BCCIનો મુસ્તફિઝુર રહેમાન KKRમાંથી દૂર કરવા આદેશ

મુંબઈઃ બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાન હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં ભાગ લઈ શકશે નહીં. BCCIના સચિવ દેવજિત સાયકિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. સાયકિયાએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને BCCIએ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને તેમની સ્ક્વોડમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવા માટે સૂચના આપી દીધી છે.

તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો KKR તેની જગ્યાએ કોઈ અન્ય ખેલાડીને સ્ક્વોડમાં સામેલ કરવા માગે, તો BCCI તેની મંજૂરી આપશે. મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઇટ રાઇડર્સે IPL 2026 માટે યોજાયેલા મિની ઓક્શનમાં 9.20 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

ડાબોડી ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં સામેલ કર્યા બાદ KKRને સોશિયલ મિડિયા પર ભારે ટીકા સહન કરવી પડી હતી. ફેન્સ ઉપરાંત કેટલાક રાજકારણીઓ અને સાધુ-સંતોએ બાંગ્લાદેશી ખેલાડીના IPLમાં રમવા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.ઓગસ્ટ, 2024માં શેખ હસીના સરકારનું પતન થયા બાદ બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વધી છે અને અનેક હિંસક ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં બે હિંદુઓની નિર્મમ હત્યા બાદ દેશમાં બાંગ્લાદેશ સામે વિરોધ જોવા મળી રહ્યો છે.

BCCI ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ને લઈને બાંગ્લાદેશી ખેલાડીઓના વિઝા મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલય (MEA) સાથે સતત ચર્ચા કરી રહી છે. બાંગ્લાદેશની ટીમે ગ્રુપ સ્ટેજના પોતાના મુકાબલા કોલકાતા અને મુંબઈમાં રમવાના છે. બોર્ડને વિશ્વાસ છે કે ખેલાડીઓના વિઝા બાબતે કોઈ મોટી અડચણ નહીં આવે.

IPL 2025 માટે થયેલા મેગા ઓક્શનમાં કોઈ પણ ફ્રેન્ચાઇઝીએ બાંગ્લાદેશી ખેલાડીઓ પર બોલી લગાવી નહોતી. જોકે IPL 2026ના મિની ઓક્શનમાં KKRએ મુસ્તફિઝુર રહમાન પર કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. આ સાથે જ મુસ્તફિઝુર IPL ઇતિહાસના સૌથી મોંઘો બાંગ્લાદેશી ખેલાડી બની ગયો હતો.

મુસ્તફિઝુર રહેમાને IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH), મુંબઈ ઇન્ડિયન્સ (MI), રાજસ્થાન રોયલ્સ (RR), ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સ (DC) માટે મેચો રમી છે. 30 વર્ષના મુસ્તફિઝુરે અત્યાર સુધી 60 IPL મેચોમાં 28.44ની સરેરાશ અને 8.13ની ઇકોનોમી રેટ સાથે કુલ 65 વિકેટ ઝડપી છે.