મુંબઈમાં ચોપાટી ખાતે લેખિકા વર્ષા અડાલજાના વાર્તાલાપનો કાર્યક્રમ યોજાશે

જેમની કલમેથી 26 નવલકથાઓ અને સંખ્યાબંધ ટૂંકી વાર્તાઓનું સર્જન થયું છે, તે ગુજરાતી ભાષાનાં સમર્થ સાહિત્યકાર વર્ષા અડાલજાના એક રસપ્રદ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે.

મુંબઈના ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર દ્વારા બુધવાર, 11 મી જૂનની સાંજે 6:કલાકે ભવન (ચોપાટી)ના ગીતા મંદિર હૉલ ખાતે લેખિકા વર્ષા અડાલજાના વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષાબેનને તેમની સાહિત્યિક સિદ્ધિઓ માટે તથા તેમનાં પુસ્તકોને, કેન્દ્રીય,ગુજરાત,મહારાષ્ટ્રની સાહિત્ય અકાદમીઓ તથા ગુજરાતી સાહિત્ય પરિષદ અને અન્ય બહુભાષી સંસ્થાઓ દ્વારા પારિતોષિકો તથા જીવન ગૌરવ પુરસ્કારો એનાયત થયાં છે.ગુજરાતી સાહિત્યનાં ઉચ્ચતમ એવાં રણજિતરામ,નર્મદ, દર્શક વગેરે ચંદ્રકોથી પણ તેઓ વિભૂષિત કરાયાં છે.

વાર્તાલાપનો વિષયની વાત કરીએ તો તો એ છે, ‘નવલકથાની સર્જન કથા : વિચારથી વિમોચન સુધી’. ડૉ. પ્રીતિ જરીવાલા પ્રાસ્તાવિક વક્તવ્ય આપશે, તેમજ વર્ષાબેનની કૃતિનું એકોક્તિરૂપે સાભિનય પઠન કરશે. શ્રોતાઓ સાથે વર્ષાબેનની પ્રશ્નોત્તરી યોજાશે. કાર્યક્રમનાં સંકલ્પના તથા સંયોજન નિરંજન મહેતાનાં છે. અજિંક્ય સંપટનું આયોજન છે. આ કાર્યક્રમમાં સાહિત્યરસિકોને જાહેર આમંત્રણ છે. ઈચ્છુક દરેક વ્યક્તિ આ કાર્યક્રમમાં નિ:શુલ્ક પ્રવેશ મેળવી શકે છે.