતું. પરિણામે ટ્રાન્સપ્લાન્ટની જટિલતામાં વધારો થયો હતો. ઉપરાંત આ પ્રકારના દર્દીઓની રોગપ્રતિકારક ક્ષમતા પણ નબળી હોય છે અને હાલની કોવિડ રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમારે વધારે ધ્યાન રાખવું પડ્યું. જો કે ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું અને દર્દી સ્વસ્થ થઈ રહ્યાં છે.”

ટ્રાન્સપ્લાન્ટની સફળતા ટ્રાફિક પોલીસ અને ઓથોરિટીઝના સાથસહકારને આભારી છે, જેમણે ગ્રીન કોરિડોરની સુવિધા પૂરી પાડવા પ્રશંસનીય કામગીરી કરી હતી. પરિણામે પ્રત્યારોપણ કરવા માટે હાર્ટનું ઝડપથી અને સલામત રીતે ટ્રાન્સપોર્ટ સુનિશ્ચિત થયું હતું.

મુંબઈને પૂર્વવત્ કરવાનું છેઃ મુખ્યપ્રધાન ઠાકરેનો મક્કમ નિર્ધાર

મુંબઈઃ કોરોના વાઈરસે આખી દુનિયાને ભરડો લીધો છે. હજી જોખમ ટળ્યું નથી. રોજ કોરોનાના કેસો અને મૃત્યુ વધતા જોવા મળે છે. મુંબઈ શહેર પણ બાકાત નથી. તે છતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આ મહાનગરને પૂર્વવત્ કરવા માટે મક્કમ છે. એમણે કહ્યું છે કે, મુંબઈને પૂર્વ સ્થિતિમાં ફરી લાવવાનું છે. એ માટે હવે જ ખરી કસોટી છે તેથી નાગરિકોએ જરાય ગાફેલ રહેવાનું નથી.

ઠાકરેએ કહ્યું કે, મુંબઈમાં લોકવસ્તીની ઘનતા વધારે હોવાને કારણે કોરોના વાઈરસ અહીં કેવો હાહાકાર મચાવે છે એની પર આખી દુનિયાની નજર મંડાયેલી હતી, પરંતુ આપણે – પ્રશાસન તથા નાગરિકો, બંનેના સહિયારા પ્રયાસોને કારણે કોરોનાનો ચેપ અટકાવી શકાયો. એની નોંધ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ લીધી છે અને અમેરિકાના અગ્રગણ્ય વોશિંગ્ટન પોસ્ટ અખબારે પણ પ્રશંસા કરી છે.

દુનિયાભરમાં જે પ્રકારે નિરીક્ષણ કરવામાં આવે છે તે મુજબ હવે કોરોનાનો બીજો લાટ આવશે એવું કહેવાય છે. તેથી હવે આપણી કસોટી થશે. એ માટે કોઈએ ગાફેલ રહેવાનું નથી. મુંબઈને પૂર્વવત્ સ્થિતિમાં લાવવાનું છે, એમ મુખ્ય પ્રધાન ઠાકરેએ કહ્યું છે.

મુંબઈમાં કોરોના વાઈરસનો ચેપ રોકવાની સાથે ચોમાસાની મોસમમાં ઉદ્દભવતી સમસ્યાઓનો ઠાકરેએ વિડિયો કોન્ફરન્સ મારફત તાગ મેળવ્યો હતો.

ઠાકરેએ કહ્યું છે કે આપણે મુંબઈને ધીમે ધીમે ખોલી રહ્યા છીએ. એ માટે આપણે કોઈના દબાણને વશ થવાને બદલે આપણા નાગરિકોના જાનને મહત્ત્વ આપીએ છીએ. મુંબઈને સૌ કોઈના અનુભવના આધારે પૂર્વ સ્થિતિમાં લાવવાનું છે.

કોરોના સામેના જંગમાં ઉતરેલા અધિકારીઓ-કર્મચારીઓની મહેનતની મુખ્ય પ્રધાને સરાહના કરી છે. એમણે કહ્યું કે આ કામગીરી બજાવતી વખતે દરેક યોદ્ધાએ પોતાના આરોગ્યની કાળજી લેવી જરૂરી છે. મુંબઈની પરિસ્થિતિ તમારા સૌની દિવસ-રાતની મહેનતને કારણે જળવાઈ શકી છે. આ કામગીરીની વિશ્વ આરોગ્ય સંસ્થા અને વોશિંગ્ટન પોસ્ટ અખબારે નોંધ લીધી છે, પ્રશંસા કરી છે. આપણે કોઈ પણ માહિતી છુપાવતા નથી. હવે કોરોનાનું બીજું મોજું આવશે એવો સંકેત કરાયો છે. પરંતુ બીજું મોજું તો જ આવશે જો આપણે ગાફેલ રહીશું. તેથી આપણે અતિરિક્ત સતર્ક રહેવાનું છે.

40 કિલોની ચાંદીની ઈંટ મૂકીને મોદી કરશે રામમંદિરનું ભૂમિપૂજન

અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન આવતી પાંચમી ઓગસ્ટે થશે. આ માટે હિન્દુ સમાજે હર્ષ વ્યક્ત કર્યો છે. મંદિર નિર્માણ માટે લોકોએ દાન કરવાનું શરૂ કર્યું છે. રામ જન્મભૂમિ મંદિરની પ્રથમ ઈંટ મૂકવા માટે 36.4 કિલોગ્રામની ચાંદીની ઈંટ દાન સ્વરૂપે આપવામાં આવી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને લખનૌ ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિયેશન તરફથી એ ઈંટ દાન કરવામાં આવી છે. ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રને એસોસિયેશનના અધ્યક્ષ અનુરાગ રસ્તોગીએ ચાંદીની ઈંટ દાન કરી છે.

મંદિર નિર્માણ માટે લોકો પાસેથી સહયોગ મગાશે

રામ મંદિર નિર્માણ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસે કહ્યું હતું મંદિર નિર્માણ માટે લોકોથી સહકાર માગવામાં આવશે. રામ મંદિરના નિર્માણ માટે લોકોએ દાન કરવાનું પણ શરૂ કરી દીધું છે. પ્રદેશના નાના-મોટા જ્વેલર્સે આ શુભ કામ માટે ચાંદીને અંશરૂપે દાન કર્યું છે.

વડા પ્રધાન મોદી દ્વારા ભૂમિપૂજન

આ સાથે બધાની ઇચ્છા છે કે રામ મંદિર નિર્માણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ચાંદીની ઈંટ મંદિરના પાયામાં મૂકવામાં આવે. એટલા માટે આ ચાંદીની ઈંટો દાન કરવામાં આવી છે. જેથી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં વડા પ્રધાન કાર્યાલયને ત્રીજી અથવા પાંચ ઓગસ્ટે ભમિપૂજન કરવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, જેના પર વડા પ્રધાને પાંચ ઓગસ્ટ માટે સહમતી આપી છે. જેથી હવે પાંચ ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા આવશે અને બપોરે 12.15 વાગ્યે મંદિરનું ભમિપૂજન કરશે. તેઓ આશરે ત્રણ કલાક અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લગતા કાર્યક્રમમાં હાજર રહેશે. 11 પંડિતોની ટીમ રામ મંદિરનું ભૂમિપૂજન કરાવશે.

શિલાન્યાસ કાર્યક્રમમાં PM સહિત અનેક VVIP હાજર રહેશે

રામ મંદિર નિર્માણના ભૂમિપૂજન કાર્યક્રમમાં વડા પ્રધાન ઉપરાંત લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સંઘપ્રમુખ મોહન ભાગવત, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, અનેક રાજ્યોના રાજ્યપાલો સહિત ટોચના સંતો-ધાર્માચાર્યો, પ્રધાનો, સંઘ-વિહિપના પદાધિકારીઓ સામેલ થશે. આશરે 300 લોકોને આમંત્રણ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  

ભવ્ય રામ મંદિરનું નિર્માણ

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું હતું કે ભવ્ય રામ મંદિર બનાવવામાં આવશે. રામ જન્મભૂમિ પર પ્રસ્તાવિત મંદિરનું નિર્માણ 128 ફૂટને બદલે 161 ફૂટ ઊંચું હશે. એમાં ત્રણની જગ્યાએ પાંચ શિખર બનાવવામાં આવશે. આ મંદિરના સ્તંભોની સંખ્યા 212થી વધારીને 318 કરવામાં કરવામાં આવી છે.

FMCના ભૂતપૂર્વ ચેરમેન રમેશ અભિષેક વિરુદ્ધ ફરિયાદ: તપાસનો અહેવાલ સુપરત કરવાનો લોકપાલને આદેશ

મુંબઈઃ મદ્રાસ વડી અદાલતે ભૂતપૂર્વ આઇએએસ ઓફિસર રમેશ અભિષેક વિરુદ્ધ 63 મૂન્સ ટેક્નોલોજીસે નોંધાવેલી ફરિયાદમાં તપાસ ક્યાં સુધી પહોંચી તેનો અહેવાલ સુપરત કરવાનો લોકપાલને આદેશ આપ્યો છે.

ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના ભૂતપૂર્વ ચેરમેન તરીકે રમેશ અભિષેકે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)નું તેની પેરન્ટ કંપની સાથે મર્જર કરાવવાની ભલામણ કરી હોવાનો આક્ષેપ છે.

63 મૂન્સ ટેક્નોલોજીસે ફેબ્રુઆરીમાં રિટ અરજી કરી હતી. એ સબબ મદ્રાસ વડી અદાલતે 14મી જુલાઈએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

નોંધનીય છે કે અગાઉ ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ (ઇન્ડિયા) લિમિટેડ (એફટીઆઇએલ) નામે ઓળખાતી આ કંપનીએ રમેશ અભિષેક વિરુદ્ધ મે 2019માં લોકપાલ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. એ જ બાબતે તેણે હવે મદ્રાસ વડી અદાલતમાં લોકપાલ વિરુદ્ધ રિટ અરજી કરી છે.

ભૂતપૂર્વ આઇએએસ ઓફિસર રમેશ અભિષેક

63 મૂન્સે લોકપાલ સમક્ષ મે-2019માં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે રમેશ અભિષેક તથા અન્યોએ સરકારને ગેરમાર્ગે દોરીને એનએસઈએલનું 63 મૂન્સ સાથે મર્જર કરવા માટેનો આદેશ બહાર પડાવ્યો હતો. કંપનીનું કહેવું છે કે મર્જરની ભલામણ કરવા માટે એફએમસી પાસે કોઈ વજૂદ ન હતું.

આ સાથે નોંધવું ઘટે કે સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ પિનાકીચંદ્ર ઘોષના વડપણ હેઠળની આઠ સભ્યોની લોકપાલ બેન્ચે જુલાઈ 2019માં રમેશ અભિષેક બાબતે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી) પાસે એક પખવાડિયાની અંદર અહેવાલ માગ્યો હતો. 63 મૂન્સે રમેશ અભિષેક વિરુદ્ધ સીવીસીમાં પણ ફરિયાદ કરેલી છે.

રમેશ અભિષેક એફએમસીના ચેરમેનપદ બાદ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડના સેક્રેટરી હતા અને એ જ પદેથી તેઓ ગયા વર્ષે નિવૃત્ત થયા હતા.

આઈપીએલ-13નો માર્ગ મોકળો થયો; વર્લ્ડ T20 સ્પર્ધા મોકૂફ

નવી દિલ્હી: ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે અને એક ખરાબ. અનેક બેઠકો પછી છેવટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ જાહેરાત કરી છે કે, આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં નિર્ધારિત T20 ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધાને 1 વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી છે. તો, સારા સમાચાર એ છે કે, 2021થી સતત ત્રણ વર્ષ સુધી ક્રિકેટ ચાહકોને વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ નિહાળવા મળશે.

આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ રદ થતા હવે 2021 અને 2022 એમ સતત બે વર્ષના ઓક્ટોબર-નવેમ્બરમાં ટી-20 વર્લ્ડ કપ યોજાશે. અને ત્યાર પછીના વર્ષે એટલે કે 2023માં 50-ઓવરોવાળી ODI વર્લ્ડ કપ સ્પર્ધા યોજાશે, જે ભારતમાં યોજાશે.

ટી-20 વર્લ્ડ કપ અને વન-ડે વર્લ્ડ કપનું શિડ્યુલ

  • ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2021 ઓક્ટોબર-નવેમ્બર, ફાઇનલ 14 નવેમ્બર
  • ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 ઓક્ટોબર-નવેમ્બર, ફાઇનલ 13 નવેમ્બર
  • ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં ઓક્ટોબર-નવેમ્બર, ફાઇનલ 26 નવેમ્બરે

મહત્વનું છે કે, 2021 અને 2022 માં યોજાનાર T-20 વર્લ્ડ કપની મેજબાની કયો દેશ કરશે એ અંગે હજુ આઈસીસી તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. અનુક્રમે કોણ હોસ્ટ કરશે. અગાઉના ફ્યૂચર ટૂર પ્રોગ્રામ (FTP) અનુસાર 2021 T-20 વર્લ્ડ કપ અને 2023 વનડે વર્લ્ડ કપ ભારત હોસ્ટ કરવાનું હતું.

આઈપીએલ માટે માર્ગ મોકળો

આ વર્ષની T20 વર્લ્ડ કપ સ્પર્ધા રદ થતા હવે આ વર્ષે IPLની 13મી આવૃત્તિના આયોજન માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ આગામી દિવસોમાં IPL-13નું શેડયૂલ જાહેર કરે એવી ધારણા છે.

BCCI આ વર્ષે 26 સપ્ટેમ્બરથી 7 નવેમ્બર દરમિયાન IPLનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે. BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું જ હતું કે, પોતે ઈચ્છે છે કે IPL આ વર્ષે યોજાય.

હવે જ્યારે ICCનો નિર્ણય આવી ગયો છે એટલે ભારતીય બોર્ડ IPL અંગે જાહેરાત કરી શકે છે. બીસીસીઆઈએ કેન્દ્ર સરકારને પત્ર લખીને યુએઈમાં આઈપીએલનું આયોજન કરવા મંજૂરી માંગી છે.

સરકારી વીમા કંપનીઓ, બેન્કોનું ખાનગીકરણ કરવાની તૈયારી?

નવી દિલ્હીઃ અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર ધીમે-ધીમે જાહેર કંપનીઓનું ખાનગીકરણ કરવાની દિશામાં ધીમા પણ મક્કમ પગલાં ભરી રહી છે. સરકાર વીમા કંપનીઓ અને બેન્કોનું ખાનગીકરણ કરવાની તૈયારી કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર LIC અને અને નોન-લાઇફ સિવાયની બાકીની બધી વીમા કંપનીઓમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો હપ્તાવાર વેચે એવી શક્યતા છે. બીજી બાજુ બેન્કોનું પણ ખાનગીકરણ કરવાનું એક મોટું આયોજન થઈ રહ્યું છે. કહેવાય છે કે એના પર PMO, નાણાં મંત્રાલય અને નીતિ આયોગની વચ્ચે સહમતી બની છે અને એ માટેની કેબિનેટ નોટ પણ તૈયાર છે.

સરકારી વીમા કંપનીઓ ખાનગી હાથોમાં સોંપવાની તૈયારી

પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી વીમા કંપનીઓને ખાનગી હાથોમાં સોંપવાની તૈયારી ચાલી રહી છે. આના માટે વડા પ્રધાનના કાર્યાલય, નાણાં મંત્રાલય અને નીતિ આયોગની વચ્ચે વિચારવિમર્શ થઈ ચૂક્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી વીમા કંપનીમાં સંપૂર્ણ સરકારી હિસ્સો વેચવાનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવ પર સૈદ્ધાંતિક મંજૂરી બની ચૂકી છે. સરકારી કંપનીઓના ખાનગીકરણની નીતિની કેબિનેટ ડ્રાફ્ટ નોટ તૈયાર થઈ ચૂકી છે. આ પ્રસ્તાવ મુજબ LIC અને એક નોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની સરકાર પોતાની પાસે રાખશે.

હાલ આઠ સરકારી વીમા કંપનીઓ છે

વર્તમાન સમયમાં કુલ આઠ સરકારી વીમા કંપનીઓ કાર્યરત છે. LIC ઉપરાંત છ જનરલ ઈન્શ્યુરન્સ અને એક નેશનલ રીઇન્શ્યોરર કંપની છે.

બેન્કોનું ખાનગીકરણ

સૂત્રોના જણાવ્યાનુસાર છ સરકારી બેન્કો સિવાયની બાકીની બધી બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવે એવી શક્યતા છે. પહેલા તબક્કામાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં સરકારી હિસ્સો વેચાય એવી સંભાવના છે. છ સરકારી બેન્કો સિવાયની બધી બેન્કોના ખાનગીકરણની યોજના હેઠળ બેન્કોમાં સરકારી હિસ્સો તબક્કાવાર વેચવાનો પ્રસ્તાવ છે. પહેલા પાંચ સરકારી બેન્કોમાં હિસ્સો વેચવામાં આવે ધારણા છે. બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાનગીકરણની સંભાવના છે. યુકો બેન્કમાં પણ સરકારી હિસ્સો વેચવામાં આવે એવી શક્યતા છે.