રાજકોટ: 1600 કિમી લાંબો દરિયાકિનારો, પિરોટન ટાપુઓનું અદભૂત વૈવિધ્ય અને ડોલ્ફિનના વિહાર જેવી કુદરતી સંપદાથી સભર ગુજરાત હવે વિશ્વના પર્યટન નકશા પર ચમકવા માટે સજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ₹20 કરોડના વિશેષ બજેટ સાથે ‘ઇકો અને મરીન ટૂરિઝમ’ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો છે. આ માત્ર પ્રવાસનનો વિકાસ નથી, પરંતુ સ્થાનિક આર્થિક ઉત્થાન અને રોજગારીના નવા દ્વાર ખોલવાનું એક ભગીરથ અભિયાન છે.
શું છે મુખ્ય આકર્ષણો?
મરીન ટૂરિઝમ:જામનગર અને દ્વારકાના ૨૨ ટાપુઓ પૈકી પિરોટન મરીન નેશનલ પાર્કનો ઇકો-ટૂરિઝમ સાઇટ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. બેટ દ્વારકાનું ‘ડોલ્ફિન ટૂરિઝમ’ અને ઓખામઢીમાં ‘ટર્ટલ ટૂરિઝમ’ પ્રકૃતિપ્રેમીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
કોસ્ટલ બ્યુટી: માધવપુર, નવદરા અને જાફરાબાદ જેવા રમણીય કિનારાઓ પર એડવેન્ચર સ્પોર્ટ્સને વેગ આપવામાં આવી રહ્યો છે, જે સ્થાનિક માછીમારો અને નાના વેપારીઓ માટે આવકનું નવું સાધન બની રહ્યા છે.
જંગલ અને પહાડનો વૈભવ: દરિયાની સાથે સાથે પંચમહાલનું જંબુઘોડા અભયારણ્ય (ભાટ અને ધનપુરી) હવે વાઇલ્ડલાઇફ અને ટ્રેકિંગ માટે પ્રખ્યાત થઈ રહ્યું છે. જ્યારે ડાંગના સાપુતારામાં નવી પ્રવાસન નીતિઓને લીધે આદિવાસી હસ્તકલા અને હોટેલ ઉદ્યોગને નવજીવન મળ્યું છે.
રોજગારી અને અર્થતંત્રને નવી ગતિ
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પ્રવાસીઓને આકર્ષવાનો નથી, પરંતુ ‘લોકલ ફોર વોકલ’ને પ્રોત્સાહન આપી સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડવાનો છે. હોસ્પિટાલિટી, ગાઈડ સર્વિસ, હસ્તકલાના વેચાણ અને નાના વેપારમાં આ પહેલથી મોટા પાયે વૃદ્ધિ જોવા મળી રહી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના મતે, પર્યાવરણની સુરક્ષા જાળવીને પ્રવાસનનો વિકાસ કરવો એ જ ગુજરાતનું લક્ષ્ય છે, જે રાજ્યને દેશનું અગ્રણી ઇકો-મરીન ડેસ્ટિનેશન બનાવશે.




