Home Blog Page 250

યોગી સરકારનું બજેટઃ 10 લાખ યુવાનોને મળશે રોજગાર

લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે આજે વિધાનસભામાં આર્થિક વર્ષ 2026-27 માટે રૂ. 9,12,696 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. નાણાપ્રધાન સુરેશ ખન્ના દ્વારા રજૂ કરાયેલા આ બજેટ ગયા વર્ષ કરતાં ઘણું મોટું છે અને રાજ્યના અર્થતંત્રને ‘વન ટ્રિલિયન ડોલર’ સુધી પહોંચાડવાના માર્ગમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. CM યોગી આદિત્યનાથે આ બજેટને ‘નવા ભારતનું નવું ઉત્તર પ્રદેશ’નો આધારસ્તંભ ગણાવ્યું છે. આ બજેટમાં ખેડૂત, યુવા, મહિલા અને ગરીબ સહિત સમાજના દરેક વર્ગની આશાઓને ધ્યાનમાં રાખીને ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે.

મુખ્ય આંકડા:* અંદાજિત આવક: રૂ. 3,53,315 કરોડ

* પ્રતિ વ્યક્તિ આવક: રૂ. 1,09,844 (2016-17ની સરખામણીએ બમણાથી પણ વધુ)

* બેરોજગારી દર: ઘટીને માત્ર 2.24 ટકા રહી ગઈ

પ્રતિ વ્યક્તિ આવક બમણી થઈ

યોગી સરકારના છેલ્લાં આઠ વર્ષના કાર્યકાળમાં રાજ્યની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. વર્ષ 2016-17માં પ્રતિ વ્યક્તિ આવક રૂ. 54,564 હતી, જે હવે વધીને રૂ. 1,09,844 થઈ ગઈ છે. અંદાજ છે કે 2026-27 સુધીમાં તે રૂ. 1.20 લાખ સુધી પહોંચી જશે. સરકારના પ્રયત્નોથી છેલ્લાં કેટલાંક વર્ષોમાં લગભગ 6 કરોડ લોકો બહુઆયામી ગરીબીમાંથી બહાર આવ્યા છે. રાજ્યનો કુલ ઘરેલું ઉત્પાદન (GSDP) રૂ. 30.25 લાખ કરોડ આંકવામાં આવ્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ 13.4 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

ખેડૂતો માટે મોટી રાહતો

આ બજેટમાં ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. શેરડીના ખેડૂતો માટે લણણી સત્ર 2025-26 માટે ગન્નાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 30નો વધારો જાહેર કર્યો છે, જેને કારણે ખેડૂતોને લગભગ રૂ. 3000 કરોડનો વધારાનો લાભ મળશે. સરકારે અત્યાર સુધીમાં રૂ. 3.04 લાખ કરોડથી વધુ શેરડીની બાકી ચુકવણી કરી દીધી છે, જે છેલ્લાં 22 વર્ષના કુલ ચુકવણાં કરતાં પણ વધુ છે. રવી અને ખરીફ સીઝનમાં ઘઉં, ધાન અને બાજરીની રેકોર્ડ ખરીદી કરવામાં આવી છે અને રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે.

ઔદ્યોગિક રોકાણ અને સ્ટાર્ટઅપ હબ તરીકે ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ રોકાણ માટે દેશનું પસંદગીનું કેન્દ્ર બની રહ્યું છે. અત્યાર સુધી રૂ. 50 લાખ કરોડના MoUs થયા છે, જેને કારણે અંદાજે 10 લાખ નવા રોજગાર સર્જાવાની શક્યતા છે. દેશના કુલ મોબાઇલ ફોન ઉત્પાદનનો 65 ટકા હિસ્સો ઉત્તર પ્રદેશમાં થાય છે, જે તેને ભારતનું સૌથી મોટું મોબાઇલ ઉત્પાદન કેન્દ્ર બનાવે છે. નવીનતા અને ટેક્નોલોજી ક્ષેત્રે પ્રગતિને કારણે રાજ્યને રાષ્ટ્રીય સ્તરે ‘લીડર’ શ્રેણીનું સ્થાન મળ્યું છે.

મહિલા, યુવા અને શિક્ષણ ક્ષેત્રે સશક્તીકરણ

ચૂંટણી વર્ષ પહેલાં બેરોજગારી દર ઘટીને 2.24 ટકા થયો છે. કર્મચારીઓના માનદંડમાં વધારો અને તેમના માટે નવા સેવા નિગમની રચનાનો પ્રસ્તાવ પણ બજેટમાં છે. ગ્રામ્ય મહિલા ઉદ્યોગ સાહસિકોને બજાર મળે તે માટે ‘શી-માર્ટ’ (SHE-Marts) સ્થાપિત કરવામાં આવશે, જેના દ્વારા લાખો મહિલાઓને આર્થિક સશક્તીકરણ મળશે.

મુર્શિદાબાદમાં શરૂ થયું હુમાયુ કબીરની ‘બાબરી’નું નિર્માણ

મુર્શિદાબાદ: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં આજે બાબરી મસ્જિદની પ્રતિકૃતિ (રેપ્લિકા)ના નિર્માણનું કામ ઔપચારિક રીતે શરૂ થઈ રહ્યું છે. આ એ જ પ્રોજેક્ટ છે જેના શિલાન્યાસ છઠ્ઠી ડિસેમ્બર 2025એ કરવામાં આવ્યો હતો અને હવે બે મહિના બાદ નિર્માણની શરૂઆત થઈ રહી છે. સોમવારે હુમાયુ કબીરે મસ્જિદની ડિઝાઇન સોશિયલ મિડિયા પર શેર કરી હતી, જેને કારણે મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

ભારે મશીનો તહેનાત

બેલડાંગામાં નિર્માણ શરૂ થવાના એક દિવસ પહેલાં તૈયારીઓ ઝડપી બની હતી. સ્થળ પર ઘણા અર્થ-મૂવર્સ જોવા મળ્યા અને કુરાન પાઠ માટે અલગ જગ્યા તૈયાર કરવામાં આવી. હજારો લોકોની હાજરીમાં નિર્માણ કાર્યની શરૂઆત થશે. આ કાર્યક્રમમાં 1200 મૌલવી કુરાનની તિલાવત કરશે, ત્યાર બાદ સત્તાવાર રીતે કન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવશે.

હુમાયુ કબીરના પગલાથી વધી હલચલ

હુમાયુ કબીર, જે પહેલા તૃણમૂલ કોંગ્રેસમાં હતા અને હવે પોતાની નવી પાર્ટી ‘જનતા ઉન્નયન પાર્ટી’ ચલાવી રહ્યા છે, આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. આ જાહેરાતને કારણે તેમને તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

બાબરી મસ્જિદ ક્યારેય નહીં બને: યોગી આદિત્યનાથ

મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે કહ્યું હતું કે બાબરી મસ્જિદ જેવી રચના ફરી ક્યારેય બનશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે કયામતનો દિવસ ક્યારેય નહીં આવે, એટલે બાબરી મસ્જિદ ક્યારેય બની શકશે નહીં. આ નિવેદનનો જવાબ આપતા કબીરે કહ્યું હતું કે યોગીજી શું કહે છે તે તેમની બાબત છે, પરંતુ જો તેમને નિર્માણ રોકવું હોય તો મુર્શિદાબાદ આવવું પડશે. કબીરે એમ પણ કહ્યું કે તેમણે રામ મંદિરના નિર્માણનો વિરોધ કર્યો નહોતો, તેથી આ પ્રોજેક્ટનો વિરોધ સમજણ બહાર છે.

આ દરમિયાન ઉત્તર પ્રદેશના એક દક્ષિણપંથી ગ્રુપે લોકોને મુર્શિદાબાદ તરફ માર્ચ કાઢવાની અપીલ કરી છે, જેના પગલે સ્થાનિક પ્રશાસને સુરક્ષા વધારી દીધી છે. એ મુદ્દાને લઈને રાજ્ય અને દેશભરમાં રાજકીય ગરમાટો વધ્યો છે.

કેનેડાની સ્કૂલમાં શૂટઆઉટઃ 10 લોકોનાં મોત, અનેક ઘાયલ

નવી દિલ્હીઃ કેનેડાની બ્રિટિશ કોલંબિયામાં ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં ભયાનક શૂટઆઉટની ઘટના બની છે. આ ગોળીબારમાં 10 લોકોનાં મોત થયાં છે અને 25 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ગોળીબાર કરનાર હુમલાખોરનું પણ મોત થયું છે.

પોલીસે ગોળીબારી અંગે શું જણાવ્યું?

પોલીસે જણાવ્યું હતું કે બ્રિટિશ કોલંબિયાના પીસ ક્ષેત્રમાં આવેલી ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં મંગળવારે બપોરે ગોળીબાર થયો હતો. પોલીસને એક ઇમર્જન્સી સંદેશ મળ્યો હતો જેમાં એક સંદિગ્ધ વ્યક્તિ વિશે માહિતી આપવામાં આવી હતી. તે સંદેશમાં ભૂરી વાળવાળી એક મહિલા જોવા મળ્યાનું જણાવવામાં આવ્યું હતું. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે આ હુમલામાં તે સંદિગ્ધ મહિલાની ભૂમિકા હોઈ શકે છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે દળ સ્થળ પર પહોંચ્યું ત્યારે સ્કૂલ કેમ્પસમાં છ લોકો મૃત હાલતમાં મળ્યા હતા. એક અન્ય વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ થયું હતું. નજીકના એક ઘરમાંથી પણ બે મૃતદેહ મળી આવ્યા છે, જેને આ જ ઘટનાથી જોડીને તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ ગોળીબારમાં માત્ર એક જ હુમલાખોર સામેલ હતો કે પછી વધુ લોકો જોડાયેલા હતા.

કેનેડામાં ગોળીબારીના આંકડા શું કહે છે?

કેનેડામાં માસ શૂટિંગનો ઇતિહાસ જૂનો રહ્યો છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. કેનેડિયન પોલીસ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 2023માં ગન સંબંધિત હિંસક ગુનાઓના કુલ 14,416 કેસ નોંધાયા હતા. એટલે કે દર એક લાખ લોકોદીઠ સરેરાશ 37 કેસ સામે આવ્યા હતા. જોકે 2022ની સરખામણીમાં આવા ગુનાઓમાં 1.7 ટકા ઘટાડો નોંધાયો હતો.

વર્ચ્યુઅલ લાઇફનું વળગણઃ હેલ્થ ક્રાઇસિસ સામે વેકઅપ કોલ?

દર વર્ષે બજેટ પહેલાં સંસદમાં રજૂ થતા આર્થિક સર્વેમાં સામાન્ય રીતે અર્થતંત્રના આકંડાઓની માયાજાળ હોય એટલે સામાન્ય લોકોને એમાં રસ ઓછો પડે, પરંતુ આ વર્ષે જે સર્વે રજૂ થયો એમાં એક વાત બહુ અગત્યની છે. એ છે દેશના વિદ્યાર્થીઓ અને યુવા વર્ગમાં વધતું જતું ડિજિટલ એડીક્શન. સોશિયલ મિડીયા અને ઓટીટી પ્લેટફોર્મ્સ પાછળ સતત વધતો જતો સ્ક્રીન-ટાઇમ.

જી હા, ડિજિટલ એડીક્શનના કારણે દેશનો યુવા વર્ગ જે દિશામાં જઇ રહ્યો છે એને નિષ્ણાતો ગંભીર હેલ્થ (મેન્ટલ હેલ્થ) ક્રાઇસિસ અને હ્યુમન કેપિટલ સામેનો સૌથી મોટો પડકાર ગણાવી રહ્યા છે. સીધા સાદા અર્થમાં કહીએ તો દેશનો યુવા વર્ગ માનસિક સ્થિરતા ગુમાવી રહ્યો છે અને ભવિષ્યમાં આ માનસિક બિમારી બહુ મોટી હેલ્થ ક્રાઇસિસમાં પરિણમે એવી શક્યતા છે. સંસદમાં સત્તાવાર રીતે મૂકાયેલા અહેવાલના પ્રકરણ 16માં ડિજિટલ વેલબિઇંગની આ વાત કહેવાઇ છે એટલે એની ગંભીરતાને ગંભીરતાથી લેજો. દુનિયાભરના દેશોમાં આ વાત ગંભીરતાથી ચર્ચાઇ રહી છે અને સરકારો આ સમસ્યા સામે લડવાના ઉપાયો શોધી રહી છે.

કઇ રીતે સર્જાઇ રહી છે આ હેલ્થ ક્રાઇસિસ?

અમેરિકાની વિખ્યાત હાર્વડ-કેનેડી સ્કૂલના ફેબ્રુઆરી, 2025ના જર્નલમાં કેરોલિન બ્રુકમેન નામની લેખિકાનો એક લેખ પ્રકાશિત થયો છે. હાર્વડ અને સ્ટેનફર્ડની ડબલ ડિગ્રી ધરાવતી કેરોલિન આ સ્કૂલની લિડરશીપ એન્ડ હેપ્પીનેસ લેબોરેટરીમાં કામ કરે છે. ‘ધ ફ્રેન્ડશીપ રિસેશનઃ ધ લોસ્ટ આર્ટ ઓફ કનેક્ટીંગ’ એવું શીર્ષક ધરાવતા આ લેખમાં કેરોલિન લખે છે કે, અમેરિકામાં અત્યારે ફ્રેન્ડશીપ એટલે કે દોસ્તીના સંબંધોમાં ક્રાઇસિસ વર્તાય છે. લોકો એકબીજા સાથે કનેક્ટ થવાની કળા ગૂમાવી ચૂક્યા છે.

આ વાત કેરોલિન અધ્ધરતાલ નથી કહેતી. પોતાના લેખમાં એ અમેરિકામાં હાથ ધરાયેલા એક સર્વેને ટાંકે છે. આ સર્વેક્ષણ પ્રમાણેઃ

  • 2025માં અમેરિકામાં જેમને મિત્રો નથી એવા લોકોનું પ્રમાણ ચારગણું વધ્યું છે.
  • જેમને અગાઉ દસથી વધારે મિત્રો હતા એમનું પ્રમાણ ત્રણગણું ઘટ્યું છે.
  • અગાઉ અમેરિકનો અઠવાડિયે સરેરાશ 6.5 કલાક મિત્રો સાથે ગાળતા. અત્યારે એ પ્રમાણ ચાર કલાકથી નીચે આવી ગયું છે.
  • બહાર રેસ્ટોરાંમાં એકલા જમવાનું પ્રમાણ છેલ્લા બે જ વર્ષમાં 29 ટકા વધ્યું છે.
  • દસ વર્ષ પહેલાં અમેરિકન ટીનએજર્સ દિવસમાં 140 મિનીટ એટલે કે સવા બે કલાક મિત્રો સાથે ગાળતા એ આજે ફક્ત ચાલીસ મિનીટ ગાળે છે.
  • અને, વર્ષ 2015માં અમેરિકનોનો સરેરાશ સ્ક્રીન ટાઇમ દિવસમાં સાત કલાક હતો એ 2021માં વધીને 9 કલાક થઇ ચૂક્યો હતો. 2025ના અંતે એ એનાથી વધારે જ હોવાનો.

વેલ, આ બધા માટે મુખ્યત્વે તો સોશિયલ મિડીયા ઉપરાંત મોટા શહેરોની ફરતે વિકસી રહેલા સબ-અર્બન વિસ્તારોથી વધતો જતો ભૌગોલિક વ્યાપ, ગિગ ઇકોનોમી, ઘટતા જતા કમ્યુનિટી સ્થળો, બદલાઇ રહેલા સામાજિક-સાંસ્કૃતિક પરિબળો જેવા અન્ય કારણો પણ જવાબદાર છે, પરંતુ ડિજિટલ એડિક્શન અને વર્ચ્યુઅલ લાઇફનું વળગણ સૌથી મુખ્ય અને મહત્વનું કારણ છે.

અમેરિકામાં સર્જાઇ રહેલી આ ક્રાઇસિસ એટલી જોખમી છે કે, સ્ટેનફર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ તો એના સ્ટુડન્ટ્સ માટે ડીઝાઇન ફોર હેલ્ધી ફ્રેન્ડશીપ એટલે કે દોસ્તી કઇ રીતે વિકસાવી શકાય એ શીખવાડતા ક્લાસ શરૂ કર્યા છે.

સાવધાન રહેજો. આજે અમેરિકામાં જે સ્થિતિ છે એ આવતીકાલે ભારતમાં પણ સર્જાઇ શકે છે. સર્જાઇ શકે છે શું, ઓલરેડી સર્જાઇ રહી છે! ક્યારેક પ્રામાણિકતાપૂર્વક જાતને પૂછજો કે, તમે જેની સાથે નિખાલસ બનીને હૈયું ઠાલવી શકો એવા મિત્રો કેટલા? યાદ રહે, બહોળા વ્યાવસાયિક પરિચયો કે સંબંધો, મોટું સોશિયલ સર્કલ કે વ્યાપક સામાજિક સંપર્કો એ દોસ્તી નથી, દોસ્તીનો દેખાડો છે. મોબાઇલ નંબરની આપ-લે કરીને વ્હોટ્સએપમાં એકબીજાને હાઇ-હલ્લો કરવું એ દોસ્તી નથી, દોસ્તીની ભ્રમણા છે. મિત્રોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી મોંઘી જણસ બનતી જાય છે દોસ્તી.

નથી લાગતું કે ઇન્ટરનેટથી ચોતરફ ઘેરાયેલો માણસ વર્ચ્ચુઅલ ટોળાંની વચ્ચે એકલતા અનુભવી રહ્યો છે? સોશિયલ મિડીયામાં જે મિત્રો-ફોલોઅર્સ છે એ વાસ્તવિક મિત્રો નથી એવી સમજ તો આપણામાં ઓલરેડી વિકસી ચૂકી છે. શહેરોનો ભૌગોલિક વ્યાપ વધવાથી અંતર વધ્યુ છે એટલે વારે-તહેવારે એકબીજાને રૂબરૂ મળવાનું પ્રમાણ ઘટ્યું છે. દિવાળી જેવા તહેવારોમાં રૂબરૂ મળીને અપાતી શુભેચ્છાઓનું સ્થાન તો સોશિયલ મિડીયાએ ક્યારનું ય લઇ લીધું છે. વધતી જતી ભૌતિક જરૂરિયાતોના કારણે માણસ એક કરતાં વધારે આર્થિક પ્રવૃત્તિ કરતો થયો છે. સવારે એક જગ્યાએ નોકરી કરનાર સાંજે ફૂડ ડિલીવરી કે ઇ-કોમર્સ પ્લેટફોર્મ માટે ડિલીવરીનું વધારાનું કામ કરતો થયો છે. આ ગિગ ઇકોનોમી આપણે ત્યાં પણ વિકસી ચૂકી છે. ઉપરાંત, પતિ-પત્નિ બન્ને કમાતા હોય એવા કપલ્સની સંખ્યા પણ સતત વધી રહી છે એટલે રૂબરૂ ન મળી શકાય તો કાંઇ નહીં, ફોન-મેસેજ તો છે જ ને એ વાત આપણે બધાએ સરળતાથી સ્વીકારી લીધી છે.

મિત્રો સાથેના સામાજિક મેળાવડાઓ વધ્યા છે, બહાર સાથે જમવા જવાનું પ્રમાણ વધ્યું છે, તહેવારોમાં સાથે ફરવા જવાનું પ્રમાણ વધ્યું છે, પણ એ વખતે લોકોને ફોટોઝ-વિડીયોઝ સોશિયલ મિડીયા પર મૂકવાની ઉતાવળ વધારે હોય છે, સાચા અર્થમાં મળવાનું કે વાતો કરવાનું બાજુએ રહી જાય છે.

કહેવાનો મતલબ એ જ છે કે વર્ચ્ચુઅલ લાઇફની ઝાકમઝોળ સામે વાસ્તિવક જિંદગીની રોશની ઝાંખી પડતી જાય છે. અને, ઝાંખી પડતી આ રોશનીમાં દોસ્તીનો દીપક ધીમે ધીમે એનું તેજ ગુમાવતો જાય છે.

અને, અહીં દોસ્તી એટલે ફક્ત પરંપરાગત અર્થમાં મિત્રતા એટલો જ અર્થ નથી. વાત સામાજિક સંબંધોમાં હોવી જોઇએ એ લાગણી અને હૂંફમાં આવી રહેલી ઓટની છે.

કોઇ દલીલ કરી શકે કે આપણી સામાજિક-કૌટુંબિક પ્રજા હજુ મજબૂત છે અને એ ઝડપથી તૂટી ન શકે. વાત સાચી ય છે કે પશ્ચિમના દેશોની સરખાણીએ આપણે ત્યાં સામાજિક સંબંધોના મૂળ ઊંડા છે એટલે આ ક્રાઇસિસ પ્રમાણમાં ઓછી લાગે, પણ એની સામે વાસ્તવિકતા એ ય છે કે એમની જેમ આપણે ત્યાં સામાજિક મુદ્દાઓ પર વૈજ્ઞાનિક ઢબે આવાં સર્વેક્ષણ પણ બહુ થતા નથી (થાય છે એ સાચાં હોતા નથી) એટલે આ ક્રાઇસિસ અસ્તિત્વમાં હોવા છતાં સપાટી પર દેખાતી નથી.

હા, ગઇ સદીમાં જન્મેલી પેઢીને કદાચ આ સમસ્યા એટલી નહીં અનુભવાતી હોય, પણ એકવીસમી સદીમાં દુનિયામાં ડોકિયું કરનાર પેઢી જે રીતે સ્ક્રીનટાઇમ વધારી રહી છે એ જોતાં ફ્રેન્ડશીપની આ ક્રાઇસિસ આજે નહીં તો આવતીકાલે એમને જરૂર અનુભવાશે. અને ત્યારે એ દિવસો દૂર નહીં હોય કે સ્ટેનફર્ડની માફક આપણી યુનિવર્સિટીઓએ પણ ફ્રેન્ડશીપ કરતા શીખવાડે એવા ક્લાસિસ શરૂ કરવા પડે. એકવીસમી સદીના બીજા ક્વાર્ટરનો આરંભ એના એંધાણ આપી રહ્યો છે.

-તો, એક અર્થમાં સંસંદમાં રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણનું પ્રકરણ 16 એ આ અહેવાલનું સૌથી અગત્યનું પ્રકરણ છે અને આવતી પચીસી માટેનો વેકઅપ કોલ છે. વાત ભાવિ પેઢી પર તોળાઇ રહેલી હેલ્થ અને સોશિયલ ક્રાઇસિસની છે ત્યારે દુનિયાના દેશોમાં એના પર શું વિચાર થઇ રહ્યો છે એની વાત આવતા વખતે…

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)

જુવાર – ફણગાવેલા કઠોળના અપ્પે

બાળકોની ફાઈનલ પરીક્ષાઓ આવે છે. તો ટિફિનમાં કંઈક અલગ પણ સ્વાદિષ્ટ અને સારો એવો પૌષ્ટિક નાસ્તો, બાળકોને ભણવા માટે ઊર્જા પણ વધારશે!

સામગ્રીઃ

  • જુવારનો લોટ 1 કપ
  • ફણગાવેલા મગ તેમજ ચણા 1 કપ
  • કાંદો 1
  • ગાજર અડધું
  • સિમલા મરચું 1
  • દહીં 2 ટે.સ્પૂન
  • લીલા મરચાં 2-3
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • લસણની કળી 3-4
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • પાલક અથવા મેથીના પાન ધોઈને સમારેલાં 1 કપ
  • દહીં 2 ટે.સ્પૂન
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • સફેદ તલ 3 ટે.સ્પૂન
  • તેલ
  • ઈનો સેચેટ 1,
  • કળી પત્તાના પાન 6-7
  • લીલું લસણ 4-5 કળી (optional)

રીતઃ મિક્સીમાં આદુ તેમજ મરચાંના ટુકડા કરીને નાખો. ત્યારબાદ લસણની કળી, કળી પત્તાના પાન, ફણગાવેલાં મગ નાખીને તેને કરકરું દળી લો.

એક મોટા વાસણમાં જુવારનો લોટ લઈ તેમાં આ દળેલું મિશ્રણ મેળવો. ત્યારબાદ તેમાં સમારેલી પાલક, કોથમીર, દહીં, કાળા મરી પાઉડર, 1 ટી.સ્પૂન સફેદ તલ મેળવો. કાંદા, ગાજર તેમજ સિમલા મરચાંને ઝીણાં ચોરસ ટુકડામાં સમારીને મેળવીને દસ મિનિટ માટે આ મિશ્રણ ઢાંકીને રાખો.

અપ્પે પેનના મોલ્ડમાં 4-5 ટીપાં જેટલું તેલ રેડીને થોડાં થોડાં સફેદ તલ દરેક ખાનાંમાં નાખી દો. આ પેન ગેસ ઉપર ગેસની ધીમી આંચે ગરમ કરવા મૂકો.

અપ્પે બનાવતી વખતે મિશ્રણમાં ઈનો પાઉડર નાખીને ઉપર એક ચમચી જેટલું પાણી મેળવીને મિશ્રણને ચમચી વડે 1 મિનિટ એકધારું હલાવીને મૂકો. ત્યારબાદ તેમાંથી એક-એક ચમચા જેટલું મિશ્રણ લઈ તૈયાર કરેલા અપ્પે પેનના ખાનામાં રેડી દો.

અપ્પે પેનને ઢાંકીને ગેસની ધીમી આંચે 2-3 મિનિટ સુધી ચઢવા દો. ત્યારબાદ તેનું ઢાંકણ ખોલીને એક ચમચી કે ચપ્પૂ વડે અપ્પે ઉથલાવીને બીજી બાજુએ તેલના બ્રશ વડે દરેક અપ્પે ઉપર તેલ લગાડીને ફરીથી પેન ઢાંકીને 2-3 મિનિટ અપ્પે થવા દો.. ત્યારબાદ ચપ્પૂ વડે અપ્પે ચેક કરી લો. જો અપ્પે ચઢી ગયા હોય તો પેન ગેસ ઉપરથી ઉતારી લો. પેનને એક થાળીમાં કાઢી લો.

આ અપ્પે ટોમેટો કેચ-અપ સાથે કે લીલી ચટણી સાથે પીરસો.

૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬

પંચાંગ 11/02/2026

બાંગ્લાદેશની ચૂંટણી પહેલા વધુ એક હિન્દુની હત્યા

બાંગ્લાદેશમાં ગુરુવારે સંસદીય ચૂંટણીના બે દિવસ પહેલા, વધુ એક હિન્દુ ઉદ્યોગપતિની હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશના મૈમનસિંઘના ત્રિશાલમાં 62 વર્ષીય હિન્દુ ઉદ્યોગપતિ સુસેન ચંદ્ર સરકારની તેમની દુકાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની સરકારના પતન પછી ગુરુવારે બાંગ્લાદેશમાં પ્રથમ સંસદીય ચૂંટણી છે.

બાંગ્લાદેશની ચૂંટણી પહેલા લઘુમતીઓ સામે હિંસાના આરોપો સામે આવ્યા છે, જેનાથી તેમની સલામતી અંગે પ્રશ્નો ઉભા થયા છે. હવે, ચૂંટણીના બે દિવસ પહેલા, વધુ એક હિન્દુની હત્યા કરવામાં આવી છે, જેનાથી લઘુમતીઓની સલામતી અંગે ચિંતાઓ ઉભી થઈ છે. ત્રિશલ પોલીસ સ્ટેશનના વડા મુહમ્મદ ફિરોઝ હુસૈને જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે રાત્રે ઉપ-જિલ્લાના બોગર બજાર ચોકડી પર બની હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુસેન ચંદ્ર સરકાર ભાઈ ભાઈ એન્ટરપ્રાઇઝના માલિક અને સાઉથકાંડા ગામના રહેવાસી હતા.

તેમની હત્યા કર્યા પછી, તેઓએ દુકાનનું શટર બંધ કરી દીધું.

હુસૈને જણાવ્યું હતું કે હુમલાખોરોએ સરકાર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, તેને દુકાનની અંદર છોડી દીધો અને શટર બંધ કરી દીધું. સરકારના પરિવારે તેની શોધ કરી અને જ્યારે તેઓએ દુકાન ખોલી ત્યારે તેઓ લોહીથી લથપથ મળી આવ્યા.

રણવીર સિંહને કરોડો રૂપિયાની માંગણી કરતો ધમકીભર્યો મેસેજ મળ્યો

રણવીર સિંહ ખંડણી: ફિલ્મ અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયાની માંગણી કરતો ધમકીભર્યો સંદેશ મળ્યો છે. અભિનેતાને વોટ્સએપ વોઇસ નોટ દ્વારા આ ધમકી મળી હતી, ત્યારબાદ તેણે મુંબઈ પોલીસને જાણ કરી હતી. મામલાની ગંભીરતાને જોતા પોલીસે તાત્કાલિક રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના ઘરો પર સુરક્ષા કડક કરી દીધી છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

થોડા સમય પહેલા ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના ઘરની બહાર ગોળીબાર થયો હતો. પોલીસે આ ઘટના સંદર્ભે ઘણા લોકોની અટકાયત કરી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગે ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી. હવે, સૂત્રો સૂચવે છે કે રણવીર સિંહને ધમકીભર્યો સંદેશ મળ્યો છે. જોકે, ધમકી આપનાર વ્યક્તિની ઓળખ હજુ સુધી અજાણી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. જોકે, ધમકી આપનાર વ્યક્તિએ લોરેન્સ બિશ્નોઈનું નામ આપ્યું છે. જોકે, મુંબઈ પોલીસ કે રણવીર સિંહ દ્વારા હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ફિલ્મ સ્ટાર્સને સતત આવા ધમકીભર્યા સંદેશા મળી રહ્યા છે. સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી વખત ધમકીઓ મળી છે. કેનેડામાં કપિલ શર્માના કાફે પર પણ ઘણી વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. અને હવે, રણવીર સિંહને ધમકીઓ. બોલિવૂડ લાંબા સમયથી આ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

 

પુસ્તક વિવાદ પર પહેલી વાર જનરલ મુકુંદ નરવણેએ આપ્યું નિવેદન

ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેની આત્મકથા ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિનીને લગતા ચાલી રહેલા રાજકીય વિવાદ અને 24 કલાકમાં પ્રકાશક દ્વારા બે સ્પષ્ટતાઓ બાદ, જનરલ નરવણેએ પોતાનું મૌન તોડ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પેંગ્વિન તરફથી એક નોંધ શેર કરી, જેમાં લખ્યું, આ પુસ્તકની સ્થિતિ છે. હકીકતમાં, જનરલ નરવણેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રકાશક પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાનું એક નિવેદન શેર કર્યું, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી કે તેમની આત્મકથા હજુ સુધી પ્રકાશિત થઈ નથી અને પુસ્તકની કોઈ અધિકૃત નકલ જાહેરમાં ઉપલબ્ધ નથી.

પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ ગઈકાલે પરિસ્થિતિ સ્પષ્ટ કરતા એક નિવેદન જારી કર્યું, જેમાં જણાવ્યું હતું કે તે જનરલ નરવણેના સંસ્મરણો, ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિનીના વિશિષ્ટ પ્રકાશન અધિકારો ધરાવે છે અને પુસ્તક હજુ સુધી કોઈપણ સ્વરૂપમાં પ્રકાશિત થયું નથી. પેંગ્વિનએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પુસ્તક હજુ સુધી પ્રકાશિત, વિતરણ અથવા વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી, પ્રિન્ટ અથવા ડિજિટલ ફોર્મેટમાં. પ્રકાશકે મક્કમ વલણ અપનાવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે પુસ્તકની કોઈપણ નકલ – ભલે તે સંપૂર્ણ હોય કે આંશિક, અને કોઈપણ ફોર્મેટ અથવા પ્લેટફોર્મમાં – પ્રચલનમાં જોવા મળે તો તે સીધા કૉપિરાઇટ ઉલ્લંઘન ગણાશે. પેંગ્વિનએ ચેતવણી પણ આપી હતી કે આવા કોઈપણ ગેરકાયદેસર અથવા અનધિકૃત પ્રસાર સામે તમામ ઉપલબ્ધ કાનૂની ઉપાયો અપનાવવામાં આવશે.

24 કલાકની અંદર બીજી સ્પષ્ટતા

પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ મંગળવારે આ બાબતે પોતાનો બીજો સ્પષ્ટતા જારી કર્યો હતો, જેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈ પુસ્તક જ્યાં સુધી તમામ રિટેલ ચેનલોમાં વેચાણ માટે ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી તેને “પ્રકાશિત” ગણી શકાય નહીં. મંગળવારે જારી કરાયેલ તેની નવી સ્પષ્ટતામાં, પેંગ્વિનએ જણાવ્યું હતું કે શીર્ષકની જાહેરાત, પ્રી-ઓર્ડર સૂચિ અને વાસ્તવિક પ્રકાશન ત્રણ અલગ અલગ તબક્કા છે. પ્રી-ઓર્ડર લિંકની ઉપલબ્ધતાનો અર્થ એ નથી કે પુસ્તક પ્રકાશિત થઈ ગયું છે.

જનરલ નરવણેનું મૌન તોડવું મહત્વપૂર્ણ છે

જનરલ નરવણે દ્વારા આ સ્પષ્ટતા શેર કરવી મહત્વપૂર્ણ છે કારણ કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પ્રકાશકના વલણ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેમાં કથિત વિરોધાભાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગાંધીએ 2023 ના જનરલ નરવણે દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં લખ્યું હતું, નમસ્તે મિત્રો, મારું પુસ્તક હવે ઉપલબ્ધ છે. લિંકને અનુસરો. વાંચન માટે શુભેચ્છાઓ. જય હિંદ. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે આ સંદેશ સૂચવે છે કે પુસ્તક સામાન્ય વાચક માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે જનરલ નરવણે અથવા પેંગ્વિન “સત્ય કહી રહ્યા નથી.

એ નોંધવું જોઈએ કે જનરલ નરવણેની પ્રસ્તાવિત આત્મકથા તાજેતરમાં રાજકીય વિવાદના કેન્દ્રમાં રહી છે. પુસ્તકમાંથી કથિત અવતરણોને લઈને સંસદમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમાગરમ ચર્ચા જોવા મળી હતી. જો કે, પ્રકાશક તરફથી વારંવાર કરવામાં આવેલી આ સ્પષ્ટતા સાથે, હવે એ વાત રેકોર્ડ પર છે કે “ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની” હજુ સુધી સત્તાવાર રીતે વાચકો સુધી પહોંચી નથી. આમ છતાં, પુસ્તક સંબંધિત સંદર્ભો અને નિવેદનો પર રાજકીય ઉથલપાથલ અટકતી નથી લાગતી.