146મી રથયાત્રાઃ નગરચર્યાએ નીકળ્યા જગતના નાથ

અમદાવાદઃ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરેથી અષાઢી બીજની રથયાત્રા સવારે પરંપરાગત માર્ગ પર શરૂ થઈ હતી. શહેરના જમાલપુર, ખમાસા, દાણાપીઠ અને મહાનગરપાલિકાની કચેરીથી આગળ વધી રહેલી રથયાત્રા મોસાળ સરસપુર જઈ ભોજન અને વિરામ લે છે.

ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજી નવા રથમાં બિરાજમાન હતા. રથયાત્રાના રૂટ પરના તમામ માર્ગો પર ભાવિક ભક્તો ભગવાનનાં દર્શનની એક ઝલક મેળવવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ વખતે પણ જુદા-જુદા થીમ સાથે શણગારેલી ટ્રકો એ રથયાત્રામાં ભાગ લીધો હતો. લાકડી દાવ, બોડી બિલ્ડિંગ અને જોખમી કરતબ કરતાં અખાડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ભગવાનની રથયાત્રા હોય એટલે ઉત્સાહી અને ભાવિક ભક્તોની  ભજન મંડળીઓ તો હોય જ, મોટી સંખ્યામાં જગન્નાથજીની નાની પ્રતિકૃતિ, રંગબેરંગી પહેરવેશ, શરીર પર ચિત્રો,  ટેટુ લખાણ સાથે ભજન મંડળીઓએ વાતાવરણને ભક્તિમય કરી દીધું હતું. જે વિસ્તારમાંથી જગન્નાથજીની રથયાત્રા પસાર થઈ ત્યાં સ્થાનિક આગેવાનો, સામાજિક સંગઠનો અને ભક્તોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)