Home Blog Page 381

પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન, મુખ્યમંત્રી યોગીએ શ્રદ્ધાંજલિ આપી

રામ મંદિર આંદોલનના શિલ્પી ગણાતા ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું અયોધ્યામાં નિધન થયું. મધ્યપ્રદેશના રેવામાં સારવાર દરમિયાન તેમણે દેહ છોડી દીધો.

ભૂતપૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું બીમારીને કારણે નિધન થયું. તેમણે 67 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મધ્યપ્રદેશના રેવામાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. તેમને રામ મંદિર આંદોલનના શિલ્પી માનવામાં આવે છે. ભૂતપૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીના અવસાનથી અયોધ્યામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના ઉત્તરાધિકારી ટૂંક સમયમાં મધ્યપ્રદેશથી તેમના પાર્થિવ દેહ સાથે અયોધ્યા જવા રવાના થશે.

પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીની ગઈકાલે મધ્યપ્રદેશના રેવામાં રોકાણ દરમિયાન તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.

મુખ્યમંત્રી યોગીએ શ્રદ્ધાંજલિ આપી

ડો. રામવિલાસને શ્રદ્ધાંજલિ આપતા મુખ્યમંત્રી યોગીએ લખ્યું, “શ્રી રામ જન્મભૂમિ ચળવળના અગ્રણી સ્તંભ, ભૂતપૂર્વ સાંસદ અને શ્રી અયોધ્યા ધામમાં વશિષ્ઠ આશ્રમના આદરણીય સંત ડૉ. રામવિલાસ વેદાંતી જી મહારાજનું અવસાન આધ્યાત્મિક જગત અને સનાતન સંસ્કૃતિ માટે એક અપૂર્ણ નુકસાન છે. તેમને નમ્ર શ્રદ્ધાંજલિ! તેમનું અવસાન એક યુગનો અંત છે. ધર્મ, સમાજ અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત તેમનું બલિદાન જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ છે. અમે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ દિવંગત આત્માને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત શિષ્યો અને અનુયાયીઓને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!”

ડૉ. રામવિલાસ કોણ હતા?

ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનો જન્મ 7 ઓક્ટોબર, 1958ના રોજ થયો હતો. તેઓ એક અગ્રણી હિન્દુ ધાર્મિક નેતા, રામ જન્મભૂમિ ચળવળના મુખ્ય શિલ્પી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ભૂતપૂર્વ સાંસદ હતા. તેઓ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સાથે સંકળાયેલા હતા અને રામ મંદિરના નિર્માણ માટે સક્રિયપણે કામ કર્યું હતું. તેઓ 1996 માં મછલીશહર લોકસભા બેઠક પરથી અને 1998 માં પ્રતાપગઢ લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય હતા અને અયોધ્યાના વશિષ્ઠ આશ્રમ સાથે સંકળાયેલા હતા. 1992 ના બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં તેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેઓ રામ કથા અને ભાગવત કથાના પ્રખ્યાત વક્તા હતા, જેમણે ભારત અને વિદેશમાં હજારો કથાઓ આપી હતી. તેમણે રામ મંદિર ચળવળને જનતા સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે સંસદથી શેરીઓ સુધી મંદિરના નિર્માણ માટે જોરદાર હિમાયત કરી હતી.

રામ કથાના કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત બગડી

15 ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ મધ્યપ્રદેશના રેવામાં રામ કથાના કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત બગડી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. તેઓ 67 વર્ષના હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને તેને સનાતન સંસ્કૃતિ માટે એક અપૂર્ણ નુકસાન ગણાવ્યું હતું. તેમના પાર્થિવ શરીરને અયોધ્યા લાવવામાં આવ્યુ છે, જ્યાં તેમને જળ સમાધિ આપવામાં આવશે. તેમના નિધનને રામ મંદિર ચળવળના સંતો અને રામ ભક્તો માટે એક મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે.

ચારુસેટ એજ્યુકેશન એક્સપોની વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ મુલાકાત લીધી

ચાંગા: ચારુસેટ યુનિવર્સિટી દ્વારા ચારુસેટ કેમ્પસમાં સતત ત્રીજા વર્ષે  ચારથી સાત ડિસેમ્બર, 2025 દરમિયાન આયોજિત‘ચારુસેટ એજયુકેશન એક્સપો 3.0’ને ભવ્ય સફળતા પ્રાપ્ત થઇ હતી. ચારુસેટ એજ્યુકેશન એક્સ્પો અનિલ અને આશા પટેલ એન્ડોમેન્ટ ફંડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને જગાજી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સહ-સંચાલિત હતો.

વિદ્યાર્થીઓના ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસાર્થે કારકિર્દીલક્ષી યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય તે હેતુથી ચાર દિવસ માટે આયોજિત એક્સ્પોને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. એક્સપોમાં 72 સ્કૂલોના 9691 વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ ઊમટ્યા હતા. ગુજરાત રાજ્યનાં વિવિધ 100 જેટલાં સ્થળોથી વિદ્યાર્થીઓને કેમ્પસમાં લાવવામાં આવ્યા હતા. સ્કૂલોમાંથી કુલ 225 શિક્ષકો એક્સપોની મુલાકાતે આવ્યા હતા.

એક્સપોમાં વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ-વાલીઓએ 10 ઇન્સ્ટિટ્યુટ, 7 ફેકલ્ટી, 70થી વધુ એકેડેમિક પ્રોગ્રામની તમામ માહિતી ઉપરાંત એડમિશન પ્રોસેસ,વિવિધ કોર્સ,સ્કોલરશિપ વગેરેની માહિતી તેમ જ કારકિર્દી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીઓએ ગેમ ઝોનમાં લર્નિંગ વિથ ફનનો અનુભવ લીધો હતો. એજ્યુકેશન, ઇનોવેશન અને ઓપર્ચ્યુંનિટીના ફ્યુઝન સમાન એક્સપોમાં ચારુસેટના વિદ્યાર્થીઓ દ્વારા લગભગ 30 પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  વિદ્યાર્થીઓએ એક્સપોમાં કેરિયર કાઉન્સેલિંગ ફેર, સ્ટુડન્ટ પ્રોટોટાઈપ શોકેસ, ઇન્સ્ટિટયૂટ વિઝિટનો લાભ લીધો હતો. એક્સપોના ભાગરૂપે કિશોર કાકા તરીકે પ્રખ્યાત સ્મિત પંડ્યા દ્વારા મનોરંજન કાર્યક્રમ યોજાયો હતો.

ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ અને રજિસ્ટ્રાર ડો. બિનીત પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ એક્સપોને ભવ્ય સફળતા પ્રાપ્ત થઇ હતી.

લોકપ્રિય ફૂટબોલર મેસ્સી મુંબઈમાં, ચાહકોની ઉમટી ભીડ

GOAT ટૂર 2025 હેઠળ ભારત આવેલા લિયોનેલ મેસ્સીનું મુંબઈમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વાનખેડે સ્ટેડિયમ અને મરીન ડ્રાઇવ પર ચાહકોની ભીડ જામી હતી. મેચ દરમિયાન મેસ્સી સચિન તેંડુલકરને મળ્યા હતાં. તેંડુલકરે મેસ્સીને પોતાની જર્સી ભેટમાં આપી.

GOAT ટૂર 2025 ના ભાગ રૂપે ભારતની મુલાકાતે આવેલા દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીનું રવિવારે મુંબઈમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ સમય દરમિયાન ફૂટબોલના દિગ્ગજ મેસ્સી ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરને પણ મળ્યા. સચિને મેસ્સીને પોતાની જર્સી ભેટમાં આપી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં હજારો ચાહકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ચાહકોએ મરીન ડ્રાઇવ પર ત્રણ કિલોમીટર સુધી ભીડ જમાવી હતી.


( તસવીર:દીપક ધૂરી)

વિકાસની સાથે સંસ્કૃતિનું સંતુલન જ ભારતની ઓળખઃ CM  ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સનાતન ધર્મનાં શાશ્વત મૂલ્યોની ઉજવણીરૂપે આયોજિત ભારતકુલ અધ્યાય–2 મહોત્સવનું 12થી 14 ડિસેમ્બર, 2025 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી ચાલેલા આ મહોત્સવે કલા, સાહિત્ય, સંગીત, આધ્યાત્મિકતા અને વિચારસભર સંવાદના માધ્યમથી ભારતીય સંસ્કૃતિની ઊંડાઈ અને જીવંતતાનો અનુભૂતિસભર પરિચય આપ્યો હતો.

ભારતકુલ અધ્યાય–2 મહોત્સવમાં CM ભૂપેન્દ્ર પટેલ, નાયબ CM હર્ષ સંઘવી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી, પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીજી, પરિમલ નથવાણી, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ અને દ્વારકેશલાલજી મહારાજની ગૌરવમય ઉપસ્થિતિ.આ મહોત્સવનું ઉદ્ઘાટન CM ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભારતકુલ અધ્યાય–2 માત્ર સાંસ્કૃતિક મહોત્સવ નથી, પરંતુ ભારતની આત્માને સ્પર્શતો ભાવપ્રવાહ છે. વિકાસની સાથે સંસ્કૃતિનું સંતુલન જ ભારતની ઓળખ છે અને ભારતકુલ તે સંતુલનને જીવંત રાખતો મહત્વપૂર્ણ મંચ છે. તેમણે યુવાનોને પોતાની મૂળ પરંપરા, સંસ્કાર અને આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડવાના પ્રયાસને પણ વિશેષ રીતે સરાહના કરી હતી.

નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતની સાચી ‘કુલ’ ઓળખ તેના મૂલ્યો, સંસ્કૃતિ, સહિષ્ણુતા અને સામૂહિક શક્તિમાં છે. તેમણે જણાવ્યું હતું કે યુવાનોને તેમની મૂળ ઓળખ, પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડવું એ સમાજ અને રાષ્ટ્ર માટે અનિવાર્ય છે. તેમણે રમતગમત, યુવાશક્તિ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વિસ્તૃત રીતે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદ કરવું ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત છે. આ ચિહ્નિત સિદ્ધિ શહેરની વિશ્વ સ્તરીય સુવિધાઓ, સુવ્યવસ્થિત આયોજન અને દ્રષ્ટિશીલ નેતૃત્વનું પરિણામ છે. સંઘવી એ યુવાનોને સંસ્કૃતિ અને શિસ્ત સાથે જીવન જીવવાની પ્રેરણા આપી અને દેશની આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક વૃદ્ધિમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું પણ દર્શાવ્યું હતું.

આધ્યાત્મિક દિશા નિર્દેશન આપતાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ જીવન જીવવાની કલા શીખવે છે, જ્યાં ભાવ, સંગીત અને વિચાર એકરૂપ બની માનવતાનું સર્જન કરે છે.

કોંગ્રેસની સભામાં ‘મોદી તેરી કબર ખુદેગી’ના નારા પર સંસદમાં હંગામો

નવી દિલ્હી: કોંગ્રેસની ગઈ કાલની એક સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે मोदी तेरी कब्र खुदेगी’ની’ વાત કરનાર નારા પર સોમવારે સંસદમાં ભારે હંગામો થયો હતો. વડા પ્રધાન મોદી વિરુદ્ધ કોંગ્રેસના નારા મુદ્દે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ભડક્યા હતા. જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે ખૂબ જ દુઃખ અને વ્યથિત મન સાથે એક ઘટના સામે લાવવી છે કે ગઈ કાલે કોંગ્રેસની સભામાં ‘મોદી તેરી કબર ખુદેગી, આજ તો નહીં તો કલ ખુદેગી’ જેવા નારા લાગ્યા. આવા નારા કોંગ્રેસ પાર્ટીની વિચારધારા અને માનસિકતા દર્શાવે છે. નડ્ડાએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદી માટે વપરાયેલા અપશબ્દો બદલ સોનિયા ગાંધી દેશ પાસે માફી માગે.

નડ્ડાએ કોંગ્રેસને ઘેરીરાજ્યસભામાં સોમવારે ભાજપ નેતા જે.પી. નડ્ડાએ એક દિવસ પહેલાં કોંગ્રેસની સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લાગેલા નારાઓની આકરી નિંદા કરી હતી. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીની વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દેશથી માફી માગવાની અપીલ કરી હતી. આ મુદ્દે સત્તા પક્ષના સભ્યોના હંગામાને કારણે સંસદ સ્થગિત કરવી પડી હતી.

આ દેશ માટે ખૂબ દુખદ સમય- કિરણ રિજિજુ

લોકસભામાં કિરણ રિજિજૂએ કહ્યું હતું કે ગઈ કાલે કોંગ્રેસની સભામાં વડા પ્રધાન મોદીજીની કબર ખોદવાની વાત કરવામાં આવી હતી. આ દેશ માટે ખૂબ જ દુઃખદ સમય છે કે કોંગ્રેસ પાર્ટી આવા શબ્દોનો ઉપયોગ કરે છે. કોંગ્રેસના તમામ મોટા નેતાઓ તે સભામાં હાજર હતા અને વડા પ્રધાન મોદીની કબર ખોદવાનો નારો લાગ્યો.

રિજિજુએ કહ્યું હતું કે દેશ માટે આથી વધુ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ કંઈ હોઈ શકે નહીં કે દેશના વડા પ્રધાન 140 કરોડ લોકોના નેતા, વિશ્વના સૌથી પ્રસિદ્ધ અને મજબૂત નેતા માટે આવા શબ્દો વપરાય છે.

‘મારે હવે બોલવું જોઈએ’, સગાઈ વિવાદ મામલે કિંજલ દવેએ તોડ્યું મૌન

લોકપ્રિય સિંગર કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ બાદ બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો છે. આંતરજ્ઞાતિય સગપણ મામલે બ્રહ્મ સમાજે કિંજલ દવેના પરિવારનો વિરોધ કર્યો હોવાની વાતો સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે. સમાજે કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે આખી ઘટના મામલે કિંજલ દવેએ હવે મૌન તોડ્યું છે.

કિંજલ દવેએ તાજેતરમાં પોતાના લગ્ન જીવનના નવા પડાવ અને સગાઈ વિશે સોશિયલ મીડિયા પર વકરેલા વિવાદ પર મૌન તોડ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો સંદેશ દ્વારા તેણીએ અસામાજિક તત્વો અને ટીકાકારોને વળતો જવાબ આપ્યો છે. સાટા પ્રથા જેવા કુરિવાજોનો ઉલ્લેખ કરતાં અનેક વિષયો પર કિંજલે વાત કરી.

કિજલ દવેનએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને જોજો એપના ફાઉન્ડર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હરખનો પ્રસંગ ચર્ચાનો વિષય ત્યારે બન્યો જ્યારે આ સગપણ બાદ કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજની બેઠક મળી અને જેમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જો કે, અત્યાર સુધી આ સમગ્ર ઘટના મામલે કિંજલે મૌન સેવ્યું હતું. પરંતુ હવે એક વીડિયો સંદેશ દ્વારા કિંજલે પોતાના મનની વાત લોકો સામે મૂકી છે.

કિંજલ દવેએ વીડિયોમાં જણાવ્યુ કે છેલ્લા ઘણા સમયથી તેની સગાઈ અને સમાજ મુદ્દે મીડિયામાં અનેક ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ તે અત્યાર સુધી શાંત હતી કારણ કે વાત માત્ર તેના સુધી સીમિત હતી. જોકે, હવે જ્યારે વાત પિતાના સ્વાભિમાન અને પરિવાર પર આવી છે ત્યારે એક દીકરી તરીકે સહન કરવું મશ્કેલ છે અને એટલે જ તેણીએ મૌન તોડ્યુ.

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

ગાયિકાએ વીડિયોમાં સાટા પ્રથા જેવા કુરિવાજોનો પણ ઉલ્લેખ કર્યો છે.સમાજના કહેવાતા ઠેકેદારો પર નિશાન સાધતા કિંજલે કહ્યું કે, આધુનિક જમાનામાં પણ કેટલાક અસામાજિક તત્ત્વો દીકરીઓની પાંખો કાપવા બેઠા છે. તેમણે બાળ લગ્ન, સાટા પ્રથા અને દીકરીઓના પૈસા લેવા જેવા કુરિવાજો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેણીએ વધુમાં કહ્યું કે એક તરફ દીકરીઓ આર્મી, નેવી અને વિજ્ઞાન ક્ષેત્રે દેશનું ગૌરવ વધારી રહી છે, ત્યારે બીજી તરફ તેમને ઘુંઘટમાં રાખવાની અને દબાવવાની માનસિકતા દુઃખદ છે. ખરેખર દીકરીઓને પ્રતિભાને આગળ લાવવી જોઈએ. એ ન થાય તો કંઈ નહીં પણ, તેની પાસે રહેલી પાંખો તો ના કાપીએ.

ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. તેઓ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. કિંજલ દવેએ પોતાની સગાઈના કેટલીક સુંદર તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

 

 

ઉત્તર ભારતના નાળિયેર બજારમાં ગુજરાતનો દબદબો

જૂનાગઢ: દેશનું એક નવું નાળિયેર હબ તૈયાર થઈ રહ્યું છે. તે ન તો કેરળ છે, ન તામિલનાડુ અને ન પશ્ચિમ બંગાળ. એ છે ગુજરાત, જ્યાંથી લીલાં, કાચાં નાળિયેરોથી ભરેલા ટેમ્પો રોજ દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ તરફ જાય છે.

સોમનાથ, જૂનાગઢ, વલસાડ અને ભાવનગરમાંથી પસાર થતો NH-51 હવે “નાળિયેર હાઈવે” બની ગયો છે- ખેતરોમાં લહેરાતાં વૃક્ષોથી લઈને ટ્રકોમાં ભરાયેલાં નાળિયેર સુધી. છેલ્લાં પાંચ વર્ષમાં અહીં નાળિયેરની ખેતી ઝડપથી વધી છે અને ખેડૂતો કહે છે કે આ ફળે તેમને ભરપૂર લાભ કરાવ્યો છે. લીલાં, કાચાં, હળવી મીઠાશ ધરાવતાં નાળિયેર હવે આ તટીય વિસ્તારની સૌથી વધુ કમાણી કરાવી આપતો પાક બની ગયો છે.સોમનાથના ખેડૂત નારણભાઈ સોલંકી  કહે છે, અમારા માટે નાળિયેર કલ્પવૃક્ષ છે. તે અમારી જીવનરેખા બની ગયો છે.તાજેતરના સમયમાં બીજી સપ્ટેમ્બરનો વિશ્વ નાળિયેર દિવસ ગુજરાતમાં ઉત્સવ જેવો બની ગયો છે. આ વર્ષે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે 2014-15માં 22,451 હેક્ટરથી વધીને 2024-25માં 28,197 હેક્ટર સુધી નાળિયેરની ખેતી વિસ્તાર લગભગ 26 ટકા વધ્યો છે. હાલમાં ગુજરાત દર વર્ષે 260.9 મિલિયન નાળિયેર ઉત્પન્ન કરે છે, જેમાંથી લગભગ 20 ટકા કાચી અવસ્થામાં તોડવામાં આવે છે. કુલ ઉત્પાદનના દૃષ્ટિકોણે રાજ્ય દેશમાં સાતમા ક્રમે છે, પરંતુ ઉત્તર ભારતમાં તેનું પૂરું પ્રભુત્વ છે — અહીં વેચાતા નાળિયેરમાં લગભગ 40 ટકા ગુજરાતમાંથી આવે છે.

આ વર્ષે નાળિયેર વિકાસ બોર્ડના માર્કેટ ડેવલપમેન્ટ ઓફિસરપદ પરથી નિવૃત્ત થયેલા એસ. જયકુમારે કહ્યું “આવનારાં વર્ષોમાં ગુજરાત દક્ષિણના રાજ્યોને ટક્કર આપી શકે છે. દેશમાં કાચા નાળિયેરની અછત છે અને ગુજરાતે આ તક ઝડપી લીધી છે.

‘ઘરે રહીને સારું લાગે છે’, પ્રિયંકાએ શેર કરી ખાસ તસવીરો

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તેના પરિવાર સાથે વિતાવેલા ક્ષણો શેર કર્યા છે. ફોટામાં પ્રિયંકા અને નિક એકબીજા પર પ્રેમ વરસાવી રહ્યા છે. જોઈએ પ્રિયંકાની ખાસ તસવીરો…

પ્રિયંકા ચોપરા હવે એક વૈશ્વિક સ્ટાર બની ગઈ છે. આ જ કારણ છે કે તે વારંવાર કામ માટે ભારત આવે છે, અને સાથે જ અમેરિકામાં તેના ઘરે પણ સમય વિતાવે છે. હવે, અભિનેત્રીએ તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી સાથે ઘરે વિતાવેલા કેટલાક ક્ષણો શેર કર્યા છે. તેણીએ એ પણ ખુલાસો કર્યો કે ઘરે વિતાવેલા ક્ષણો ખરેખર ખાસ હોય છે.

પ્રિયંકાની પોસ્ટમાં તેના પતિ અને પુત્રીની ઝલક જોવા મળે છે

પ્રિયંકાએ સોમવારે સવારે ઇન્સ્ટાગ્રામ પર તેના પરિવાર સાથે ઘરે વિતાવેલા કેટલાક ક્ષણો શેર કર્યા. આ ફોટામાં નિક અને પ્રિયંકાના પ્રેમથી લઈને માલતી પ્રત્યેના માતૃત્વના સ્નેહ સુધી બધું જ દેખાય છે. એક ફોટામાં, પ્રિયંકા નિકના હાથમાં આરામથી સૂઈ રહી છે, જ્યારે બીજા ફોટામાં, નિક તેને પ્રેમથી ચુંબન કરતો જોવા મળે છે. આ કપલ ઘરે કેન્ડલ લાઈટ ડિનરનો આનંદ માણતા, સંપૂર્ણ કપલ ગોલ સેટ કરતા પણ જોઈ શકાય છે. ફોટામાં માલતી મેરીના રોજિંદા જીવનની ક્ષણો પણ કેદ કરવામાં આવી છે. આ ફોટો શ્રેણીમાં પ્રિયંકાએ તેની પુત્રીની દંત ચિકિત્સક પાસે જવાની, તેની માતાના મેકઅપ કીટ સાથે રમવાની અને મિત્રો સાથે મનોરંજક રમતોને પણ કેદ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

આ પોસ્ટ શેર કરતાં પ્રિયંકાએ એક ટૂંકું પણ ખાસ કેપ્શન લખ્યું. અભિનેત્રીએ લખ્યું, “ઘરે રહીને સારું લાગે છે, બસ આવી જ ક્ષણો.”

પ્રિયંકા કપિલ શર્માના શોમાં જોવા મળશે

કામની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા એસએસ રાજામૌલીની ફિલ્મ “વારાણસી” માટે સમાચારમાં છે. પ્રિયંકા ફિલ્મમાં મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું શીર્ષક અને મહેશ બાબુનો લુક ગયા મહિને હૈદરાબાદમાં એક ભવ્ય કાર્યક્રમમાં જાહેર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ 2027 માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પ્રિયંકા તાજેતરમાં મુંબઈ પરત ફરી છે, જ્યાં તેણે કપિલ શર્માના શો “ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો” માટે શૂટિંગ કર્યું છે. તે ટૂંક સમયમાં શોની નવી સીઝનમાં મહેમાન તરીકે જોવા મળશે, જે 20 ડિસેમ્બરે પ્રીમિયર થશે.

બ્રિટનમાંથી લાખો મુસ્લિમોની હકાલપટ્ટીની શક્યતા

લંડનઃ બ્રિટનમા હાલના કાયદાઓ હેઠળ આશરે 90 લાખ લોકો, એટલે કે દેશની કુલ વસતિના લગભગ 13 ટકા લોકો બ્રિટિશ નાગરિકતા ગુમાવે એવી શક્યતા છે, એમ બ્રિટનના એક નવા રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે. આ રિપોર્ટ રનિમિડ ટ્રસ્ટ અને રિપ્રિવ નામની બે સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ આ કાયદાઓ ખાસ કરીને મુસ્લિમ સમુદાય, દક્ષિણ એશિયા, મધ્ય-પૂર્વ અને આફ્રિકાથી સંબંધ ધરાવતા લોકોને વધારે અસર કરશે.

મુસ્લિમ ગૃહ સચિવ જ મુસ્લિમોની મુશ્કેલી

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિટનની ગૃહ સચિવ શબાના મહમૂદ પાસે એ અધિકાર છે કે જો તેમને લાગે કે કોઈ વ્યક્તિ બીજે કોઈ દેશની નાગરિકતા મેળવી શકે છે, તો તેઓ તેની બ્રિટિશ નાગરિકતા છીનવી શકે છે—ભલે તે વ્યક્તિનો એ દેશ સાથે કોઈ વ્યક્તિગત સંબંધ ન હોય. આ અધિકારનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર હિતને નામે થાય છે. રિપોર્ટમાં તેને ‘અતિશય અને ગુપ્ત’ અધિકાર ગણાવવામાં આવ્યો છે, જે મુસ્લિમ સમુદાય માટે મોટો ખતરો બની ગયો છે.

ભારત અને પાકિસ્તાન જેવા દેશો પર વધુ અસર

આ કાયદાથી સૌથી વધુ અસરગ્રસ્ત થનારા દેશોમાં ભારત (9.84 લાખ લોકો), પાકિસ્તાન (6.79 લાખ લોકો) અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. આ સિવાય સોમાલિયા, નાઇજિરિયા, ઉત્તર આફ્રિકા અને મધ્ય-પૂર્વ સાથે જોડાયેલા બ્રિટિશ નાગરિકો પણ જોખમમાં છે. રિપોર્ટ મુજબ રંગભેદનો ભોગ બનેલા લોકો (પીપલ ઓફ કલર)માંથી ત્રણમાં પાંચ લોકો અસરગ્રસ્ત થઈ શકે છે, જ્યારે સફેદ બ્રિટિશ લોકોમાં માત્ર વીસમાં એક. એટલે કે રંગભેદનો ભોગ બનેલા લોકો માટે જોખમ 12 ગણું વધારે છે. જો બ્રિટનમાંથી મુસ્લિમોને કાઢી મૂકવામાં આવે, તો તેઓ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં શરણ લે એવી શક્યતા છે.

દિલ્હી પર ધુમ્મસ, પ્રદૂષણનો ડબલ એટેક, AQI 500ને પાર

નવી દિલ્હી: અશોક વિહાર 500, રોહિણી 500, જહાંગીરપુરી 500 અને વજીરપુર 500. દિલ્હીમાં AQI લેવલના આ આંકડા ચિંતાજનક છે.  સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. દિલ્હીમાં જેમ-જેમ ઠંડી વધી રહી છે, તેમ-તેમ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) પણ સતત વધી રહ્યો છે. દિલ્હી ધુમ્મસની ચાદરથી ઢંકાઈ ગઈ છે. વિઝિબિલિટી ત્રણ મીટરથી પણ ઓછી રહી છે. સોમવારે સવારે દિલ્હીના અનેક વિસ્તારોમાં AQI 500 સુધી પહોંચી ગયો હતો. દેશની રાજધાનીમાં આજે સવારે સરેરાશ AQI 456 નોંધાયો, જે અત્યંત ગંભીર સ્થિતિ દર્શાવે છે.

આવી પરિસ્થિતિમાં લોકો માટે ખુલ્લામાં શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. આંખોમાં બળતરા અને માથાના દુખાવાથી લોકો પરેશાન દેખાઈ રહ્યા છે. દિલ્હીમાં GRAP-4 લાગુ છે, છતાં પણ પરિસ્થિતિ કાબૂમાં આવી રહી નથી.

દિલ્હીમાં AQIને 500 પાર

દિલ્હીની હાલત હાલમાં કોઈ ‘ગેસ ચેમ્બર’થી ઓછી નથી. હવાની ગતિ બહુ ઓછી છે અને AQI અનેક વિસ્તારોમાં 500ને પાર પહોંચી ગયો છે. એ ઉપરાંત લગભગ આખી દિલ્હીમાં AQI 400થી ઉપર છે. આવી સ્થિતિમાં લોકો ઘરમાં બેઠા હોવા છતાં ઝેરી હવાની અસર હેઠળ આવી શકે છે. આજે સવારે આનંદ વિહારમાં AQI 493, નેહરુ નગરમાં 489, ઓખલામાં 483, આર.કે.પુરમમાં 483 અને વિવેક વિહારમાં 493 નોંધાયો છે.

હવામાનનો બેવડો માર

દિલ્હીવાસીઓ હાલમાં હવામાનની બેવડી માર સહન કરી રહ્યા છે. આજે સ્થિતિ એવી છે કે ત્રણ મીટર દૂર પણ કંઈ દેખાતું નથી. રસ્તાઓ પર વાહનો ધીમે-ધીમે ચાલતા નજરે પડે છે. છેલ્લા બે દિવસથી દિલ્હીમાં આવી જ હાલત જોવા મળી રહી છે. રવિવારે CPCBના સમીર એપ મુજબ, સાંજે ચાર વાગ્યા સુધી દિલ્હીના 39 સક્રિય વાયુ ગુણવત્તા મોનિટરિંગ કેન્દ્રોમાંથી 38માં પ્રદૂષણનું સ્તર ‘ગંભીર’ નોંધાયું, જ્યારે માત્ર શાદીપુરમાં તે ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં રહ્યું. AQI એક દિવસ પહેલા 432 હતો તે વધીને રેકોર્ડ સ્તરે પહોંચી ગયો. એપ્રિલ 2015માં AQI મોનિટરિંગ સિસ્ટમ શરૂ થયા પછી આવી સ્થિતિ પ્રથમ વખત જોવા મળી છે.