Home Blog Page 340

નવા વર્ષમાં નવી ઊંચાઈએ બંધ થયું બજાર

અમદાવાદઃ નવા વર્ષના બીજા દિવસે. નિફ્ટીએ ટ્રેડિંગ સેશન દરમ્યાન 26,332.15ની નવી ઓલટાઇમ સપાટીને સર કરી હતી, જ્યારે સેન્સેક્સે આશરે 600 પોઇન્ટની છલાંગ લગાવી હતી. વૈશ્વિક બજારોથી મળેલા મજહૂત સંકેતો અને લાર્જકેપ શેરોમાં લેવાલીથી સેન્ટિમેન્ટ મજબૂત થયું હતું. BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.72 ટકા સુધી ઊછળ્યા હતા. રોકાણકારોની સંપ્તિમાં છ લાખ કરોડનો વધારો થયો હતો.

ભારતીય શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી-50 અને સેન્સેક્સ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં મજબૂત કમાણીની અપેક્ષા વચ્ચે બેંક, મેટલ અને ઓટો સેક્ટરના શેરોમાં વ્યાપક ખરીદી જોવા મળી હતી. નિફ્ટીએ ટ્રેડિંગ દરમિયાન 26,340નો નવો રેકોર્ડ બનાવ્યો અને અંતે 0.7 ટકાની વધારાની સાથે 26,328.55ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે બંધ રહ્યો. સેન્સેક્સ પણ 0.67 ટકા વધીને 85,762.01 પર બંધ થયો. સાપ્તાહિક આધાર પર નિફ્ટીમાં 1.1 ટકા અને સેન્સેક્સમાં 0.9 ટકાની વૃદ્ધિ નોંધાઈ.નવા વર્ષની શરૂઆતમાં યુરોપ અને બ્રિટનનાં બજારો પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યાં હતાં, જેને કારણે સ્થાનિક બજારને ટેકો મળ્યો. સપ્તાહ દરમિયાન 16માંથી 14 મુખ્ય સેક્ટરમાં વધારો નોંધાયો. બેંક, મેટલ અને ઓટો શેરોના સેક્ટરલ ઈન્ડેક્સ પણ નવા રેકોર્ડ પર પહોંચ્યા. સ્મોલકેપ અને મિડકેપ કંપનીઓના શેરોમાં અનુક્રમે 0.8 ટકા અને 1.7 ટકાનો વધારો થયો.

રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડનો વધારો

આ સપ્તાહમાં રોકાણકારોની કુલ સંપત્તિમાં 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો. બીએસઈમાં સૂચિબદ્ધ કંપનીઓનું માર્કેટ કેપ ગયા શુક્રવારે 4,74,80,489 કરોડ રૂપિયા હતું, જે આ શુક્રવારે વધીને 4,81,24,779 કરોડ રૂપિયા થયું. આ રીતે બીએસઈમાં સૂચિબદ્ધ કંપનીઓનું કુલ માર્કેટ કેપ આ સપ્તાહમાં 6,44,290 કરોડ રૂપિયાનો વધારો નોંધાવ્યો હતો.

BSE પર કુલ 4371 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2773 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1449 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 149 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 185 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 83 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 208 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 137 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

હિંસક પ્રદર્શન વચ્ચે ઈરાનમાં પ્રવેશ કરવા અમેરિકા તૈયારઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ ઈરાનમાં ખોમિનીની સરકાર સામે ચાલી રહેલાં પ્રદર્શનોમાં અમેરિકા કૂદવા માટે તૈયાર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની શાસનને ખુલ્લી ધમકી આપી છે કે જો શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરતા લોકોને ઈરાની શાસન મારતું રહેશે તો અમેરિકા તેમને બચાવવા માટે તૈયાર છે. એવું માનવામાં આવે છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખોમિનીને સત્તાથી હટાવવાની મુહિમ ચલાવી રહેલા આ પ્રદર્શનકારીઓને ક્યાંક ને ક્યાંક અમેરિકાનું સમર્થન મળતું હોવાનું મનાય છે.

ઈરાનમાં સત્તામાં બદલાવને લઈને ચાલી રહેલા પ્રદર્શનનો આજે છઠ્ઠો દિવસ છે. આર્થિક કારણોથી શરૂ થયેલાં આ પ્રદર્શનોએ હવે રાજકીય રંગ ધારણ કરી લીધો છે અને પ્રદર્શનકારીઓ ‘ડેથ ટુ ડિક્ટેટર’ અને ‘મુલ્લા દેશ છોડો’ જેવા નારા લગાવી રહ્યા છે. પ્રદર્શનકારીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહી અને ફાયરિંગમાં કેટલીક મોતની પણ માહિતી મળી છે. ઈરાનમાં સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યા છે.

માનવાધિકાર સંગઠનો મુજબ ઈરાનમાં પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસ ફાયરિંગમાં છ લોકોનાં મોત થયાં છે. કુહદશ્તમાં અમીરહેસમ ખોદાયારીફાર્દને સુરક્ષા દળોએ માથામાં ગોળી મારીને હત્યા કરી હતી. ફુલાદ શહેરમાં દારિયુશ અન્સારી બખ્તિયારીવંદને કલાશ્નિકોવ રાઇફલથી ગોળી મારી હતી. અજના અને લોરદેગાનમાં પણ ગોળીબારી દરમિયાન પ્રદર્શનકારીઓનાં મોત થયાં છે.

ઈરાન ઇન્ટરનેશનલની રિપોર્ટ અનુસાર ઈરાનના મર્વદશ્ત શહેરમાં પ્રદર્શનો દરમિયાન સુરક્ષા દળોની સીધી ગોળીબારીમાં એક પ્રદર્શનકારી માર્યો ગયો છે. મૃતકની ઓળખ ખોદાદાદ શરીફી મોનફારેદ તરીકે થઈ છે. તે સ્થાનિક રહેવાસી હતો. ગુરુવારે તાલેઘાની સ્ટ્રીટ પર વિરોધ પ્રદર્શન દરમિયાન તેને ગોળી વાગી હતી. આ પરિસ્થિતિઓ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે કે જો પ્રદર્શનકારીઓ મરાતા રહેશે તો અમેરિકા તેમના બચાવ માટે આગળ આવશે.

પ્રદર્શનકારીઓ પર વધુ કડકાઈ વધારશે ઈરાન

એ દરમિયાન ઈરાની સત્તાધીશો કોઈ પણ રીતે નરમ વલણ અપનાવતા દેખાતા નથી. ઈરાનના લોરેસ્તાન પ્રાંતના ચીફ જસ્ટિસ સઈદ શાહવારીએ જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં અજના અને ડેલ્ફાન શહેરોમાં ઘણા પ્રદર્શનકારીઓને ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા તેમણે જાહેર કરી નથી.

આતંક ફેલાવશો તો ભારત ચૂપ નહીં બેસેઃ વિદેશ મંત્રીની પાકને ચેતવણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા જિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા બાદ બે દિવસ પછી વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતના સારા અને ખરાબ પડોશીઓ અંગે ખુલ્લેઆમ વાત કરી. તેમણે કહ્યું કે પડોશ પ્રત્યે ભારતનો અભિગમ સંપૂર્ણપણે વ્યાવહારિક છે.

તેમણે કહ્યું હતું કે અમારા કેટલાક પડોશી ખરાબ પણ હોઈ શકે છે. દુર્ભાગ્યવશ, અમને પણ એવા પડોશી મળ્યા છે. જ્યારે પડોશી ખરાબ હોય — જેમ કે પશ્ચિમ તરફનો આપણો પડોશી — અને જો કોઈ દેશ જાણબૂજીને, સતત અને કોઈ પસ્તાવા વિના આતંકવાદને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કરે તો આતંકવાદ સામે પોતાના નાગરિકોની સુરક્ષા કરવાનો અમને સંપૂર્ણ અધિકાર છે. અને અમે આ અધિકારનો ઉપયોગ કરીશું.

આ અધિકારનો ઉપયોગ અમે કેવી રીતે કરીએ છીએ, તે અમારો નિર્ણય છે. કોઈ અમને કહી શકે નહીં કે અમારે શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ. પોતાની સુરક્ષા માટે જે કરવું પડશે, તે અમે કરીશું. ઘણાં વર્ષો પહેલાં અમે જળ વહેંચણી અંગે કરાર કર્યો હતો, પરંતુ જો દાયકાઓ સુધી આતંકવાદ ચાલુ રહે, તો સારા પડોશીનું અસ્તિત્વ જ રહેતું નથી. અને જ્યારે સારા પડોશી રહેતા નથી, ત્યારે તેના લાભ પણ મળતા નથી. તમે એવું કહી શકતા નથી કે મારે તમારી સાથે પાણી વહેંચવું છે, પરંતુ સાથે-સાથે હું તમારા પર આતંકવાદ પણ ચાલુ રાખીશ. એવી  આવી સમજૂતી શક્ય નથી.

કેટલાક પડોશીઓએ અત્યંત ગંભીર આર્થિક સંકટનો સામનો કર્યો હતો. તેનું એક ઉદાહરણ શ્રીલંકા છે અને ત્યારે અમે IMF સાથે તેમની વાતચીત બહુ ધીમી ગતિએ ચાલી રહી હતી, છતાં 4 અબજ ડોલરના પેકેજ સાથે તેમની મદદ કરી હતી,એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

બૅટલ ઑફ ગલવાનઃ ફિલ્મ કે ફ્રન્ટલાઈન ફાઇટ?

ચાલો ત્યારે, નવા વર્ષે શ્રીરામ રાઘવનની યુદ્ધની પૃષ્ઠભૂ ફિલ્મ ‘ઈક્કીસ’  રિલીઝ થઈ, જે માટે સર્ટિફિકેટ આપતાં પહેલાં સેન્સર બોર્ડે ફિલ્મમાં ચાર મોટા ફેરફાર કરાવ્યા. ભારત–પાકિસ્તાનના સંબંધ વિશેની 15 સેકન્ડનાં એક ડાયલોગ-સિક્વન્સ હટાવવામાં આવ્યાં. એક ટૅન્કનું નામ કાઢી નાખવાનું કહેવામાં આવ્યું, દારૂની બ્રાન્ડને બ્લર કરવામાં આવ્યા, વગેરે.

તે પછી બૉક્સ ઑફિસ પર બધી ફિલ્મમાં ‘ધુરંધર’ સાબિત થયેલી ડિરેક્ટર આદિત્ય ધરની ફિલ્મમાંથી બલૂચિસ્તાનના સંદર્ભવાળા અમુક સંવાદ કાઢી નાખવાનું કહેવામાં આવ્યું.

આ બન્ને આદેશ પહેલાં સલમાન ખાનની આગામી ફિલ્મ, અપૂર્વ લાખિયા દિગ્દર્શિત ‘બૅટલ ઑફ ગલવાન’ની એક ઝલક એના 60મા જન્મદિવસે રજૂ થઈ. ફિલ્મની રિલીઝ કાફી દૂર છે ત્યાં તો સરહદની પેલે પાર હોબાળો શરૂ થઈ ગયો. ફિલ્મ 2020ના ગલવાન વેલીમાં ભારત-ચીનના સંઘર્ષ તથા પત્રકાર શિવ અરૂર અને રાહુલસિંહના પુસ્તક ‘ઈન્ડિયા’ઝ મોસ્ટ ફીઅરલેસ 3’ના અમુક અંશ પર આધારિત છે. બન્ને દેશો વચ્ચે થયેલા દ્વિપક્ષી કરારના લીધે ગલવાન યુદ્ધ લાકડી અને પથ્થરથી લડવામાં આવેલું, જેમાં બિહાર રેજિમેન્ટના કર્નલ બી. સંતોષ બાબુ અને તેમના જવાનોએ ચીની સૈનિકો સામે બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો. સલમાન આ જાંબાઝ કર્નલ બી. સંતોષ બાબુનું પાત્ર ભજવે છે.

દરમિયાન ફિલ્મનું ટીઝર જોઈને ચીનાઓ બગડ્યા છે. એમનું કહેવું છે કે આમાં સચ્ચાઈ સાથે ચેડા થયા છે. અર્થાત્ રિલીઝ પહેલાં જ ડેમેજ કંટ્રોલ મોડ ઑન. બોલો.

જો કે ઈન્ડો-ચાયના વૉર આધારિત સલમાનની આ પહેલી ફિલ્મ નથી. કબીર ખાન દિગ્દર્શિત ‘ટ્યુબલાઈટ’ 1962ના ભારત-ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિમાં સર્જાયેલી. રિલીઝ પહેલાં ખૂબ ગાજેલી આ ફિલ્મે, જો કે, ટિકિટબારી પર ખાસ કાંઈ ઉકાળ્યું નહોતું. હા, સલમાન ખાનનો યુદ્ધ વિશેનો, કોઈ પણ ફિલ્ટર વિનાનો, અભિપ્રાય હિટ થયો હતો ખરો. સલમાને કહ્યું હતું કે “કોઈ પણ યુદ્ધ માટે સરકાર અને સિસ્ટમ જવાબદાર હોય છે.”

સલમાન કહે છે કે “યુદ્ધ સારું કે ખરાબ? એવું તમે પૂછો તો કોઈ નહીં કહે કે સારું છે. બે દેશ વચ્ચેનાં યુદ્ધ કે સંઘર્ષ વાતચીતથી સૉલ્વ થવાં જોઈએ. યુદ્ધ નેગેટિવ ઈમોશન છે. છતાં પણ લડાય છે… શા માટે એ કોઈને ખબર નથી.”

એ પછી તો સલમાન આખેઆખી માઈક ડ્રૉપ મૉમેન્ટ આપી દે છેઃ “જે લોકો યુદ્ધનો આદેશ આપે છે એમને જ બંદૂક આપીને મોરચે મોકલવા જોઈએ. પહેલાં એમને લડવા કહો. એક જ દિવસમાં યુદ્ધની સમાપ્તિ થઈ જશે, અને બન્ને દેશો વચ્ચે વાટઘાટ શરૂ થશે. ટ્યુબલાઈટ દ્વારા અમે એટલું જ કહેવા માગતા હતા કે યુદ્ધ બનેએટલું વહેલું ખતમ થવું જોઈએ, જેથી સૈનિકો એમનાં ઘરે પાછા ફરી શકે… કારણ કે યુદ્ધમાં કોઈ જીતતું નથી, બંને બાજુના પરિવારો હારે છે.”

ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે ‘ટ્યુબલાઈટ’ને ચીનમાં ભવ્ય રિલીઝ મળી હતી. તે વખતે ચીની મિડિયાએ ફિલ્મનાં વખાણ કરવામાં પાછળ વળીને જોયું નહોતું. મોટા ઈવેન્ટ્સ, હાઈપ, બધું થયું હતું.

-પણ ‘બૅટલ ઑફ ગલવાનને ચીનમાં રિલીઝ મળવી મિશન ઈમ્પોસિબલ લાગે છે. ખાસ કરીને જ્યારે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ ફિલ્મ પર ફેક્ટ્સ સાથે ચેડાં કરવાનો આરોપ લગાવી ચૂક્યું છે.

ચીની મિડિયાનું કહેવું છે કે ગલવાન વેલી ચીનની અંદર આવે છે અને ભારતીય સૈનિકો લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ વટાવીને અંદર ઘૂસ્યા હતા, એટલે સંઘર્ષ માટે ભારત જવાબદાર છે. ભારતનાં સરકારી સૂત્રોએ આ દાવાને સાફ શબ્દોમાં ફગાવતાં કહ્યું કે, જો કોઈને ‘બૅટલ ઑફ ગલવાન’થી સમસ્યા હોય તો ફિલ્મને નહીં, ભારતના રક્ષા મંત્રાલયને સવાલ પૂછો.

બાકી એટલું ચોક્કસ કે ‘બૅટલ ઑફ ગલવાન’ હવે માત્ર ફિલ્મ નથી. એ તો સિનેમા, સરહદ, રાષ્ટ્રવાદ અને ફ્રી સ્પીચ વચ્ચેનું કન્વર્સેશન છે. હવે જોવાનું એ છે કે આ લડાઈ સ્ક્રીન સુધી જ સીમિત રહેશે કે પછી સરહદ વળોટીને હેડલાઈન્સ બનશે.

બેંક લોન ફ્રોડ કેસમાં EDએ કંપનીની મિલકત કરી જપ્ત

નવી દિલ્હીઃ EDએ વિદેશમાં સંગ્રહિત કાળાં નાણાં સામે મોટી કાર્યવાહી કરતાં લંડનમાં બકિંઘહામ પેલેસ નજીક આવેલી અંદાજે 150 કરોડ રૂપિયાની મિલકતને જપ્ત કરી છે. આ મિલકત ટેક્સટાઇલ કંપની એસ કુમાર્સ નેશનવાઇડ લિમિટેડ અને તેના ભૂતપૂર્વ CMD નીતિન કાસલીવાલ સાથે જોડાયેલા બેંક લોન ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસથી સંબંધિત છે.

EDના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ મિલકતને જપ્ત કરવા માટે પ્રોવિઝનલ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે. આ હાઇ-વેલ્યુ મિલકત નીતિન શંભુકુમાર કાસલીવાલ અને તેમના પરિવારજનોની બેનિફિશિયલ ઓનરશિપ હેઠળ હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીનો આરોપ છે કે નીતિન કાસલીવાલે ભારતીય બેંકો સાથે અંદાજે 1400 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.આરોપ છે કે કંપની મારફતે વિદેશી રોકાણની આડમાં નાણાં ભારતની બહાર ડાયવર્ટ કરવામાં આવ્યા અને બાદમાં આ નાણાંથી વિદેશોમાં મોંઘી અચલ મિલકતો ખરીદવામાં આવી. આ મિલકતોને વિદેશી જ્યુરિસ્ડિક્શનમાં પ્રાઇવેટ ટ્રસ્ટ અને કંપનીઓના જટિલ માળખા દ્વારા છુપાવવામાં આવી હતી.

23 ડિસેમ્બરે કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોના વિશ્લેષણમાં મોટા ખુલાસાઓ થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે નીતિન કાસલીવાલે બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ, જર્સી અને સ્વિટ્ઝર્લેન્ડમાં ટ્રસ્ટ અને કંપનીઓની જાળ બિછાવી હતી.

કેથરીન ટ્રસ્ટમાં કાસલીવાલ પરિવારને મુખ્ય લાભાર્થી તરીકે દર્શાવવામાં આવ્યો છે, જર્સી અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સની એક કંપની મારફતે લંડનની આ મિલકતને નિયંત્રિત કરતો હતો. આ તરફ દેશમાં પણ આર્થિક ગુનાઓ સામે કાર્યવાહી તેજ રહી છે. જમ્મુ ક્રાઇમ બ્રાંચે વર્ષ 2025માં ગંભીર આર્થિક ગુનાઓના 67 કેસ નોંધ્યા, જે છેલ્લાં 25 વર્ષનો રેકોર્ડ છે. આ કેસોમાં 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. EOWએ વર્ષ દરમિયાન 1186 ફરિયાદોનું નિવારણ કર્યું છે અને 20 કરોડ રૂપિયાની નાણાકીય કિંમત ધરાવતા કેસોમાં ચાર્જશીટ દાખલ કરી છે.

World Introvert Day: પાંચ ઈન્ટ્રોવર્ટ વ્યક્તિત્વ જેમણે પોતાના કાર્યથી વૈશ્વિક સ્તરે પોતાનું નામ બનાવ્યું

2 જાન્યુઆરીના રોજ વિશ્વ અંતર્મુખી દિવસ (World Introvert Day) ઉજવવામાં આવે છે. કેટલીક શોધ બતાવે છે કે ઈન્ટ્રોવર્ટ લોકોમાં બ્રેન કેમિકલ અને મેસેન્જર અલગ રીતે કામ કરે છે.


દર વર્ષે 2 જાન્યુઆરીના રોજ વિશ્વ અંતર્મુખી દિવસ (World Introvert Day)ની ઉજવણી કરવામાં આવે છે. આપણે એવા ઈન્ટ્રોવર્ટ લોકો વિશે જાણીએ જેમણે વિશ્વ સ્તર પર પોતાનું નામ બનાવ્યું છે.

આલ્બર્ટ આઈન્સ્ટાઈન સર્વકાલીન સૌથી પ્રખ્યાત વૈજ્ઞાનિકોમાંના એક છે. તેમણે એક વાર કહ્યું હતું કે, “શાંત જીવનની એકવિધતા અને એકાંત સર્જનાત્મક મનને ઉત્સાહિત કરે છે, જે દર્શાવે છે કે તેઓ શાંતિને કેટલું મહત્વ આપે છે. આઈન્સ્ટાઈનને 1921 માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો અને તેઓ સાપેક્ષતાના સિદ્ધાંતને વિકસાવવા માટે જાણીતા છે, જેણે બ્રહ્માંડને સમજવાની આપણી રીત બદલી નાખી.”

ઇતિહાસના મહાન વૈજ્ઞાનિકોમાંના એક, સર આઇઝેક ન્યૂટન, ગતિ અને ગુરુત્વાકર્ષણના નિયમો પરના તેમના કાર્ય માટે જાણીતા છે. શાંત અને ખાનગી વ્યક્તિ, તેઓ વૈજ્ઞાનિક ક્રાંતિમાં એક કેન્દ્રિય વ્યક્તિ હતા, જે પ્રકાશશાસ્ત્રમાં તેમના ક્રાંતિકારી કાર્ય માટે જાણીતા હતા. જર્મન ગણિતશાસ્ત્રી ગોટફ્રાઈડ વિલ્હેમ લીબનિઝ સાથે મળીને, ન્યૂટનને કેલ્ક્યુલસના વિકાસનો શ્રેય પણ આપવામાં આવે છે, જોકે તેમણે લીબનિઝના ઘણા વર્ષો પહેલા તેને ઘડ્યું હતું.

બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટના સ્થાપક અને પ્રખ્યાત પરોપકારી છે. તેઓ 1970 અને 1980 ના દાયકાની માઇક્રોકોમ્પ્યુટર ક્રાંતિ દરમિયાન એક અગ્રણી ઉદ્યોગસાહસિક હતા. 1987 થી તેઓ ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં સામેલ છે. તેમણે 1995 થી 2017 અને 2010 થી 2013 સુધી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ મેળવ્યું હતું. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, ડિસેમ્બર 2023 સુધીમાં તેમની કુલ સંપત્તિ $140 બિલિયન હોવાનો અંદાજ છે, જે તેમને વિશ્વભરમાં ચોથા સૌથી ધનિક વ્યક્તિ બનાવે છે.

એલેનોર રૂઝવેલ્ટ એક પ્રભાવશાળી અમેરિકન રાજકીય વ્યક્તિ, રાજદ્વારી અને કાર્યકર્તા હતા. તેમણે 1933 થી 1945 સુધી સતત ચાર કાર્યકાળ માટે પ્રથમ મહિલા તરીકે સેવા આપી. માતાપિતા અને ભાઈ-બહેનોના મૃત્યુ સહિત વ્યક્તિગત સંઘર્ષોનો સામનો કરવા છતાં, તેઓ માનવ અધિકારો માટે એક શક્તિશાળી હિમાયતી અને સંયુક્ત રાષ્ટ્રમાં એક અગ્રણી પ્રતિનિધિ બન્યા.

ફેસબુક અને તેની પેરેન્ટ કંપની મેટાના સહ-સ્થાપક માર્ક ઝુકરબર્ગ એક પ્રખ્યાત ઉદ્યોગપતિ, પ્રોગ્રામર અને પરોપકારી છે. વિશ્વના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક તરીકે ઓળખાતા, તેમને 2010 માં ટાઇમના પર્સન ઓફ ધ યર તરીકે નામ આપવામાં આવ્યું હતું. 2023 માં, ફોર્બ્સે તેમની કુલ સંપત્તિ $124 બિલિયન હોવાનો અંદાજ લગાવ્યો હતો, જેનાથી તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક બન્યા હતા. તેમની વાર્તાએ એકેડેમી એવોર્ડ વિજેતા ફિલ્મ, ધ સોશિયલ નેટવર્કને પ્રેરણા આપી હતી.

સર્વેમાં 83 ટકા લોકોને EVM પર વિશ્વાસઃ ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ને લઈને કર્ણાટકની કોંગ્રેસ સરકાર દ્વારા કરાયેલા એક સર્વેમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર જનતાનો મજબૂત વિશ્વાસ હોવાનું સામે આવ્યું છે.આ સર્વે મુજબ 83 ટકાથી વધુ લોકોએ જણાવ્યું છે કે તેઓ EVMને વિશ્વસનીય માને છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર તીખો પ્રહાર કર્યો છે, જે લાંબા સમયથી ચૂંટણી પ્રક્રિયા અને EVMની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવતા આવ્યા છે.

સર્વેમાં શું સામે આવ્યું

‘લોકસભા ઇલેકશન 2024 – ઇવેલ્યુએશન ઓફ ઇન્ડલાઇન સર્વે ઓફ નોલેજ, એટિટ્યુડ એન્ડ પ્રેક્ટિસ ઓફ સિટિઝન્સ’ નામના આ સર્વેમાં 83.61 ટકા લોકોએ EVMને વિશ્વસનીય ગણાવી છે. જ્યારે 69.39 ટકા લોકોએ માન્યું કે EVM સાચાં પરિણામ આપે છે, અને 14.22 ટકા લોકોએ આ વાત સાથે સંપૂર્ણ રીતે સહમતી વ્યક્ત કરી છે.

5100 લોકોથી લેવાયો ફીડબેક

આ સર્વે કર્ણાટકના 102 વિધાનસભા વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો. તેમાં બેંગલુરુ, બેલગાવી, કલબુરગી અને મૈસુરુ પ્રશાસનિક ડિવિઝનના 5100 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ સર્વે કર્ણાટક સરકાર દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી વી. અનુબકુમાર મારફતે કરાવવામાં આવ્યો હતો.

ભાજપનો પ્રહાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણીમાં કથિત EVM ગડબડી અને ‘વોટ ચોરી’ને લઈને BJP અને ચૂંટણી પંચ પર સતત આરોપો કરતા રહ્યા છે. સર્વે પર પ્રતિક્રિયા આપતા BJPના કર્ણાટક વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા આર. અશોકે X પર લખ્યું હતું કે વર્ષોથી રાહુલ ગાંધી દેશભરમાં કહેતા આવ્યા છે કે ભારતનું લોકતંત્ર જોખમમાં છે અને EVM વિશ્વસનીય નથી. પરંતુ આજે કર્ણાટકની જનતાએ સંપૂર્ણપણે અલગ કહાની કહી છે.

BJPએ કહ્યું કે આ રાજ્યવ્યાપી સર્વે પરથી સ્પષ્ટ થાય છે કે લોકો ચૂંટણી પર વિશ્વાસ કરે છે, EVM પર વિશ્વાસ કરે છે અને ભારતની લોકશાહી પ્રક્રિયા પર પણ વિશ્વાસ ધરાવે છે. પાર્ટીએ તેને કોંગ્રેસ માટે ‘ચહેરા પર તમાચો’ ગણાવ્યો હતો.

BMC ચૂંટણીમાં પરિવાર પ્રથમનું રાજકારણ

મુંબઈઃ મુંબઈની બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની ચૂંટણીમાં આ વખતે રાજકારણના એક મુખ્ય સ્વરૂપ તરીકે “પરિવાર પહેલા” (Family-First)  રાજકારણનો ઉદય જોવા મળ્યો છે. 15 જાન્યુઆરીએ યોજાનારી BMC ચૂંટણી માટેની પ્રક્રિયા પૂર્ણ થતાં જ સ્પષ્ટ થઈ ગયું છે કે ઓછામાં ઓછા 43 નેતાઓએ પોતાના પરિવારજનોને ટિકિટ અપાવી છે, જેને કારણે રાજકીય વંશવાદની ભૂમિકા પર પ્રશ્નો ઊભા થયા છે.

રાજકીય વંશવાદ

આ વખતે મુંબઈમાં ચૂંટણી ટિકિટનું વિતરણ પારિવારિક સંબંધોને આધારે વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. ઓછામાં ઓછા 43 નેતાઓએ પોતાના નજીકના સંબંધીઓબાળકો, પત્નીઓ, ભાઈઓ, બહેનો અને અન્ય સગાંઓ માટે ટિકિટ સુનિશ્ચિત કરી છે.

આ 43 નેતાઓમાં મુખ્ય નામો આ મુજબ છે—

  1. ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકર – પોતાના પરિવાર માટે 3 ટિકિટ
  2. કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખ – પરિવાર માટે ત્રણ ટિકિટ
  3. પૂર્વ NCP ધારાસભ્ય નવાબ મલિક – 3 ટિકિટની શ્રેણીમાં સામેલ

 

મોટા ભાગના નેતાઓએ પોતાના પ્રભાવ અને ઓળખાયેલા મતબેંકના બળે પરિવારજનોને ટિકિટ અપાવી છે, ભલે પાર્ટી કાર્યકરોનો અનુભવ કે સિનિયોરિટી ઓછી હોય.

 કોણ-કયા સંબંધીઓને મેદાનમાં ઉતારી રહ્યું છે?

શિવસેના (શિંદે જૂથ)

 

દીપ્તિ વૈકર – સાંસદ રવિન્દ્ર વૈકરની દીકરી, વોર્ડ 73 (અંધેરી ઈસ્ટ)થી ચૂંટણી લડી રહી છે.

રવિન્દ્ર વૈકર ચાર વખત BMC કોર્પોરેટર રહ્યા છે, બાદમાં ધારાસભ્ય અને હવે સાંસદ છે.

ધારાસભ્ય દિલીપ લાંડેની પત્ની શૈલા લાંડેને વોર્ડ નંબર 163થી ઉમેદવારી.

ભાંડુપના ધારાસભ્ય અશોક પાટિલના પુત્ર રૂપેશ પાટિલને વોર્ડ નંબર 113થી ઉમેદવારી.

શિંદે જૂથના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય સદા સરવણકરના પુત્ર સમાધાનને વોર્ડ 194 અને દીકરી પ્રિયાને વોર્ડ 191થી ઉમેદવારી.

 ભાજપ

રાહુલ નાર્વેકરના પરિવાર સાથે જોડાયેલી ત્રણ ટિકિટ:

મકરંદ નાર્વેકર (ભાઈ) – વોર્ડ 226

હર્ષિતા નાર્વેકર (ભાભી/ભાઈની પત્ની) – વોર્ડ 227

ડૉ. ગૌરવી શિવાલકર (કઝિન/કઝિન બહેન) – વોર્ડ 227

નીલ સોમૈયા – પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાના પુત્ર, મુલુંડ (વોર્ડ 107)થી ચૂંટણી જીત્યા પણ છે, કારણ કે તકનિકી કારણોસર વિરોધી ઉમેદવારનું નામ રદ થયું હતું।

ભાજપના નેતા પ્રવીણ દરેકરના ભાઈ પ્રકાશ દરેકરને વોર્ડ 3થી ઉમેદવારી.

ભાજપના મુંબઈ પ્રદેશ અધ્યક્ષ અમિત સાટમના સાળાને વોર્ડ નંબર 68થી ઉમેદવારી.

કોંગ્રેસ

કોંગ્રેસે પણ અનેક પરિવારજનોને ટિકિટ આપી છે.

શું બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તાફિર રહેમાનના IPLમાં રમવા પર લાગશે પ્રતિબંધ?

નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બગડતા રાજકીય સંબંધો હોવા છતાં ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાનના ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) તરફથી રમવાની સંભાવના હજુ પણ છે. BCCI એ હાલમાં બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કર્યો છે અને “વેઇટ એન્ડ વોચ”ની નીતિ અપનાવી છે. BCCI  સરકારના નિર્દેશોની રાહ જોઈ રહ્યું છે.

મુસ્તાફિઝુર રહેમાન IPL 2026ની મિની હરાજીમાં વેચાતો એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી રહ્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) એ તેને 9.20 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હરાજી બાદ KKRને સોશિયલ મિડિયા પર ભારે આલોચનાનો સામનો કરવો પડ્યો છે. ફેન્સ અને કેટલાક રાજકીય નેતાઓએ બાંગ્લાદેશી ખેલાડીઓના IPLમાં રમવા પર સવાલ ઉઠાવ્યા છે.

BCCIએ શું કહ્યું?

ડિસેમ્બરમાં ઢાકામાં આવેલા ભારતીય દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન થયાં હતાં, જેના બાદ ભારતે વિઝા સેન્ટર બંધ કરી દીધું હતું અને બાંગ્લાદેશે પણ ભારતીય નાગરિકોને વિઝા આપવાનું બંધ કર્યું હતું. આ કારણે પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની ગઈ છે.

BCCIના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ સંવેદનશીલ છે. અમે સતત સરકારના સંપર્કમાં છીએ. હાલ એવી કોઈ વાત નથી કે જેના કારણે બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવો પડે. મુસ્તાફિઝુર IPL રમશે. બાંગ્લાદેશ કોઈ દુશ્મન દેશ નથી.

પરંતુ મુસ્તાફિઝુરની ઉપલબ્ધતા સંપૂર્ણ રીતે નિશ્ચિત નથી. એપ્રિલમાં બાંગ્લાદેશને ન્યૂઝીલેન્ડ સામે વનડે અને ટી20 શ્રેણી રમવાની છે. જો બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) મુસ્તાફિઝુરને NOC ન આપે, તો તે IPL 2026ની ઘણી મેચ ગુમાવે એવી શક્યતા છે. હાલના રાજકીય માહોલને જોતા એ પણ શક્ય છે કે BCB NOC આપવાનો ઇનકાર કરી દે અથવા મુસ્તાફિઝુર પોતે જ હટવાનો નિર્ણય લઈ લે.

BCCI ભારતીય વિદેશ મંત્રાલય (MEA) સાથે T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશી ખેલાડીઓના વિઝા મુદ્દે ચર્ચા કરી રહ્યું છે. બાંગ્લાદેશની ટીમ કોલકાતા અને મુંબઈમાં પોતાના ગ્રુપ સ્ટેજની મેચ રમશે. IPL 2026 વર્લ્ડ કપ પૂરો થયા બાદ 10 દિવસની અંદર શરૂ થવાનો છે, તેથી આશા છે કે મુસ્તાફિઝુર રહમાનનો વિઝા વર્લ્ડ કપના માધ્યમથી જ એક્સટેન્ડ થઈ જશે.

સુવિચાર – ૦૨ જાન્યુઆરી ૨૦૨૬