Home Blog Page 297

‘અખબાર બંધ કરી શકાતું નથી’: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: પંજાબ કેસરી અખબાર જૂથને સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપી. મંગળવારે પંજાબ સરકારને તેના પ્રકાશન સામે કોઈ જબરદસ્તી પગલાં ન લેવાનો નિર્દેશ આપ્યો. સાથે જ પ્રિન્ટિંગ પ્રેસને અવિરત રીતે કામ કરવાની મંજૂરી આપવાનો આદેશ પણ આપ્યો.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે હજુ સુધી આ મામલે પોતાનો ચુકાદો આપ્યો નથી. તેમ છતાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી દ્વારા અખબાર મેનેજમેન્ટ વતી મૌખિક તાકીદનો ઉલ્લેખ કર્યા પછી વચગાળાની રાહત આપી.

રોહતગીએ દાવો કર્યો હતો કે પંજાબ કેસરી અખબાર દ્વારા રાજ્ય સરકાર પર સવાલ ઉઠાવતા લેખો પ્રકાશિત કરવામાં આવ્યા. ત્યાર પછી તરત જ, મીડિયા જૂથ સામે શ્રેણીબદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં વીજળીનો કાપ, પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નોટિસ, પ્રિન્ટિંગ પ્રેસ બંધ કરવા, જૂથ દ્વારા સંચાલિત હોટલોને સીલ કરવા અને એફ.આઈ.આર. નોંધવાનો સમાવેશ થાય છે.

“આ બધું બે દિવસમાં થયું કારણ કે અમે એવા લેખો પ્રકાશિત કર્યા જે પંજાબમાં સરકારને અનુકૂળ ન હતા,” વરિષ્ઠ વકીલે ભારપૂર્વક જણાવ્યું કે, “લગભગ બે દાયકાથી કાર્યરત પ્રિન્ટિંગ પ્રેસને કથિત પ્રદૂષણ ઉલ્લંઘન બદલ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.”

“અખબાર બંધ કરી શકાતું નથી,” CJI કાંતની આગેવાની હેઠળની બેન્ચે અવલોકન કર્યું. પ્રિન્ટિંગ પ્રેસને કામ કરવાની મંજૂરી આપવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો. જો કે, તેણે સ્પષ્ટ કર્યું કે હોટલ સહિત જૂથના અન્ય વ્યાપારી મથકોના સંદર્ભમાં, હાલ માટે યથાસ્થિતિ જાળવી રાખવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે, “બંને પક્ષોના અધિકારોને પૂર્વગ્રહ રાખ્યા વિના અને કેસના ગુણદોષ પર કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યા વિના, પંજાબ કેસરી અખબારનું પ્રિન્ટિંગ પ્રેસ અવિરત રીતે કાર્ય કરવાનું ચાલુ રાખશે.” સાથે જ ઉમેર્યું કે વચગાળાની વ્યવસ્થા પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા ચુકાદો જાહેર થયા પછી એક અઠવાડિયા સુધી અમલમાં રહેશે.

રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ એડવોકેટ જનરલ (AAG) શાદાન ફરાસતે દલીલ કરી હતી કે તમામ કાર્યવાહી કાયદા અનુસાર કડક રીતે કરવામાં આવી હતી અને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે અખબાર જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી સમાન અરજીઓ પર પોતાનો ચુકાદો પહેલાથી જ અનામત રાખ્યો હતો.

શાદાન ફરાસતે ઉમેર્યું હતું કે ફક્ત એક જ યુનિટને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, આખા અખબારને નહીં. “અખબારનો ભાગ બંધ કરશો નહીં. હોટલ અથવા અન્ય વ્યાપારી સંસ્થાઓ, કોઈ સમજી શકે છે, થોડા દિવસો માટે બંધ કરી શકાય છે. પરંતુ અખબારને મંજૂરી આપો,” સીજેઆઈ કાંતની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું.

અગાઉ, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે મીડિયા જૂથ દ્વારા તેના પ્રિન્ટિંગ પ્રેસ અને હોટેલ બંધ કરવાને પડકારતી અરજીઓ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. પરંતુ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે મેનેજમેન્ટને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો.

બીજી તરફ પંજાબ કેસરી જૂથે આરોપ લગાવ્યો છે કે પરીક્ષણ અહેવાલોની રાહ જોયા વિના અથવા સુનાવણીની કોઈ તક આપ્યા વિના, નિરીક્ષણની તારીખે જ બંધ કરવાના આદેશો પસાર કરવામાં આવ્યા હતા.

અક્ષય કુમારની કારનો અકસ્માત, ઘાયલ ઓટો ડ્રાઈવરની હાલત ગંભીર

સોમવારે રાત્રે અક્ષય કુમારની સિક્યોરિટી કારનો અકસ્માત થયો હતો, જેમાં એક ઓટો-રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. હવે, ડ્રાઇવરના ભાઈએ અભિનેતાને અપીલ કરી છે.

સોમવારે મુંબઈમાં અક્ષય કુમારની સુરક્ષા ગાડીનો અકસ્માત થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે અભિનેતા અને તેમની પત્ની ટ્વિંકલ ખન્ના એરપોર્ટથી જુહુમાં તેમના ઘરે જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં એક ઓટો-રિક્ષા ચાલક ઘાયલ થયો હતો. તેના ભાઈએ હવે એક નિવેદન બહાર પાડીને ડ્રાઈવરની સ્થિતિ અંગે અપડેટ શેર કર્યું છે.

ઓટો-રિક્ષા ચાલકના ભાઈએ મદદ માટે વિનંતી કરી
ઓટો-રિક્ષા ચાલકના ભાઈ મોહમ્મદ સમીરે ANIને જણાવ્યું, “આ ઘટના રાત્રે 8 થી 8:30 વાગ્યાની આસપાસ બની. મારો ભાઈ રિક્ષા ચલાવી રહ્યો હતો ત્યારે અક્ષય કુમારની ઇનોવા અને તેની પાછળ એક મર્સિડીઝ હતી. જ્યારે મર્સિડીઝે ઇનોવાને ટક્કર મારી, ત્યારે ઇનોવા રિક્ષા સાથે અથડાઈ. પરિણામે, મારો ભાઈ અને અન્ય એક મુસાફર કાર નીચે ફસાઈ ગયા. આખી રિક્ષા નાશ પામી. મારા ભાઈની હાલત ખૂબ જ ગંભીર છે. મારી એક જ વિનંતી છે કે મારા ભાઈની યોગ્ય સારવાર કરવામાં આવે અને રિક્ષાને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે. અમને બીજું કંઈ જોઈતું નથી.”

પોલીસે અકસ્માત અંગે શું કહ્યું?
એએનઆઈ અનુસાર, મુંબઈ પોલીસે પણ અકસ્માત અંગે માહિતી શેર કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જુહુ વિસ્તારમાં બે કાર અને ઓટો-રિક્ષા વચ્ચે થયેલી ટક્કરમાં બે લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની એસ્કોર્ટ કાર પણ સામેલ હતી. ઘાયલોને બાદમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ કાર અકસ્માતમાં અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

કામની વાત કરીએ તો, અક્ષય કુમાર સૈફ અલી ખાન સાથે ફિલ્મ “હૈવાન” માં અભિનય કરી રહ્યા છે. સૈયામી ખેર તેની નાયિકા છે. પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની ધારણા છે.

ઝાઝા હાથ રળિયામણા

 

ઝાઝા હાથ રળિયામણા

 

 

નયા દૌર કરીને કે ચલચિત્ર આવ્યું હતું. એના ગીતની પંક્તિઓ –

साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना

एक अकेला थक जायेगा मिल कर बोझ उठाना

साथी हाथ बढ़ाना …

हम मेहनतवालों ने जब भी मिलकर कदम बढ़ाया

सागर ने रस्ता छोड़ा परबत ने शीश झुकाया

फ़ौलादी हैं सीने अपने फ़ौलादी हैं बाहें

हम चाहें तो पैदा करदें, चट्टानों में राहें, साथी …

एक से एक मिले तो कतरा बन जाता है दरिया

एक से एक मिले तो ज़र्रा बन जाता है सेहरा

एक से एक मिले तो राई बन सकती है परबत

एक से एक मिले तो इन्सान बस में कर ले किस्मत, साथी …

આમ કોઈ પણ કામ કરવું હોય તો સામૂહિક બળથી એ સારી રીતે અને ઝડપથી કરી શકાય. સહકાર અને તે થકી ઊભું થતું સામૂહિક બળ હંમેશાં રૂડાં પરિણામ લાવે છે. આ સંદર્ભમાં જ બીજી એક કહેવત – ‘ઝાઝી કીડીઓ સાપને તાણે’ પણ વાપરી શકાય.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

એક રૂપિયો અને અમર સંગીત: શંકરજીની અજાણી કહાની

ભારતીય ફિલ્મ સંગીતના ઇતિહાસમાં શંકર-જયકિશનનું નામ માત્ર એક સંગીતકાર જોડી તરીકે નહીં પણ એક આખી સંસ્થા તરીકે લેવાય છે. બોલિવૂડમાં ‘ચુનરીયા’ ગીતોના ગીતકાર તરીકે જાણીતા રહેલા સુધાકર શર્મા જ્યારે હરિયાણાથી મુંબઈ આવ્યા ત્યારે તેમનો એકમાત્ર શ્વાસ શંકર-જયકિશનનું સંગીત હતું.

એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે એક સામાન્ય ‘સ્ટ્રગલર’ તરીકે તેમણે શંકરજીને ત્યાં કામદાર તરીકેની શરૂઆત કરીને તેમના મનપસંદ ગીતકાર અને નિર્દેશક બનવા સુધીની સફર ખેડી હતી. તેમણે સંગીતકાર શંકર- જયકિશનના ‘ફેમસ સ્ટુડિયો’ માં ગાડી ધોવાનું અને ઓફિસ સાફ કરવાનું કામ કર્યું હતું. વર્ષોના સંઘર્ષ પછી જ્યારે સુધાકર શર્મા પોતે નિર્માતા-નિર્દેશક બન્યા અને પોતાની પહેલી ફિલ્મ ‘ગોરી’ (1991) શરૂ કરી ત્યારે તેમના મનમાં એક જ સપનું હતું કે મારી ફિલ્મમાં સંગીત તો માત્ર શંકર-જયકિશનનું જ હોય! સુધાકરજી 17-18 વર્ષ પછી જયકીશનજી હયાત ન હતા ત્યારે શંકરજીને મળવા તેમના મ્યુઝિક રૂમ પર ગયા. સુધાકરજી પોતાની સાથે એકવીસ હજાર રૂપિયા સાઈનિંગ અમાઉન્ટ તરીકે લઈને ગયા હતા.

શંકરજીએ પહેલા તો તેમને ઓળખ્યા નહીં પણ જ્યારે સુધાકરજીએ યાદ અપાવ્યું કે ‘હું એ જ છોકરો છું જે તમારી ગાડી ધોતો હતો’ ત્યારે શંકરજીની આંખો ભરાઈ આવી. તેમણે સુધાકરને એક બાપ પોતાના દીકરાને ભેટે એમ ગળે લગાડ્યા. જ્યારે સુધાકરજીએ ફિલ્મની ઓફર મૂકી ત્યારે શંકરજીએ રમૂજમાં પણ ગંભીરતાથી કહ્યું, ‘અચ્છા! જે કાલે અમારી નોકરી કરતો હતો એ આજે અમને નોકરી આપવા આવ્યો છે?!’ આ સાંભળીને સુધાકરજી ગભરાઈ ગયા અને તરત જ તેમના પગે પડી ગયા. તેમણે કહ્યું. ‘સાહેબ, હું તમને નોકરી આપવા નથી આવ્યો.

હું તો તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. હું ઈચ્છું છું કે મારી પહેલી ફિલ્મમાં સંગીત તમારું હોય.’ શંકરજીએ પૂછ્યું, ‘કેટલા પૈસા લાવ્યો છે?’ સુધાકરજીએ વીસ હજાર રૂપિયા ધર્યા ત્યારે શંકરજીએ એક અદભૂત વાત કરી. તેમણે કહ્યું, ‘આમાં એક રૂપિયો બીજો ઉમેરીને મને આપ.’ સુધાકરજીએ જેવો એક રૂપિયો આપ્યો કે શંકરજીએ જાહેર કર્યું: ‘જા, હું તારી આખી ફિલ્મનું સંગીત માત્ર આ 1 રૂપિયામાં જ કરીશ!’ અને શંકરજીએ માત્ર વાત નહોતી કરી પણ તેમણે એ ફિલ્મમાં એટલી જ મહેનત કરી જેટલી તેઓ રાજ કપૂરની ફિલ્મો માટે કરતા હતા. તેમણે સુધાકર શર્માને એક નિર્દેશક તરીકે પૂરેપૂરું સન્માન આપ્યું. સુધાકરજી કહે છે કે શંકરજી જેવો મોટો માણસ મારી સામે એવી રીતે વર્તતો હતો જાણે હું બહુ મોટો ડિરેક્ટર હોઉં અને તેઓ માત્ર એક સંગીતકાર.

આ કિસ્સો દર્શાવે છે કે શંકરજી માટે પૈસા ક્યારેય પ્રતિભા કે સંબંધોથી મોટા નહોતા. એક સમયે જે માણસે તેમની ગાડી સાફ કરી હતી તેની પ્રગતિ જોઈને એક સાચા ગુરુની જેમ શંકરજીએ પોતાનું સંગીત માત્ર એક રૂપિયાના શુકનમાં અર્પણ કરી દીધું હતું. સુધાકરજીનું દુર્ભાગ્ય એ રહ્યું કે એ ગીતના રેકોર્ડિંગ પહેલાં શંકરજીનું અવસાન થઈ ગયું હતું.

સુધાકર શર્માએ ઇન્ટરવ્યુમાં એક કડવો અનુભવ પણ શેર કર્યો હતો કે તેમનું કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયેલું ગીત ‘ગોરી હૈ કલાઈયાં, પહેની હૈ મૈંને હરી હરી ચૂડિયાં’ એક મોટા સંગીતકારે ફિલ્મ ‘આજ કા અર્જુન’ માં વાપરી લીધું હતું. સંગીતકાર શંકરજીએ 1 રૂપિયામાં જે સંગીત આપ્યું હતું એ બીજા સંગીતકારે નકલ કરી ચોરી લીધું હતું. જોકે, તે સમયે સુધાકરજી નાના હતા એટલે કશું કરી શક્યા નહીં પણ શંકરજી પાસેથી મળેલા સંસ્કારોને કારણે તેમણે ક્યારેય હિંમત હારી નહીં.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૦ જાન્યુઆરી ૨૦૨૬

પંચાંગ 20/01/2026

નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થશે 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી

ગુજરાતમાં 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી 26 જાન્યુઆરી 2026ના રોજ નવરચિત વાવ-થરાદ જિલ્લામાં કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં સવારે 9 કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે અને પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝિલશે. આ ઉજવણી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ દળ દ્વારા નિદર્શનો પ્રસ્તુત કરવામાં આવશે.

રાજ્યના વિવિધ જિલ્લાઓના તાલુકા મથકોએ યોજાનારી ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં મકરબા ખાતે ધ્વજવંદન કરાવશે. મંત્રી મંડળના અન્ય સભ્યો પણ વિવિધ સ્થળોએ હાજર રહેશે, જેમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ નવસારીના ચિખલીમાં, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી રાજકોટના જેતપુરમાં, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગરના માણસામાં, શ્રમ-રોજગાર મંત્રી કુંવરજી બાવળીયા પોરબંદરના રાણાવાવમાં, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ વલસાડના ઉમરગામમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા દાહોદના ગોવિંદગુરૂ-લિંબડીમાં, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા સાબરકાંઠાના હિંમતનગરમાં અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી ખેડાના ઠાસરામાં ધ્વજવંદન કરાવશે.

આ ઉપરાંત, રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ અલગ-અલગ તાલુકા મથકોએ રાષ્ટ્રધ્વજ લહેરાવશે. જળ સંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ નર્મદાના એકતાનગરમાં, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનિષાબેન વકિલ છોટાઉદેપુરના બોડેલીમાં, મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકી ગીર-સોમનાથના તાલાલામાં, શ્રમ-રોજગાર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા કચ્છના ભુજમાં, કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા પંચમહાલના હાલોલમાં, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા સુરેન્દ્રનગરના વઢવાણમાં અને કાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા ભાવનગરના વલ્લભીપુરમાં ધ્વજવંદન કરાવશે. તેમજ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળી મહેસાણાના વિસનગરમાં, રમત ગમત રાજ્ય મંત્રી ડો. જયરામ ગામિત ડાંગના આહવામાં, ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા અમરેલીના ખાંભામાં, નાણાં રાજ્ય મંત્રી કમલેશ પટેલ વડોદરાના વાઘોડિયામાં, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા આણંદના ખંભાતમાં, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી પી.સી. બરંડા મહિસાગરના કડાણામાં, કુટીર ઉદ્યોગ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર પાટણના શંખેશ્વરમાં અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા બોટાદના ગઢડામાં ધ્વજવંદન કરાવશે.

રાજ્યના અન્ય 9 જિલ્લાઓના તાલુકા મથકોએ જિલ્લા કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. જેમાં અરવલ્લીના મેઘરજ, બનાસકાંઠાના ઓગડ, ભરૂચના આમોદ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ, જામનગરના કાલાવડ, જુનાગઢના કેશોદ, મોરબીના ટંકારા, સુરતના માંડવી અને તાપીના ઉચ્છલનો સમાવેશ થાય છે.

બજેટમાં આ પાંચ મોટાં એલાનોથી ટેક્સપેયર્સની ફરિયાદો દૂર થવાની શક્યતા

નવી દિલ્હીઃનાણાપ્રધાને પાછલા બજેટમાં ટેક્સપેયર્સને મોટી રાહત આપી હતી. આ વખતે પણ ટેક્સપેયર્સને નાણાપ્રધાનથી ઘણી અપેક્ષાઓ છે. ખાસ કરીને ઇન્કમ ટેક્સની નવી રિજિમમાં ખાસ ડિડક્શનના અલાનની અપેક્ષા છે.

નવી રિજિમમાં પણ NPS પર વધારાની કપાતનો લાભ

ઇન્કમ ટેક્સની નવી રિજિમમાં મોટા ભાગનાને ડિડક્શન્સ  નથી મળતાં. જોકે સેક્શન 80CCD (2) હેઠળ કર્મચારીના NPS ખાતામાં એમ્પ્લોયર દ્વારા કરાયેલા યોગદાન પર ડિડક્શન મળે છે. નિષ્ણાતોનું માનવું છે કે સેક્શન 80CCD(1B) હેઠળ NPSમાં કરાયેલા યોગદાન પર મળતી વધારાની રૂ. 50,000ના ડિડક્શનનો લાભ નવી રિજિમના ટેક્સપેયર્સને પણ મળવો જોઈએ. સરકાર આ ડિડક્શન વધારીને રૂ. 1 લાખ કરે તો NPSમાં લોકોનો રસ વધશે.

ઓલ્ડ રિજિમ પસંદ કરવાની સરળ પ્રક્રિયા

બજેટ 2024માં સરકારે નવી ટેક્સ રિજિમને ડિફોલ્ટ બનાવી હતી. એટલે કે જો વ્યક્તિગત ટેક્સપેયર અથવા HUF ઓલ્ડ રિજિમ પસંદ કરવા માંગે તો તેને સેક્શન 10-IE હેઠળ તેની જાહેરાત કરવી પડે છે. ઘણા ટેક્સપેયર્સ આ જાહેરાત કરવાનું ભૂલી જાય છે અથવા પ્રક્રિયામાં ભૂલ થાય છે. જો સરકાર સીધા ITR ફોર્મમાં જ ઓલ્ડ રિજિમ પસંદ કરવાનો વિકલ્પ આપી દે, તો આ સમસ્યા દૂર થઈ શકે.

NPSમાં એક વારના વિથડ્રૉલ પર ટેક્સ નિયમો સ્પષ્ટ થવા જોઈએ

PFRDA દ્વારા તાજેતરમાં NPSમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મહત્વનો ફેરફાર વિથડ્રોલ નિયમોને લઈને છે. હવે જો સબ્સક્રાઇબરના ખાતામાં રૂ. 8 લાખ સુધીની રકમ હોય તો મેચ્યોરિટી પર આખી રકમ એક વારમાં કાઢી શકાય છે. જો રકમ રૂ. 8 લાખથી વધુ હોય તો 80 ટકા સુધી વિથડ્રોલ કરવાની મંજૂરી છે, જ્યારે અગાઉ આ મર્યાદા 60 ટકા હતી. પરંતુ વધારાના 20 ટકા વિથડ્રોલ પર ટેક્સ લાગશે કે નહીં, તે અંગે હજુ સ્પષ્ટતા નથી.

નવી રિજિમમાં ટર્મ લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પર ડિડક્શન

નિષ્ણાતો કહે છે કે નવી ટેક્સ રિજિમ હેઠળ પણ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પર ડિડક્શન મળવાં જોઈએ. આ પગલાથી ટર્મ અને હેલ્થ ઇન્શ્યોરન્સમાં લોકોનો રસ વધશે. આજના સમયમાં ટર્મ અને હેલ્થ ઇન્શ્યોરન્સ દરેક પરિવાર માટે આવશ્યક બની ગયાં છે. હાલ આ ડિડક્શન ફક્ત ઓલ્ડ ટેક્સ રિજિમમાં જ ઉપલબ્ધ છે.

પતિ-પત્ની માટે સંયુક્ત ઇન્કમ ટેક્સ રિટર્ન

ICAI (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા)એ સરકારને પતિ અને પત્ની માટે સંયુક્ત ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સુવિધા આપવાની ભલામણ કરી છે. આથી પરિવાર પરનો ટેક્સ બોજ ઘટશે. હાલ પતિ અને પત્નીને અલગ-અલગ ITR ફાઇલ કરવું પડે છે. જોઇન્ટ રિટર્ન ફાઇલ કરનારાઓ માટે બેસિક એક્ઝેમ્પ્શન લિમિટ અને ટેક્સ સ્લેબ્સ વધારી શકાય. અમેરિકા સહિત ઘણા દેશોમાં પતિ-પત્નીને સંયુક્ત ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી છે.

ભિખારી નીકળ્યો લાખો રૂપિયાની સંપત્તિનો માલિક, જાણો…

ઇન્દોરઃ ઇંદોરમાં પ્રશાસનનો દાવો છે કે ઇંદોર શહેર સંપૂર્ણપણે ભિખારીઓથી મુક્ત છે. ભિખારીઓ વિશે માહિતી આપનારને 1000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે ઇંદોર પ્રશાસને કુષ્ઠરોગથી પીડિત એક 50 વર્ષના ભિખારીને બચાવ્યો છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ વ્યક્તિ ત્રણ મકાન, એક કાર અને ત્રણ ઓટો રિક્ષા સહિત લાખો રૂપિયાની સંપત્તિનો માલિક છે. ઇંદોરમાં ભીખ માગવા ઉપરાંત ભીખ આપવી અને ભિખારીઓ પાસેથી કોઈ પણ વસ્તુ ખરીદવા પર પણ કાનૂની પ્રતિબંધ છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી દિનેશ મિશ્રાએ જણાવ્યું કે સામાન્ય લોકો પાસેથી મળેલી માહિતીના આધારે સર્રાફા વિસ્તારમાં ભીખ માંગતા કુષ્ઠરોગી વ્યક્તિને મુક્ત કરાવવામાં આવ્યો છે. મિશ્રા પોતે ભિક્ષાવૃત્તિ ઉન્મૂલન અભિયાન (Beggary Eradication Campaign)ના નોડલ અધિકારી છે.

અધિકારી દિનેશ મિશ્રાએ કહ્યું હતું કે અમને માહિતી મળી છે કે આ વ્યક્તિ પાસે ત્રણ પાકા મકાન છે, જેમાં એક ત્રણ માળનું મકાન પણ સામેલ છે. આ ઉપરાંત તેની પાસે ત્રણ ઓટો રિક્ષા છે, જેને તેણે ભાડે આપેલા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ વ્યક્તિ પાસે એક કાર પણ છે, જેમાં બેસીને તે ભીખ માગવા જાય છે અને તેના માટે તેણે ડ્રાઈવરપણ રાખ્યો છે.

ઉધાર આપીને વ્યાજ વસૂલ કરે છે – દિનેશ મિશ્રા

મિશ્રાએ જણાવ્યું હતું કે  કુષ્ઠરોગથી પીડિત આ વ્યક્તિ પૈડાવાળી ઘસડાતી ગાડી પર બેસીને ભીખ માગે છે. તેમના અનુસાર, આ વ્યક્તિ વર્ષ 2021-22થી ભીખ માગી રહ્યો છે અને એવી પણ માહિતી મળી છે કે તેણે સર્રાફા વિસ્તારમાં લોકોને ચારથી પાંચ લાખ રૂપિયા ઉધાર આપેલા છે, જેના પર તે રોજ વ્યાજ વસૂલ કરે છે.

અધિકારીએ જણાવ્યું હતું કે આ વ્યાજમાંથી તે દરરોજ 1000થી 2000 રૂપિયા કમાય છે. આ ઉપરાંત, તેને દરરોજ 400થી 500 રૂપિયા ભીખ રૂપે પણ મળી જાય છે. મિશ્રાએ જણાવ્યું કે આ વ્યક્તિને હાલમાં શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યો છે. ડીએમ શિવમ વર્માએ કહ્યું કે ઇંદોર ભિખારીઓથી મુક્ત શહેર છે. ભીખ માંગવાની કોઈ પણ માહિતી મળતાં ભિખારીઓનું પુનર્વસન કરવામાં આવે છે.