Home Blog Page 2768

ભારતીય સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે મૂડીરોકાણ 44 ટકા ઘટ્યું

નવી દિલ્હીઃ ભારતીય સ્ટાર્ટઅપ હલમાં નવા મૂડીરોકાણની તંગી સામે ઝઝૂમી રહ્યું છે. નવું મૂડીરોકાણ નથી આવી રહ્યું, જ્યારે હાલના રોકાણકાર પણ વેલ્યુએશનથી સમજૂતી કરીને મૂડીરોકાણ કરવાના વાયદા કરી રહ્યા છે. દેશમાં પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ ફંડના મૂડીરોકાણમાં ઘટાડોનો સિલસિલો મેમાં પણ જારી રહ્યો હતો. કુલ મળીને મૂડીરોકાણનું મૂલ્ય ઘટીને આશરે 44 ટકા ઘટીને 3.5 અબજ ડોલર રહ્યું છે, એમ એક તાજો અહેવાલ કહે છે.ઉદ્યોગ માટે જનસંપર્કનું કામકરતી IVCA અને પરામર્શ કંપની EYએ કહ્યું હતું કે પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ ફંડનું મૂડીરોકાણ ગયા વર્ષના મેમાં 6.2 અબજ ડોલર તથા એપ્રિલ,2023માં 7.4 અબજ ડોલર હતું. એ દરમ્યાન પ્રાઇવેટ ઇક્વિટીમાં 44 ટકાનો અને વેન્ચર કેપિટલમાં 52 ટકાનો ઘટાડો આવ્યો હતો. ટેક્નિકલ ક્ષેત્રથી જોડાયેલા સૂચકાંકો અને કેટલીક મોટી વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓમાં રિસ્ટ્રક્ચરિંગ જોયા છતાં આ ક્ષેત્રમાં મૂડીરોકાણને લઈને દેશમાં ધારણા નબળી રહી છે, એમ EYના ભાગીદાર વિવેક સોનીએ કહ્યું હતું.

ભારતીય સ્ટાર્ટઅપ નાણાં એકત્ર કરવાને મામલે સુસ્ત રહ્યાં છે. તેમણે કહ્યુ હતું કે માત્ર આરોગ્ય અને નાણાકીય સેવાઓમાં કેટલુંક મૂડીરોકાણ જોવા મળ્યું. જોકે મધ્યમ સમયગાળામાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે મૂડીરોકાણ પ્રોત્સાહક બનવાની અપેક્ષા છે અને આ વર્ષે કુલ ગયા વર્ષે મૂડીરોકાણ ગયા વર્ષની તુલનાએ વધુ આવવાની સંભાવના છે.

સ્ટાર્ટઅપ માટે રિયલ એસ્ટેટ પસંદગીનું ક્ષેત્ર છે. આ ક્ષેત્રે કુલ સોદાની સંખ્યા 71 રહી છે, જે ગયા વર્ષની તુલનાએ 42 ટકા ઓછી છે. આ ક્ષેત્રે સાત સોદા દ્વારા 1.2 અબજ ડોલરનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું.

 

 

 

 

પોતાને શિક્ષણ આપનાર સંસ્થા ‘IIT મુંબઈ’ને નંદન નીલેકણીએ રૂ. 315 કરોડનું દાન આપ્યું

મુંબઈઃ દેશની દિગ્ગજ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ઈન્ફોસીસના સહ-સંસ્થાપક અને નોન-એક્ઝિક્યૂટિવ ચેરમેન નંદન નીલેકણીએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-મુંબઈ (આઈઆઈટી-મુંબઈ) સંસ્થાને રૂ. 315 કરોડનું દાન આપ્યું છે. તેઓ આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. નીલેકણી રાષ્ટ્રીય ઓળખપત્ર અથવા યૂનિક આઈડેન્ટિટી કાર્ડ (આધાર કાર્ડ) યોજનાના સંસ્થાપક ચેરમેન છે.

નીલેકણીએ અગાઉ પણ આઈઆઈટી-મુંબઈ સંસ્થાને રૂ. 85 કરોડનું દાન આપ્યું હતું. દાનની નવી રકમથી આ સંસ્થાને જાગતિક સ્તરે પાયાભૂત સુવિધા તૈયાર કરવામાં મદદ મળશે. તે ઉપરાંત, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં નવા સંશોધન અને સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં પ્રોત્સાહન પણ મળશે.

આઈઆઈટી-મુંબઈને નીલેકણીએ આપેલું દાન સૌથી મોટી રકમનું છે. એમણે 1973માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી માટે આઈઆઈટી-મુંબઈમાં પ્રવેશ મેળવ્યો હતો. નીલેકણીએ કહ્યું છે, આ સંસ્થાનું મારા જીવનમાં અસાધારણ મહત્ત્વ છે. આ સંસ્થાએ મને ઘણું જ આપ્યું છે. મારી જિંદગીના શરૂઆતના તબક્કામાં મારી કારકિર્દીને આકાર આ સંસ્થાએ આપ્યો હતો. આ સંસ્થા સાથેના મારા સંબંધે આજે 50મા વર્ષમાં પદાર્પણ કર્યું છે. તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મેં આ દાન આપ્યું છે.

‘વસુધૈવ કુટુંબકમ્’, G-20ની થીમ સાથેની ટ્રક આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદઃ 146મી રથયાત્રામાં જુદી-જુદી થીમ,  વેશભૂષા, મંદિરો,  કંપનીઓની  જાહેરાતો, પ્રસાદના અને અમદાવાદને નશામુક્ત બનાવવાના મેસેજ સાથેના ટ્રકો જોવા મળ્યા હતા, પરંતુ આ બધીય ટ્રકોમાં પાલડીના એક ડેકરેટર્સની ટ્રક આકર્ષણનું કેન્દ્ર હતી. જેમાં G-20ની થીમ ટ્રક પર તૈયાર કરવામાં આવી હતી. હાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

આ સાથે દુનિયા એક પરિવાર છે. એ સંદેશો ‘વસુધૈવ કુટુંબકમ્’ ના નારા સાથે જગતને જોડવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદ શહેરની રથયાત્રાનું જીવંત પ્રસારણ થતું હોય છે. હાલ દેશમાં G-20 એક ચર્ચાનો વિષય છે. ત્યારે રથયાત્રાની એક ટ્રકમાં ભારત, રશિયા, અમેરિકા, જાપાન, ઈન્ડોનેશિયા, ઇટાલી, ઓસ્ટ્રેલિયા,  કેનેડા, ફ્રાન્સ અને યુકે જેવા દેશોના વડા પ્રધાનો સાથે નરેન્દ્ર મોદીનો મૈત્રી ભાવ દર્શાવતા કટ આઉટ અને વિવિધ દેશોના ફ્લેગ તૈયાર કરી મૂકવામાં આવ્યા હતા.

આ ધાર્મિક રથયાત્રામાં દેશોને જોડવાનો વિચાર અને વસુધૈવ કુટુંબકમની પ્રસ્તુતિ દર્શાવતી પાલડીની ટ્રક તમામ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

અમદાવાદની 146મી રથયાત્રાની તસવીરી ઝલક…

 અષાઢી બીજે ભગવાન જગન્નાથજી નગરજનોને દર્શન આવા માટે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નવા રથમાં વિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા છે. અમદાવાદની રથયાત્રા રંગેચંગે સંપન્ન થાય એ માટે સુરક્ષા સલામતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે પ્રથમ વખત એન્ટિ ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. હિટ ટીમ અને 3ડી મેપિંગ ટેક્નોલોજીથી પ્રથમ વખત સમગ્ર રૂટનો 3ડી મેપ તૈયાર કર્યો છે.

આ પ્રકારનું 3D મેપિંગ, AI ઇમેજિંગ અને 360 ડિગ્રી મોનિટરિંગ સિસ્ટમનો સમન્વય કે જ GPS સક્ષમ સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમની મદદથી અમદાવાદ પોલીસ રથયાત્રાના રૂટ પર પળેપળની સ્થિતિ પર બાજ નજર રાખી રહી છે.  સવારથી શરૂ થયેલી રથયાત્રા કોટ વિસ્તારમાં થઈને સાંજે નિજમંદિરે પરત ફરશે.

જમાલપુર નિજ મંદિરથી પ્રસ્થાન થયેલા ભગવાનના ત્રણેય રથ બપોર સુધીમાં મોસાળ સરસપુરમાં પહોંચે છે. જ્યાં ઢોલ-નગારા અને માનવમેદની વચ્ચે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યા બાદ મામેરું ભરવામાં આવે છે. ભગવાનનાં દર્શન કરવા માટે શહેરમાં માનવ મહેરામણ ઊભરાય છે.

જગન્નાથજીના મંદિરેથી નીકળેલી રથયાત્રા પરંપરાગત માર્ગ પર- શહેરના જમાલપુર, ખમાસા, દાણાપીઠ અને મહાનગરપાલિકાની કચેરીથી આગળ વધી રહેલી રથયાત્રા મોસાળ સરસપુર જઈ ભોજન અને વિરામ લે છે.

ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજી નવા રથમાં બિરાજમાન હતા. રથયાત્રાના રૂટ પરના તમામ માર્ગો પર ભાવિક ભક્તો ભગવાનનાં દર્શનની એક ઝલક મેળવવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ રથયાત્રામાં અખાડા દ્વારા વિવિધ કરતબો કરવામાં આવી રહ્યા છે. 

બીજી તરફ બાગેશ્વરની ઝાંખીએ પણ આકર્ષણ જમાવ્યું, જેનો વિડિયો પણ સામે આવ્યો છે. આ વખતે પણ જુદા-જુદા થીમ સાથે શણગારેલી ટ્રકો એ રથયાત્રામાં ભાગ લીધો હતો. લાકડી દાવ, બોડી બિલ્ડિંગ અને જોખમી કરતબ કરતાં અખાડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભગવાનની રથયાત્રા હોય એટલે ઉત્સાહી અને ભાવિક ભક્તોની  ભજન મંડળીઓ તો હોય જ.

આ વખતે રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ જોડાઈ છે અને રથયાત્રા દરમિયાન 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ આપવામાં આવશે.

રથયાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં જગન્નાથજીની નાની પ્રતિકૃતિ, રંગબેરંગી પહેરવેશ, શરીર પર ચિત્રો,  ટેટુ લખાણ સાથે ભજન મંડળીઓએ વાતાવરણને ભક્તિમય કરી દીધું હતું. જે વિસ્તારમાંથી જગન્નાથજીની રથયાત્રા પસાર થઈ ત્યાં સ્થાનિક આગેવાનો, સામાજિક સંગઠનો અને ભક્તોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું.

ગૃહપ્રધાન અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળા આરતીમાં ભાગ લીધો હતો. રાજ્યના મુખ્યમંત્રીને મળે છે. રથયાત્રાના પ્રારંભે CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી છે. તેમની સાથે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

અમેરિકામાં અનેક નામાંકિત હસ્તીઓ સાથે મોદીજીની મુલાકાત નિર્ધારિત છે

ન્યૂયોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રમુખના આમંત્રણનો સ્વીકાર કરીને પહેલી જ વાર આ દેશની સત્તાવાર મુલાકાત લઈ રહ્યા છે. તેઓ આજે નવી દિલ્હીથી રવાના થઈ ચૂક્યા  છે અને 24 જૂન સુધી ન્યૂયોર્ક, વોશિંગ્ટન ડીસીમાં રહેશે. પહેલાં તેઓ ન્યૂયોર્કમાં રહેશે. ત્યાં તેઓ લગભગ 24 મહારથીઓને મળવાના છે. એમાં નોબેલ ઈનામ વિજેતાઓ, અર્થશાસ્ત્રીઓ, કલાકારો, વિજ્ઞાનીઓ, ઉદ્યોગસાહસીઓ, વિદ્વાનો, શિક્ષણશાસ્ત્રીઓ, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો તથા બીજા ઘણાનો સમાવેશ થાય છે.

પીએમ મોદી ટેસ્લા કંપનીના સહ-સ્થાપક ઈલોન મસ્ક, ખગોળભૌતિકશાસ્ત્રી નીલ ડીગ્રાસ ટાયસન, ગ્રેમી એવોર્ડવિજેતા ભારતીય-અમેરિકન ગાયિકા ફાલુ (ફાલ્ગુની શાહ), પૌલ રોમર, નિકોલસ નસીમ તલેબ, રે ડેલિઓ, જેફ સ્મિથ, માઈકલ ફ્રોમેન ડેનિયલ રસેલ, એલ્બ્રિજ કોલ્બી, ડો. પીટર એગર, ડો. સ્ટીફન ક્લાસ્કો, ચંદ્રિકા ટંડન જેવા દિગ્ગજ વ્યક્તિઓને મળવાના છે. મોદીએ અમેરિકા માટે રવાના થતા પૂર્વે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એમના આ પ્રવાસનો ઉદ્દેશ્ય વ્યાપાર-ઉદ્યોગ, વાણિજ્ય, ઈનોવેશન, ટેક્નોલોજી તથા આવા અન્ય ક્ષેત્રોમાં ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને વધારે મજબૂત બનાવવાનો છે.

આવતીકાલે 21 જૂને, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોઈ, પીએમ મોદી ન્યૂયોર્કમાં યૂએન મુખ્યાલયમાં યોગ દિવસના ઉજવણી કાર્યક્રમની આગેવાની લેશે. તે કાર્યક્રમમાં અનેક દેશોના પ્રતિનિધિઓ, રાજદૂતો, અધિકારીઓ, સિલિકોન વેલીના ટેક્નોલોજી મહારથીઓ પણ એમની સાથે જોડાશે.

અમેરિકન પ્રમુખ જો બાઈડન અને એમના પત્ની ફર્સ્ટ લેડી જિલ બાઈડને એમના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસ ખાતે પીએમ મોદીના માનમાં ખાસ ભોજન સમારંભનું આયોજન કર્યું છે. અમેરિકાની મુલાકાત બાદ 24-25 જૂન મોદી ઈજિપ્ત જશે. કોઈ ભારતીય વડા પ્રધાન ઈજિપ્તના સત્તાવાર પ્રવાસે આવે એવો 1995 બાદ આ પહેલો જ પ્રસંગ બનશે.

‘આદિપુરુષ’ પર પ્રતિબંધ મૂકોઃ સિનેમાક્ષેત્રના કાર્યકરોની પીએમ મોદીને અપીલ

મુંબઈઃ ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે થિયેટરોમાં ‘આદિપુરુષ’ ફિલ્મના પ્રદર્શન પર તેઓ તત્કાળ પ્રતિબંધ મૂકાવે અને આ ફિલ્મને ભવિષ્યમાં ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર પણ રજૂ કરવા પર પ્રતિબંધ મૂકી દે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે, આ ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત, સંવાદલેખક મનોજ મુંતશિર શુક્લા અને નિર્માતાઓ વિરુદ્ધ પોલીસમાં એફઆઈઆર ફરિયાદ નોંધાવી જોઈએ. ‘આદિપુરુષ’ ફિલ્મની પટકથા અને સંવાદો ભગવાન રામ અને ભગવાન હનુમાનની પ્રતિષ્ઠાને લાંછન લગાડનાર છે. આ ફિલ્મે હિન્દુ અને સનાતન ધર્મનાં લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે. પ્રભુ શ્રી રામ ભારતમાં પ્રત્યેક જણ માટે ભગવાન છે, પછી એ વ્યક્તિ ભલે કોઈ પણ ધર્મની હોય. આ ફિલ્મમાં ભગવાન રામ અને રાવણના પાત્રોને કોઈ વિડિયો ગેમના પાત્રો જેવા દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મના ડાયલોગ્સ ભારતમાં તેમજ દુનિયાભરમાં વસતા પ્રત્યેક ભારતીયની લાગણીને ઠેસ પહોંચાડનારા છે. ભારતીય સિનેમાના ઈતિહાસની આ સૌથી શરમજનક ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાને કામ કરવું જોઈતું નહોતું. ‘આદિપુરુષ’ ફિલ્મ શ્રી રામ અને રામાયણ ગ્રંથમાં રહેલી આપણી શ્રદ્ધા પર એક ઘોર આપત્તિ સમાન છે.

146મી રથયાત્રાઃ નગરચર્યાએ નીકળ્યા જગતના નાથ

અમદાવાદઃ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરેથી અષાઢી બીજની રથયાત્રા સવારે પરંપરાગત માર્ગ પર શરૂ થઈ હતી. શહેરના જમાલપુર, ખમાસા, દાણાપીઠ અને મહાનગરપાલિકાની કચેરીથી આગળ વધી રહેલી રથયાત્રા મોસાળ સરસપુર જઈ ભોજન અને વિરામ લે છે.

ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજી નવા રથમાં બિરાજમાન હતા. રથયાત્રાના રૂટ પરના તમામ માર્ગો પર ભાવિક ભક્તો ભગવાનનાં દર્શનની એક ઝલક મેળવવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ વખતે પણ જુદા-જુદા થીમ સાથે શણગારેલી ટ્રકો એ રથયાત્રામાં ભાગ લીધો હતો. લાકડી દાવ, બોડી બિલ્ડિંગ અને જોખમી કરતબ કરતાં અખાડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ભગવાનની રથયાત્રા હોય એટલે ઉત્સાહી અને ભાવિક ભક્તોની  ભજન મંડળીઓ તો હોય જ, મોટી સંખ્યામાં જગન્નાથજીની નાની પ્રતિકૃતિ, રંગબેરંગી પહેરવેશ, શરીર પર ચિત્રો,  ટેટુ લખાણ સાથે ભજન મંડળીઓએ વાતાવરણને ભક્તિમય કરી દીધું હતું. જે વિસ્તારમાંથી જગન્નાથજીની રથયાત્રા પસાર થઈ ત્યાં સ્થાનિક આગેવાનો, સામાજિક સંગઠનો અને ભક્તોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

પંચાયત-ચૂંટણીમાં હિંસા મામલે WB સરકાર સામે સુપ્રીમની લાલ આંખ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં થઈ રહેલી હિંસા સામે લાલ આંખ કરી છે. કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી કરાવવી એ હિંસા કરવાનું લાઇસન્સ નથી. કોર્ટે ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તહેનાતી મામલે પણ મમતા સરકારને ફટકાર લગાવી હતી.

કોર્ટે પંચાયત ચૂંટણી મામલે મમતા સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી લોકતંત્રની ઓળખ છે. પંચાયત ચૂંટણીમાં હિંસા મામલે સરકાર અને રાજ્ય ચૂંટણી પંચની અરજી મામલે જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. કોલકાતા હાઇકોર્ટે 48 કલાકમાં દરેક જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષા દળોની તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે કહ્યું હતું કે 13 જૂને રાજ્ય ચૂંટણી પંચ સુરક્ષાને લઈને રાજ્ય સરકારની સાથે સમીક્ષા કરી રહ્યું હતું, પરંતુ 15 જૂને હાઇકોર્ટે 48 કલાકમાં અર્ધસૈનિક દળોને તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો.  

જસ્ટિસ નાગરત્નાએ પૂછ્યું હતું કે હજી ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ શી છે? સિદ્ધાર્થ અર્ગવાલે કહ્યું હતું કે આઠ જુલાઈએ ચૂંટણી થવાની છે. આજે નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. રાજ્યભરમાં 189 મતદાન કેન્દ્રો સંવેદનશીલ છે. બંગાળ સરકારે કહ્યું હતું કે અમે સુરક્ષા માટે સંપૂર્ણ રીતે સજજ્ છીએ.

જસ્ટિસ નાગરત્નાએ પૂછ્યું હતું કે હાઇકોર્ટે એ આદેશ એટલા માટે આપ્યો હતો કે રાજ્યમાં 2013 અને 2018માં થયેલી ચૂંટણીમાં હિંસાનો જૂનો ઇતિહાસ રહ્યો છે. હિંસાના માહોલમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી ના કરાવી શકાય.ચૂંટણી તો નિર્ભય, નિષ્પક્ષ અને સ્વતંત્ર થવી જોઈએ.

 

 

 

દેશમાં ફૂટવેર માટે પહેલી જુલાઈથી કડક કાયદાઓ લાગુ થશે

નવી દિલ્હીઃ દેશના ફૂટવેર ઉદ્યોગ માટે પહેલી જુલાઈથી આકરા કાયદા લાગુ થવાના છે. એ સાથે હવે દેશમાં હલકી ગુણવત્તાઓનાં જૂતાં-ચંપલોનો દોર પૂરો થઈ જશે. અત્યાર સુધી સોના-ચાંદીના વિવિધ ઉત્પાદનો માટે લાગુ થનારા BIS માપદંડો ફૂટવેર પર પણ લાગુ થશે. ફૂટવેર ઉત્પાદનોના મોટા અને મધ્યમ સ્તરના ઉત્પાદકો અને બધી આયાતોને એક જુલાઈથી 24 ઉત્પાદનો માટે ફરજિયાત ગુણવત્તાના માપદંડોનું પાલન કરવાનું રહેશે. ચીન દેશોથી ખરાબ ગુણવત્તાવાળાં ઉત્પાદનોની આયાતને અટકાવવા માટે આ માપદંડો લાગુ કરવામાં આવી રહ્યા છે.

દિલ્હીમાં પત્રકારોને સંબોધિત કરતા BISના ડિરેક્ટર જનરલ પ્રમોદ કુમાર તિવારીએ ફૂટવેર અને અન્ય ઉત્પાદનો માટે સરકાર દ્વારા હાલમાં જારી કરવામાં આવેલા ક્વોલિટી કન્ટ્રોલના આદેશોના મહત્ત્વ અંગે પ્રકાશ ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુણવત્તા નિયંત્રણ આદેશો હેઠળ ફૂટવેરનાં ઉત્પાદનોનું ઉત્પાદન, આયાત અને વેચાણ માટે BIS લાઇસન્સ ફરજિયાત હશે.

તેમણે કહ્યું હતું કે આ માપદંડ ગુણવત્તા અને પ્રામાણિકતા સુનિશ્ચિત કરવા માટે વેપાર અને ઉદ્યોગોની સંસ્થા, કન્ઝ્યુમર સંગઠનો અને પ્રતિનિધિઓ સાથે વિચારવિમર્શ કર્યા પછી નક્કી કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે લઘુ અને નાના ઉદ્યોગો માટે નિયમો આ નિયમો આવતા વર્ષની પહેલી જાન્યુઆરીથી લાગુ થશે.

સરકારે હાલમાં પ્રમાણિત સ્ટાર્ટઅપર્સ અને માઇક્રો ઇન્ડસ્ટ્રિયલ યુનિટો માટે ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર્સ હેઠળ ફૂટવેર ઉત્પાદનોના પરીક્ષણ ચાર્જમાં 80 ટકાનો કાપ મૂક્યો છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

કોરાનાના 36 નવા કેસો, એકનું મોત   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 36 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,93,579 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,897 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,59,838 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 101 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1844એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 63,515 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.19 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,34,611 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 387 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.