Home Blog Page 211

‘હું શિક્ષિત છું’, રાજપાલ યાદવે પ્રિયદર્શનને આપ્યો વળતો જવાબ

રાજપાલ યાદવે દિગ્દર્શક પ્રિયદર્શનની ટિપ્પણીનો જવાબ આપ્યો, જેમાં તેમણે તેમના ચેક બાઉન્સ કેસ માટે અભિનેતાના શિક્ષણને જવાબદાર ગણાવ્યું હતું. જાણો પ્રિયદર્શન રાજપાલ યાદવ વિશે શું કહ્યું હતું.

ચેક બાઉન્સ કેસમાં વચગાળાના જામીન મળ્યા બાદ રાજપાલ યાદવ હાલમાં જેલની બહાર છે. આ દરમિયાન અભિનેતાએ દિગ્દર્શક પ્રિયદર્શનના પ્રતિભાવ પર ટિપ્પણી કરી, જેમાં તેમણે આ બાબતને રાજપાલ યાદવના ઓછા શિક્ષણ સાથે જોડી હતી. રાજપાલ યાદવે હવે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેનો તેમના શિક્ષણ સાથે કોઈ સંબંધ નથી. તેમણે પ્રિયદર્શન પર પણ ટિપ્પણી કરી.

ક્યારેક અનુભવીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે

સ્ક્રીન સાથેની વાતચીતમાં રાજપાલ યાદવે પ્રિયદર્શનની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું, “ઓછા શિક્ષણનો તેની સાથે કોઈ સંબંધ નથી. તે સંપૂર્ણપણે ખોટું છે. હું એક શિક્ષિત વ્યક્તિ છું. મેં 11 થી 55 વર્ષની ઉંમર સુધી કામ કર્યું છે. મોટા નામો પણ ક્યારેક મુશ્કેલીમાં મુકાય છે, પરંતુ તેનો શિક્ષણ સાથે કોઈ સંબંધ નથી. જો મારી પાસે ઓછું શિક્ષણ હોત, તો હું આ ઉદ્યોગમાં 25-30 વર્ષ ટકી શક્યો ન હોત.” અગાઉ, પ્રિયદર્શને રાજપાલ યાદવને એક સારા વ્યક્તિ તરીકે વર્ણવતા કહ્યું હતું કે તેમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ તેમની ભૂલ હતી.

જોકે, રાજપાલ યાદવ કહે છે કે તેમને ટિપ્પણીઓ પ્રત્યે કોઈ કડવાશ નથી. અભિનેતાએ કહ્યું, “મને ત્રણ દિગ્દર્શકો – રામ ગોપાલ વર્મા, ડેવિડ ધવન અને પ્રિયદર્શન પ્રત્યે ખૂબ માન છે.

મેં આ ત્રણ સાથે 50 થી વધુ ફિલ્મો કરી છે. હું પ્રિયાંજી (પ્રિયદર્શન) ના દીકરા જેવો છું. પરંતુ પ્રિયાંજી કે અન્ય કોઈને સંપૂર્ણ વાત ખબર નથી. તેથી, આવા નિર્ણયોથી કોઈ ફરક પડતો નથી.” આ દરમિયાન, રાજપાલ યાદવે ઈન્ડસ્ટ્રી તરફથી કોઈ ખાસ ઉપકાર કે સહાનુભૂતિની જરૂર હોવાનો ઇનકાર કર્યો હતો. સોનુ સૂદ દ્વારા તેમને કામ ઓફર કરવા અંગે અભિનેતાએ કહ્યું,”કૃપા કરીને આ ગેરસમજને દૂર કરો કે મારે કામ માટે ભીખ માંગવી પડે છે. કામ માંગવામાં કોઈ શરમ નથી, પરંતુ સિનેમા મારો જુસ્સો છે. હું એવી રીતે કામ કરું છું કે કામ સાથે હું જોડાયેલો રહું.”

રાજપાલ ‘ભૂત બંગ્લા’માં જોવા મળશે

કામની વાત કરીએ તો રાજપાલ યાદવ ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ‘ભૂત બંગ્લા’માં જોવા મળશે. આ ફિલ્મ પ્રિયદર્શન સાથે તેમનું પુનઃમિલન દર્શાવે છે. તે ‘વેલકમ ટુ ધ જંગલ’ની મોટી સ્ટાર કાસ્ટનો પણ ભાગ છે. ‘હૈવાન’ ઉપરાંત, રાજપાલ યાદવ પાસે બે વેબ સિરીઝ અને બે અન્ય ફિલ્મો પણ છે. તેણે તાજેતરમાં જ પોતાની ચેનલ લોન્ચ કરીને યુટ્યુબ પર પોતાના ડેબ્યૂની જાહેરાત કરી.

પાકિસ્તાનનો KSE-100 ઇન્ડેક્સ 16,000 પોઇન્ટનો કડાકો

નવી દિલ્હીઃ વીકએન્ડ દરમિયાન ઈરાન અને ઇઝરાઇલ-અમેરિકા વચ્ચે શરૂ થયેલી જંગને કારણે મધ્ય-પૂર્વમાં ભૂરાજકીય તણાવ વધી ગયો છે. તેને પરિણામે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ KSE-100 16,000થી વધુ પોઇન્ટ અથવા અંદાજે 10 ટકા સુધી તૂટ્યો હતો બાદમાં તેમાં થોડો સુધારો જોવા મળ્યો. જોકે એક સમયે PSX પર ટ્રેડિંગ પણ રોકવાં પડ્યાં હતાં.KSE-30 ઇન્ડેક્સમાં પણ દિવસ દરમિયાન 9.8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો. ત્યાર બાદ એક કલાક માટે ટ્રેડિંગ બંધ રાખવામાં આવ્યાં હતાં. ટ્રેડિંગ ફરી શરૂ થયા પછી ઇન્ડેક્સનો ઘટાડો ઘટીને 7.3 ટકા રહ્યો હતો. કડાકો એટલો તેજ હતો કે KSE-30 ઇન્ડેક્સ સર્કિટ લિમિટ પાર કરતાં એક્સચેન્જના નિયમો મુજબ ટ્રેડિંગને તાત્કાલિક રોકવાં પડ્યાં હતાં. અનેક રોકાણકારો માટે આટલી ઝડપી ઘટાડો ચોંકાવનારો હતો. આ વેચવાલીનું મુખ્ય કારણ કંપનીઓના પ્રદર્શન કરતાં વધુ મધ્ય-પૂર્વમાં વધતા સંઘર્ષ અને તેના સંભવિત આર્થિક પ્રભાવ અંગેનો ભય હતો.

પાકિસ્તાન માટે સ્થિતિ વધુ ગંભીર લાગી, કારણ કે તે સંઘર્ષ વિસ્તારમાં ભૌગોલિક રીતે નજીક છે અને ઊર્જા માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે.

દરેક સેક્ટરમાં વેચવાલી

આ ઘટાડો માત્ર એક કે બે સેક્ટર સુધી મર્યાદિત રહ્યો નહોતો. બજારનાં લગભગ તમામ મુખ્ય ક્ષેત્રોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બેંકિંગ ક્ષેત્રની મોટી કંપનીઓ જેમ કે HBL, MCB અને MEBLના શેરોમાં તેજ ઘટાડો થયો હતો. ઊર્જા ક્ષેત્રની કંપનીઓ OGDC, PPL અને POL પણ ઓઇલ બજારમાં અનિશ્ચિતતા વધતાં નીચે સરક્યા હતા. સિમેન્ટ, ફર્ટિલાઇઝર્સ, ઓટોમોબાઇલ એસેમ્બલર્સ અને પાવર કંપનીઓ પણ આ અસરથી બચી શકી નહીં.

જ્યારે બજાર આટલી ઝડપથી તૂટે છે, ત્યારે સામાન્ય રીતે તે કોઈ એક ક્ષેત્રની સમસ્યા નહીં પરંતુ વ્યાપક ગભરાટનો સંકેત આપે છે. આવા સમયે રોકાણકારો જોખમ ઘટાડવા માટે વિવિધ ક્ષેત્રોના શેર વેચીને રોકડ અથવા વધુ સુરક્ષિત સંપત્તિ તરફ વળે છે.

જાન્યુઆરીની ઊંચાઈથી 20 ટકાથી વધુ ઘટાડો

નવી તણાવભરી સ્થિતિને કારણે સોમવારે KSE-30 ઇન્ડેક્સ થોડા સમય માટે બેર માર્કેટ ઝોનમાં પ્રવેશી ગયો હતો. ઇન્ડેક્સ જાન્યુઆરીના ઉચ્ચ સ્તરથી 20 ટકા કરતાં વધુ નીચે આવી ગયો છે. ગયા વર્ષે વધતા રોકાણ અને સ્થિર સરકારને કારણે સ્થાનિક શેરબજારમાં લગભગ 50 ટકા સુધી તેજી જોવા મળી હતી.

ડાંગના રાજવીઓનું સન્માન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

આહવા: અંગ્રેજોની આધિનતા નહીં સ્વીકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, રાજયપાલ આચાર્ય દેવવ્રતએ ઐતિહાસિક મહોત્સવમાં પધારેલા મહાનુભાવોનું સ્વાગત કરી, હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.રાજ્યપાલએ રામાયણનાં દંડકારણ્યમાં ડાંગનો ઉલ્લેખ કરી આ જિલ્લાના આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો.રાજા-રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની, દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શૂરવીરતા, શૌર્યગાથા અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.રાજ્યપાલએ જણાવ્યું હતું કે, નિર્મળ જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર ઉપાય છે. ડાંગ જિલ્લો આજે દેશ માટે પ્રેરણારૂપ જિલ્લો બન્યો છે. આ જિલ્લામાં સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ ખેડૂતો પણ મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે.” વાસુર્ણા રાજવી ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશીએ ડાંગ દરબારનાં ઐતિહાસિક કાર્યક્રમમા રાજ્યપાલનાં આગમનની ખુશી વ્યક્તિ કરી રાજવીઓના સન્માનની પરંપરા જાળવી રાખવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના આદિવાસી પ્રકૃતિપૂજક છે. આ જંગલ અને પ્રકૃતિને બચાવનાર પાટીલ કારભારીની પ્રથા શરૂ કરવાં અને ડાંગનાં લોકોને ઘર આંગણે રોજગારી ઉપલબ્ધ કરવાં પ્રજાવતી અરજ કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેક્ટર શાલિની દુહાએ હાજર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. વાસુર્ણા રાજવીએ રાજ્યપાલને ધનુષ્યબાણ તથા સાફો પહેરાવી સન્માનિત કર્યા હતાં. તથા ભીલ યોદ્ધાઓનું પુસ્તક અર્પણ કર્યું હતું. જિલ્લા વહીવટી તંત્રે રાજ્યપાલને સ્મૃતિભેટમા વારલી પેન્ટિંગ તથા તારપુ અર્પણ કર્યું હતું. તો બીજી તરફ રાજ્યપાલએ ડાંગનાં પાંચ રાજવીઓને વિધિવત રીતે પાન સોપારી, શાલ, સ્મૃતિભેટ, સ્વર્ણમુદ્રા અને રાજકીય પેંશન અર્પણ કર્યું હતું.

દીપક ગુપ્તાએ ગેઇલના ચેરમેન, MD પદનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ દીપક ગુપ્તાએ આજે દેશની અગ્રણી ઊર્જા કંપની ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે કાર્યભાર સંભાળ્યો છે. દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી મિકેનિકલ એન્જિનિયર દીપક ગુપ્તાની પાસે ઓઇલ અને ગેસ ક્ષેત્રે વેલ્યુ ચેઇનમાં 35 વર્ષથી વધુનો વ્યાપક અને વૈવિધ્યસભર અનુભવ છે. તેઓ ટેક્નિકલ કુશળતા, વ્યૂહાત્મક દ્રષ્ટિ અને બોર્ડ સ્તરની નેતૃત્વ ક્ષમતાનો અનોખો સમન્વય ધરાવે છે. તેમની નિપુણતા પ્રોજેક્ટ અને કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, કોન્ટ્રેક્ટ્સ અને ગ્લોબલ પ્રોક્યોરમેન્ટ, ટેક્નોલોજી પસંદગી, બિઝનેસ ડેવલપમેન્ટ તેમ જ ઓપરેશન્સ અને મેઇનટેઇનન્સ જેવાં ક્ષેત્રોમાં ફેલાયેલી છે.

ગુપ્તા ફેબ્રુઆરી, 2022માં કંપનીમાં ડિરેક્ટર (પ્રોજેક્ટ્સ) તરીકે જોડાયા હતા અને હાલમાં તેઓ નેચરલ ગેસ અને LPG પાઇપલાઇન, ગેસ પ્રોસેસિંગ યુનિટ્સ, મહત્વપૂર્ણ SCADA ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા નેટ-ઝીરો લક્ષ્યાંકો હાંસલ કરવા માટે ગ્રીન એનર્જી પહેલો સહિત અનેક ઉચ્ચ પ્રભાવવાળા પ્રોજેક્ટ્સના અમલીકરણનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ 20,000 કિમીથી વધુ વિસ્તરેલા નેચરલ ગેસ અને LPG પાઇપલાઇન નેટવર્ક, કોમ્પ્રેસર સ્ટેશનો અને પ્રોસેસ પ્લાન્ટ્સના ઓપરેશન અને મેઇનટેઇનન્સનું પણ સંચાલન કરે છે.

તેમના નેતૃત્વ હેઠળ કંપનીની સહાયક કંપની કોંકણ LNG લિમિટેડનો દાભોલ બ્રેકવોટર પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો, તેમણે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રે અનેક પહેલો શરૂ કરીને વ્યાવસાયિક પ્રક્રિયાઓમાં ચપળતા અને પારદર્શિતા વધારી છે.

તેમણે કઈ-કઈ જવાબદારી નિભાવી છે?

આ પહેલાં તેઓ કંપનીના સંયુક્ત સાહસોમાં બોર્ડ સભ્ય તરીકે પણ કાર્યરત રહ્યા હતા — જેમ કે તાલચેર ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (ભારતનું પ્રથમ કોલ ગેસિફિકેશન આધારિત ખાતર પ્રોજેક્ટ)ના ચેરમેન, ONGC પેટ્રો (OPaL) તથા સાઉથ-ઇસ્ટ એશિયા ગેસ પાઇપલાઇન લિ. (SEAGP)ના ડિરેક્ટર રહ્યા. તેઓ ગ્રીન ગેસ લિમિટેડ અને મહારાષ્ટ્ર નેચરલ ગેસ લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન પણ રહ્યા છે. આ ભૂમિકાઓમાં તેમણે વ્યૂહાત્મક આયોજન, સ્ટેકહોલ્ડર સંકલન, કોર્પોરેટ ગવર્નન્સ અને બિઝનેસ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

એ પહેલાં એન્જિનિયર્સ ઇન્ડિયા લિ.માં 32 વર્ષના કારકિર્દી દરમિયાન તેમણે વિશ્વની સૌથી મોટી સિંગલ-ટ્રેન ડાંગોટે રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ (નાઇજિરિયા), HMELનું મેગા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ (ભટિંડા) અને કંપનીના પાતા પેટ્રોકેમિકલ વિસ્તરણ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું સફળ નેતૃત્વ કર્યું હતું. તેમણે મોંગોલિયામાં પ્રથમ ગ્રીનફિલ્ડ રિફાઇનરી પ્રોજેક્ટનું નેતૃત્વ કરીને ભારતની વૈશ્વિક ઊર્જા રાજનૈતિક પહેલમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

સતત બાણું વર્ષથી ચાલતો પગપાળા સંઘ

બહુચરાજી: અનેક ધર્મ સંપ્રદાયોના શ્રધ્ધાળુઓ વિવિધ તીર્થ સ્થાનો પર પગપાળા પણ દર્શન કે માન્યતા પૂર્ણ કરવા જતાં હોય છે. હમણાં ચુંવાળ સ્થિત શક્તિપીઠ બહુચરાજી તરફ દર્શન માટે એક અનોખો સંઘ પગપાળા પ્રયાણ કરતો જોવા મળ્યો. આ સંઘ સતત 92 વર્ષથી ફાગણ મહિનામાં બહુચરાજી પગપાળા દર્શન માટે જાય છે.અમદાવાદથી બહુચરાજી તરફ જતા પગપાળા સંઘના ઉમંગભાઇ મિસ્ત્રી ચિત્રલેખા.કોમને કહે છે, “શહેરના આસ્ટોડિયા દરવાજા વિસ્તારની પાંચ ભૈયાની ખડકીથી બહુચરાજી શક્તિપીઠ તરફ સતત 92 વર્ષથી પગપાળા સંઘ નીકળે છે. ધરતીકંપ, ગોધરાકાંડ કે કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ શ્રધ્ધાળુઓ બહુચરાજી તરફ પગપાળા દર્શન માટે ગયા હતા. બેચરદાસ હરીદાસ ભગત, નગીનદાસ ભગત દ્વારા 92 વર્ષ પહેલાં શરૂ થયેલો આ સંઘ બહુચરાજી પહોંચી ધજા ચઢાવે છે. ત્યારબાદ બીજા દિવસે સૌથી મોટા અન્નકુટ ભરવામાં આવે છે. આ અન્નકુટ તમામ સંઘોમાં વિશેષ અને મોટો માનવામાં આવે છે. શક્તિપીઠના પ્રાંગણમાં નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. એ પછી આસપાસના 1500 જેટલા બાળકોને ભેગા કરી ભેટ સોગાદો આપવામાં આવે છે.”બહુચરાજી મંદિરે ધજા ચઢાવી, અન્નકુટ, નવચંડી અને બાળકોને ભેટ સોગાદ આપી પરંપરાગત રીતે એકઠા થઇ આભાર વિધી કરી અમદાવાદ તરફ પ્રયાણ કરે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

‘ઉરી’ પર નિબંધથી જિંદાલ યુનિવર્સિટીમાં રાજકીય વિવાદ

સોનીપત: હરિયાણા માનવ અધિકાર પંચ (HHRC) એ સોનીપત સ્થિત ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી પાસે જવાબ માગ્યો છે. આ પગલું ત્યારે લેવામાં આવ્યું જ્યારે એક વિદ્યાર્થીએ બે ફેકલ્ટી સભ્યો સામે “હેરેસમેન્ટ” અને “ભેદભાવપૂર્ણ વર્તન” અંગે ફરિયાદ નોંધાવી હતી, તેમાં એસોસિયેટ પ્રોફેસર સરોવર ઝૈદી પણ સામેલ છે, જેમને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

HHRCએ 19 ફેબ્રુઆરીના આદેશમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આગામી સુનાવણી દરમિયાન વ્યક્તિગત રીતે હાજર રહેવા અથવા તથ્યો રજૂ કરવા માટે કોઈ વરિષ્ઠ અધિકારીને મોકલવા જણાવ્યું છે.

ગયા મહિને વિશ્વ બજાજે HHRCમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે તેમનો પુત્ર વિખ્યાત, જે યુનિવર્સિટીમાં વિદ્યાર્થી છે, તેને પ્રોફેસર ઝૈદી અને આસિસ્ટન્ટ પ્રોફેસર એકતા ચૌહાણ દ્વારા “સતત હેરેસમેન્ટ, અપમાન અને ભેદભાવપૂર્ણ વર્તન”નો સામનો કરવો પડ્યો હતો. તેમની ફરિયાદ મુજબ આ બધું “રાજકીય વિચારોમાં મતભેદ”ને કારણે થયું.આ ઘટનાના પરિણામે પ્રોફેસર ઝૈદીને એક સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 પ્રોફેસર ઝૈદી કોણ છે?

પ્રોફેસર ઝૈદી 2018થી યુનિવર્સિટીના જિંદાલ સ્કૂલ ઓફ આર્ટ એન્ડ આર્કિટેક્ચર (હવે જિંદલ સ્કૂલ ઓફ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર)માં એસોસિયેટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તે અગાઉ સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર, દિલ્હીમાં ફેકલ્ટી સભ્ય રહી ચૂકી છે. તેમણે આંબેડકર યુનિવર્સિટી, દિલ્હીમાં “ધર્મ અને સમાજ” વિષય પર ગેસ્ટ લેક્ચરર તરીકે પણ કામ કર્યું છે. મુંબઈના જ્ઞાનપ્રવાહમાં તેમણે સૂફીવાદ અને ઇસ્લામ વિષયક એક કોર્સ તૈયાર કરીને ભણાવ્યો હતો.

તેમણે પોતાના સંશોધન કાર્ય માટે મેક્સ પ્લાંક ફેલોશિપ, INTACH ફેલોશિપ, IFA ફેલોશિપ અને શોધ ફેલોશિપ પ્રાપ્ત કરી છે.

ફરિયાદમાં શું કહેવામાં આવ્યું?

ફરિયાદ મુજબ, 31 ઓક્ટોબર 2025એ વિખ્યાત બજાજે ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ પર એક નિબંધ લખ્યો હતો, જે તેમના શિક્ષકોને પસંદ આવ્યો નહોતો.

તેમને 3 નવેમ્બરે કથિત રીતે “હેરેસમેન્ટ” કરવામાં આવ્યો. 7 નવેમ્બરે પ્રોફેસર ઝૈદીના “પોલિટિક્સ ઓફ રિપ્રેઝન્ટેશન” કોર્સ દરમિયાન વિદ્યાર્થીને “જાણબૂજીને નિશાન બનાવવામાં આવ્યો” અને “ખાસ રાજકીય દૃષ્ટિકોણ ધરાવતા પ્રોફેસરો” દ્વારા “પીડિત કરવામાં આવ્યો”, એવી ફરિયાદમાં નોંધ છે.

PM મોદી-માર્ક કાર્નીની મુલાકાતમાં અનેક સમજૂતી પર હસ્તાક્ષર

નવી દિલ્હીઃ કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે  નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વર્ષોથી ચાલતા રાજદ્વારી તણાવ પછી, આ મુલાકાત બંને દેશોના સંબંધોને ‘રિસેટ’ કરવા અને વેપાર તેમ જ સુરક્ષા સહકારના નવા અધ્યાયની શરૂઆત તરફનું મોટું પગલું માનવામાં આવે છે.

બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. બેઠક બાદ જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં લાંબા ગાળાના યુરેનિયમ સપ્લાય માટે એક મહત્વપૂર્ણ કરાર થયો છે. બંને દેશો નાના મોડ્યુલર રિએક્ટર અને અદ્યતન રિએક્ટર ટેકનોલોજી પર સાથે મળીને કામ કરશે.કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ જણાવ્યું કે ગત દાયકામાં વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારત દુનિયાની સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર બની ગયું છે. અહીં પ્રતિ વ્યક્તિ આવકમાં થયેલો વિકાસ ઇતિહાસમાં ખૂબ ઓછા દેશોમાં જોવા મળ્યો છે. કેનેડા પણ તમારા આ ઉત્સાહ અને હેતુની ભાવનાને શેર કરે છે. નવા યુગમાં સફળતાનો માર્ગ 2023ની તમારી G20 અધ્યક્ષતાના વિષય ‘One Earth, One Family, One Future’માં સ્પષ્ટ રીતે દેખાય છે, કારણ કે આપણા સમયના પડકારોને કોઈ એક દેશ એકલો ઉકેલી શકતો નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે ગત વર્ષે કેનેડા અને ભારતની સરકારો વચ્ચે જે સંવાદ થયો છે, તે છેલ્લા બે દાયકામાં થયેલા તમામ સંવાદ કરતાં વધુ રહ્યો છે. આ માત્ર સંબંધોના પુનઃસ્થાપન સુધી સીમિત નથી, પરંતુ નવા ઉત્સાહ, ધ્યાન અને દૂરદર્શિતાથી એક મૂલ્યવાન ભાગીદારીના વિસ્તરણનું પ્રતિનિધિત્વ કરે છે. આ બે આત્મવિશ્વાસી દેશો વચ્ચેની એવી ભાગીદારી છે, જે પોતાનું ભવિષ્ય પોતાની રીતે નક્કી કરી રહ્યા છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે બંને દેશોના સંબંધોની સૌથી મોટી શક્તિ લોકો વચ્ચેનો સંપર્ક છે. આજે આ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આરોગ્ય, કૃષિ અને નવીનતા જેવાં ક્ષેત્રોમાં અનેક યુનિવર્સિટીઓ વચ્ચે નવી ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત, કેનેડિયન યુનિવર્સિટીઓ દ્વારા ભારતમાં કેમ્પસ શરૂ કરવા અંગે પણ સહમતી થઈ છે. આદિવાસી અને જનજાતિ સમુદાયો અમારી સંયુક્ત સાંસ્કૃતિક વારસાનો મહત્વપૂર્ણ ભાગ છે, અને સાંસ્કૃતિક આપ-લે વધારવા માટે બંને પક્ષો વચ્ચે એક એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

વેપાર અને યુરેનિયમ અંગે મોટી ડીલની શક્યતા

આ બેઠકનો મુખ્ય એજન્ડા આર્થિક અને ઊર્જા સુરક્ષા પર કેન્દ્રિત રહ્યો હતો. આશા છે કે કેનેડા ભારતને યુરેનિયમની સપ્લાય વધારવા માટે એક મોટા કરારની જાહેરાત કરશે, જે ભારતની પરમાણુ ઊર્જાની જરૂરિયાત માટે મહત્વપૂર્ણ સાબિત થશે. બંને નેતાઓએ એક વેપાર કરારની રૂપરેખા તૈયાર કરી છે, જેનો હેતુ 2030 સુધી દ્વિપક્ષી વેપારને બમણો કરીને 70 અબજ કેનેડિયન ડોલર સુધી પહોંચાડવાનો છે. બંને દેશોએ વેપારમાં અમેરિકા પર વધતી નિર્ભરતા ઘટાડવા અને સપ્લાય ચેઇન મજબૂત બનાવવા પર સહમતી વ્યક્ત કરી છે.

દિલ્હીમાં ઐતિહાસિક “ભારતી – નારી સે નારાયણી” રાષ્ટ્રીય પરિષદ યોજાશે

નવી દિલ્હી ખાતે 7–8 March ના રોજ દેશવ્યાપી સ્તરે એક ઐતિહાસિક મહિલા પરિષદ યોજાવાની છે, જેમાં ભારતભરના મહિલા વિચારકો, શિક્ષણવિદો અને સામાજિક કાર્યકરો એકત્રિત થશે. “ભારતી – નારી સે નારાયણી” નામથી આયોજિત આ 2 દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન Rashtra Sevika Samiti, Sharanya અને Bharatiya Vidwat Parishad દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે.

આ ભવ્ય કાર્યક્રમનું આયોજન Vigyan Bhavan ખાતે કરવામાં આવશે. કાર્યક્રમનું ઉદ્ઘાટન Rekha Gupta કરશે જ્યારે સમાપન સમારોહમાં ભારતની રાષ્ટ્રપતિ Droupadi Murmu ની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ કારણે આ પરિષદને રાષ્ટ્રીય સ્તરે વિશેષ મહત્વ પ્રાપ્ત થયું છે.

રાષ્ટ્ર સેવિકા સમિતિની મુખ્ય કાર્યवाहિકા માનનીય અન્નદનમ્ સીતાગાયત્રીજીએ જણાવ્યું કે આ પરિષદ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ભારતીય મહિલાઓની સકારાત્મક શક્તિને એક મંચ પર લાવવાનો સંકલ્પ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સમાજના સર્વાંગી વિકાસ માટે સ્ત્રી અને પુરુષ બંને સમાન અને પરસ્પર પૂરક છે. સમિતિ છેલ્લા 90 વર્ષથી રાષ્ટ્રનિર્માણમાં સક્રિય છે.

1936 માં સ્થાપિત થયેલી રાષ્ટ્ર સેવિકા સમિતિ આજે 4,500 શાખાઓ દ્વારા દેશભરમાં કાર્યરત છે. સમિતિ સાથે જોડાયેલી 65 સંસ્થાઓ શિક્ષણ, આરોગ્ય અને સ્વાવલંબન ક્ષેત્રે આશરે 2,000 સેવા પ્રકલ્પો ચલાવી રહી છે. આ આંકડાઓ દર્શાવે છે કે મહિલાઓના સશક્તિકરણ માટે સતત અને સંગઠિત પ્રયાસો થઈ રહ્યા છે.

ભારતીય વિદ્વત પરિષદની સચિવ ડૉ. વી. શિવાનીના જણાવ્યા અનુસાર પરિષદનો મુખ્ય વિષય “ભારતી – નારી સે નારાયણી” છે. 8 મહત્વપૂર્ણ વિષયો જેમ કે જ્ઞાન, શક્તિ, સ્વતંત્રતા, જાગૃતિ, પ્રકૃતિ, સંસ્કૃતિ, ઉપલબ્ધિ અને સર્જન પર વિસ્તૃત ચર્ચા થશે. આ ચર્ચાઓ દ્વારા મહિલાઓને નેતૃત્વ અને નીતિનિર્માણમાં સક્રિય ભૂમિકા માટે પ્રેરિત કરવાનો ઉદ્દેશ છે.

પરિષદ દરમિયાન 4 વિશેષ પરિચર્ચાઓ યોજાશે. મહિલા સાંસદો “પંચ પરિવર્તન” વિષય પર વિચારવિમર્શ કરશે. મહિલા કુલપતિઓની અલગ બેઠક યોજાશે જેમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે મહિલાઓની ભૂમિકા પર ચર્ચા થશે. “સાધ્વી સંગમ” સત્રમાં યોગ, ધર્મ અને આધ્યાત્મ પર ચર્ચા થશે જેમાં પ્રખ્યાત સંત-વિચારકો ભાગ લેશે.

કાર્યક્રમમાં Sadhvi Ritambhara, કેન્દ્રીય મંત્રી Jitendra Singh, Dharmendra Pradhan અને Annapurna Devi સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો હાજરી આપશે. રાષ્ટ્ર સેવિકા સમિતિની પ્રાંત પ્રભારી ડૉ. રચના વાજપેયીએ માહિતી આપી કે મુખ્ય સંચાલિકા માનનીય શાંતા કુમારીજી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

દેશભરમાંથી મળેલા સૂચનો અને ચર્ચાના નિષ્કર્ષોને એકત્રિત કરીને ભારત સરકારના સંબંધિત વિભાગોને મોકલવામાં આવશે. આયોજકોના મતે આ પરિષદ ભવિષ્યમાં મહિલાઓના નીતિગત અને સામાજિક સશક્તિકરણ માટે માર્ગદર્શક સાબિત થશે.

શરણ્યાની અધ્યક્ષ અંજુ આહૂજાએ જણાવ્યું કે આ પરિષદ સમાજના તમામ વર્ગોની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. 7–8 March ના આ ઐતિહાસિક પ્રસંગ દ્વારા ભારતીય નારી શક્તિના નવી દિશામાં પ્રસ્થાનની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પાકિસ્તાનમાં યુએસ દૂતાવાસમાં વિઝા સેવાઓ સ્થગિત

પાકિસ્તાનમાં યુએસ દૂતાવાસ અને કોન્સ્યુલેટની બહાર હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે યુએસ સરકારે 2 માર્ચ માટે સુરક્ષા ચેતવણી જારી કરી અને વિઝા સેવાઓ સ્થગિત કરી.

પાકિસ્તાનમાં અમેરિકન દૂતાવાસ અને કોન્સ્યુલેટની બહાર હિંસક વિરોધ પ્રદર્શનો અને અથડામણોના અહેવાલો વચ્ચે અમેરિકન સરકારે સુરક્ષા ચેતવણી જારી કરી છે. અમેરિકન દૂતાવાસે જણાવ્યું હતું કે લાહોર અને કરાચીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને હિંસા તેમજ ઇસ્લામાબાદ અને પેશાવરમાં વધારાના વિરોધ પ્રદર્શનોની સંભાવનાને ધ્યાનમાં રાખીને, અમેરિકન કર્મચારીઓને હિલચાલ મર્યાદિત કરવા અને ઘરે રહેવાની સૂચના આપવામાં આવી છે.

સુરક્ષા ચેતવણીમાં અમેરિકી નાગરિકોને સ્થાનિક સમાચારોનું નિરીક્ષણ કરવા, ભીડ ટાળવા, તેમની આસપાસના વાતાવરણથી વાકેફ રહેવા અને તેમના STEP નોંધણીને અપડેટ રાખવાની સલાહ આપવામાં આવી છે.

વિઝા અને યુએસ સેવાઓ રદ

યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું કે કરાચી અને લાહોરમાં કોન્સ્યુલેટ અને ઇસ્લામાબાદમાં યુએસ એમ્બેસીમાં 2 માર્ચે નિર્ધારિત તમામ વિઝા એપોઇન્ટમેન્ટ અને યુએસ નાગરિક સેવાઓ રદ કરવામાં આવી છે.

‘પાકિસ્તાનીઓ માટેના બધા વિઝા રદ કરવા જોઈએ’

ઉલ્લેખનીય છે કે કરાચીમાં યુએસ કોન્સ્યુલેટની બહાર હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. આ પછી, એક અમેરિકન રૂઢિચુસ્ત કાર્યકર્તાએ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટને પાકિસ્તાનીઓ માટે ગ્રીન કાર્ડ સહિત તમામ વિઝા રદ કરવાની માંગ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, લૌરા લૂમરે, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોને ટેગ કરીને લખ્યું, “યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શક્ય તેટલા લાંબા સમય સુધી પાકિસ્તાનીઓ માટે તમામ વિઝા અને ગ્રીન કાર્ડ સ્થગિત કરવા જોઈએ.

કરાચીમાં યુએસ કોન્સ્યુલેટ કમ્પાઉન્ડની બહાર હિંસક વિરોધ પ્રદર્શન અને અથડામણના અહેવાલો પછી તેમની માંગણી આવી છે. લૂમરે દાવો કર્યો હતો કે ઈરાનના સર્વોચ્ચ નેતાના મૃત્યુથી ગુસ્સે ભરાયેલા છ વિરોધીઓ પાકિસ્તાનમાં ભારે સુરક્ષાવાળા યુએસ કોન્સ્યુલેટ કમ્પાઉન્ડમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે માર્યા ગયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે આજે બપોરે ફરીથી પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ઘણા અન્ય લોકોને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા હતા. જોકે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેમની માંગણીનો જવાબ આપ્યો ન હતો.