T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાનું એલાન

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2026 અને ન્યુ ઝીલેન્ડ સામેની પાંચ મેચોની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત શનિવારે કરવામાં આવી  હતી. ભારતીય પસંદગીકારોએ ચોંકાવનારો નિર્ણય લેતાં શુભમન ગિલને ટીમમાંથી બહાર રાખ્યો છે. એ સાથે જ જિતેશ શર્માને પણ ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો છે. જ્યારે ઇશાન કિશનની અને રિંકુ સિંહની ટીમમાં વાપસી થઈ છે. અક્ષર પટેલને ફરી એક વાર વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ગિલને કેમ બહાર રાખવામાં આવ્યો?

એશિયા કપ 2026 દરમિયાન શુભમન ગિલની ભારતીય T20 ટીમમાં વાઇસ કેપ્ટન તરીકે વાપસી થઈ હતી. ગિલને 15 મેચોમાં તક મળી, પરંતુ તે ખાસ પ્રભાવ છોડી શક્યો નહોતો. તેની જગ્યાએ સંજુ સેમસનને મિડલ ઓર્ડરમાં તક આપવામાં આવી છે, જેના કારણે ગિલને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર બેસવું પડ્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચોની શ્રેણીની છેલ્લી મેચમાં ગિલ ઈજાગ્રસ્ત થતાં સંજુને ઓપનર તરીકે તક મળી હતી. સંજુએ શાનદાર બેટિંગ કરી હતી અને ભારતીય ટીમે 200થી વધુ રન બનાવ્યા હતા. તેના બીજા જ દિવસે ગિલને T20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

ભારતનો સામનો પાકિસ્તાન સામે

ટીમ ઇન્ડિયાને ગ્રુપ-એમાં સ્થાન મળ્યું છે, જેમાં તેની સાથે USA, પાકિસ્તાન, નેધરલેન્ડ્સ અને નામિબિયાની ટીમો સામેલ છે. ભારત 7 ફેબ્રુઆરીએ પોતાની પહેલી મેચ અમેરિકા સામે રમશે, ત્યાર બાદ 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે તેનો બીજો મુકાબલો થશે. આ પછી ટુર્નામેન્ટનો સૌથી મોટો અને ચાહકો દ્વારા આતુરતાપૂર્વક રાહ જોવાતો મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ રમાશે. ગ્રુપ સ્ટેજમાં ટીમ ઇન્ડિયા પોતાની છેલ્લી મેચ 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે રમશે.

T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (વાઇસ કેપ્ટન), જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન.