Home Blog Page 210

‘મહેબૂબા’ ને પંચમદાના સંગીત માટે યાદ કરવામાં આવે છે!

નિર્દેશક શક્તિ સામંતાની ફિલ્મ ‘મહેબૂબા’ (1976) બોલીવુડના ઇતિહાસમાં એક ખાસ સ્થાન ધરાવે છે. જો ‘મહેબૂબા’ આજે પણ યાદ કરવામાં આવતી હોય તો તેનું સૌથી મોટું કારણ તેનું સંગીત છે. પંચમદા (આર.ડી. બર્મન) એ આ ફિલ્મમાં રાગ શિવરંજનીનો અદભૂત ઉપયોગ કર્યો હતો. ખાસ કરીને ‘મેરે નૈના સાવન ભાદો’ ગીત પાછળ એક રસપ્રદ કિસ્સો જોડાયેલો છે. આ ગીત ભારતીય સંગીત ઇતિહાસના શ્રેષ્ઠ ગીતોમાંનું એક ગણાય છે.

જ્યારે પંચમદાએ આ ગીત કિશોરકુમારને સંભળાવ્યું ત્યારે તેઓ થોડા ગભરાઈ ગયા હતા, કારણ કે આ ગીત શાસ્ત્રીય રાગ શિવરંજની પર આધારિત હતું. કિશોરકુમારે શરત મૂકી હતી કે પહેલા આ ગીત લતા મંગેશકર પાસે રેકોર્ડ કરાવો. હું તેને સાંભળીશ અને પછી જ ગાઈશ. લતાજીએ ગીત રેકોર્ડ કર્યા પછી કિશોરકુમારે સતત સાત દિવસ સુધી લતાજીનું વર્ઝન સાંભળ્યું અને તેની બારીકાઈઓ સમજી. પરિણામે કિશોરદાનું વર્ઝન લતાજીના વર્ઝન જેટલું જ, કદાચ તેનાથી પણ વધુ લોકપ્રિય થયું.

સંગીત વિવેચકો માને છે કે આર.ડી. બર્મને રાગ શિવરંજનીનો જે રીતે આ ફિલ્મમાં ઉપયોગ કર્યો છે તેવો ભાગ્યે જ કોઈએ કર્યો હશે. ‘મેરે નૈના સાવન ભાદો’માં જે હન્ટિંગ (યાદ રહી જાય તેવી) ધૂન છે, તે પંચમદાની સર્જનાત્મકતાનો પુરાવો છે.

બીજું લોકપ્રિય ગીત ‘ગોરી તોરી પૈજનિયા’ ફિલ્મના પાછલા જન્મના ભાગમાં આવે છે, જ્યાં રાજેશ ખન્ના (રાજગાયક) અને હેમામાલિની (રાજનર્તકી) વચ્ચેનો કલાત્મક પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. શાસ્ત્રીય નૃત્ય પર આધારિત આ ગીત ભારતીય સિનેમાના યાદગાર ક્લાસિકલ ડાન્સ નંબર્સમાંનું એક છે. સંગીતકાર આર.ડી. બર્મન અને મન્ના ડેની જોડીએ આ ગીતમાં શાસ્ત્રીય અને ફિલ્મી સંગીતનો અદભૂત સમન્વય કર્યો છે.

આ ગીતની સૌથી મોટી વિશેષતા તેનું ફિલ્માંકન છે. અંતરામાં હેમામાલિનીએ મોટી પિત્તળની થાળીની કિનારી પર ઉભા રહીને નૃત્ય કર્યું હતું, જે ટેકનિક અત્યંત કઠિન માનવામાં આવે છે. શરીરનું સંપૂર્ણ સંતુલન જાળવવું પડે છે. પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના હોવાને કારણે હેમામાલિનીએ આ પડકારને સુંદર રીતે નિભાવ્યો હતો.

ગીતના કોરિયોગ્રાફર પ્રસિદ્ધ કથક નૃત્યકાર ગોપીકૃષ્ણ હતા. તાલ અને તબલાના બોલ સેટ કરવામાં તેમણે આર.ડી. બર્મનને મદદ કરી હતી, જેથી નૃત્ય અને સંગીત વચ્ચે યોગ્ય તાલમેલ બેસી શકે. તબલા વાદકો અમૃતરાવ કાતકર અને મારુતિરાવ કીરે અડધા તાલ અને મુશ્કેલ લય પર કામ કર્યું હતું, જે આજે પણ સંગીતવિદો માટે અભ્યાસનો વિષય છે.

ગીતનું શીર્ષક ‘પૈજનિયા’ (ઝાંઝર) હોવાથી આર.ડી. બર્મને ડબિંગ વખતે ઝાંઝરના અવાજની ફ્રીક્વન્સી ઊંચી રાખી હતી, જેથી પગના ઘુંઘરૂનો અવાજ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વચ્ચે દબાઈ ન જાય. એડિટિંગ સમયે ‘લિપ-સિંક’ અને ‘ફૂટ-સિંક’ મેન્યુઅલી કરવામાં આવ્યા હતા. હેમામાલિનીના પગની હલચલ અને મન્ના ડેના અવાજ વચ્ચે સંપૂર્ણ તાલમેલ બેસાડવા માટે ફ્રેમ-બાય-ફ્રેમ એડિટિંગ કરવામાં આવ્યું હતું.

ત્રીજું લોકપ્રિય ગીત ‘પરબત કે પીછે ચંબે દા ગાવ’ કિશોરકુમાર અને લતા મંગેશકરના અવાજમાં આજે પણ તેની મધુર ધૂન માટે યાદ કરવામાં આવે છે. આ ગીતની ધૂન પારંપરિક પંજાબી લોકગીત ‘સાડા વેહડે વિચ’ પરથી પ્રેરિત હતી. ગીતકાર આનંદ બક્ષી ઘણીવાર સંગીતકારોને પંજાબી લોકધૂનો સંભળાવતા. આર.ડી. બર્મને આ સાદી લોકધૂનને પોતાની શૈલીમાં સજાવીને એક શાનદાર ફિલ્મી ગીતમાં પરિવર્તિત કરી દીધું હતું.

ઇરાન-ઇઝરાયેલ યુદ્ધને કારણે ગેસની કિંમતોમાં 50 ટકા વધારો થવાની શક્યતા

નવી દિલ્હીઃ ઇરાનમાં થયેલા અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા સંયુક્ત હુમલા પછી વિશ્વમાં એનર્જી સેક્ટરમાં એક નવી સમસ્યા ઊભી થઈ છે. ભારત પણ આ યુદ્ધથી પ્રભાવિત થઈ રહ્યું છે. ઇરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાનું એલાન કર્યું છે. જો આ યુદ્ધ લાબું ચાલ્યું તો LPGની મોટી સમસ્યા દેશમાં ઊભી થઈ શકે છે. આ સિવાય પેટ્રોલ અને ડીઝલ માટે નવા વિકલ્પ શોધવા પડશે.  આ સાથે યુરોપિયન LPG ગેસની કિંમતોમાં 50 ટકાનો વધારો થયો છે.

 LPGની કિંમતોમાં વધારો થશે?

ઇરાન-અમેરિકા સંઘર્ષની સૌથી મોટી અસર એલપીજી (LPG) પર પડી શકે છે. ભારત પોતાની કુલ LPG જરૂરિયાતમાંથી અંદાજે 80થી 85 ટકા પુરવઠો આરબ દેશોમાંથી આયાત કરે છે. આ તમામ સપ્લાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગ દ્વારા આવે છે. આવી સ્થિતિમાં ભારત સામે LPG સપ્લાય સંબંધિત સમસ્યા ઊભી થવાની શક્યતા છે.

ક્રૂડની જેમ ભારત પાસે LPGનો મોટો જથ્થો (રિઝર્વ) ઉપલબ્ધ નથી. તેથી LPG સપ્લાય સમયસર મળે તે ખૂબ જરૂરી છે, નહીં તો સપ્લાયમાં વિક્ષેપ સર્જાઈ શકે છે.

 LNG સપ્લાય પર પણ ખતરો

LPGની જેમ LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) માટે પણ ભારત પાસે મોટા પ્રમાણમાં રિઝર્વ ઉપલબ્ધ નથી. હાલ દેશમાં જરૂરી LNGમાંથી લગભગ 60 ટકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગ દ્વારા આયાત થાય છે. તેથી LPG અને LNG બંને માટે ભારતે ટૂંક સમયમાં નવા વિકલ્પો શોધવાની જરૂર પડશે.

 કતારે LNG ઉત્પાદન રોક્યું

ઇરાનના ડ્રોન હુમલા પછી કતારે વિશ્વના સૌથી મોટા LNG નિકાસ કેન્દ્રોમાં ઉત્પાદન તાત્કાલિક બંધ કરી દીધું છે. હાલ કતાર દુનિયાનું પાંચમું સૌથી મોટું LNG ઉત્પાદન કરતું દેશ છે. ઉત્પાદન ઘટવાથી વૈશ્વિક સપ્લાય પર નકારાત્મક અસર પડી શકે છે.

પેટ્રોલ-ડીઝલ માટે પૂરતો જથ્થો

પેટ્રોલ અને ડીઝલના પુરવઠા બાબતે ભારતને તાત્કાલિક ચિંતા કરવાની જરૂર નથી. હાલમાં દેશમાં લગભગ 70થી 80 દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે. ગયા મહિને ભારતે સાઉદી અરેબિયાથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું, પરંતુ ઇરાન યુદ્ધ બાદ ઊભી થયેલી નવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત હવે અમેરિકા, રશિયા અને અન્ય દેશોને વધુ પ્રાથમિકતા આપી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ યુદ્ધને કારણે કાચા તેલની કિંમતોમાં તેજી આવી શકે છે અને આવનારા સમયમાં તેનો ભાવ પ્રતિ બેરલ 100 ડોલર સુધી પહોંચી શકે છે.

ખોમિનીની હત્યા મુદ્દે મોદી સરકારનું મૌન તટસ્થતા નહીં: સોનિયા ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ મંગળવારે ઈરાન પર ઇઝરાયેલ-અમેરિકાના હુમલા અને આયાતોલ્લા ખોમિનીની હત્યા મુદ્દે મોદી સરકારની આકરી ટીકા કરી હતી. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિનીની ટાર્ગેટેડ હત્યા પર સરકારનું મૌન તટસ્થતા નહીં, પરંતુ કર્તવ્યહીનતા છે, અને તે ભારતની વિદેશ નીતિની દિશા તથા વિશ્વસનીયતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે, એમ તેમણે જણાવ્યું હતું. ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે માગ કરી હતી કે સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના વિઘટન અને સરકારની ચિંતાજનક મૌન પર ખુલ્લી અને સ્પષ્ટ ચર્ચા થવી જોઈએ.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ગંભીર ભંગાણનું પ્રતીક

ભારતે પોતાની નૈતિક શક્તિ ફરી પ્રાપ્ત કરી તેને સ્પષ્ટતા અને પ્રતિબદ્ધતા સાથે વ્યક્ત કરવાની તાત્કાલિક જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે પહેલી માર્ચે ઈરાને પુષ્ટિ કરી હતી કે તેના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા સૈયદ અલી હુસૈની ખોમિનીની હત્યા અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા એક દિવસ પહેલાં કરાયેલા નિશાનાબંધ હુમલામાં થઈ હતી. ચાલતી વાતચીત વચ્ચે કાર્યરત રાષ્ટ્રપ્રમુખની હત્યા સમકાલીન આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ગંભીર ભંગાણનું પ્રતીક છે.

નવી દિલ્હીનું મૌન અકળાવનારું

તેમણે આગળ કહ્યું હતું કે આ ઘટનાના આઘાત ઉપરાંત નવી દિલ્હીનું મૌન પણ એટલું જ ચોંકાવનારું છે. ભારત સરકારે હત્યા અથવા ઈરાનની સાર્વભૌમતા ભંગની સ્પષ્ટ નિંદા કરવાથી દૂર રહી છે. શરૂઆતમાં અમેરિકા-ઇઝરાયેલના ભારે હુમલાને અવગણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર સંયુક્ત આરબ અમીરાત પર ઈરાનના પ્રતિ હુમલાની નિંદા સુધી પોતાને મર્યાદિત રાખ્યા હતા, જ્યારે તે પહેલાં બનેલી ઘટનાઓ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નહોતી.

તેમણે કહ્યું હતું કે જ્યારે કોઈ વિદેશી નેતાની ટાર્ગેટેડ હત્યા પર ભારત અખંડિતતા અથવા આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ સમર્થન નથી કરતું અને નિષ્પક્ષતા છોડે છે, ત્યારે તે દેશની વિદેશ નીતિની દિશા અને વિશ્વસનીયતા અંગે ગંભીર શંકા ઊભી કરે છે.

તેમણે જણાવ્યું હતું કે સમયસૂચકતા વધુ ચિંતા વધારતી છે, કારણ કે હત્યા પહેલાં માત્ર 48 કલાક પહેલાં વડા પ્રધાન ઇઝરાયેલની મુલાકાતેથી પરત ફર્યા હતા, જ્યાં તેમણે બેન્જામિન નેતાન્યાહુની સરકારને અડગ સમર્થન પુનરાવર્તિત કર્યું હતું, જ્યારે ગાઝા સંઘર્ષમાં મોટી સંખ્યામાં નાગરિકોના મોતને લઈને વિશ્વભરમાં આક્રોશ હતો. ભારતનું વલણ આ દુર્ઘટનાને મૌન સમર્થન આપતું જણાય છે.

પંચાંગ 03/03/2026

૦૩ માર્ચ ૨૦૨૬

‘હું શિક્ષિત છું’, રાજપાલ યાદવે પ્રિયદર્શનને આપ્યો વળતો જવાબ

રાજપાલ યાદવે દિગ્દર્શક પ્રિયદર્શનની ટિપ્પણીનો જવાબ આપ્યો, જેમાં તેમણે તેમના ચેક બાઉન્સ કેસ માટે અભિનેતાના શિક્ષણને જવાબદાર ગણાવ્યું હતું. જાણો પ્રિયદર્શન રાજપાલ યાદવ વિશે શું કહ્યું હતું.

ચેક બાઉન્સ કેસમાં વચગાળાના જામીન મળ્યા બાદ રાજપાલ યાદવ હાલમાં જેલની બહાર છે. આ દરમિયાન અભિનેતાએ દિગ્દર્શક પ્રિયદર્શનના પ્રતિભાવ પર ટિપ્પણી કરી, જેમાં તેમણે આ બાબતને રાજપાલ યાદવના ઓછા શિક્ષણ સાથે જોડી હતી. રાજપાલ યાદવે હવે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેનો તેમના શિક્ષણ સાથે કોઈ સંબંધ નથી. તેમણે પ્રિયદર્શન પર પણ ટિપ્પણી કરી.

ક્યારેક અનુભવીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે

સ્ક્રીન સાથેની વાતચીતમાં રાજપાલ યાદવે પ્રિયદર્શનની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું, “ઓછા શિક્ષણનો તેની સાથે કોઈ સંબંધ નથી. તે સંપૂર્ણપણે ખોટું છે. હું એક શિક્ષિત વ્યક્તિ છું. મેં 11 થી 55 વર્ષની ઉંમર સુધી કામ કર્યું છે. મોટા નામો પણ ક્યારેક મુશ્કેલીમાં મુકાય છે, પરંતુ તેનો શિક્ષણ સાથે કોઈ સંબંધ નથી. જો મારી પાસે ઓછું શિક્ષણ હોત, તો હું આ ઉદ્યોગમાં 25-30 વર્ષ ટકી શક્યો ન હોત.” અગાઉ, પ્રિયદર્શને રાજપાલ યાદવને એક સારા વ્યક્તિ તરીકે વર્ણવતા કહ્યું હતું કે તેમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ તેમની ભૂલ હતી.

જોકે, રાજપાલ યાદવ કહે છે કે તેમને ટિપ્પણીઓ પ્રત્યે કોઈ કડવાશ નથી. અભિનેતાએ કહ્યું, “મને ત્રણ દિગ્દર્શકો – રામ ગોપાલ વર્મા, ડેવિડ ધવન અને પ્રિયદર્શન પ્રત્યે ખૂબ માન છે.

મેં આ ત્રણ સાથે 50 થી વધુ ફિલ્મો કરી છે. હું પ્રિયાંજી (પ્રિયદર્શન) ના દીકરા જેવો છું. પરંતુ પ્રિયાંજી કે અન્ય કોઈને સંપૂર્ણ વાત ખબર નથી. તેથી, આવા નિર્ણયોથી કોઈ ફરક પડતો નથી.” આ દરમિયાન, રાજપાલ યાદવે ઈન્ડસ્ટ્રી તરફથી કોઈ ખાસ ઉપકાર કે સહાનુભૂતિની જરૂર હોવાનો ઇનકાર કર્યો હતો. સોનુ સૂદ દ્વારા તેમને કામ ઓફર કરવા અંગે અભિનેતાએ કહ્યું,”કૃપા કરીને આ ગેરસમજને દૂર કરો કે મારે કામ માટે ભીખ માંગવી પડે છે. કામ માંગવામાં કોઈ શરમ નથી, પરંતુ સિનેમા મારો જુસ્સો છે. હું એવી રીતે કામ કરું છું કે કામ સાથે હું જોડાયેલો રહું.”

રાજપાલ ‘ભૂત બંગ્લા’માં જોવા મળશે

કામની વાત કરીએ તો રાજપાલ યાદવ ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ‘ભૂત બંગ્લા’માં જોવા મળશે. આ ફિલ્મ પ્રિયદર્શન સાથે તેમનું પુનઃમિલન દર્શાવે છે. તે ‘વેલકમ ટુ ધ જંગલ’ની મોટી સ્ટાર કાસ્ટનો પણ ભાગ છે. ‘હૈવાન’ ઉપરાંત, રાજપાલ યાદવ પાસે બે વેબ સિરીઝ અને બે અન્ય ફિલ્મો પણ છે. તેણે તાજેતરમાં જ પોતાની ચેનલ લોન્ચ કરીને યુટ્યુબ પર પોતાના ડેબ્યૂની જાહેરાત કરી.

પાકિસ્તાનનો KSE-100 ઇન્ડેક્સ 16,000 પોઇન્ટનો કડાકો

નવી દિલ્હીઃ વીકએન્ડ દરમિયાન ઈરાન અને ઇઝરાઇલ-અમેરિકા વચ્ચે શરૂ થયેલી જંગને કારણે મધ્ય-પૂર્વમાં ભૂરાજકીય તણાવ વધી ગયો છે. તેને પરિણામે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ KSE-100 16,000થી વધુ પોઇન્ટ અથવા અંદાજે 10 ટકા સુધી તૂટ્યો હતો બાદમાં તેમાં થોડો સુધારો જોવા મળ્યો. જોકે એક સમયે PSX પર ટ્રેડિંગ પણ રોકવાં પડ્યાં હતાં.KSE-30 ઇન્ડેક્સમાં પણ દિવસ દરમિયાન 9.8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો. ત્યાર બાદ એક કલાક માટે ટ્રેડિંગ બંધ રાખવામાં આવ્યાં હતાં. ટ્રેડિંગ ફરી શરૂ થયા પછી ઇન્ડેક્સનો ઘટાડો ઘટીને 7.3 ટકા રહ્યો હતો. કડાકો એટલો તેજ હતો કે KSE-30 ઇન્ડેક્સ સર્કિટ લિમિટ પાર કરતાં એક્સચેન્જના નિયમો મુજબ ટ્રેડિંગને તાત્કાલિક રોકવાં પડ્યાં હતાં. અનેક રોકાણકારો માટે આટલી ઝડપી ઘટાડો ચોંકાવનારો હતો. આ વેચવાલીનું મુખ્ય કારણ કંપનીઓના પ્રદર્શન કરતાં વધુ મધ્ય-પૂર્વમાં વધતા સંઘર્ષ અને તેના સંભવિત આર્થિક પ્રભાવ અંગેનો ભય હતો.

પાકિસ્તાન માટે સ્થિતિ વધુ ગંભીર લાગી, કારણ કે તે સંઘર્ષ વિસ્તારમાં ભૌગોલિક રીતે નજીક છે અને ઊર્જા માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે.

દરેક સેક્ટરમાં વેચવાલી

આ ઘટાડો માત્ર એક કે બે સેક્ટર સુધી મર્યાદિત રહ્યો નહોતો. બજારનાં લગભગ તમામ મુખ્ય ક્ષેત્રોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બેંકિંગ ક્ષેત્રની મોટી કંપનીઓ જેમ કે HBL, MCB અને MEBLના શેરોમાં તેજ ઘટાડો થયો હતો. ઊર્જા ક્ષેત્રની કંપનીઓ OGDC, PPL અને POL પણ ઓઇલ બજારમાં અનિશ્ચિતતા વધતાં નીચે સરક્યા હતા. સિમેન્ટ, ફર્ટિલાઇઝર્સ, ઓટોમોબાઇલ એસેમ્બલર્સ અને પાવર કંપનીઓ પણ આ અસરથી બચી શકી નહીં.

જ્યારે બજાર આટલી ઝડપથી તૂટે છે, ત્યારે સામાન્ય રીતે તે કોઈ એક ક્ષેત્રની સમસ્યા નહીં પરંતુ વ્યાપક ગભરાટનો સંકેત આપે છે. આવા સમયે રોકાણકારો જોખમ ઘટાડવા માટે વિવિધ ક્ષેત્રોના શેર વેચીને રોકડ અથવા વધુ સુરક્ષિત સંપત્તિ તરફ વળે છે.

જાન્યુઆરીની ઊંચાઈથી 20 ટકાથી વધુ ઘટાડો

નવી તણાવભરી સ્થિતિને કારણે સોમવારે KSE-30 ઇન્ડેક્સ થોડા સમય માટે બેર માર્કેટ ઝોનમાં પ્રવેશી ગયો હતો. ઇન્ડેક્સ જાન્યુઆરીના ઉચ્ચ સ્તરથી 20 ટકા કરતાં વધુ નીચે આવી ગયો છે. ગયા વર્ષે વધતા રોકાણ અને સ્થિર સરકારને કારણે સ્થાનિક શેરબજારમાં લગભગ 50 ટકા સુધી તેજી જોવા મળી હતી.

ડાંગના રાજવીઓનું સન્માન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

આહવા: અંગ્રેજોની આધિનતા નહીં સ્વીકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, રાજયપાલ આચાર્ય દેવવ્રતએ ઐતિહાસિક મહોત્સવમાં પધારેલા મહાનુભાવોનું સ્વાગત કરી, હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.રાજ્યપાલએ રામાયણનાં દંડકારણ્યમાં ડાંગનો ઉલ્લેખ કરી આ જિલ્લાના આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો.રાજા-રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની, દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શૂરવીરતા, શૌર્યગાથા અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.રાજ્યપાલએ જણાવ્યું હતું કે, નિર્મળ જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર ઉપાય છે. ડાંગ જિલ્લો આજે દેશ માટે પ્રેરણારૂપ જિલ્લો બન્યો છે. આ જિલ્લામાં સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ ખેડૂતો પણ મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે.” વાસુર્ણા રાજવી ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશીએ ડાંગ દરબારનાં ઐતિહાસિક કાર્યક્રમમા રાજ્યપાલનાં આગમનની ખુશી વ્યક્તિ કરી રાજવીઓના સન્માનની પરંપરા જાળવી રાખવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના આદિવાસી પ્રકૃતિપૂજક છે. આ જંગલ અને પ્રકૃતિને બચાવનાર પાટીલ કારભારીની પ્રથા શરૂ કરવાં અને ડાંગનાં લોકોને ઘર આંગણે રોજગારી ઉપલબ્ધ કરવાં પ્રજાવતી અરજ કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેક્ટર શાલિની દુહાએ હાજર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. વાસુર્ણા રાજવીએ રાજ્યપાલને ધનુષ્યબાણ તથા સાફો પહેરાવી સન્માનિત કર્યા હતાં. તથા ભીલ યોદ્ધાઓનું પુસ્તક અર્પણ કર્યું હતું. જિલ્લા વહીવટી તંત્રે રાજ્યપાલને સ્મૃતિભેટમા વારલી પેન્ટિંગ તથા તારપુ અર્પણ કર્યું હતું. તો બીજી તરફ રાજ્યપાલએ ડાંગનાં પાંચ રાજવીઓને વિધિવત રીતે પાન સોપારી, શાલ, સ્મૃતિભેટ, સ્વર્ણમુદ્રા અને રાજકીય પેંશન અર્પણ કર્યું હતું.

દીપક ગુપ્તાએ ગેઇલના ચેરમેન, MD પદનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ દીપક ગુપ્તાએ આજે દેશની અગ્રણી ઊર્જા કંપની ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે કાર્યભાર સંભાળ્યો છે. દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી મિકેનિકલ એન્જિનિયર દીપક ગુપ્તાની પાસે ઓઇલ અને ગેસ ક્ષેત્રે વેલ્યુ ચેઇનમાં 35 વર્ષથી વધુનો વ્યાપક અને વૈવિધ્યસભર અનુભવ છે. તેઓ ટેક્નિકલ કુશળતા, વ્યૂહાત્મક દ્રષ્ટિ અને બોર્ડ સ્તરની નેતૃત્વ ક્ષમતાનો અનોખો સમન્વય ધરાવે છે. તેમની નિપુણતા પ્રોજેક્ટ અને કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, કોન્ટ્રેક્ટ્સ અને ગ્લોબલ પ્રોક્યોરમેન્ટ, ટેક્નોલોજી પસંદગી, બિઝનેસ ડેવલપમેન્ટ તેમ જ ઓપરેશન્સ અને મેઇનટેઇનન્સ જેવાં ક્ષેત્રોમાં ફેલાયેલી છે.

ગુપ્તા ફેબ્રુઆરી, 2022માં કંપનીમાં ડિરેક્ટર (પ્રોજેક્ટ્સ) તરીકે જોડાયા હતા અને હાલમાં તેઓ નેચરલ ગેસ અને LPG પાઇપલાઇન, ગેસ પ્રોસેસિંગ યુનિટ્સ, મહત્વપૂર્ણ SCADA ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા નેટ-ઝીરો લક્ષ્યાંકો હાંસલ કરવા માટે ગ્રીન એનર્જી પહેલો સહિત અનેક ઉચ્ચ પ્રભાવવાળા પ્રોજેક્ટ્સના અમલીકરણનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ 20,000 કિમીથી વધુ વિસ્તરેલા નેચરલ ગેસ અને LPG પાઇપલાઇન નેટવર્ક, કોમ્પ્રેસર સ્ટેશનો અને પ્રોસેસ પ્લાન્ટ્સના ઓપરેશન અને મેઇનટેઇનન્સનું પણ સંચાલન કરે છે.

તેમના નેતૃત્વ હેઠળ કંપનીની સહાયક કંપની કોંકણ LNG લિમિટેડનો દાભોલ બ્રેકવોટર પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો, તેમણે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રે અનેક પહેલો શરૂ કરીને વ્યાવસાયિક પ્રક્રિયાઓમાં ચપળતા અને પારદર્શિતા વધારી છે.

તેમણે કઈ-કઈ જવાબદારી નિભાવી છે?

આ પહેલાં તેઓ કંપનીના સંયુક્ત સાહસોમાં બોર્ડ સભ્ય તરીકે પણ કાર્યરત રહ્યા હતા — જેમ કે તાલચેર ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (ભારતનું પ્રથમ કોલ ગેસિફિકેશન આધારિત ખાતર પ્રોજેક્ટ)ના ચેરમેન, ONGC પેટ્રો (OPaL) તથા સાઉથ-ઇસ્ટ એશિયા ગેસ પાઇપલાઇન લિ. (SEAGP)ના ડિરેક્ટર રહ્યા. તેઓ ગ્રીન ગેસ લિમિટેડ અને મહારાષ્ટ્ર નેચરલ ગેસ લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન પણ રહ્યા છે. આ ભૂમિકાઓમાં તેમણે વ્યૂહાત્મક આયોજન, સ્ટેકહોલ્ડર સંકલન, કોર્પોરેટ ગવર્નન્સ અને બિઝનેસ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

એ પહેલાં એન્જિનિયર્સ ઇન્ડિયા લિ.માં 32 વર્ષના કારકિર્દી દરમિયાન તેમણે વિશ્વની સૌથી મોટી સિંગલ-ટ્રેન ડાંગોટે રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ (નાઇજિરિયા), HMELનું મેગા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ (ભટિંડા) અને કંપનીના પાતા પેટ્રોકેમિકલ વિસ્તરણ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું સફળ નેતૃત્વ કર્યું હતું. તેમણે મોંગોલિયામાં પ્રથમ ગ્રીનફિલ્ડ રિફાઇનરી પ્રોજેક્ટનું નેતૃત્વ કરીને ભારતની વૈશ્વિક ઊર્જા રાજનૈતિક પહેલમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.