Home Blog Page 109

GI ટેગ ધરાવતો‘જરી ઉદ્યોગ’નો ૧૨૦ વર્ષ જૂનો ઈતિહાસ

સુરત: સમગ્ર દક્ષિણ ગુજરાતમાં MSME, ઔદ્યોગિક અને ક્ષેત્રીય વિકાસને વેગ આપવા માટે ૧ અને ૨ મેના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’ (VGRC)ની ત્રીજી આવૃત્તિ શહેરમાં યોજાવાની છે. VGRCની યજમાની કરવાની તક રાજ્યના આર્થિક પાટનગર સમા સુરત શહેરને મળવાની છે. વ્યાવસાયિક સુઝબુઝ અને સાહસવૃત્તિથી દેશવિદેશમાં આ શહેરે ખ્યાતિ મેળવી છે. હીરા અને કાપડ વ્યવસાયમાં વિશ્વ વિખ્યાત સુરતનો ‘જરી ઉદ્યોગ’ આ શહેરની સાહસિકતા, પ્રાચીન ગૌરવને ઉજાગર કરે છે.શહેરના બેગમપુરા, વાડીફળિયા, ખટોદરા, ભાટેના અને નવાપુરા જેવા વિસ્તારો એક સદી પહેલા સુરતમાં વિકાસ પામેલા જરી ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો રહ્યા છે. મૂળ સુરતના ગોલા-કણબી, ખત્રી, રાણા અને પટેલ જ્ઞાતિના કુટુંબો અંદાજે ૧૨૦ વર્ષ જૂની વંશપરંપરાગત કલાને પેઢી દર પેઢી જીવંત રાખી રહ્યા છે. સુરતની ભૌગોલિક પરિસ્થતિ, અહીંની ભેજવાળી હવા જરીના તારના વણાટ અને ખેંચાણ માટે અત્યંત અનુકૂળ છે. આ જ કારણથી અહીં ઉત્પાદિત જરીની ગુણવત્તા સર્વોત્તમ રહે છે.વર્તમાન સમયમાં સુરતનો જરી ઉદ્યોગ આધુનિકતા સાથે કદમ મિલાવી રહ્યો છે. આજે સુરતમાં ૮૦ ટકા જેટલું ઉત્પાદન સસ્તી અને ટકાઉ મેટાલિક યાર્ન જરીનું થાય છે, જ્યારે ૨૦ ટકા સાચી જરીનું ઉત્પાદન જળવાઈ રહ્યું છે.  વરાછા, કતારગામ, પુણા વિસ્તારમાં આજે પણ હજારો ખટારા ઘરોમાં ચાલે છે. તેમજ હાલ સુરત ભારતનું ૭૦% જરીનું ઉત્પાદન કરનારું શહેર છે. જરી ઉદ્યોગ માટે જરૂરી મશીનરીનું ઉત્પાદન પણ સુરતમાં જ થાય છે.

આ વિષે વધુ વિગત આપતા સુરત જરી મેન્યુફેક્ચરિંગ એસોશિયેશનના પ્રમુખ બંકીમચંદ્ર જરીવાલાએ કહ્યું કે, વર્ષોથી અસલ સોના-ચાંદીમાં તૈયાર કરાતી જરી ધીરે-ધીરે તાંબા અને કાંસામાં બનતી થઇ અને રિઅલ જરીના વધતા ભાવને કારણે છેલ્લા ૧૦-૧૫ વર્ષથી હવે પ્લાસ્ટિકના તારમાંથી પણ મેટાલિક યાર્ન જરીનું ઉત્પાદન શરૂ થયું છે. હાલ સુરતમાં જરી ઉદ્યોગના ૮૦૦ જેટલા યુનિટ નોંધાયેલા છે. જેનું વર્ષે અંદાજે ૮૦૦ થી ૯૦૦ કરોડનું ટર્નઓવર છે. આ ઐતિહાસિક ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આશરે ૨.૫૦ લાખ લોકો જોડાયેલા છે અને આજે પણ ‘જરી’ તેમની આજીવિકાનો મૂળ સ્ત્રોત છે.જરીનો ઉપયોગ મુખ્યત્વે કિંમતી સાડીઓમાં તેમજ ભરતકામમાં કિંમતી પોષાક તૈયાર કરવામાં થાય છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં હાથવણાંટના કુશળ કારીગરો દ્વારા જરીમાંથી બનાવેલી કાંજીવરમ, કોચંપલ, ધર્મવરમ, બેંગ્લોરી કે બનારસી સિલ્કની સાડીઓ પ્રખ્યાત છે.

ઈતિહાસ

‘જરી’ ઉદ્યોગના તાર ભારતની પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. ઋગ્વેદ, રામાયણ અને મહાભારત જેવા આપણા પૌરાણિક ગ્રંથોમાં સોના-ચાંદીના તારમાંથી ગૂંથાયેલા વસ્ત્રોનો ઉલ્લેખ જોવા મળે છે. રામ-સીતા અને કૃષ્ણના ‘જરકસી જામા’ તથા ‘પીળા-પીતાંબર’ જેવા વસ્ત્રો સુરતની આ પરંપરાગત કલાની પ્રાચીનતાના સાક્ષી છે.

મેગેસ્થનીસ જેવા ગ્રીક વિદ્વાનોના લખાણોમાં પણ સોના-ચાંદીના તારથી બનેલા કાપડનો ઉલ્લેખ જોવા મળે છે. ખાસ કરીને મુઘલ શાસનનો સમયગાળો જરી ઉદ્યોગનો ‘સુવર્ણકાળ’ હતો. તે સમયે સુરત બંદર હોવાને કારણે અહીંની જરી અને તેમાંથી બનેલા ‘કિનખાબ’ કાપડની નિકાસ આરબ અને યુરોપિયન દેશોમાં થતી હતી. ઇજિપ્ત, અફઘાનિસ્તાન, ઈટાલી, જર્મની અને તુર્કીમાં વિશાળ બજાર મળ્યું હતું. સુરતના ચાવીરૂપ ભૌગોલિક સ્થાનના કારણે મળતા લાભોને ધ્યાનમાં લઈ ફ્રેંચ, ડચ, બ્રિટિશ અને પોર્ટુગીઝોએ પણ સુરતમાં જરીની ફેક્ટરીઓ સ્થાપી હતી.

સુરત હજ યાત્રા માટેનું પણ મહત્વનું કેન્દ્ર હતું. હજે જતા-આવતા યાત્રિકો સુરતમાં રોકાઈને જરી, કિનખાબ, બ્રોકેડ, તનછોઈ, સોનાની કિનાર અને ભરતકામ ખરીદતા. હાજી, શેખ અને મુઘલ બાદશાહોના આશ્રયને લીધે કારીગરોએ ચાંદી-સોનાના તારથી સુંદર બ્રોકેડ, કિનાર અને ભરતકામ બનાવ્યું.

જરીની બનાવટ અને પ્રકાર
સૌ પ્રથમ ચાંદીના સળિયા પર સોનાની પત્તી વીંટાળી તેને ભઠ્ઠીમાં એકરસ થાય ત્યાં સુધી ગરમ કરી સોનામિશ્રિત સળિયો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ‘તાણિયા’ યંત્ર દ્વારા તેમાંથી વાળ જેવા બારીક તાર ખેંચી, પાણીમાં ઠંડા પાડી તેને વિવિધ નવ પ્રક્રિયાઓ દ્વારા વધુ સુંવાળા બનાવી લોખંડના બોબિન પર વીંટવામાં આવે છે. આ પ્રક્રિયાથી એક તોલા ચાંદીમાંથી આશરે ૧૦૦૦ મીટર લાંબો બારીક તાર તૈયાર થાય છે. જેને અંતે પોલિશ કરી સૂક્ષ્મ છિદ્રોમાંથી પસાર કરીને ‘ધડા’ પર લપેટવામાં આવે છે, અને અસલી જરી બને છે. જરી-કસબમાં કાચામાલ તરીકે સોનુ, ચાંદી, તાંબુ, રેશમ, સૂતર, આર્ટ-સિલ્ક, રંગો, પોટેશિયમ સાઈનાઈડ વગેરે વપરાય છે.જરીના મુખ્ય બે પ્રકાર છે: ‘અસલી’ (રિયલ જરી) જેમાં ચાંદીના તારનો ઉપયોગ થાય છે અને તેના પર સોનાનું પાણી ચડાવવામાં આવે છે. ‘હાફ ફાઇન જરી’, કે જેમાં તાંબા કે કાંસાના તાર પર ચાંદીનું ઈલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે. મેટાલિક જરી, કે જે પોલિએસ્ટર ફિલ્મ પર મેટાલિક કોટિંગથી બને છે. જે વજનમાં હલકી અને કિંમતમાં ઓછી હોય છે. આજે ૯૦% સાડીઓમાં આ જ વપરાય છે.

સુરતના જરી ઉદ્યોગને GI ટેગ
સુરતના જરી ઉદ્યોગને તેની વિશિષ્ટતા અને ગુણવત્તા માટે ભારત સરકાર દ્વારા નવેમ્બર-૨૦૧૦માં સત્તાવાર રીતે GI ટેગ પ્રાપ્ત થયો છે. આ ટેગનો મુખ્ય ઉદ્દેશ્ય સુરતની અસલી જરીના નામે થતી નકલી જરીના વેચાણને અટકાવવાનો અને સ્થાનિક કારીગરોના હિતોનું રક્ષણ કરવાનો છે.

વૈશ્વિક ઓળખ
GI ટેગ મળ્યા બાદ સુરતની જરીને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી ઓળખ મળી છે અને ‘સુરત જરી ક્રાફ્ટ’ લોગો દ્વારા ગ્રાહકો અસલી ઉત્પાદન ઓળખી શકે છે. વધુમાં કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૫માં જરી બોર્ડર પરનો GST દર ૧૨%થી ઘટાડીને ૫% કર્યો છે, જેનાથી સુરતના કારીગરોને લાભ થયો છે.

રસપ્રદ વાતો
• છત્રપતિ શિવાજી મહારાજે રાજ્યાભિષેક વખતે જે વસ્ત્રો પહેર્યા હતા એ સુરતની જરીના હતા.
• વર્ષ ૧૭૫૦માં સુરતમાં ૧ લાખથી વધુ કારીગરો માત્ર જરી કામ કરતા હતા.
• ઈસ્ટ ઈન્ડિયા કંપની સુરતથી દર વર્ષે ૩૦ લાખ રૂપિયાની જરી એક્સપોર્ટ કરતી હતી
• મુમતાઝના લગ્નનો ઘાઘરો સુરતની જરીથી બન્યો હતો.

ઝરી સાથે જોડાયેલા શબ્દો
કસબ: ચપટી જરીનો તાર
સલમા: વાંકીચૂકી સ્પ્રિંગ જેવી જરી
સિતારા: નાના ટપકાંવાળી જરી
જરદોઝી/જરદોશી: જરી, મોતી, કુંદનથી કરેલું ભારે ભરતકામ

એકઝામિનર જરી ઉદ્યોગ કેન્દ્ર, સુરત: જરી ઉદ્યોગના વિકાસ તથા તેના હિતાર્થે રાજ્ય સરકારે સુરતમાં એક પ્રયોગશાળાની સ્થાપના કરી છે. જેમાં જરી કસબના તમામ આંશિક ભાગો તથા ગોલ્ડ થ્રેડનું પૃથક્કરણ કરવામાં આવે છે.

સુરત જરી વેપારી મહામંડળ: સુરત ખાતે જરી ઉદ્યોગના વિકાસ અર્થે સને ૧૯૪૪માં આ મંડળની સ્થાપના થઈ હતી. આ સંસ્થા જરી ઉત્પાદકો અને વેપારીઓના અધિકારોના રક્ષણ માટે કામ કરે છે.

પશ્ચિમ બંગાળ ચૂંટણી:અભિનેતા મિથુન ચક્રવર્તીએ મતદાન કર્યુ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન બુધવારે શરૂ થયું. અભિનેતા મિથુન ચક્રવર્તી વહેલી સવારે મતદાન કરવા માટે મતદાન મથક પર જોવા મળ્યા હતા. બંગાળી સિનેમાના અનેક અન્ય સેલિબ્રિટીઓ પણ મતદાનમાં હાજરી આપી.

પશ્ચિમ બંગાળમાં, સામાન્ય નાગરિકોથી લઈને ફિલ્મ સ્ટાર્સ સુધી, દરેક જણ લોકશાહીના આ ભવ્ય ઉત્સવમાં ભાગ લેવા માટે મતદાન મથકે ઉમટી રહ્યા છે. અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તી પણ મતદાન કરવા માટે એક મતદાન મથક પર જોવા મળ્યા હતા. તેમણે મતદાન મથક પર મોટી સંખ્યામાં મતદાન પર ખુશી વ્યક્ત કરી.

મિથુન ચક્રવર્તીએ જનતાના ઉત્સાહની પ્રશંસા કરી
મિથુ ન ચક્રવર્તીએ અન્ય નાગરિકોની જેમ લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યું. બાદમાં, મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું,”આટલા બધા લોકો મતદાન કરવા આવ્યા છે. આ ખૂબ જ સરસ છે.”

એનર્જી સંકટ વચ્ચે ભારતને લિબિયામાં મળ્યો ઓઇલ-ગેસનો ભંડાર

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ઓઇલ સપ્લાયમાં આવેલી મુશ્કેલીઓ વચ્ચે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે નવા સ્ત્રોતોની શોધ ઝડપી બનાવી રહ્યું છે. આ પ્રયાસોમાં ભારતને મહત્વપૂર્ણ સફળતા મળી છે. તાજેતરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડને લિબિયામાં નવા તેલ અને ગેસના ભંડાર મળ્યા છે. ભારતની ઊર્જા સુરક્ષા માટે આ શોધને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના જણાવ્યા મુજબ આ શોધ લિબિયાના ઘડેમેસ બેસિનના બ્લોક 95/96માં કરવામાં આવી છે. અહીં IOCL અને ઓઇલ ઇન્ડિયા ભારતીય કોન્સોર્શિયમ હેઠળ ઓઇલ અને ગેસની શોધખોળ કરી રહ્યા છે. તેમાં બંને કંપનીઓની 25-25 ટકા ભાગીદારી છે. અહેવાલ મુજબ છઠ્ઠા એક્સપ્લોરેટરી વેલની ડ્રિલિંગ દરમિયાન આ નવો તેલ-ગેસ ભંડાર મળ્યો હતો.

આ કૂવો 8440 ફૂટની ઊંડાઈ સુધી ખોદવામાં આવ્યો હતો, જ્યાં ટેસ્ટિંગ દરમિયાન દરરોજ 13 મિલિયન ક્યુબિક ફૂટ ગેસ અને 327 બેરલ કન્ડેન્સેટનું ઉત્પાદન નોંધાયું હતું. લિબિયાની નેશનલ ઓઇલ કોર્પોરેશન (NOC)એ પણ આ શોધને બ્લોકમાં પાંચમી મોટી શોધ તરીકે માન્યતા આપી છે. આ બ્લોકમાં કુલ આઠ કૂવાઓની ડ્રિલિંગ કરવાની યોજના છે, જેમાંથી પાંચ પહેલેથી પૂર્ણ થઈ ચૂક્યા છે. આ પહેલાં 2012થી 2014 દરમિયાન પણ ચાર કૂવાઓમાં તેલ અને ગેસ મળ્યા હતા. આ વિસ્તાર અંદાજે 6600 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે.

ભારતની ઊર્જા વ્યૂહરચના માટે મહત્વપૂર્ણ

કંપનીઓના જણાવ્યા મુજબ ઊર્જા ક્ષેત્રમાં આ શોધ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની હાજરીને વધુ મજબૂત બનાવે છે. IOCLએ જણાવ્યું કે આ સિદ્ધિ કંપનીની વૈશ્વિક એક્સપ્લોરેશન વ્યૂહરચનાનો ભાગ છે. જ્યારે ઓઇલ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આથી વિદેશી સંપત્તિઓનું મૂલ્ય વધશે અને ભવિષ્યમાં નવા આવક સ્ત્રોતો ઊભા થઈ શકે છે.

મધ્ય પૂર્વમાં સપ્લાયમાં અવરોધ અને ક્રૂડ ઓઇલના ભાવમાં થતી અસ્થિરતા વચ્ચે આ શોધ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સરકારનું કહેવું છે કે આવા આંતરરાષ્ટ્રીય સહયોગ દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવશે અને આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે.

શું બંગાળમાં CM મમતાને હારનો ડર સતાવી રહ્યો છે?

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કામાં 142 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને ભાવાનીપુર વિધાનસભા બેઠક પરથી TMC ઉમેદવાર મમતા બેનર્જીએ ચૂંટણી દરમિયાન ગેરરીતિના ગંભીર આરોપ ભાજપ પર લગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે બહારથી આવેલા નિરીક્ષકો (ઓબ્ઝર્વર) અને સુરક્ષા દળો નિષ્પક્ષ નથી અને વાતાવરણને પ્રભાવિત કરવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની પાર્ટીનાં પોસ્ટરો હટાવવામાં આવી રહ્યાં છે અને કાર્યકરો સાથે મારપીટની ઘટનાઓ સામે આવી રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું આ રીતે ચૂંટણી યોજાય છે? તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે મત તો જનતા આપશે, પોલીસ કે સુરક્ષા દળો નહીં.

આ ઉપરાંત ભવાનીપુરમાં એક પોલિંગ સ્ટેશનની બહાર CM મમતા બેનર્જી સામાન્ય કાર્યકરની જેમ બેઠાં રહ્યાં હતાં.

ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે નિરીક્ષકો

ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે બહારથી ઘણા એવા નિરીક્ષકો આવ્યા છે- ભાજપ જે કહે છે, તેઓ એ જ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકોને તાજેતરમાં લાવવામાં આવ્યા છે અને તેઓ મનમાની કરી રહ્યા છે. તેઓ આતંક ફેલાવી રહ્યા છે.

મતદાન કર્યા બાદ પોતાના મોબાઇલમાં પત્રકારોને એક ફોટો બતાવતાં તેમણે કહ્યું હતું કે જુઓ, અમારા કાર્યકરને રાત્રે કેવી રીતે મારવામાં આવ્યો. આ અત્યાચાર જુઓ. આ કેવી ગુંડાગીરી ચાલી રહી છે? આ રીતે મતદાન થતું નથી. મતદાન શાંતિથી થવું જોઈએ. આ લોકશાહીની ઉજવણી છે, પરંતુ તેમણે તેને સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધી છે. તેમનો મંછા સંપૂર્ણ સ્પષ્ટ છે કે ભાજપ જબરદસ્તી ચૂંટણીમાં ધાંધલી કરવા માગે છે. અમારા કાર્યકરો અને લોકો મરવા માટે તૈયાર છે, પરંતુ તેઓ સ્થાન છોડશે નહીં.

294 સભ્યોની વિધાનસભામાંથી આજે 142 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજે જે હાઈ-પ્રોફાઇલ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, તેમાં ભવાનીપુર પણ સામેલ છે. અહીં સીએમ મમતા બેનર્જીનો મુકાબલો વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી સાથે છે. તેઓ નંદીગ્રામથી પણ ચૂંટણી લડી રહ્યા છે, જ્યાંથી તેઓ ભાજપના હાલના ધારાસભ્ય છે.

પંચાંગ 29/04/2026

જયપુરી ચાટ

ગરમીના દિવસોમાં શાક રોટલી ખાવાનું કોઈને ભાવે નહીં. હાં, જરા જુદા પ્રકારની કોઈ ચટપટી ચાટ જો ખાવા મળે તો ગરમીનો તાપ ભૂલાઈ જાય! વળી, આ ચાટ સહેલાઈથી બની પણ જાય છે! (પુરી તેમજ ચટણીઓ અગાઉથી બનાવીને રાખી શકાય છે.)

સામગ્રીઃ ચાટ મસાલો ½ ટી.સ્પૂન, જીરૂ પાઉડર 1 ટી.સ્પૂન, સંચળ (કાળું મીઠું) ¼ ટી.સ્પૂન, સાદું મીઠું ¼ ટી.સ્પૂન, કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, દહીં 1 કપ, દળેલી સાકર ½ ટી.સ્પૂન, બાફેલા બટેટા 2, કાકડી 1, ટામેટાં 2, કાંદા 2, લીલા મરચાં 2, ચણાના લોટની મોળી તેમજ મસાલાવાળી તીખી બુંદી 1-1 કપ, ધોઈને સમારેલી કોથમીર 1 કપ, કોથમીર-ફુદીનાની તીખી ચટણી 1 કપ, આમલી-ગોળવાળી ખટમીઠી ચટણી 1 કપ, ચણાના લોટની મોળી સેવ 1 કપ,

ચાટ માટેની પુરીઃ મેંદો 1 કપ, જીરૂ ½ ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, ઘી 2 ટે.સ્પૂન, તળવા માટે તેલ

રીતઃ મેંદામાં જીરૂ, સ્વાદ મુજબ મીઠું તેમજ મોણ માટેનું ઘી મેળવી દો. ત્યારબાદ થોડું થોડું પાણી મેળવીને ઘટ્ટ લોટ બાંધીને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દો.

ત્યારબાદ તેમાંથી મોટો લૂવો લઈ સહેજ જાડી એવી મોટી રોટલી વણી લો. ત્યારબાદ ફોર્ક વડે આખી રોટલીમાં કાણાં પાડી લો. જેથી કરીને પુરી તળતી વખતે ફુલે નહીં. ત્યારબાદ પુરીની સાઈઝના કોઈ સ્ટીલના ઢાંકણ અથવા નાની વાટકી વડે રોટલીમાંથી પુરી કટ કરીને એક થાળીમાં કાઢી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરીને ગેસની આંચ ધીમી કરી લો. કઢાઈમાં આવે તેટલી પુરી ઉમેરીને ગેસની ધીમી આંચે પુરી બંને બાજુએથી સોનેરી રંગની તળી લો.

બાફેલા બટેટા લઈ તેના નાના ચોરસ ટુકડા કરીને એક બાઉલમાં કાઢી લો. તે જ રીતે કાકડી, ટામેટાં તેમજ કાંદાને પણ સમારીને અલગ અલગ બાઉલમાં કાઢી લો. લીલા મરચાં ઝીણાં ગોળ સમારીને અલગ વાટકીમાં કાઢી લો.

ચાટ ઉપર છાંટવા માટેનો મસાલો તૈયાર કરવા માટે એક બાઉલમાં જીરા પાઉડર, ચાટ મસાલો, મરચાં પાઉડર, કાળું તેમજ સાદું મીઠું ¼ ટી.સ્પૂન-¼ ટી.સ્પૂન મેળવી લો.

એક બાઉલમાં મોળી તેમજ તીખી બુંદી લઈ 2-3 ચમચી જેટલું દહીં, તીખી ચટણી 2 ચમચી, ગળી ચટણી 2 ચમચી મેળવી લો.

ચાટ બનાવવા માટે એક પ્લેટમાં 4-5 પુરીઓ ગોઠવી, તેને હાથેથી પ્રેશ કરીને થોડી તોળી લો. તેની ઉપર દહીં મેળવેલી બુંદી થોડી પાથરી દો. ત્યારબાદ તેની ઉપર અનુક્રમે બટેટાના કટકા, સમારેલા કાંદા, ટામેટાં, કાકડી ભભરાવીને ઉપરથી 2 ચમચી દહીં, 2 ચમચી તીખી તેમજ ગળી ચટણી ફરતે રેડીને તૈયાર કરેલો ચાટ મસાલો ભભરાવીને ઉપર કોરી મોળી અને સાદી બુંદી તેમજ સમારેલાં લીલાં મરચાં ભભરાવીને, સમારેલી કોથમીર તેમજ ચણાના લોટની ઝીણી સેવ ભભરાવીને ચાટ પીરસો.

૨૯ એપ્રિલ ૨૦૨૬

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ PM મોદીએ જનતાનો માન્યો આભાર

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક અને પ્રચંડ વિજય મેળવીને રાજ્યમાં પોતાનો અજેય ગઢ જાળવી રાખ્યો છે. આ ભવ્ય સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, ગુજરાત અને ભાજપ વચ્ચેનો અતૂટ સંબંધ હવે વધુ ગાઢ બન્યો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, જનતાએ ફરી એકવાર સુશાસન અને વિકાસની રાજનીતિ પર મહોર મારી છે અને ભાજપના કાર્યકર્તાઓના અવિરત પરિશ્રમને આશીર્વાદ આપ્યા છે.

આ શાનદાર જીતને વધાવવા માટે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ નેતાઓની હાજરીમાં ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, ગુજરાતના સમજદાર મતદારોએ નકારાત્મકતા ફેલાવનારા તત્વોને સખત જાકારો આપ્યો છે. ભાજપના પક્ષમાં આવેલો આ જંગી જનાદેશ સાબિત કરે છે કે લોકો ડબલ એન્જિન સરકારની કાર્યપદ્ધતિથી સંપૂર્ણ સંતુષ્ટ છે.

ચૂંટણી પરિણામોમાં વિપક્ષની કારમી હાર પર પ્રહાર કરતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ આકરા શબ્દોમાં કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે ગુજરાતને બદનામ કરવામાં કોઈ કસર છોડી નહોતી, પરંતુ આજે જનતાએ તેમને બિસ્તરા-પોટલા બાંધીને રવાના કરી દીધા છે. ભાજપના કાર્યકર્તાઓની સંગઠન શક્તિ અને લોકોનો અતૂટ વિશ્વાસ જ આ ભવ્ય જીતનો પાયો છે. આગામી દિવસોમાં આ વિજયી લહેરને ધ્યાનમાં રાખીને ભાજપ રાજ્યના વિકાસ માટે વધુ પ્રતિબદ્ધતા સાથે કામ કરશે તેવી ખાતરી નેતાઓએ આપી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ જશ્નનો માહોલ

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ અપેક્ષા મુજબ જ જવલંત સફળતા હાંસલ કરી છે. રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપના ભવ્ય વિજયને પગલે સમગ્ર રાજ્યમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકામાં ૧૯૨માંથી ૧૬૦ બેઠકો પર કમળ ખીલતા અને ખેડા જિલ્લાની તમામ પાલિકાઓમાં ક્લીન સ્વીપ થતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ ઐતિહાસિક જીતને વધાવવા માટે અમદાવાદના ઐતિહાસિક ખાનપુર કાર્યાલય ખાતે મધ્યરાત્રિ સુધી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશના અન્ય દિગ્ગજ નેતાઓની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને જીતની ખુશી વહેંચી હતી. નડિયાદ સ્થિત ‘કમલમ’ કાર્યાલય પણ કેસરીયા રંગે રંગાયેલું જોવા મળ્યું હતું, જ્યાં ઢોલ-નગારાના તાલે કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા. મુખ્યમંત્રીએ આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસની રાજનીતિ પર જનતાનો અતૂટ વિશ્વાસ ગણાવ્યો છે.

પરિણામોના ટ્રેન્ડ મુજબ, ભાજપે માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં પરંતુ ગ્રામીણ પંથકોમાં પણ વિપક્ષના સૂપડા સાફ કરી દીધા છે. અનેક જગ્યાએ કોંગ્રેસ અને અન્ય પક્ષોના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ ભાજપે ગાબડાં પાડીને પોતાની પકડ મજબૂત કરી છે. વિજયી ઉમેદવારોના સરઘસોમાં ‘ભારત માતા કી જય’ અને ‘જય જય ગરવી ગુજરાત’ના નારાઓથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રચંડ જનમત બાદ હવે આગામી દિવસોમાં વિવિધ પાલિકાઓ અને પંચાયતોમાં પ્રમુખ અને હોદ્દેદારોની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ત્રણ તાલુકા પંચાયત બેઠકો પર ફરી મતદાન થશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્ય ચૂંટણી પંચે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યની ત્રણ મહત્વની તાલુકા પંચાયત બેઠકો, જ્યાં ઉમેદવારોના અકાળે નિધનને કારણે ચૂંટણી પ્રક્રિયા રદ અથવા મુલતવી રાખવામાં આવી હતી, ત્યાં હવે નવેસરથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચના જાહેરનામા મુજબ, આ બેઠકો પર 24 મે 2026ના રોજ મતદાન યોજાશે અને તેનું પરિણામ 26 મેના રોજ જાહેર કરવામાં આવશે. આ નિર્ણયને પગલે સાબરકાંઠા, સુરત અને અમદાવાદ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે.

જે ત્રણ બેઠકો પર ફરી ચૂંટણી યોજાવાની છે તેમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાની ચિતરીયા બેઠકનો સમાવેશ થાય છે, જ્યાં ભાજપના ઉમેદવાર લીનાબેન નીનામાનું નિધન થયું હતું. બીજી બેઠક સુરત જિલ્લાના બારડોલી તાલુકાની અસ્તાન બેઠક છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડના અવસાનને પગલે પ્રક્રિયા અટકી હતી. ત્રીજી બેઠક અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાની દહેગામડા બેઠક છે, જ્યાં ભાજપના ઉમેદવાર જશીબેન ડાભીનું નિધન થયું હતું. આ ત્રણેય બેઠકો પર હવે નવા ઉમેદવારો મેદાનમાં ઉતરશે અને રાજકીય પક્ષો પોતાની રણનીતિ ફરીથી ઘડશે.

ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, આ પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11 મે 2026 નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 12 મેના રોજ ફોર્મની ચકાસણી થશે અને 13 મે સુધીમાં ઉમેદવારો પોતાના નામ પાછા ખેંચી શકશે. 24 મેના રોજ રવિવારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ પેટાચૂંટણીના પરિણામો ભલે નાની સંખ્યામાં હોય, પરંતુ તે જે તે તાલુકા પંચાયતના સત્તાના સમીકરણો નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે, જેના કારણે બંને મુખ્ય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે.