Home Blog Page 167

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી

Eid 2026: રમઝાનના 30 દિવસના ઉપવાસ પછી ઈદનો ચાંદ દેખાયો, દેશભરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. લોકોએ એકબીજાને ગળે લગાવીને શુભેચ્છા પાઠવી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાઈચારોનો સંદેશ આપતા રાષ્ટ્રને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી.

 

રમઝાન મહિનામાં ૩૦ દિવસના ઉપવાસ અને દુઆ કર્યા પછી, ઈદનો ચાંદ દેખાયો ત્યારે દેશભરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. ચાંદ દેખાયા કે તરત જ મસ્જિદોમાંથી જાહેરાતો કરવામાં આવી અને લોકોએ આકાશમાં ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી. લોકોના ચહેરા પપર ચમક અને લોકોએ એકબીજાને ગળે લગાવીને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું,”ઈદ અલ-ફિત્રની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.” તેમણે કહ્યું, “આ દિવસ ભાઈચારો અને કરુણાની ભાવનાને વધુ મજબૂત બનાવે. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે.”

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈદ અલ-ફિત્રના ખાસ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સંદેશમાં તેમણે તમામ નાગરિકોને, ખાસ કરીને મુસ્લિમ સમુદાયના લોકોને ઈદની શુભેચ્છાઓ પાઠવી. તેમના સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ઈદનો તહેવાર આપણને આત્મસંયમ, સેવા અને અન્યોને મદદ કરવાનું શીખવે છે.

તેણીએ કહ્યું કે આ દિવસે આપણે જરૂરિયાતમંદ અને નિર્બળ લોકો પ્રત્યે કરુણા અને સહાય દર્શાવવી જોઈએ. મુર્મુએ દેશવાસીઓને આ પવિત્ર અવસરને ગ્રહણ કરવા અને સમાજ અને દેશને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવા અપીલ કરી. રાષ્ટ્રપતિનો સંદેશ ઈદના અવસર પર ભાઈચારો અને એકતાનો સંદેશ આપે છે.

પીએમ મોદીએ પણ નવરોઝની શુભેચ્છાઓ પાઠવી. તેમણે દેશવાસીઓને નવરોઝના ખાસ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે આ શુભ પ્રસંગ દરેકના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે. તેમના સંદેશમાં પીએમ મોદીએ કામના કરી કે આવનારું વર્ષ દરેક માટે સમૃદ્ધ રહે તેમની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય અને દરેક સ્વસ્થ રહે. તેમણે બધાને નવરોઝ મુબારકની શુભેચ્છા પાઠવી. નવરોઝ પારસી સમુદાયનો એક મુખ્ય તહેવાર છે, જેને નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરે છે અને શાંતિ અને ખુશી માટે પ્રાર્થના કરે છે.

ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ID થશે બ્લોક

નવી દિલ્હીઃ આવનારા સમયમાં વોટ્સએપ પર ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમમાં ઉપયોગ થતી ડિવાઇસ ID બ્લોક કરવામાં આવી શકે છે. આ ઉપરાંત સ્કાઈપ (Skype) જેવી સુરક્ષા સુવિધાઓ લાગુ કરવા અને ખતરનાક APK ફાઇલોને ઓળખીને બ્લોક કરવા જેવા નવાં ફીચર્સ પણ ઉમેરવામાં આવે એવી શક્યતા છે. ગૃહ મંત્રાલયની હાઈ-લેવલ ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ કમિટીએ વોટ્સએપને આ અંગે સૂચનાઓ આપી છે. સરકારનું માનવું છે કે ડિજિટલ અરેસ્ટ જેવા સ્કેમ રોકવા માટે આ ફીચર્સ જરૂરી છે.

વોટ્સએપે પણ આ સૂચનો અમલમાં મૂકવા માટે સંમતિ દર્શાવી છે અને કેટલાંક ફીચર્સ પર કામ શરૂ કરી દીધું છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે હાઈ-લેવલ કમિટીની ત્રીજી બેઠક આ મહિનાની શરૂઆતમાં યોજવામાં આવી હતી.

પ્રસ્તાવિત મુખ્ય ફીચર્સ:

પહેલું ફીચર:

ડિજિટલ અરેસ્ટ સ્કેમ કરનાર આરોપીઓના ડિવાઇસની ઓળખ કરીને તેમના ID બ્લોક કરવામાં આવશે.

બીજું ફીચર:

Skype જેવી અનેક સુરક્ષા (પ્રોટેક્ટિવ) સુવિધાઓ વોટ્સએપમાં લાગુ કરવામાં આવશે.

ત્રીજું ફીચર:

ડિલીટ થયેલા એકાઉન્ટના યુઝર ડેટાને ઓછામાં ઓછા 180 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે.

ચોથું ફીચર:

ખતરનાક APK ફાઇલોને ઓળખીને આપમેળે બ્લોક કરી શકે તેવું મિકેનિઝમ વિકસાવવામાં આવશે.

પાંચમું ફીચર:

ફેક કન્ટેન્ટ ઓળખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવશે. વોટ્સએપને નવાં ફીચર્સ અંગે 30 દિવસની અંદર પ્રપોઝલ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. એ ઉપરાંત ડિજિટલ અરેસ્ટ કેસોમાં વપરાતી ડિવાઇસ ID બ્લોક કરવા માટે નવું મિકેનિઝમ અંગે 45 દિવસમાં અલગ પ્રસ્તાવ આપવા પણ કહેવામાં આવ્યું છે.

ડિજિટલ અરેસ્ટ સ્કેમ શું છે?

આ પ્રકારની સાયબર છેતરપિંડીમાં ઠગો પોતાને નકલી પોલીસ કર્મચારી અથવા તપાસ એજન્સીના અધિકારી તરીકે રજૂ કરે છે અને લોકોમાં ભય પેદા કરીને તેમને અલગ-અલગ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા મજબૂર કરે છે.

વધતા સાયબર ફ્રોડના કેસોને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે 28 નવેમ્બરે ટેલિકોમ વિભાગ (DoT)એ નવો નિયમ જાહેર કર્યો હતો. તેના હેઠળ WhatsApp, Telegram, Signal અને Snapchat જેવા એપ્સને યુઝરના એકાઉન્ટને સક્રિય SIM સાથે જોડવાની સૂચના આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ વોટ્સએપ આ નિયમ ચારથી છ મહિનામાં અમલમાં મૂકી શકે છે.

સીઝફાયરથી ઇનકાર કરતાં ટ્રમ્પે કહ્યું, ઈરાન સામે કાર્યવાહી ચાલુ રહેશે

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં યુદ્ધવિરામ (સીઝફાયર)ના પક્ષમાં નથી. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે સૈન્ય કાર્યવાહી આગળ પણ ચાલુ રહી શકે છે. તેમણે કહ્યું હતું કે વાતચીત શક્ય છે, પરંતુ લડાઈ રોકવાની સંભાવનાને નકારી કાઢતાં તેમણે કહ્યું હતું કે જુઓ, આપણે વાતચીત કરી શકીએ છીએ, પરંતુ હું સીઝફાયર ઇચ્છતો નથી. તમે જાણો છો કે જ્યારે તમે સામા પક્ષને સંપૂર્ણ રીતે હરાવી રહ્યા હો, ત્યારે સીઝફાયર કરવામાં આવતું નથી.

હોર્મુઝ જળસંધિની સ્થિતિ અંગે તેમણે કહ્યું હતું કે આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગમાંથી સુરક્ષિત અવરજવર સમય જતાં પોતે જ ફરી શરૂ થઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પાયે સહભાગિતા મદદરૂપ સાબિત થઈ શકે છે અને ચીન જેવા દેશો આ સંકટ ઉકેલવામાં ભૂમિકા ભજવે તો સારું રહેશે.

ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે ચીન અને જાપાન સહિત વૈશ્વિક શક્તિઓ વિસ્તારમાં સ્થિરતા જાળવવામાં મદદ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ઘણી મદદની જરૂર છે અને સમુદ્રી માર્ગોને સુરક્ષિત રાખવા અત્યંત જરૂરી છે, કારણ કે હાલમાં અવરોધો યથાવત્ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ સંઘર્ષમાં ઇઝરાયેલની ભૂમિકા અંગે પણ વાત કરી અને સંકેત આપ્યો કે જ્યારે અમેરિકા પોતાનું લક્ષ્ય હાંસલ કરી લેશે, ત્યારે લડાઈની તીવ્રતા ઘટી શકે છે.

ટ્રમ્પે બ્રિટનની ટીકા કરી

આ ઉપરાંત ટ્રમ્પે બ્રિટનની ટીકા કરતાં કહ્યું હતું કે અમેરિકન અભિયાનોને સમર્થન આપવા માટે તેને “ઝડપી કાર્યવાહી” કરવી જોઈતી હતી. ખાસ કરીને તે અહેવાલો પછી જેમાં કહેવામાં આવ્યું હતું કે બ્રિટને ઇરાની મિસાઇલ ઠેકાણાઓ પર હુમલા માટે પોતાનાં સૈન્ય ઠેકાણાઓના ઉપયોગને મંજૂરી આપી હતી.

વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે તે જ્યારે ઇચ્છે ત્યારે ખાર્ગ દ્વીપ પર કબજો કરી શકે છે. આ નિવેદન તે અહેવાલો પછી આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન આ મહત્વપૂર્ણ ઓઇલ સંગ્રહ કેન્દ્ર પર કબજો કરવાની અથવા તેની નાકાબંધી કરવાની યોજનાઓ પર વિચાર કરી રહ્યું છે.

પૂર્વગ્રહો આપણને નુકસાન પહોંચાડે નહીં એ માટે શું કરવું?

મારી શાળાના સમયની મિત્રે હાલમાં મને વાતચીત દરમિયાન કહ્યું, “મને મારા કાકા-સસરા આંખે દીઠા ગમતા નથી. એમના ભત્રીજાએ મારી સાથે આંતરજાતીય લગ્ન કર્યાં એ એમને ગમ્યું નહીં તેથી તેઓ અમારાં લગ્નમાં આવ્યા ન હતા.”

આ મિત્રના લગ્ન થયાને ત્રીસ વર્ષ થઈ ચૂક્યાં છે અને કાકા-સસરા પણ એ બધું ભૂલી ગયા છે, પરંતુ મારી મિત્ર જૂના ઘાને ભૂલવા તૈયાર નથી. ખરું પૂછો તો કાકા-સસરાનો સંપૂર્ણ પરિવાર ઘણો સારો છે. તેઓ બધા મારી મિત્રને સારી રીતે સાચવે છે. આથી મેં એને કહ્યું “બધા પરિવારજનો તને આટલું માન આપે છે, તો હવે શું વાંધો છે!” એ પણ કબૂલે છે કે હવે કાકા-સસરાનું પણ વર્તન બદલાઈ ગયું છે, છતાં એ પોતાનો રોષ ભૂલી શકતી નથી.

આ તો ફક્ત ઉદાહરણ છે. આપણે પોતે પણ જાણ્યે-અજાણ્યે ઘણી વાર આવા પૂર્વગ્રહ પાળતા હોઈએ છીએ. એ પૂર્વગ્રહ કોઈ વ્યક્તિ, જગ્યા, ખાવાની વસ્તુ, પરિસ્થિતિ કે બીજી કોઈ પણ બાબતે હોય છે. આપણે એકનો એક પૂર્વગ્રહ વારંવાર વર્તન અને વાણીમાં લાવ્યા કરીએ તો એને વિષ ઘોળ્યા સમાન કહી શકાય. મનમાં ઝેર ભરેલું હોય તો એનાથી આપણને જ નુકસાન થાય છે.

હવે બીજું ઉદાહરણ જોઈએ. મારા પરિચિત હંમેશાં પોતાની બિલ્ડિંગની મૅનેજિંગ કમિટીની ખોડ કાઢ્યા કરતા હોય છે. કમિટી બદલાયા કરે છે, પરંતુ એમનો પૂર્વગ્રહ એમનો એમ રહ્યો છે. તમે નહીં માનો, પણ છેલ્લાં 25 વર્ષથી તેઓ મૅનેજિંગ કમિટી પ્રત્યેના અણગમાનો રાગ આલાપ્યા કરે છે. ગયા વર્ષે કોરોનાને પગલે મહાનગરપાલિકાએ નક્કી કરેલી માર્ગદર્શિકાને કારણે સોસાયટીનું જિમ્નેશિયમ બંધ રાખવું પડ્યું હતું. આ પરિચિતને તો ભાવતું હતું ને મળી ગયું. પાલિકાના નિર્ણય માટે પણ તેઓ મૅનેજિંગ કમિટીને દોષ આપવા લાગ્યા. જિમ્નેશિયમ બંધ રહેવાને કારણે પોતાનું કોલેસ્ટરોલ અને સુગર વધી ગયાં એવી એમની દલીલ હતી. એમના મનનું ઝેર સતત વધતું જાય છે.

કોઈ વ્યક્તિ ખરજવું થાય ત્યારે એકની એક જગ્યાએ ખંજવાળ ખણ્યા કરે એના જેવી આ વાત છે. ખંજવાળ ખણવાથી નુકસાન થશે એવી ખબર હોવા છતાં થોડા સમય પૂરતું સારું લાગે એટલા ખાતર લોકો ખંજવાળ્યા કરતા હોય છે. વાસ્તવમાં જ્યાં સુધી ખરજવાને ખંજવાળવાનું બંધ થાય નહીં ત્યાં સુધી એ સારું થતું નથી. આ ખબર હોવા છતાં ખંજવાળવાનું ચાલુ જ રહે છે.

મનમાં જ્યારે ઝેર ઘોળાવા લાગે એ વખતે આપણે જાગૃત રહીએ તો આ સમસ્યાથી બચી શકાય છે. સમય જતાં મનનું ઝેર બોજારૂપ બની જાય છે. આપણે જ્યારે ચિંતન માટે અથવા આંખો બંધ કરીને શાંત ચિત્તે બેસવાનો પ્રયત્ન કરીએ ત્યારે આ વિચારો મનમાં આવીને આપણી શાંતિમાં ખલેલ પહોંચાડે છે.

આ લાગણીઓને દૂર કરવાનો પ્રયત્ન કરવાને બદલે એમને પ્રેક્ષકની જેમ ફક્ત જોયા કરો. જ્યારે પણ આવા વિચારો મનને વિચલિત કરવાનો પ્રયત્ન કરે ત્યારે ઈશ્વરના નામનું શરણ લઈને બીજી કોઈ પ્રવૃત્તિ કરવા લાગી જવું. જો એ શક્ય ન હોય તો પોતાના શોખના કોઈ વિષયનું કામ કરવા લાગી જવું. શ્વસન પર ધ્યાન આપવું એ પણ એક સારો ઉપાય છે.

પૂર્વગ્રહો આપણને હાનિ પહોંચાડે છે. બીજાઓમાં પરિવર્તન આવે એવું ઈચ્છવું નિરર્થક છે. કોઈકે સાચું જ કહ્યું છેઃ બીજાઓમાં પરિવર્તન આવશે એવું ઈચ્છવું એ સૂરજ પશ્ચિમમાં ઉગશે એવું વિચારવા સમાન છે.

વિશ્વ બદલાશે નહીં અને આપણે પણ વિશ્વની અવગણના કરી શકતા નથી. આથી આપણે એ વિચારોને દબાવી દેવાનો પ્રયાસ કરવાને બદલે વિચારોને ઓગાળી દેવા. દબાવી દીધેલા વિચારો વહેલા-મોડા પાછા આવ્યા વગર રહેતા નથી.

આપણાં શાસ્ત્રોએ વિચારોને ઓગાળી દેવા માટે અનેક રસ્તા બતાવ્યા છે. આ વિચારો અને લાગણીઓ જેટલાં જલદી ઓગળવા લાગશે એટલું જલદી આપણે આપણી સંપત્તિ અને આપણા જીવનનો આનંદ લેવાનું શરૂ કરી શકીશું. એ જ વખતે યોગિક વેલ્થ પ્રગટ થશે અને આપણને પ્રસન્નતા બક્ષશે. સંપત્તિ અને જીવનનો આનંદ લો. ફક્ત સંપત્તિ નહી, યોગિક વેલ્થ ભેગી થાય એવી ખેવના રાખો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

સંગીત એ સેવા છે: જયદેવ ગોસાઈની અનોખી સફર

અમદાવાદના ડૉ. કેતન પટેલ અને જાણીતા ગુજરાતી ગાયક જયદેવ ગોસાઈ મળીને એક ખાસ કાર્યક્રમ લઈને આવ્યા છે. સંગીત એ માત્ર મનોરંજન માટે નથી, પણ સેવાનું માધ્યમ પણ બની શકે છે. આ ઉમદા વિચાર સાથે જયદેવ ગોસાઈનો લાઈવ પર્ફોર્મન્સ કાર્યક્રમ ‘કલર્સ ઓફ મ્યુઝિક’ યોજાવા જઈ રહ્યો છે. 21મી માર્ચને શનિવારના રોજ રાત્રે 9 કલાકે, ઠાકોરભાઈ દેસાઈ હોલમાં આ કાર્યક્રમ યોજાવાનો છે. જેમાંથી થનારી આવક બાળકોમાં થતા ડાઉન સિન્ડ્રોમ (Down Syndrome) અને ઓટિઝમ (Autism)ના રિસર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ ખાસ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ એક નાનકડો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ પ્રસંગે ચિત્રલેખા.કોમ એ જયદેવભાઈ સાથે વાત કરીને તેમની સંગીત સફર તેમજ જીવન સફર વિશે જાણવાનો પ્રયાસ કર્યો.

 

મહુવાના ખારી ગામથી શરૂ થઈ સંગીતની સફર
જયદેવ ગોસાઈ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખારી ગામના રહેવાસી છે. માત્ર ૩-૪ વર્ષની નાની ઉંમરથી જ પિતા ધીરજગીરી ગોસાઈ સાથે ગાવાનું શરૂ કરી દીધું હતું. પિતા ભજન ગાતા અને તેમને ધૂન ગવડાવવાની પ્રેક્ટિસ શરૂ થઈ. શાળામાં શિક્ષકો પ્રાર્થના માટે તેમને આગળ લાવતા. ઘરમાં સાહિત્ય અને સંગીતનો સમૃદ્ધ માહોલ હતો. પરિવારમાં બાપુજી, પિતા, મોટા ભાઈ, કાકા-બાપાના મળીને ૧૩ ભાઈઓ ગાયન સાથે જોડાયેલા હતા. મહુવામાં મોરારીબાપુના આશ્રમમાં પણ તેઓ ગાતા હતા. ૮મા ધોરણ પછી શાળાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક કનુભાઈ પાસેથી ક્લાસિકલ સંગીતની તાલીમ શરૂ કરી. પિતા તેમના પ્રથમ ગુરુ અને મિત્ર હતા. તેઓ વિવિધ ટાસ્ક આપતા – તડકામાં કેટલા કલાક રહી શકે છે, મૌન કેટલા કલાક રાખી શકે છે વગેરે. પિતાના અવસાન પછી પણ તેમના સંસ્મરણો જયદેવભાઈના હૃદયમાં જીવંત છે. માતા હજુ ખારી ગામમાં રહે છે અને સમય મળે ત્યારે તેઓ મળવા જાય છે.

ભારતભરની ગુરુકુલ યાત્રા
શાળાનું શિક્ષણ ભાવનગરમાં પૂર્ણ કર્યા પછી રાજકોટની હિરાણી કોલેજમાંથી પર્ફોમિંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું. આ દરમિયાન તેમણે આખા ભારતનું ભ્રમણ કર્યું – કલકત્તા, ગ્વાલિયર, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર વગેરે સ્થળોએ જઈને પ્રાંતીય, લોક અને ક્લાસિકલ સંગીત શીખ્યું. વર્લ્ડ પ્રેસ રેડિયો પર ક્લાસિકલ મ્યુઝિક ચેનલ હતી. રાતોની રાતો જાગીને તેમાંથી શિડ્યુલ બનાવતા હતા. જે ગાયકો ગમતા, તેમના નામ-સરનામા નોંધીને તેમને મળવા પહોંચી જતા. જો જગ્યા મળે તો તેમના ઘરે જ રહીને શીખતા, નહીં તો મંદિરમાં આશરો લઈને પણ તાલીમ ચાલુ રાખતા. સૌથી કઠિન તાલીમ પંડિત અજય ચક્રવર્તી પાસે કલકત્તામાં મળી. એક જ લાઈન ૧૦ દિવસ સુધી ૧૬ કલાક ગાવાની પ્રેક્ટિસ કરવાતા અને અઢી વર્ષ સુધી એક જ રાગ શીખવવાની કઠોર સાધના તેમણે કરી. ઠુમરી, ખયાલ, ગઝલ, કજરી, ઝુલા, સાવન – દરેકની સૂક્ષ્મતા તેમણે શીખી. તેમણે ખરા અર્થમાં શીખવ્યું કે ગાયકી શું હોય છે. ગીત કેવી રીતે અને કેમ ગાવું જોઈએ.

પ્રથમ મંચ અને મોટી સિદ્ધિ
૧૧ વર્ષની ઉંમરે ૧૯૯૭માં ખાંભામાં પ્રથમ શો કર્યો. ત્યારે એટલી નાની ઉંમરમાં હજારોની સંખ્યામાં લોકો સાંભળવા આવતા. પછી તો એક પછી એક શો મળતા ગયા. પરંતુ જયદેવભાઈના પિતાએ તેમને સલાહ આપી કે તું બાળકલાકાર બનીને ન રહી જા. આખી જીંદગી ગાયન કરવું હોય તો અત્યારે છોડી દેવું પડે. કારણ કે બાળ કલાકારનો અવાજ જ્યારે પુખ્ત થાય છે ત્યારે તેને કોઈ સ્વીકારતું નથી. ત્યાર બાદ શો બંધ કરીને ૧૯ વર્ષ માત્ર તાલીમમાં વિતાવ્યા. જ્યારે ગુજરાતમાં ‘કોન્સર્ટ’ શબ્દ પણ નવો હતો, ત્યારે જયદેવભાઈએ સિમ્ફોની ઓર્કેસ્ટ્રા સાથે કોન્સર્ટ કર્યા અને લોક સંગીત, સૂફી સંગીત સહિત વિવિધ શૈલીઓ પ્રસ્તુત કરી. ૨૦૦૭માં ઈન્ટરનેશનલ યુથ ફેસ્ટિવલમાં વિજેતા બન્યા અને રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામના હસ્તે સન્માન મેળવ્યું. ૨૦૧૦માં વેરાવળના પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં ૫૦,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા, તે જયદેવભાઈ માટે જીવનનો એક મહત્વની પળ હતી. ત્યારે તેમને લાગ્યું કે ખરેખર સંગીતની સાધના ફળી છે. પરંતુ સંગીત વિશેના વિચારો, ક્લાસિકલ સંગીત તેમના હૃદયની નજીક છે. કોઈપણ ક્ષણે ગાવાનું કહે તો તૈયારીમાં ગાઈ શકે તેવી તેમની સ્થિતિ છે. રોજ પોતાના આરાધ્ય દેવ શિવ માટે તેઓ ગાઈ છે. બોલીવુડનું ગીત ‘મીતવા’ એક કાર્યક્રમમાં જયદેવભાઈએ એટલું અસરકારક ગાયું કે મૂળ પાકિસ્તાની ગાયક શૌકત અલી ઉપરાંત હરિહરન અને સોનુ નિગમે પણ સોશિયલ મીડિયામાં જયદેવભાઈના વખાણ કર્યા.

ગુજરાતી ફિલ્મ અને સંગીત વિશે તેઓ કહે છે કે, અન્ય પ્રાદેશિક ભાષાઓની સરખામણીમાં અહીં ક્રાફ્ટિંગ હજુ મજબૂત નથી. ‘રેવા’ જેવી ફિલ્મ સારું ઉદાહરણ છે. આજે વિષયો સારા આવી રહ્યા છે, પરંતુ પર્ફેક્શન હજુ બાકી છે. ગુજરાતી લોકો સારી વસ્તુને ચોક્કસ સ્વીકારે છે.પહેલાના સમયમાં ગીતકાર, સંગીતકાર અને ગાયક ૧૦-૧૫ દિવસ સુધી સાથે રિહર્સલ કરતા, જેનાથી સંગીતમાં મીઠાશ આવતી. આજે ટેક્નોલોજીના કારણે અલગ-અલગ રેકોર્ડિંગ થાય છે, તેથી તે મીઠાશ ઓછી થઈ છે.

જયદેવભાઈ ગોસાઈનું જીવન અને લક્ષ્ય સ્પષ્ટ છે – સારું સંગીત શીખવું, લોકો સુધી પહોંચાડવું અને જે કોઈ શીખવા આવે તેને શીખવવું. શનિવારના કાર્યક્રમ ‘કલર્સ ઓફ મ્યુઝિક’માં આવીને તમે માત્ર સંગીતનો આનંદ જ નહીં, પરંતુ એક ઉમદા કાર્યમાં પણ યોગદાન આપી શકશો.

(રાધિકા રાઓલ – અમદાવાદ)
(તસવીરો- પ્રજ્ઞેશ વ્યાસ)

‘પરવાના’ થી જૂના નવીન સામે નવા અમિતાભને પાંખો મળી!

જ્યોતિ સ્વરૂપ નિર્દેશિત ફિલ્મ ‘પરવાના’ (1971) તે સમયે એક મોટો પ્રયોગ હતી. કારણ કે ત્યારે અમિતાભ બચ્ચન ઉભરતા કલાકાર હતા. તેમને એક સાઈકો લવર અને નકારાત્મક ભૂમિકામાં રજૂ કરવામાં આવ્યા હતા. ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટમાં નવીન નિશ્ચલ અને યોગિતા બાલી હતા. નવીન તે સમયના લોકપ્રિય અને ચોકલેટી ચહેરો ગણાતા હતા. એ સમયે નવીન ‘સાવન ભાદો’ની ભવ્ય સફળતા પછી સુપરસ્ટાર ગણાતા હતા. જ્યારે અમિતાભ હજુ પોતાની ઓળખ બનાવી રહ્યા હતા. શૂટિંગ દરમિયાન એક દ્રશ્યમાં અમિતાભે એટલી તીવ્રતાથી અભિનય કર્યો કે સેટ પર હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. નવીન નિશ્ચલે પાછળથી સ્વીકાર્યું હતું કે અમિતાભની આંખોમાં જે પાવર હતો તે જોઈને તેમને પણ થોડી ક્ષણો માટે ડર લાગ્યો હતો.

આ એ જ ફિલ્મ હતી જેણે સાબિત કર્યું કે અમિતાભ માત્ર હીરો જ નહીં પણ એક ખતરનાક વિલન પણ બની શકે છે. અમિતાભે આ ફિલ્મમાં એક એવા પ્રેમીનું પાત્ર ભજવ્યું હતું જે પાગલપનની હદે પ્રેમ કરે છે. અમિતાભની અભિનય ક્ષમતા અને તેમની ‘એંગ્રી યંગ મેન’ બનવાની પૂર્વતૈયારી આ ફિલ્મમાં દેખાઈ આવતી હતી. સેટ પર લોકો કહેતા કે હીરો (નવીન) કરતાં વિલન (અમિતાભ) વધુ આકર્ષક લાગે છે. જે વાત આગળ જતાં સાચી સાબિત થઈ હતી. અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દીમાં જે ગણીગાંઠી ફિલ્મોમાં નેગેટિવ રોલ કર્યા છે તેમાં ‘પરવાના’ સૌથી ટોચ પર છે. કહેવાય છે કે ‘પરવાના’માં અમિતાભનો આ તેવર જોઈને જ નિર્માતા-નિર્દેશકોએ તેમને ‘ઝંજીર’ માટે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું હતું. આ ફિલ્મ એ વાતનું પ્રમાણ છે કે ક્યારેક એક નકારાત્મક ભૂમિકામાં મળેલી સકારાત્મક પ્રશંસા જ કલાકારને સાચા અર્થમાં હીરો બનાવી દેતી હોય છે.

આ ફિલ્મની સૌથી અજાણી અને ચોંકાવનારી વાત એ છે કે તેમાં મોહમ્મદ રફી અને આશા ભોંસલેનું એક અત્યંત મધુર યુગલ ગીત ‘જિસ દિન સે મૈંને તુમકો દેખા હૈ’ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ ગીત નવીન નિશ્ચલ અને યોગિતા બાલી પર ખૂબ જ સુંદર રીતે ફિલ્માવવામાં પણ આવ્યું હતું. જ્યારે ફિલ્મ અંતિમ એડિટિંગ ટેબલ પર આવી ત્યારે ફિલ્મની લંબાઈ ઘટાડવા અને વાર્તાના પ્રવાહને જાળવી રાખવા માટે આ ગીતને ફિલ્મમાંથી પૂરેપૂરું કાઢી નાખવામાં આવ્યું ત્યારે નવીન નિશ્ચલ થોડા નારાજ થયા હતા. કારણ કે આ ગીતમાં તેમનો લુક ખૂબ જ હેન્ડસમ હતો.

નિર્દેશક જ્યોતિ સ્વરૂપનું માનવું હતું કે જો આ ગીત રાખવામાં આવશે તો પાત્રની જે ગંભીરતા છે તે ઓછી થઈ જશે. આજે પણ ઘણા જુના સંગીત રસિકો આ ગીતને રેડિયો કે યુટ્યુબ પર સાંભળે ત્યારે નવાઈ પામે છે કે આટલું સરસ ગીત પડદા પર કેમ ન આવ્યું. ‘પરવાના’ ફિલ્મ આજે પણ સિનેમાના અભ્યાસુઓ માટે અમિતાભ બચ્ચનની અનોખી ભૂમિકા અને નવીન નિશ્ચલના તે સમયના સ્ટારડમની સાક્ષી પૂરે છે.

 

બ્રેડ છાશ ઈન્સ્ટન્ટ વડા

બ્રેડ અને છાશ વડે બનતા આ ઈન્સ્ટન્ટ વડા દાળિયાની ચટણી સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે!

સામગ્રીઃ દહીં 1 કપ, બ્રેડ 2, બારીક રવો 1 કપ, સ્વાદ મુજબ મીઠું, ચોખાનો લોટ ½-1 કપ, સાંભાર મસાલો 1 ટી.સ્પૂન,  વઘાર માટે તેલ 2 ટે.સ્પૂન, રાઈ 1 ટી.સ્પૂન, લીલા મરચાં 2-3, કળી પત્તાના પાન 8-10, સૂકું લાલ મરચું 1

ચટણી માટેઃ દાળિયા અથવા શેકેલી ચણાની દાળ 2 ટે.સ્પૂન, શેકેલા શીંગદાણા 2 ટે.સ્પૂન, લીંબુનો રસ 1 ટે.સ્પૂન, લીલા મરચાં 2, આદુનો ટુકડો 1 ઈંચ, ચટણીના વઘાર માટેઃ રાઈ 1 ટી.સ્પૂન,, સૂકું લાલ મરચું 1, કળીપત્તાના પાન 7-8

રીતઃ દહીંને ફેંટીને તેમાં એટલા જ માપ પ્રમાણે પાણી મેળવીને મિક્સ કરી દો. હવે તેમાં બ્રેડના ટુકડા કરીને ઉમેરી દો.

મિક્સીમાં લીલા મરચાં તેમજ આદુના ટુકડા કરીને નાખો, ત્યારબાદ તેમાં દાળિયા, શીંગદાણા તેમજ લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું મેળવીને બારીક ચટણી પીસી લો. હવે એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કર્યા બાદ સૂકું લાલ મરચું તેમજ કળી પત્તાના પાન ઉમેરીને 1 મિનિટ રહેવા દીધા બાદ આ વઘાર ચટણીમાં મેળવી દો. ગેસ બંધ કરીને, ચટણી ઢાંકીને એક બાજુએ મૂકી દો.

ભીંજવેલી બ્રેડને મિક્સીમાં નાખીને તેમાં રવો, આદુ તેમજ મરચાંના ટુકડા, સ્વાદ મુજબ મીઠું મેળવીને મિક્સીમાં પીસી લો. આ પેસ્ટને એક બાઉલમાં લઈ, તેમાં સમારેલું સિમલા મરચું, ગાજર તેમજ સમારેલી કોથમીર અને ઈનો પાઉડર મેળવો. હવે તેમાં થોડો થોડો ચોખાનો લોટ મેળવતા જઈને રોટલીના લોટ જેવો પણ થોડો વધુ નરમ લોટ બાંધી લો. હાથને તેલવાળા કરીને આ લોટમાંથી લીંબુના આકારના ચપટા ગોળા વાળી લો.

એક મુઠીયા બાફવાના વાસણમાં પાણી ગરમ કરો. સ્ટીલની ચાળણીમાં તેલ લગાડીને બ્રેડના ગોળા તેમાં ગોઠવી દો. વાસણ ઢાંકીને ગેસની મધ્યમ આંચે 10-15 મિનિટ ગરમ કરીને બ્રેડ વડા બાફી લો.

એક પેનમાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરી લીધા બાદ તેમાં સફેદ તલ, સમારેલાં લીલા મરચાં અને સમારેલાં કળી પત્તાના પાન ઉમેરીને બાફેલા બ્રેડના વડા તેમાં સાંતળી લો એકાદ મિનિટ બાદ ગેસ બંધ કરીને થોડી કોથમીર ભભરાવીને દાળિયાની તૈયાર કરેલી ચટણી સાથે વડા પીરસો.

 

પંચાંગ 21/03/2026

૨૧ માર્ચ ૨૦૨૬

એમેઝોન પ્રાઇમ વીડિયોએ ભવ્ય ઈવેન્ટમાં 30 સીરિઝ અને 19 ફિલ્મોની જાહેરાત કરી

2026ના વર્ષમાં OTT પ્લેટફોર્મ પર ઘણી બધી નવી વેબ સિરીઝ અને ફિલ્મો જોવા મળશે. ઘરે બેઠા મનોરંજન ઈચ્છતા દર્શકો માટે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયોએ 2026 માટે તેનું રિલીઝ કેલેન્ડર બહાર પાડ્યું છે. એમેઝોન પ્રાઇમ વિડિયોએ 30 નવી ઓરિજિનલ વેબ સિરીઝ અને 19ફિલ્મોની સાથે અન્ય શોની જાહેરાત કરી છે.

મુંબઈમાં એક ભવ્ય ઈવેન્ટમાં એમેઝોન પ્રાઇમ વિડિયોએ 2026માં રિલીઝ થનારા પ્રોજેક્ટરની જાહેરાત કરી હતી. જેમાં બૉલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી.  કૂલ 55 સીરિઝ, ફિલ્મો અને શોની આ યાદીમાં ભારતીય ઓરિજિનલ કન્ટેન્ટની સાથે સાથે એમેઝોન MGM સ્ટુડિયો ઇન્ડિયા તરફથી થિયેટરલી રિલીઝ થયેલી ફિલ્મોના ડિજિટલ સ્ટ્રીમિંગ લાઇસન્સ પ્રાપ્ત ફિલ્મો પણ સામેલ છે. આમાં ‘પંચાયત સીઝન 5’, ‘ફર્ઝી સીઝન 2,’ ‘દુપહિયા 2,’ અને ‘ગ્રામ ચિકિત્સાલય 2,’ જેવા મુખ્ય નામો તેમજ ‘મિર્ઝાપુર’, ‘નાગઝિલા’, ‘રાખ’, ‘સિસ્ટમ’, અને ‘સુંદર પૂનમ’ જેવી ઓરિજિનલ OTT ફિલ્મોનો સમાવેશ થાય છે.

2026 ની શ્રેણીમાં ભારતની કેટલીક સૌથી લોકપ્રિય સીરિઝની નવી સીઝન પણ પરત ફરશે, જેમાં શાહિદ કપૂરની “ફર્ઝી સીઝન 2”, જિતેન્દ્ર કુમારની “પંચાયત સીઝન 5”, અનન્યા પાંડેની “કોલ મી બે સીઝન 2”, સ્પર્શ શ્રીવાસ્તવની “ટુ-વ્હીલર સીઝન 2”, સોનાક્ષી સિંહાની “રોર સીઝન 2” અને અમોલ પરાશરની “ગ્રામ ચિકિત્સાલય સીઝન 2″નો સમાવેશ થાય છે.

પ્રાઇમ વિડીયોના સ્લેટમાં હિન્દી, તમિલ અને તેલુગુમાં સ્ક્રિપ્ટેડ અને અનસ્ક્રીપ્ટેડ શો છે. વાર્તાઓ વિવિધ શૈલીઓનો સમાવેશ કરે છે, જેમાં રોમાંસથી લઈને નાટક, થ્રિલરથી લઈને ક્રાઈમ ડ્રામાનો સમાવેશ થાય છે. ઋત્વિક રોશન, આલિયા ભટ્ટ, કુણાલ ખેમુ અને પ્રીતિ ઝિન્ટા જેવા ઉદ્યોગના દિગ્ગજ કલાકારો પણ નિર્માતા તરીકે પદાર્પણ કરી રહ્યા છે.

આ નવી સીરિઝ અને ફિલ્મોમાં નિખિલ અડવાણીની ‘ધ રિવોલ્યુશનરીઝ’નો સમાવેશ થાય છે, જેમાં ભુવન બામ, રોહિત સરાફ, પ્રતિભા રાંતા અને ગુરફતેહ પીરઝાદા અભિનિત છે. વિજય વર્માની ‘મટકા કિંગ’, અલી ફઝલ અને સોનાલી બેન્દ્રેની ‘રાખ’, યામી ગૌતમની ‘નયી નવેલી’ અને સાન્યા મલ્હોત્રાની ‘સુંદર પૂનમ’ છે.

(તમામ તસવીરો: માનસ સોમપુરા)