Home Blog Page 366

સાયન્સ સિટી ખાતે રાષ્ટ્રીય ગણિત મહોત્સવનું આયોજન

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ૨૦ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ગણિત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ ત્રણ દિવસીય મહોત્સવનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રસ, તર્કશક્તિ અને સર્જનાત્મક વિચારધારાનો વિકાસ કરવાનો છે. ગુજરાત સાયન્સ સિટી ગણિતની અદ્ભુત દુનિયામાં તમામને આમંત્રિત કરે છે — જ્યાં તર્ક, સર્જનાત્મકતા અને જ્ઞાન એક જ મંચ પર મળે છે.આ મહોત્સવ દરમિયાન ગણિત આધારિત વિવિધ પ્રવૃત્તિઓ, પ્રદર્શન, પઝલ્સ, રમતો, ઇન્ટરએક્ટિવ સત્રો તથા નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓ માટે શીખવા સાથે મનોરંજક અનુભવ પૂરું પાડશે.આ રાષ્ટ્રીય ગણિત મહોત્સવમાં દેશની વિવિધ શાળાઓમાંથી ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. મહોત્સવ દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિતને માત્ર વિષય તરીકે નહીં પરંતુ દૈનિક જીવન સાથે જોડાયેલ ઉપયોગી અને રસપ્રદ વિજ્ઞાન તરીકે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત સાયન્સ સિટી દ્વારા આયોજિત આ મહોત્સવ ભારતના મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો તેમજ ભવિષ્યના વૈજ્ઞાનિકો અને વિચારકોને પ્રેરણા આપવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.

સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું: સોનિયા ગાંધી

નવી દિલ્હી: કેન્દ્રની NDA સરકારે સંસદના શિયાળુ સત્રમાં મનરેગાની જગ્યાએ ‘વીબી-જી રામ જી’ બિલ રજૂ કર્યું. આ બિલને સંસદના બંને સદનમાં પાસ કરી દેવામાં આવ્યું છે. બિલ પાસ થયા બાદ કોંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ એક વિડિયો સંદેશ જાહેર કર્યો છે. આ વિડિયો સંદેશમાં સોનિયા ગાંધીએ 20 વર્ષ પહેલાં લાવવામાં આવેલા મનરેગા કાયદાને ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું. એ સાથે જ નવા કાયદા અંગે તેમણે કહ્યું હતું કે સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું છે. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે હવે કોને, કેટલું, ક્યાં અને કઈ રીતે રોજગાર મળશે, તેનો નિર્ણય જમીની હકીકતથી દૂર દિલ્હીમાં બેઠેલી સરકાર નક્કી કરશે.

મનરેગા કાયદો એક ક્રાંતિકારી પગલું હતું

તેમણે કહ્યું હતું કે મને આજે પણ યાદ છે કે 20 વર્ષ પહેલાં જ્યારે ડો. મનમોહન સિંહજી વડા પ્રધાન હતા, ત્યારે સંસદમાં મનરેગા કાયદો સર્વસંમતિથી પાસ થયો હતો. આ એક એવું ક્રાંતિકારી પગલું હતું, જેને કારણે કરોડો ગ્રામીણ પરિવારોને લાભ મળ્યો.

ખાસ કરીને વંચિત, શોષિત, ગરીબ અને અતિ ગરીબ લોકો માટે આ રોજગારનું મુખ્ય સાધન બન્યું. રોજગાર માટે પોતાની માટી, પોતાનું ગામ અને પરિવાર છોડીને સ્થળાંતર કરવાનું બંધ થયું. રોજગારનો કાનૂની અધિકાર આપવામાં આવ્યો અને ગ્રામ પંચાયતોને સશક્ત બનાવવામાં આવી. મનરેગા દ્વારા મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સપનાને સાકાર કરવાની દિશામાં મજબૂત પગલું ભરાયું. હતું.

મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું

સરકાર પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે પાછલાં 11 વર્ષમાં મોદી સરકારે ગ્રામીણ વિસ્તારોના બેરોજગાર, ગરીબો અને વંચિતોના હિતોને અવગણીને મનરેગાને નબળી બનાવવાના તમામ પ્રયાસો કર્યા છે. જ્યારે કે કોવિડના સમયગાળામાં આ યોજના ગરીબ વર્ગ માટે સંજીવની સાબિત થઈ હતી, પરંતુ અફસોસની વાત છે કે તાજેતરમાં સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું. માત્ર મહાત્મા ગાંધીનું નામ જ દૂર કરવામાં આવ્યું નથી, પરંતુ મનરેગાનું સ્વરૂપ પણ કોઈ વિચાર-વિમર્શ વિના, કોઈ સલાહ લીધા વિના અને વિરોધ પક્ષને વિશ્વાસમાં લીધા વગર મનમાની રીતે બદલી નાખવામાં આવ્યું છે.

લોયાધામમાં શ્રી મુક્ત મુનિ શતાબ્દી મહોત્સવનું આયોજન

સુરેન્દ્રનગર: સમગ્ર ગુજરાત, દેશ-દુનિયામાં વસતા હરિભક્તો માટે એક મોટાં સમાચાર સામે આવ્યા છે. ઝાલાવાડના સાયલા પંથકમાં ઐતિહાસીક લોયાધામ આવેલુ છે. જ્યાં આગામી ૨૧ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. જેમાં સમગ્ર ઝાલાવાડ, ગુજરાત, ભારત નહી પરંતુ યુએસ, કેનેડા સહિતના ૧૨ દેશોમાં હરીભકતો ઉપસ્થિત રહેવાના છે. મહોત્સવ દરમિયાન સંત-મહાત્માઓના ધાર્મિક પ્રવચનો, ભજન-કીર્તન, યજ્ઞવિધિ અને પૂજા-અર્ચના જેવા કાર્યક્રમો યોજાશે.આ પ્રસંગ માટે ૫૦ વીઘા જમીનમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરાયુ છે. જે બાળકો, યુવાઓ અને વડીલો માટે આકર્ષણરૂપ બની રહેશે. રવિવારે 21મી ડિસેમ્બરના રોજ 5 કીમી લાંબી શોભાયાત્રા યોજાશે.ભગતના ગામ તરીકે ઓળખાતા સાયલા તાલુકામાં આવેલ લોયાધામ એ ભગવાન સ્વામીનારાયણના પગલા થયેલ ભૂમિ છે. આ ભૂમિ પર ભગવાને રંગોત્સવ કર્યો, શાકોત્સવ કર્યો, વચનામૃત પ્રબોધી જ્ઞાનોત્સવ કર્યો, સહજાનંદ સ્વામીએ માણકીની અસવારીનો સંકલ્પ કર્યો છે તે સ્થળ પર આજે ૧૧૫ ફૂટ ઉંચુ સંપ્રદાયનું પ્રથમ ભવ્ય મંદિર બની રહ્યુ છે. જે ભૂમિ ભગવાન સ્વામીનારાયણની આટ આટલી ઐતિહાસિક અલૌકીક લીલાની સાક્ષી બની છે.૨૧ થી ૩૧ ડિસેમ્બર દરમીયાન લોયાધામમાં મુકતમુની મહોત્સવ અને લોયાધામની લીલા મહોત્સવનું આયોજન કરાયુ છે. જેમાં રવિવારના રોજ બપોરે ૩ કલાકેથી પ કીમી લાંબી શોભાયાત્રા યોજાશે. સુવર્ણ નૌકાઓના નવ ટેબ્લો 3૧ ફૂટ લાંબી શોભાયાત્રામાં હશે. મુક્તમુની મહોત્સવ સદગુરૂ શતાબ્દી મહોત્સવના અધ્યક્ષ ગાંધીનગરના હરીપ્રકાશ સ્વામી અને લોયાધામની લીલા ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી તેમના મધુર કંઠે રજુ કરશે. કથા દરમિયાન ભારત ઉપરાંત યુએસ, કેનેડા સહિત ૧૨ દેશોમાંથી હરીભકતો ઉમટી પડનાર છે. જેમની રહેવાની અને જમવાની વ્યવસ્થા લોયાધામ ખાતે કરાઈ છે. જેના માટે અલાયદુ ટેન્ટનું ગામ બનાવાયુ છે.
૫૦ વીઘા જમીનમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન

સમગ્ર મહોત્સવ દરમીયાન ૩૦ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધી ૫૦ વીઘા જમીનમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરાયુ છે. જેમાં કલાકૃતિ મંડિત મુખ્ય પ્રવેશ સાંપ્રદાયિક પ્રસંગો, રામાયણ-મહાભારતના પૌરાણિક પ્રસંગો, મહાપુરૂષોની મહાગાથાના ચલચિત્ર દ્વારા રજૂઆત, સંગીત સાથે રોશનીનો ઝગમગાટ, બાળનગરી, ટેલીફિલ્મ શો, વ્યસનમુકિત કેમ્પ, વિજ્ઞાન મેળો, હોરર ગુફા, ફલાવર શો, સેલ્ફિ પોઈન્ટ, એન્જોય પાર્કમાં બાળકોથી લઈ વૃધ્ધો સુધીના આનંદ માણી શકશે.

સમગ્ર મહોત્સવની ટાઈમલાઈન

૨૧ થી ૩૧ ડિસેમ્બર સુધી દરરોજ સવારે ૯-૩૦ થી ૧૧ અને સાંજે ૪-૩૦ થી ૬-૦૦ સુધી લોયાધામની લીલા કથા મંડપમાં રજૂ કરાશે

દરરોજ સવારે ૧૧ થી ૧૧-૪૦ સુધી વ્યાખ્યાનમાળામાં વિવિધ મંદિરના સંતો પ્રવચન આપશે

તા. ૨૩-૧૨ના રોજ લોયાધામ શાકોત્સવ લીલા દર્શન, લોયાધામ લીલા ચિંતામણી ગ્રંથ વિમોચન યોજાશે

તા. ૨૪-૧૨ના રોજ ઠાકોરજીની સુવર્ણ તુલા, રાજોપચાર, અન્નકુટ, મહાઆરતી થશે

તા. ૨૫-૧૨ના રોજ મુક્તાનંદીય ગુરૂપરંપરાના સદગુરૂઓનું પૂજન

તા. ૨૬-૧૨ના રોજ મહિલા મંચ

તા. ૨૭-૧૨ને શનિવારે રકતદાન કેમ્પ યોજાશે

તા. ૨૮-૧૨ના રોજ પ્રસાદીક સ્થાન છત્રીનું ઉદઘાટન

તા. ૩૦-૧૨ ગુરૂજીનો ૫૦મો સુવર્ણ દીક્ષા મહોત્સવ

તા. ૧૩ ફેબ્રુઆરીએ ૧૦૮ સર્વજ્ઞાતીય સમુહ લગ્નોત્સવ અને ભવ્ય શાકોત્સવ યોજાશે

સાંસ્કૃતિક કાર્યક્રમો

તા. ૨૨ ડિસેમ્બર બાલ કિશોર મંચ

તા. ૨૩ ડિસેમ્બર વચનામૃત અને શિક્ષાપત્રીનું ભવ્ય પૂજન

તા. ૨૪ ડિસેમ્બર સાંસ્કૃતિક કાર્યક્રમો

તા. ૨૫ ડિસેમ્બર હાસ્યનો કાર્યક્રમ, કલાકાર હિતેશ અંટાળા

તા. ૨૬ ડિસેમ્બર દાદાગુરૂજીના શતાબ્દી પ્રાગટય પર્વ નિમિત્તે પૂજન, નૃત્ય નાટિકા

તા. ૨૭ ડિસેમ્બર મુકતમુની ચરીત્ર ચિંતામણી ગ્રંથ વીમોચન અને ભવ્ય ડ્રોન શો

તા. ૨૮ ડિસેમ્બર પ્રવેશદ્વાર ઉદ્દઘાટન, અભિષેક મંડપ ઉદ્દઘાટન. નીલકંઠવર્ણી મહારાજ અનાવરણ

તા. ૨૯ ડિસેમ્બર ડાયરો, કલાકાર અભેસીંહ રાઠોડ અને ગોપાલ સાધુ

T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાનું એલાન

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2026 અને ન્યુ ઝીલેન્ડ સામેની પાંચ મેચોની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત શનિવારે કરવામાં આવી  હતી. ભારતીય પસંદગીકારોએ ચોંકાવનારો નિર્ણય લેતાં શુભમન ગિલને ટીમમાંથી બહાર રાખ્યો છે. એ સાથે જ જિતેશ શર્માને પણ ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો છે. જ્યારે ઇશાન કિશનની અને રિંકુ સિંહની ટીમમાં વાપસી થઈ છે. અક્ષર પટેલને ફરી એક વાર વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ગિલને કેમ બહાર રાખવામાં આવ્યો?

એશિયા કપ 2026 દરમિયાન શુભમન ગિલની ભારતીય T20 ટીમમાં વાઇસ કેપ્ટન તરીકે વાપસી થઈ હતી. ગિલને 15 મેચોમાં તક મળી, પરંતુ તે ખાસ પ્રભાવ છોડી શક્યો નહોતો. તેની જગ્યાએ સંજુ સેમસનને મિડલ ઓર્ડરમાં તક આપવામાં આવી છે, જેના કારણે ગિલને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર બેસવું પડ્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચોની શ્રેણીની છેલ્લી મેચમાં ગિલ ઈજાગ્રસ્ત થતાં સંજુને ઓપનર તરીકે તક મળી હતી. સંજુએ શાનદાર બેટિંગ કરી હતી અને ભારતીય ટીમે 200થી વધુ રન બનાવ્યા હતા. તેના બીજા જ દિવસે ગિલને T20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

ભારતનો સામનો પાકિસ્તાન સામે

ટીમ ઇન્ડિયાને ગ્રુપ-એમાં સ્થાન મળ્યું છે, જેમાં તેની સાથે USA, પાકિસ્તાન, નેધરલેન્ડ્સ અને નામિબિયાની ટીમો સામેલ છે. ભારત 7 ફેબ્રુઆરીએ પોતાની પહેલી મેચ અમેરિકા સામે રમશે, ત્યાર બાદ 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે તેનો બીજો મુકાબલો થશે. આ પછી ટુર્નામેન્ટનો સૌથી મોટો અને ચાહકો દ્વારા આતુરતાપૂર્વક રાહ જોવાતો મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ રમાશે. ગ્રુપ સ્ટેજમાં ટીમ ઇન્ડિયા પોતાની છેલ્લી મેચ 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે રમશે.

T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (વાઇસ કેપ્ટન), જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન.

સૌથી જૂની પર્વતમાળા અરવલ્લીના અસ્તિત્વની લડાઈ, શું છે આખો મુદ્દો?

દેશની સૌથી જૂની પર્વતમાળા અરવલ્લી આજે અસ્તિત્વ માટેની લડાઈ લડી રહી છે. પર્વતમાળાને બચાવવા માટે #SaveAravalli ઝૂંબેશ પણ શરૂ થઈ છે. અરવલ્લી પર્વતમાળા ગુજરાતથી દિલ્હી સુધી આશરે 692 કિલોમીટર સુધી ફેલાયેલી છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ધમાસાણ ચાલી છે. જાણીએ શું છે આખો મુદ્દો?

અરવલ્લી જંગલો અને વન્યજીવનને ટેકો આપે છે અને લાખો લોકોને શ્વાસ લેવાની હવા પૂરી પાડે છે. આજે, આ જ અરવલ્લી ફરી એકવાર રાજકારણ, કાયદો અને પર્યાવરણ વચ્ચેના સંઘર્ષનું કેન્દ્ર બની ગયું છે. સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી હોબાળો મચી ગયો છે.

અરવલ્લી ફક્ત ટેકરીઓની સાંકળ નથી, પરંતુ ઉત્તર ભારતની જીવનરેખા છે. આ પર્વતમાળા થાર રણની રેતી, ગરમી અને ધૂળના તોફાનોને દિલ્હી, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ફળદ્રુપ વિસ્તારો સુધી પહોંચતા અટકાવે છે.અરવલ્લી પર્વતમાળા ભૂગર્ભજળને રિચાર્જ કરે છે, જંગલો અને વન્યજીવનને ટેકો આપે છે, અને લાખો લોકોને શ્વાસ લેવાની હવા પૂરી પાડે છે.

આજે, અરવલ્લી ફરી એકવાર રાજકારણ, કાયદો અને પર્યાવરણ વચ્ચેના સંઘર્ષનું કેન્દ્ર બની ગયું છે. સુપ્રીમ કોર્ટમાં સરકાર દ્વારા દાખલ કરાયેલા જવાબ બાદ સોશિયલ મીડિયાથી લઈને રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને દિલ્હીના રસ્તાઓ સુધી હોબાળો મચી ગયો છે. પ્રશ્ન ફક્ત કાનૂની વ્યાખ્યાનો નથી, પરંતુ ભાવિ પેઢીઓના ભવિષ્યનો છે.

સુપ્રીમ કોર્ટમાં અરવલ્લી પર્વતમાળા અંગે સરકારના પ્રતિભાવ બાદ રાજસ્થાન સહિત ત્રણ રાજ્યોમાં રાજકારણ ગરમાયું છે. સોશિયલ મીડિયાથી લઈને રાજકીય વર્તુળો સુધી, લોકો આ મુદ્દા પર અવાજ ઉઠાવી રહ્યા છે.પર્યાવરણ નિષ્ણાતોથી લઈને સામાન્ય લોકો સુધી, દરેક વ્યક્તિ સરકારની નીતિ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. જ્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસે તેને રાજ્ય અને ઉત્તર ભારતના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો ગણાવીને રસ્તા પર ઉતરવાની જાહેરાત કરી છે.

અશોક ગેહલોતનું #SaveAravalli અભિયાનને સમર્થન

કાર્યકરોએ સોશિયલ મીડિયા પર “સેવ ધ અરવલ્લી” નામનું એક અભિયાન શરૂ કર્યું છે અને સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે અરવલ્લી પર્વતમાળાની પ્રસ્તાવિત નવી વ્યાખ્યા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે અરવલ્લીનું મૂલ્યાંકન ફક્ત ઊંચાઈ કે ટેકનિકલ પરિમાણો દ્વારા નહીં, પરંતુ તેના પર્યાવરણીય મહત્વ દ્વારા થવું જોઈએ. ગેહલોતે #SaveAravalli ઝુંબેશના સમર્થનમાં પોતાનો સોશિયલ મીડિયા પ્રોફાઇલ પિક્ચર પણ બદલ્યો અને તેને નવી વ્યાખ્યા સામે પ્રતીકાત્મક વિરોધ ગણાવ્યો.

ગેહલોતે કહ્યું કે અરવલ્લી ઉત્તર ભારત માટે એક કુદરતી રક્ષણાત્મક દિવાલ છે, જે રણની રેતી અને ગરમીને દિલ્હી, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધી પહોંચતા અટકાવે છે. જો નાની ટેકરીઓ અને ખાડાવાળા વિસ્તારો ખાણકામ માટે ખુલ્લા મૂકવામાં આવે તો રણીકરણ ઝડપી બનશે અને તાપમાન ખતરનાક રીતે વધશે. અરવલ્લીની ટેકરીઓ અને જંગલો NCR અને આસપાસના વિસ્તારો માટે ફેફસાં તરીકે કામ કરે છે. આ ધૂળના તોફાનો અને પ્રદૂષણને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ચેતવણી આપી કે અરવલ્લી નબળી પડી તો પ્રદૂષણની સ્થિતિ વધારે ગંભીર અને ભયાનક બનશે.

સુપ્રીમ કોર્ટમાં સરકારના જવાબથી ચિંતા વધી

અરવલ્લી પર્વતમાળા અંગે સુપ્રીમ કોર્ટમાં સરકાર દ્વારા દાખલ કરાયેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે અરવલ્લીને ઓળખવા અને તેના રક્ષણની હદ નક્કી કરવા માટે ઊંચાઈનો ઉપયોગ આધાર તરીકે થવો જોઈએ. સરકારના મતે, ફક્ત સ્થાનિક જમીન સ્તરથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓ જ અરવલ્લી પર્વતમાળાનો ભાગ ગણાશે. 100 મીટરથી ઓછી ઊંચાઈવાળા ટેકરા, નાની ટેકરીઓ અને ખાડાવાળા વિસ્તારોનો અરવલ્લીની વ્યાખ્યામાં સમાવેશ થવો જોઈએ નહીં.

તાજેતરના વિવાદ પાછળનું સાચું કારણ શું છે?

FSI (ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા) એ 10 હજાર ટેકરીઓને અરવલ્લી જાહેર કરી અને આ સ્થળોએ ખાણકામ બંધ કરવા કહ્યું. રાજસ્થાન સરકાર આની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગઈ, જ્યાં એવું કહેવામાં આવ્યું કે આનાથી તમામ ખાણકામ બંધ થઈ જશે. સુપ્રીમ કોર્ટે નવો કાયદો બનાવવાનો નિર્દેશ આપ્યો અને કહ્યું કે જૂની ખાણકામ પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાય છે,આ માટે, તેમણે ફરીથી પરવાનગી લેવી પડશે કે તેઓ ખાણકામ અને પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન નથી કરી રહ્યા.

નવીનતમ અપડેટ મુજબ, લગભગ આઠ હજાર સ્થળોએ ખાણકામ પ્રવૃત્તિઓ માટે ફરીથી પરવાનગી આપવામાં આવી છે.જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર રચાયેલી સમિતિને રિપોર્ટ તૈયાર કરવામાં અને નિયમો બનાવવામાં બે વર્ષનો સમય લાગી શકે છે.

નવી વ્યાખ્યા કેમ ખતરનાક છે?

કથિત સરકારી મિલીભગતથી, 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓ 60 મીટર કે 80 મીટર બતાવવામાં આવે છે અને ખાણકામ માટે સરકાર પાસેથી પરવાનગી લેવામાં આવે છે. આ માટે, તેઓ ટેકરી માપવા માટે અલ્ટિમીટરનો ઉપયોગ કરે છે, ભલે સરકારે અનેક વખત કહ્યું છે કે પર્વતની ઊંચાઈ અલ્ટિમીટરથી માપી શકાતી નથી.આ અંગે બે સ્થળોએ, અલવર અને સિરોહીમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. 2009 થી 2015 દરમિયાન રાજસ્થાનમાં આવી સેંકડો પરમિટ આપવામાં આવી હતી.તેમની સામે તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેમને રાહત આપી હતી. ફક્ત રાજસ્થાનમાં જ આવા 100 થી વધુ ખાણકામ કામગીરી ચાલી રહી છે. જ્યારે લોકો દાવો કરે છે કે અરવલ્લી પર્વતમાળા 100 મીટરથી વધુ ઉંચી છે, ત્યારે સરકારી મિલીભગતથી તેને કાગળ પર 60 થી 80 મીટર બતાવીને ખાણકામ કરવામાં આવી રહ્યું છે.

આ અંગે NSUI રાજસ્થાન રાજ્ય પ્રમુખ વિનોદ જાખડે જણાવ્યું હતું કે અરવલ્લી પર્વતમાળા અંગે સરકારના નિર્ણયોના વિરોધમાં NSUI રાજસ્થાન રસ્તા પર ઉતર્યું હતું.

એક સપ્તાહમાં પ્રદૂષણ પર કાબૂ મેળવવા કેન્દ્રનું અલ્ટિમેટમ

નવી દિલ્હીઃ  દિલ્હી-NCRમાં બેકાબૂ બનતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરકારો તેમ જ નગર નિગમોને એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે સાત દિવસની અંદર હવાની ગુણવત્તામાં ‘સુધારો’ દેખાવા જોઈએ, નહીં તો જવાબદાર અધિકારીઓ અને સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કડક એક્શન સાથે એક સપ્તાહનું અલ્ટિમેટમદિલ્હી-એનસીઆરના વાયુ પ્રદૂષણની સમીક્ષા માટે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભૂપેન્દ્ર યાદવે રાજ્યોના એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી. મંત્રીએ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ‘આકરી કાર્યવાહી’ સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો હતો. જોકે તેમણે એ પણ ચેતવણી આપી છે કે આ પ્રક્રિયામાં સામાન્ય જનતાને અનાવશ્યક તકલીફ ન થવી જોઈએ. પ્રાપ્ત માહિતી મુજબ આગામી 15 દિવસમાં એક વધુ સમીક્ષા બેઠક થશે. એ ઉપરાંત જાન્યુઆરી, 2026થી મંત્રી સ્તરે દર મહિને આ એક્શન પ્લાનની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.

ટ્રાફિક, ઓફિસ ટાઈમિંગમાં ફેરફારના નિર્દેશ

પ્રદૂષણ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે કેટલાક કડક અને વ્યવહારુ પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે:

ટ્રાફિક હોટસ્પોટ્સ: દિલ્હી-NCRમાં ઓળખાયેલા 62 ટ્રાફિક જામવાળા વિસ્તારોમાં ટ્રાફિક મેનેજમેન્ટ સુચારુ બનાવવાના આદેશ.

સ્ટેગર્ડ ટાઈમિંગ: પીક અવર્સમાં ભીડ ઘટાડવા માટે ઓફિસો, શોપિંગ મોલ્સ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના સમયપત્રકમાં ફેરફાર (અલગ-અલગ સમયે ખૂલવું/બંધ થવું) પર ભાર.

EV/CNGને પ્રોત્સાહન: કોર્પોરેટ અને ઔદ્યોગિક એકમોને તેમના કર્મચારીઓ માટે ઇલેક્ટ્રિક (EV) અથવા CNG બસોના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું.

સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ: ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને નોઇડાને ‘ઇન્ટિગ્રેટેડ સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ’ (ITMS)ના કામમાં ઝડપ લાવવાના નિર્દેશ.

ઝેરી હવામાં દિલ્હી-NCRની હાલત બેહાલ

શનિવારે પણ દિલ્હી-NCR ઝેરી ધુમ્મસની ગાઢ ચાદરમાં ઢંકાયેલું રહ્યું, જેને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. CPCBના જણાવ્યાનુસાર દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં રહી હતી.

આનંદ વિહાર: 434

આઈટીઓ: 437

આર.કે. પુરમ: 409

નોઇડા: 416

ભ્રષ્ટાચાર મામલે ઇમરાન ખાન દંપતીને 17 વર્ષની જેલસજા

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના એક કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમનાં પત્ની બુશરા બીબીને મોટો આંચકો લાગ્યો છે. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ની વિશેષ કોર્ટે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં પતિ-પત્ની બંનેને 17-17 વર્ષની જેલ સજા ફટકારી છે.

કોર્ટે આ મામલે ઇમરાન ખાન અને બુશરા બીબીને દોષી જાહેર કર્યા છે. સ્થાનિક મિડિયા રિપોર્ટ્સ મુજબ આ કેસ વર્ષ 2021 સાથે સંકળાયેલો છે. તે સમયે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ દ્વારા ઇમરાન ખાનને એક અત્યંત કીમતી જ્વેલરી સેટ ભેટમાં આપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે આ દાગીનાની વાસ્તવિક કિંમત 7.15 કરોડ પાકિસ્તાની રૂપિયા કરતાં વધુ હતી, પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરીને તેને માત્ર 58 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.

કોર્ટે આ મામલાને છેતરપિંડી અને ભ્રષ્ટ આચરણનું ગંભીર ઉદાહરણ ગણાવ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે ઇમરાન ખાનને ગુનાહિત વિશ્વાસઘાત હેઠળ 10 વર્ષની અને ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ વધારાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તે જ રીતે બુશરા બીબીને પણ એ જ કલમો હેઠળ દોષી ઠેરવી કુલ 17 વર્ષની જેલ સજા સંભળાવવામાં આવી છે.

આ ઉપરાંત  કોર્ટે પતિ-પત્ની બંને પર 1.64 કરોડ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડની રકમ ચૂકવવામાં નહીં આવે, તો તેમને વધારાની જેલ સજા પણ ભોગવવી પડશે. ઇમરાન ખાન માટે આ ચુકાદો ખાસ કરીને મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેઓ પહેલેથી જ અનેક અન્ય કેસોમાં જેલમાં બંધ છે. આ વર્ષની શરૂઆતમાં અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં પણ ઇમરાન ખાનને 14 વર્ષની અને બુશરા બીબીને 7 વર્ષની જેલ સજા થઈ ચૂકી છે.

ટેરિફ મારો પાંચમો પ્રિય શબ્દ છે, ડોનાલ્ડ ટ્રમ્પે ગણાવ્યા ફાયદાઓ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કેરોલિનામાં જાહેરાત કરી કે નવા વર્ષથી ઇતિહાસમાં સૌથી મોટો કર ઘટાડો લાગુ કરવામાં આવશે, ફુગાવો બંધ થઈ ગયો છે અને અમેરિકાની સત્તા પાછી ફરી રહી છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કેરોલિનામાં એક ભાષણમાં જાહેરાત કરી હતી કે નવા વર્ષથી અમેરિકનોને ઇતિહાસમાં સૌથી મોટા કર ઘટાડાનો લાભ મળશે. ટ્રમ્પે કહ્યું કે આમાં વરિષ્ઠ નાગરિકો માટે ટિપ્સ, ઓવરટાઇમ અને સામાજિક સુરક્ષા પરના કર માફ કરવાનો સમાવેશ થાય છે.

અમેરિકા ફરી શક્તિશાળી અને સમૃદ્ધ બનશે

ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું, “ચાર વર્ષના કટોકટી અને પતન દરમિયાન, આખી દુનિયા આપણા પર હસતી હતી. પરંતુ હવે આપણે અમેરિકાના સૌથી ભવ્ય વર્ષોની શરૂઆત કરી રહ્યા છીએ. તેને ‘અમેરિકાનો સુવર્ણ યુગ’ કહેવામાં આવે છે. છેલ્લા 10 મહિનામાં આપણી સરહદો સુરક્ષિત થઈ ગઈ છે, ફુગાવો બંધ થયો છે, વેતન વધ્યું છે અને કિંમતોમાં ઘટાડો થયો છે. આપણો રાષ્ટ્ર મજબૂત છે; અમેરિકા પાછું આવ્યું છે.”

રાષ્ટ્રપતિએ આગળ કહ્યું, “આપણે લડીશું, આપણે જીતીશું અને તમારી મદદથી, અમેરિકા ફરીથી મજબૂત અને સમૃદ્ધ બનશે. આપણે અમેરિકાને ફરીથી મહાન બનાવીશું.” ટ્રમ્પે કરવેરા પરની પોતાની પ્રાથમિકતાનું વર્ણન કરતા કહ્યું કે જ્યારે તેમનો પ્રિય શબ્દ “ટેરિફ” હતો, તે હવે તેમનો પાંચમો પ્રિય શબ્દ બની ગયો છે.

ટેરિફ કામદારો અને ઉદ્યોગોનું રક્ષણ કરે છે

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમના વહીવટીતંત્રે અમેરિકન ઊર્જા સામે કટ્ટરપંથી ડાબેરીઓના અભિયાનનો અંત લાવી દીધો છે. તેમણે “ગ્રીન ન્યૂ સ્કેમ” રદ કર્યું અને “ડ્રિલ, બેબી, ડ્રિલ” ઓર્ડર જારી કર્યો. ટ્રમ્પના મતે આનાથી ગેસોલિનના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમેરિકન કામદારોના રક્ષણ માટે, સરકારે વિદેશી કાર પર 25 ટકા અને વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. વધુમાં, ઉત્તર કેરોલિનાના ફર્નિચર ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે 25, 30 અને 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યા છે.

શું કોંગ્રેસના આઠ સાંસદો પર ‘વિશેષાધિકાર હનન’ની કાર્યવાહી થશે?

નવી દિલ્હીઃ સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસના આઠ લોકસભા સભ્યો સામે વિશેષાધિકાર હનન (Privilege Motion) અને સંસદની અવમાનનાની નોટિસ આપી છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આ નોટિસ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે અને માનવામાં આવે છે કે ટૂંક સમયમાં આ સાંસદો સામે મોટી કાર્યવાહી થઈ શકે છે.

શું છે આખો વિવાદ?લોકસભામાં વીબી-જી રામ જી વિધેયક (VB-G Ram Ji Bill) પર ચર્ચા દરમિયાન આ વિવાદ શરૂ થયો. આ વિધેયક 20 વર્ષ જૂના મનરેગા (MGNREGA) કાયદાની જગ્યાએ લાવવામાં આવ્યું છે. જ્યારે કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ  વિધેયક પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા, ત્યારે વિરોધ પક્ષે તેનો જોરદાર વિરોધ કર્યો હતો.

આરોપ છે કે કોંગ્રેસના સાંસદોએ સંસદીય મર્યાદાનું ઉલ્લંઘન  કરી સંસદની  વચ્ચોવચ સુધી પહોંચ્યા ઙતા અને વિધેયકની નકલો ફાડી અને વિરોધ દર્શાવવા માટે મેજ પર ઊભા રહ્યા હતા.

કયા આઠ સાંસદો?

દુબેએ નોટિસમાં કોંગ્રેસના નીચેના સભ્યોનાં નામ દર્શાવ્યાં છે:

 

  1. હિબી ઇડન
  2. ડીન કુરિયાકોસ
  3. એસ. મુરાસોલી
  4. કે. ગોપીનાથ
  5. શશિકાંત સેનથિલ
  6. શફી પરમ્બિલ
  7. એસ. વેંકટેશન
  8. જોતિમણિ

‘અશોભનીય વર્તન અને કાર્યમાં અવરોધ’

નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષને સોંપેલા પત્રમાં ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનો આરોપ છે કે આ સાંસદોએ શિવરાજ સિંહ ચૌહાણ અને સંસદના અધિકારીઓને તેમના સંવિધાનિક ફરજો બજાવવા રોક્યા.

દુબેએ આને સ્પીકરના અધિકારોની અવગણના અને સામૂહિક રીતે સંસદની અવમાનના ગણાવી છે. તેમણે અધ્યક્ષને વિનંતી કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે આ સાંસદો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે.

વિધેયક પર ટકરાવ

કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો નવા વિધેયકનો કડક વિરોધ કરી રહ્યા છે. વિરોધ પક્ષનો દાવો છે કે વીબી-જી રામ જી વિધેયક ગ્રામીણ રોજગાર ગેરંટીની મૂળ ભાવનાને નબળી બનાવશે, જ્યારે સરકાર તેને મનરેગાનું આધુનિકીકરણ અને વધુ પારદર્શિતા તરફનું મોટું પગલું ગણાવી રહી છે.