નિર્દેશક ચેતન આનંદની ફિલ્મ ‘હકીકત’ (1964) ના શુટિંગ દરમિયાન સંજય ખાન માટે
રડવાનું એક દ્રશ્ય ખરેખર અગ્નિપરીક્ષા જેવું સાબિત થયું હતું. તેને વાસ્તવિક બનાવવા પાછળની વાત બહુ દિલચસ્પ છે. સંજય ખાનની આ પહેલી જ ફિલ્મ હતી અને ચેતન આનંદ જેવા કડક શિસ્તવાળા દિગ્દર્શક સામે પોતાની જાતને સાબિત કરવાનું દબાણ હતું.
એક મહત્વના દ્રશ્યમાં સંજય ખાને ભાવુક થઈને રડવાનું હતું પણ નવાસવા હોવાને કારણે અને આટલા બધા દિગ્ગજ કલાકારોની હાજરીમાં ગ્લિસરીન વગર કુદરતી રીતે રડી શકતા નહોતા. ચેતન આનંદને ડ્રામામાં સહેજ પણ બનાવટ ગમતી ન હતી એટલે તેઓ વારંવાર રીટેક લઈ રહ્યા હતા પણ જોઈએ તેવું દર્દ સંજયના ચહેરા પર આવતું નહોતું.
આ જોઈને ચેતન આનંદે એક અનોખી તરકીબ અજમાવી. તે બધાની સામે સંજયને થોડા ખીજાયા અને તેમને એવો
અનુભવ કરાવ્યો કે જો તેઓ આ સીન બરાબર નહીં કરે તો કદાચ તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવશે. સંજય ખાન પોતે બહુ સંવેદનશીલ અને સ્વાભિમાની હતા. તેમને આ વાત દિલ પર લાગી ગઈ. તે જ સમયે લદ્દાખની હાડ થીજવતી ઠંડી અને પહાડોની એકલતાએ તેમના માનસિક દબાણમાં વધારો કર્યો. જ્યારે ફાઈનલ ટેક શરૂ થયો ત્યારે સંજયના મનમાં પોતાની કારકિર્દીની ચિંતા અને અપમાનિત થયાની લાગણી એટલી તીવ્ર બની ગઈ કે તેમની આંખોમાંથી સાચા આંસુ વહેવા માંડ્યા હતા.
ચેતન આનંદે કેમેરા ચાલુ રાખ્યો અને એ દ્રશ્ય એટલું તો વાસ્તવિક બન્યું કે સેટ પર હાજર ધર્મેન્દ્ર અને અન્ય કલાકારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પાછળથી ચેતન આનંદે સંજય ખાનને ગળે લગાવીને કહ્યું હતું કે આ બધું માત્ર તેમના અંદરના સાચા કલાકારને બહાર લાવવા માટેનું એક નાટક હતું. સંજય ખાને પોતે કબૂલ્યું હતું કે તે દિવસે તેમને સમજાયું કે અભિનય એ માત્ર ડાયલોગ બોલવામાં નથી પણ પાત્રની પીડાને પોતાની પીડા બનાવવામાં છે. આ રીતે એક નવા નિશાળિયા કલાકારે જીવનના વાસ્તવિક ડર અને લાગણીઓને ભેગી કરીને સિનેમાના પડદા પર એક અમર દ્રશ્ય કંડાર્યું હતું. હકીકત’ માં જે રડવાના દ્રશ્યની વાત છે તે ફિલ્મના સૌથી ભાવુક વળાંક પર આવે છે.
આ એ દ્રશ્ય છે જ્યારે યુદ્ધના મેદાનમાં કેપ્ટન રામ સિંહનું પાત્ર ભજવતા સંજય ખાન સાથી સૈનિકોને નજર સામે શહીદ થતા જુએ છે અને પોતે પણ લાચારી અનુભવે છે. પહાડોની વચ્ચે બરફથી ઢંકાયેલી જમીન પર લોહીથી લથપથ સાથીઓને જોઈને જ્યારે સંજય ખાનની ચીખ નીકળે છે અને તે રડે છે એ દ્રશ્ય જોઈને થિયેટરમાં પ્રેક્ષકો પણ રડી પડ્યા હતા.

ચેતન આનંદે સંજયની પસંદગી કરી તેનો એક રોમાંચક કિસ્સો છે. સંજય તે સમયે ફિલ્મોમાં આવવા માટે મુંબઈમાં દિગ્દર્શક સાદિક અલી પાસે કામ શીખતા હતા. ચેતન ‘હકીકત’ માટે એક એવો ચહેરો શોધી રહ્યા હતા જે યુવાન હોય, દેખાવડો હોય અને જેનામાં સૈનિક જેવી ગરિમા દેખાય. ચેતને સંજયને પહેલીવાર એક સામાજિક મેળાવડામાં જોયા હતા. સંજયની ઊંચાઈ, બોલવાની છટા અને વ્યક્તિત્વમાં રહેલા આત્મવિશ્વાસથી ચેતન એટલા પ્રભાવિત થયા કે તેમણે ત્યાં જ નક્કી કરી લીધું કે ‘હકીકત’ નો મહત્વનો સૈનિક આ જ છોકરો બનશે.
સંજયને જ્યારે ખબર પડી કે ચેતન આનંદ જેવા દિગ્ગજ તેમને બોલાવી રહ્યા છે ત્યારે પોતે પણ આશ્ચર્યમાં હતા. ચેતને કોઈ મોટો સ્ક્રીન ટેસ્ટ લીધા વગર જ સંજય સાથે થોડી વાતો કરી અને તેમની આંખોમાં કરુણા જોઈ ખાતરી થઈ ગઈ હતી કે આ છોકરો પડદા પર ઇમોશનલ સીન્સ બહુ સારી રીતે કરી શકશે. કોઈ મોટી ઓળખાણ વગર માત્ર પોતાની સ્ટાઈલ અને ચેતન આનંદની ઝવેરી જેવી નજરને કારણે સંજયને આ આઈકોનિક ફિલ્મમાં કામ કરવાની તક મળી ગઈ હતી.











BCCIનો મુસ્તફિઝુર રહેમાન KKRમાંથી દૂર કરવા આદેશ
મુંબઈઃ બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાન હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં ભાગ લઈ શકશે નહીં. BCCIના સચિવ દેવજિત સાયકિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. સાયકિયાએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને BCCIએ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને તેમની સ્ક્વોડમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવા માટે સૂચના આપી દીધી છે.
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો KKR તેની જગ્યાએ કોઈ અન્ય ખેલાડીને સ્ક્વોડમાં સામેલ કરવા માગે, તો BCCI તેની મંજૂરી આપશે. મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઇટ રાઇડર્સે IPL 2026 માટે યોજાયેલા મિની ઓક્શનમાં 9.20 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
ડાબોડી ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં સામેલ કર્યા બાદ KKRને સોશિયલ મિડિયા પર ભારે ટીકા સહન કરવી પડી હતી. ફેન્સ ઉપરાંત કેટલાક રાજકારણીઓ અને સાધુ-સંતોએ બાંગ્લાદેશી ખેલાડીના IPLમાં રમવા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.ઓગસ્ટ, 2024માં શેખ હસીના સરકારનું પતન થયા બાદ બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વધી છે અને અનેક હિંસક ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં બે હિંદુઓની નિર્મમ હત્યા બાદ દેશમાં બાંગ્લાદેશ સામે વિરોધ જોવા મળી રહ્યો છે.
BCCI ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ને લઈને બાંગ્લાદેશી ખેલાડીઓના વિઝા મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલય (MEA) સાથે સતત ચર્ચા કરી રહી છે. બાંગ્લાદેશની ટીમે ગ્રુપ સ્ટેજના પોતાના મુકાબલા કોલકાતા અને મુંબઈમાં રમવાના છે. બોર્ડને વિશ્વાસ છે કે ખેલાડીઓના વિઝા બાબતે કોઈ મોટી અડચણ નહીં આવે.
IPL 2025 માટે થયેલા મેગા ઓક્શનમાં કોઈ પણ ફ્રેન્ચાઇઝીએ બાંગ્લાદેશી ખેલાડીઓ પર બોલી લગાવી નહોતી. જોકે IPL 2026ના મિની ઓક્શનમાં KKRએ મુસ્તફિઝુર રહમાન પર કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. આ સાથે જ મુસ્તફિઝુર IPL ઇતિહાસના સૌથી મોંઘો બાંગ્લાદેશી ખેલાડી બની ગયો હતો.
મુસ્તફિઝુર રહેમાને IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH), મુંબઈ ઇન્ડિયન્સ (MI), રાજસ્થાન રોયલ્સ (RR), ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સ (DC) માટે મેચો રમી છે. 30 વર્ષના મુસ્તફિઝુરે અત્યાર સુધી 60 IPL મેચોમાં 28.44ની સરેરાશ અને 8.13ની ઇકોનોમી રેટ સાથે કુલ 65 વિકેટ ઝડપી છે.