Home Blog Page 1881

પંચાંગ 01/05/2024

IPL 2024 : લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈને 4 વિકેટે હરાવ્યું

લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું છે. માર્કસ સ્ટોઇનિસે 62 રનની રમત બદલાવતી ઇનિંગ રમીને એલએસજીની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 144 રન બનાવ્યા હતા. જ્યારે લખનૌની ટીમ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે એલએસજીની શરૂઆત સારી રહી ન હતી કારણ કે આઈપીએલમાં ડેબ્યૂ કરનાર અર્નિશ કુલકર્ણી પહેલા જ બોલ પર શૂન્યના સ્કોર સાથે આઉટ થઈ ગયો હતો. તે પછી, સ્ટોઇનિસ અને કેએલ રાહુલની 58 રનની ભાગીદારી અને સ્ટોઇનિસ-દીપક હુડાની 40 રનની ભાગીદારીએ લખનૌને જીતની નજીક પહોંચાડ્યું.

એલએસજીએ પાવરપ્લે ઓવરમાં 1 વિકેટના નુકસાને 52 રન બનાવીને પોતાની જીતનો પાયો નાખ્યો હતો. લખનઉએ આગામી 9 ઓવરમાં ધીમી બેટિંગ કરી કારણ કે ટીમ 54 બોલમાં માત્ર 64 રન જ બનાવી શકી હતી. 15 ઓવર પછી ટીમનો સ્કોર 4 વિકેટના નુકસાને 116 રન હતો, પરંતુ 6 વિકેટ હજુ બાકી હતી. તે જ સમયે, જીતવા માટે 30 બોલમાં માત્ર 29 રનની જરૂર હતી. મેચ હજુ પુરી થઈ નહોતી કારણ કે 18મી ઓવરમાં એશ્ટન ટર્નર 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ તે જ ઓવરમાં આયુષ બદોનીએ આવતાની સાથે જ બેટ સ્વિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લી 2 ઓવરમાં એલએસજીને જીતવા માટે 15 રનની જરૂર હતી. 19મી ઓવરમાં આયુષ બદોનીનો રન આઉટ વિવાદાસ્પદ રહ્યો હતો. પરંતુ તે જ ઓવરમાં નિકોલસ પુરને ચોગ્ગો ફટકારીને મેચ લખનૌ તરફ ફેરવી દીધી હતી. છેલ્લી ઓવરોમાં નિકોલસ પૂરને 14 બોલમાં 14 રનની પ્રેશરથી ભરપૂર ઇનિંગ રમી અને એલએસજીને 4 વિકેટે જીત અપાવી.

મુંબઈ ઈન્ડિયન્સને નાના સ્કોરનો બચાવ કરવો પડ્યો હતો, પરંતુ MI બોલરોએ સખત મહેનત કરી હતી અને છેલ્લી ઓવર સુધી મેચ જીતી લીધી હતી. નુવાન તુશારાએ આ મેચમાં તેની IPL કરિયરની પ્રથમ વિકેટ લીધી હતી. MI તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેમના સિવાય ગેરાલ્ડ કોએત્ઝી અને મોહમ્મદ નબીએ પણ એક-એક વિકેટ લીધી હતી.

લોકસભા ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી

લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મંગળવારે બીજી ઉમેદવારોની યાદી બહાર પાડી. ઉમેદવારોની આ યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે. કોંગ્રેસે આ યાદીમાં ત્રણ રાજ્યોની ચાર બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે હરિયાણાના ગુરુગ્રામથી અભિનેતામાંથી રાજનેતા બનેલા રાજ બબ્બરને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે હિમાચલ પ્રદેશની કાંગડા સીટ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્મા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અનુરાગ ઠાકુર સામે કોણ છે ઉમેદવાર?

કોંગ્રેસે હિમાચલ પ્રદેશની હમીરપુર લોકસભા સીટ પરથી કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અનુરાગ ઠાકુરની સામે સતપાલ રાયજાદાને ટિકિટ આપી છે. તે જ સમયે, ભૂષણ પાટીલને મહારાષ્ટ્રની ઉત્તર મુંબઈ બેઠક માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.યુપી કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે છેલ્લી બે લોકસભા ચૂંટણી યુપીની ફતેહપુર સીકરી બેઠક પરથી લડી હતી. બંને વખત તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જો આનંદ શર્માની વાત કરીએ તો તેઓ કોંગ્રેસના નેતૃત્વ સામે બ્યુગલ વગાડનારાઓમાંના એક છે. કોંગ્રેસના આ બળવાખોર નેતાઓને G-23 જૂથ કહેવામાં આવતું હતું. જો કે, આ બળવો થોડા મહિનામાં ખતમ થઈ ગયો, પરંતુ ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલ જેવા નેતાઓએ કોંગ્રેસ છોડીને એક અલગ રસ્તો અપનાવ્યો.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર

ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા આજે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જી હાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર કરાઈ છે. આગામી 11, 13, 14, 16, 17 અને 20 મેના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 4 શિફ્ટમાં પરીક્ષા યોજવાનું આયોજન કરાયું છે. લોકસભા ચૂંટણીને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર ડાઉનલોડ કરી શકશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 ગુજરાત ગૌણ સેવા ક્લાસ 3ની ગ્રુપ A અને Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5,554 જગ્યાઓ પર સીધી ભરતીની માટેની પરીક્ષાનું આયોજન કરાયું છે. આ માટે ઉમેદવારો પાસેથી 4 જાન્યુઆરી 2024થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેની CCEની પરીક્ષા ચાર સેશનમાં CBRT પદ્ધતિથી આયોજન કરવામાં આવી છે.

પરીક્ષા કાર્યક્રમ જાહેર

ગૌણ સેવાએ મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત કરતા જણાવ્યું છે કે, જાહેરાત ક્રમાંક: 212/202324, ગુજરાત ગૌણ સેવા વર્ગ-3 (ગૃપ-A તથા ગૃપ-B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 01/04/2024ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. અગાઉ તારીખ 19/04/2024ના રોજ જણાવ્યા મુજબ પરીક્ષા કાર્યક્રમની તા.20,21,27,28 એપ્રિલ 2024 અને તારીખ 4,5 મે 2024ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવેલી હતી. જ્યારે તા. 08/05/2024 અને તા.09/05/2024ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલો છે.

કોણ છે એ મહિલા વકીલ? જે 60 વર્ષની ઉંમરે બન્યા મિસ યુનિવર્સ

મુંબઈ: અત્યાર સુધી ભારતની સુષ્મિતા સેન, લારા દત્તા અને હરનાઝ સંધુએ મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. ત્યારે એક મહિલા વકીલે પણ મોડલિંગમાં ઈતિહાસ રચ્યો છે. મિસ યુનિવર્સ બ્યુનોસ આયર્સ 2024નો ખિતાબ જીતનાર મહિલા વકીલની ઉંમર 60 વર્ષ છે. સમાચાર સાંભળીને લોકોને એ જાણવામાં વધુ રસ પડ્યો છે કે કોણ છે એ મહિલા જેણે આ ખિતાબ જીતી હજારો મહિલાઓને પ્રેરણા પુરી પાડી છે.

 

તસવીર: ઈન્સ્ટાગ્રામ

હકીકતે, આર્જેન્ટિનાની અલેજાન્દ્રા મેરિસા રોડ્રિગ્ઝે સ્ટીરિયોટાઇપ તોડી અને બ્યુનોસ આયર્સ પ્રાંત માટે મિસ યુનિવર્સ 2024નો પ્રતિષ્ઠિત ખિતાબ જીતીને ઇતિહાસના પુસ્તકોમાં પ્રવેશ કર્યો, જેની જાહેરાત બુધવારે કરવામાં આવી હતી. તેમની સફર પણ એટલી રસપ્રદ અને અદ્ભૂત છે. એલેજાન્ડ્રા માત્ર બ્યુટી ક્વીન નથી. હકીકતમાં તેઓ વકીલ અને પત્રકાર પણ છે.

તસવીર: ઈન્સ્ટાગ્રામ

અગાઉ, ફક્ત 18 થી 28 વર્ષની વયની મહિલાઓ જ સ્પર્ધામાં ભાગ લઈ શકતી હતી. પરંતુ સપ્ટેમ્બર 2023માં મિસ યુનિવર્સ સંસ્થાએ આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે વય મર્યાદા દૂર કરી છે. એલેજાન્દ્રા રોડ્રિગ્ઝની સફળતા દર્શાવે છે કે આત્મવિશ્વાસ અને ધગષ તથા મહેનતથી તમામ અવરોધો પાર કરી શકાય છે. એલેજાન્દ્રા આ પ્રતિષ્ઠિત તાજ હાંસલ કરનાર તેના વય જૂથના પ્રથમ સ્પર્ધક બની ગયા છે. તેનું મનમોહક સ્મિત અને દયાળુ વર્તને નિર્ણાયકો અને પ્રેક્ષકોના દિલ જીતી લીધા. આ જીત સાથે રોડ્રિગ્ઝ મિસ યુનિવર્સ આર્જેન્ટિના 2024 તાજ માટે સ્પર્ધા કરવા માટે પ્રતિબદ્ધ છે.

રોડ્રિગ્ઝની અભૂતપૂર્વ સિદ્ધિઓ સાથે અન્ય મહિલાઓ પણ આત્મવિસ્વાસ દ્વારા મોડલિંગ સ્પર્ધાનું ક્ષેત્ર પસંદ કરી રહી છે અને પ્રખ્યાત ટાઇટલ માટે વય અવરોધો તોડી આગળ આવી રહી છે. એક અહેવાલ અનુસાર, 47 વર્ષીય હેઈદી ક્રુઝ આગામી 2024 સ્પર્ધામાં ડોમિનિકન રિપબ્લિકનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે, જે આ વર્ષના અંતમાં મેક્સિકો સિટીમાં યોજાવાની છે.

અલેજાન્દ્રા મેરિસા રોડ્રિગ્ઝે તેની જીત બાદ મીડિયાને કહ્યું,’હું સૌંદર્ય સ્પર્ધાઓમાં આ નવા પ્રતિમાનનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્સાહિત છું કારણ કે અમે એક નવા તબક્કાનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ જેમાં મહિલાઓ માત્ર શારીરિક સૌંદર્ય જ નહીં પરંતુ મૂલ્યોનું પણ પ્રતિનિધિત્વ કરે છે.’

નોંધનીય છે કે મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશને ગત વર્ષે જાહેરાત કરી હતી કે સ્પર્ધકો માટે કોઈ વય મર્યાદા નથી. આ સ્પર્ધામાં 18 વર્ષથી ઉપરની મહિલાઓ ભાગ લઈ શકશે. જ્યારે અગાઉ 18 થી 28 વર્ષની મહિલાઓ માટે ભાગ લેવાનો નિયમ હતો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ 1 મેના રોજ રામ મંદિરના દર્શન કરશે

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારના રોજ અયોધ્યાની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ 1 મેના રોજ અયોધ્યા જશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામ મંદિરમાં રામલલાના દર્શન કરશે. તે હનુમાનગઢી મંદિરમાં દર્શન અને આરતી પણ કરશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ કુબેર ટીલાની પણ મુલાકાત લેશે. અયોધ્યાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ સરયૂ નદીની પૂજા અને આરતી કરશે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની રામનગરીની આ પ્રથમ મુલાકાત છે. 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક બાદ રાષ્ટ્રપતિ 1 મેના રોજ અયોધ્યા જવાના છે.

Ayodhya : Prime Minister Narendra Modi performs ‘aarti’ of Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya on Monday, Jan 22, 2024. (Photo: IANS/Video Grab via Narendra Modi YT)

રામ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે

સમાચાર એજન્સી IANSના અહેવાલ મુજબ રામ મંદિરના અધિકારીઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અયોધ્યા મુલાકાતની તૈયારીઓ અંગે પણ વાત કરી છે. રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન સામાન્ય ભક્તો પણ રાબેતા મુજબ દર્શન અને પૂજા કરી શકશે.

આવતીકાલથી PM મોદી ગુજરાતમાં ગજવશે જનસભાઓ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ દ્વારા રાજ્યની 26માંથી 26 બેઠકો પર જીત મેળવવા માટે કમર કસવામાં આવી છે. સ્ટાર પ્રચારકો દ્વારા ધુંવાધાર પ્રચાર શરૂ કરી દેવાયો છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ હવે રાજયમાં કેટલીક બેઠકો પર જંગી જનસભાઓને સંબોધવાના છે. વડાપ્રધાન આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.

બે દિવસમાં છ જેટલી સભાઓ સંબોધશે

આવતીકાલે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ત્યારે વડાપ્રધાન આવતીકાલે બપોરે ત્રણ કલાકે બનાસકાંઠાના ડિસામાં સભાને સંબોધન કરવાના છે. ત્યાર બાદ સાંજે પાંચ વાગે સાબરકાંઠામાં હિંમતનગરમાં સભાને સંબોધન કરશે. બીજી મેના રોજ સવારે 11 કલાકે આણંદ અને બપોરે એક કલાકે સુરેન્દ્રનગરમાં સભાઓ સંબોધશે. ત્યાર બાદ વડાપ્રધાન જૂનાગઢ જશે અને સાડા ત્રણ વાગે સભાને સંબોધિત કરશે. જ્યારે જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને જીતાડવા માટે વડાપ્રધાન સાંજે પાંચ વાગે સભાને સંબોધિત કરશે. ત્યાર બાદ તેઓ સીધા પશ્ચિમ બંગાળ જવા રવાના થશે.

pm modi

વડાપ્રધાન જામનગર ખાતે સભા યોજી બંગાળ રવાના થશે

એક તરફ રુપાલા વિવાદના કારણે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામા આવી રહ્યો છે અને ક્ષત્રિયો દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાંકલ કરવામા આવી છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી જાહેર સભા કરીને પ્રચારનો પ્રારંભ કરે તેવી વાત હતી પરંતુ ક્ષત્રિય આંદોલનના પગલે આ કાર્યક્રમમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રાજકોટ બેઠકની સભા વઢવાણ ખાતે યોજાશે. તેમની છેલ્લી સભા જામનગર ખાતે યોજાશે. ત્યારબાદ તેઓ છઠ્ઠી મેના રોજ રાત્રે ફરી ગુજરાત આવશે અને સાતમીએ તેઓ અમદાવાદ આવીને મતદાન કરશે.

ભાવનગરના મહારાજાને ભારત રત્ન મળવો જોઈએ..

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. અને તમામ રાજકીય પક્ષો છેલ્લી ઘડીનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે એક ઈન્ટરવ્યુ દરમિયાન કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા ભાવનગરના મહારાજાને ભારત રત્ન આપવાની માગ કરી હતી.

કોંગ્રેસની જીતને લઈ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું 2004 કરતા પણ વધુ સારી બહુમતી સાથે 2024માં કોંગ્રેસનો વિજય થશે. આ ચૂંટણી નવુ પરિવર્તન લઈને આવશે. કોંગ્રેસ ગુજરાતમાં 16 બેઠક પર જીતશે, એટલું જ નહિં દેશમાં પણ બહુમતી સાથે જીતશે. રાજ્યની પ્રજા ભાજપથી કંટાળી ગઈ છે. હવે  પરિવર્તનની માગ કરી રહી છે.

વધુમાં ક્ષત્રિય સમાજના વિરોધ પર નિવેદન આપતા કહ્યું કે સત્તા પક્ષ પર બેસીને કોઈ વ્યક્તિ વિશે કે સમાજ વિશે ભાજપ બોલે તે શોભતુ નથી. આ નિવેદન બાદ દેશમાં કેટલીક જગ્યા પર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સત્તા પક્ષ પર બેસીને કોઈ સમાજ માટે અયોગ્ય વર્તન શોભતુ નથી. 2024ની લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો રોષ ખુબ નડતર રૂપ બનશે.

આ ઉપરાંત તેમણે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ પર વાત કરતા કહ્યું કે ભાવનગરના રાજાએ પહેલા રાજા હતા, જેમણે દેશને એકત્રીત કરવામાં પહેલી આહુતી આપી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલને તો ભારત રત્ન આપવો જોઈએ. રાહુલ ગાંધીના રાજા પરના નિવેદન પર કહ્યું કે તેમના નિવેદનને વખોડવાનો પ્રયાસ ન કરશો. રાજા જમીન આપતા કે લેતા નહિં. પાર્લામેન્ટમાં PM રાજા અને અંગ્રેજો સાથેની સાંઠગાંઢ ધરાવવાની વાતો કરે છે તે યોગ્ય નથી. તેમણા મત અનુસાર રાજા શું પ્રજા વિરોધી હતા?.

 

છત્તીસગઢમાં સુરક્ષા કર્મચારીઓની સાથે અથડામણમાં 10 નક્સલવાદીનાં મોત

રાયપુરઃ છત્તીસગઢમાં નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદે એક જંગલમાં મંગળવારે નકસલીઓની સાથે સુરક્ષા કર્મચારીઓની અથડામણ થઈ હતી. એ દરમ્યાન ત્રણ મહિલાઓ સહિત 10 નક્સલવાદીઓ માર્યા ગયા છે. રાજ્યના ઉપ મુખ્ય મંત્રી વિજય શર્માએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે 15 દિવસોમાં સુરક્ષા દળોનો નક્સલીઓ પર આ એક બીજો મોટો હુમલો છે.

ડેપ્યુટી CM શર્માની પાસે ગૃહ વિભાગ પણ છે. તેમણે એક વિડિયો નિવેદનમાં રાજ્યમાં નક્સલવિરોધી ઝુંબેશમાં એક મોટી સફળતા મળી હતી. તાજી અથડામણ સવારે છ કલાકે નક્સલવાદીઓના ગઢ ગણાતા અબુઝમાડ વિસ્તારના ટેકમેટા અને કાકુર ગામોની વચ્ચે જંગલમાં થઈ હતી. વાસ્તવમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની સંયુક્ત ટીમ નક્સલવિરોધી ઝુંબેશ પર નીકળી હતી. ઓપરેશન સોમવારે રાત્રે શરૂ કરવામાં આવ્યું હતું અને મંગળવાર સવારે નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પર અથડામણ થઈ હતી.

ડેપ્યુટી CMએ જણાવ્યું હતું કે ત્રણ મહિલાઓ સહિત 10 નક્સલવાદીઓ માર્યા ગયા હતા અને તેમના મૃતદેહો કબજે કરવામાં આવ્યા છે. આ અથડામણમાં સુરક્ષા કર્મચારીઓને કોઈ નુકસાન નથી થયું. તેમણે આ કાર્યવાહીને એક મોટી સફળતા જણાવતાં કહ્યું હતું કે આ અથડામણમાં એક AK-47 રાઇફલ અને અન્ય હથિયારો, ગોલા-બારુદ અને વિસ્ફોટકોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના સાથે, સુરક્ષા દળો સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં આ વર્ષે અત્યાર સુધીમાં 88 નક્સલવાદીઓ માર્યા ગયા છે. થોડા દિવસો પહેલાં સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં 29 નકસલવાદીઓ માર્યા ગયા હતા. જેમાં પ્રમુખ માઓવાદી નેતાઓ શંકર રાવ અને લલિતા મેરાવીનો પણ સમવેશ થાય છે, જેમના માથા પર રૂ. 8 લાખનું ઈનામ હતું.

 

 

 

 

 

 

 

જૂનાગઢમાં PMના પ્રચાર પર ગરમીનો પ્રકોપ!

લોકસભા ચૂંટણીને 7 દિવસ બાકી છે. તમામ પાર્ટીના કેન્દ્રીય નેતાઓ જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. તો બીજી બાજુ ચૂંટણી સુધી રાજ્યમાં ગરમીનો પારો યથાવત્ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 1લી મેથી બે દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. PM મોદી રાજ્યમાં પ્રચંડ પ્રાચર કરવાના છે.

1લી મેના રોજ PM મોદી બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બે જાહેર સભાઓને સંબોધશે. 2જી મેના રોજ PM મોદી આણંદ, સુરેન્દ્રનગરના વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં જાહેર સભાઓને સંબોધશે. જ્યારે જૂનાગઢમાં પોરબંદર, અમરેલી અને જામનગરની લોકસભા બેઠકો માટે પ્રચાર કરશે.

જૂનાગઢમાં 2જી મેના બપોર બે વાગ્યે PM મોદી જનસભાને સંબોધન કરશે. જૂનાગઢના કૃષિ યુનિવર્ષિટીના મેદાનમાં PM નરેન્દ્ર મોદીની જનસભા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આકરા તડકામાં કોઈ પણ સરકારી મશિનરીનો ઉપયોગ કર્યા વગર મોટી સંખ્યામાં લોકોને સભા સુધી લાવવા એ કાર્યકરો માટે પડકાર છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર સભા હોવાના કારણે કાર્યકર્તાઓને જનમેદીને ખાનગી વાહનોમાં લાવવા પડશે. તો જૂનાગઢમાં પ્રચારથી ભાજપ સાત વિધાનસભા સહિત પોરબંદર અને અમરેલી બેઠક માટે પ્રચાર કરશે. હાલ સુધી ભાજપનો ટાર્ગેટ 60 હજારથી વધુની સંખ્યામાં લોકોને એકત્ર કરવાનો છે. જે પૂર્ણ કરવો પણ ભાજપના કાર્યકરો માટે મોટી પડકાર છે. તો ઉપરાંત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હિટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હાલ સુધીમાં રાજ્યમાં બે એવા કેસ પણ બન્યા છે જ્યાં ચૂંટણી ફરજ બજાવતા લોકોને હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોય. જ્યારે બીજા તબક્કાના મતદાન સમયે કેરળમાં મતદાન કરતી વખતે ગરમીના લીધે 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવી પરિસ્થિતીમાં જોવાનું રહ્યું છે. ભાજપનો ચૂંટણી પ્રચાર કેટલો સફળ રહે છે.